સંવત્ ૧૮૮૨ના પોષ શુદિ ૪ ચોથને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીવરતાલ મધ્યે શ્રીલક્ષ્મીનારાયણના મંદિરની આગળ મંચ ઉપર વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
અને મુનિ દુકડ સરોદા લઈને કીર્તન ગાવતા હતા તે સમે શ્રીજીમહારાજે અંતર્દ્રષ્ટિ કરીને ધ્યાન મુદ્રાએ યુક્ત થઈને થોડીક વાર દર્શન દીધાં ને પછી નેત્રકમળ ઉઘાડીને સર્વે સભા સન્મુખ જોઈને બોલ્યા જે, "હવે સર્વે સાંભળો, ૧વાર્તા કરીએ છીએ જે, આ નેત્રની જે વૃત્તિ તે ૨અરૂપ છે તો પણ તે વૃત્તિને આડું કોઈક સ્થૂલ પદાર્થ આવે ત્યારે તે વૃત્તિ રોકાય છે માટે એ વૃત્તિ પણ સ્થૂલ છે ને પૃથ્વીતત્ત્વ-પ્રધાન છે ને તે વૃત્તિને જ્યારે પરમેશ્વરનો ભક્ત પરમેશ્વરના સ્વરૂપમાં રાખે છે ત્યારે તે વૃત્તિ પ્રથમ તો પાતળી દોરડીની પેઠે ૩પીળી ભાસે છે. અને જેમ કરોળિયો હોય તે પોતાની લાળને એક સ્તંભથી બીજા સ્તંભ સુધીલાંબી કરે, પછી એ કરોળિયો ક્યારેક તો આ સ્તંભ ઉપરજાય ને ક્યારેક તો ઓ સ્તંભ ઉપર જાય ને ક્યારેક બે સ્તંભને મધ્યે બેસે, તેમ કરોળિયાને ઠેકાણે જીવ છે ને એક સ્તંભને ઠેકાણે ભગવાનની મૂર્તિ છે ને બીજા સ્તંભને ઠેકાણે પોતાનું અંતઃકરણ છે ને લાળને ઠેકાણે વૃત્તિ છે. તે દ્વારે કરીને ધ્યાનનો કરનારો જે યોગી તે ક્યારેક તો ભગવાનના સ્વરૂપ સંઘાથે સંલગ્ન થઈ રહે છે, ને ક્યારેક તો અંતઃકરણને વિષે રહે છે, ને ક્યારેક તો અંતઃકરણ ને ભગવાન તેના મધ્યે રહે છે. એમ વર્તતાં થકાં પૃથ્વીતત્ત્વ-પ્રધાન એવી જે પીળી વૃત્તિ તે જ્યારે જળતત્ત્વપ્રધાન થાય ત્યારે શ્વેત જણાય ને જ્યારે અગ્નિતત્ત્વપ્રધાન થાય ત્યારે રક્ત જણાય, ને જ્યારે વાયુતત્ત્વપ્રધાન થાય ત્યારે લીલી જણાય. ને જ્યારે આકાશતત્ત્વપ્રધાન થાય ત્યારે શ્યામ જણાય પછી પંચભૂતનું પ્રધાનપણું મટીને વૃત્તિ નિર્ગુણ થાય ત્યારે અતિશે પ્રકાશે યુક્ત જણાય છે ને ભગવાનના સ્વરૂપને આકારે થાય છે. માટે એવી રીતે જે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખતો હોય તેને અતિશે પવિત્રપણે રહેવું. જેમ દેવને પૂજવાને તત્પર થાયતે દેવ સરખો પવિત્ર થઈને જો દેવની પૂજા કરે ત્યારે તેની પૂજાને દેવ અંગીકાર કરે છે. તેમ પરમેશ્વરને વિષે વૃત્તિ રાખતો હોય તેને પણ સાંખ્યશાસ્ત્રની રીતે કરીને સ્થૂલ, સૂક્ષ્મ ને કારણ એ ત્રણ દેહથી પોતાનું સ્વરૂપ ન્યારૃં જાણીને કેવળ આત્મારૂપ થઈને પરમેશ્વરના સ્વરૂપને વિષે વૃત્તિ રાખવી. પછી એમ વૃત્તિ રાખતાં રાખતાં જ્યારે એ વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં લીન થઈ જાય એજ ધ્યાન કરનારા યોગીને નિદ્રા કહી છે, પણ સુષુપ્તિમાં લીન થવું એવી એ યોગીને નિદ્રા હોય નહિ." ઇતિ વચનામૃતમ્ ।।૮।। ૨૦૮ ।।
૧ અધ્યાત્મ વાર્તા
૨ અરૃપ જેવી જણાય છે એવો વાક્યાર્થ સમજવો.
૩ અને લાંબી.