૭. જીવ, ઇશ્વર, માયા, બ્રહ્મનું અને પરબ્રહ્મનું અન્વય વ્યતિરેકપણું.

સંવત્ ૧૮૭૬ના માગશર સુદિ ૧૦ દશમીને દિવસ શ્રીજી મહારાજ શ્રીગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી શ્રીજી મહારાજ બોલ્યા જે "શાસ્ત્રમાં જ્યાં જ્યાં અધ્યાત્મવાર્તા આવે છે તે કોઇને સમજાતી નથી અને ભ્રમી જવાય છે માટે એ અધ્યાત્મવાર્તા જેમ છે તેમ યથાર્થપણે અમે કહીએ છીએ તે સર્વે સાંભળો જે, સ્થૂળ, સૂક્ષ્મ, અને કારણ એ ત્રણ દેહને વિષે એકાત્મપણે જે વર્તવું તે એ જીવનું અન્વયપણું છે અને એ ત્રણ દેહથી પૃથક્પણે સત્તામાત્ર જે કહેવો, તે જીવનું વ્યતિરેકપણું છે તથા વિરાટ, સૂત્રાત્મા અને અવ્યાકૃત એ ત્રણ શરીરે સહિત જે ઇશ્વરને કહેવા તે ઇશ્વરનું અન્વયપણું છે અને એ ત્રણ શરીરથી પૃથક્ અને સત્તામાત્રપણે કહેવા તે ઇશ્વરનું વ્યતિરેકપણું છે તથા માયા અને માયાનાં કાર્ય જે અનંતકોટિ બ્રહ્માંડ તેને વિષે વ્યાપકપણે જે અક્ષરબ્રહ્મને કહેવા તે એનું અન્વયપણું છે અને એ સર્વથી વ્યતિરેક સચ્ચિદાનંદપણે જે અક્ષરબ્રહ્મને કહેવા તે એનું વ્યતિરેકપણું છે તથા અક્ષરબ્રહ્મ, ઇશ્વર, જીવ, માયા અને માયાનાં કાર્ય જે બ્રહ્માંડ, એમને વિષે જે શ્રીકૃષ્ણ ભગવાનને અંતર્યામીપણે કહેવા અને નિયંતાપણે કહેવા તે એ ભગવાનનું અન્વયપણું છે અને એ સર્વથી પૃથક્પણે કરીને પોતાના ગોલોક ધામને વિષે જે બ્રહ્મજ્યોતિ તેને વિષે રહ્યા છે એમ જે કહેવું, તે એ ભગવાનનું વ્યતિરેકપણું છે અને એ પુરૂષોત્તમ ભગવાન, અક્ષરબ્રહ્મ, માયા, ઇશ્વર અને જીવ એ જે પાંચ ભેદ તે અનાદિ છે. ઇતિ વચનામૃતમ્ ।।૭।।

૧ આત્મા પરમાત્મા આદિકના સ્વરૃપના જ્ઞાનવાળી.