૨. વેદાદિ પાંચ શાસ્ત્રે કરી ભગવાનને જાણવા.

સંવત્ ૧૮૮૨ના કાર્તિક શુદિ ૧૩ તેરશને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીવડતાલ મધ્યે શ્રીલક્ષ્મીનારાયણના મંદિરથી ઉત્તરાદિ દિશે ગોમતીજીને કાંઠે આંબાના વૃક્ષની હેઠે ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને પીળા તાસતાનો સુરવાળ પહેર્યો હતો, તથા રાતા કિનખાપની ડગલી પહેરી હતી તથા મસ્તક ઉપર જરકસી છેડાની કસુંબલ પાઘ બાંધી હતી. તથા જરકસી છેડાનું કસુંબલ સેલું ખભે નાખ્યું હતું, અને પાઘને ઉપર ચંપાના પુષ્પના હાર વિરાજમાન હતા, ને કંઠને વિષે ધોળા પુષ્પના હાર વિરાજમાન હતા. અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈ ને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, "કાંઈક પ્રશ્ન ઉત્તર કરો" પછી ગામ બુવાના પટેલ કાનદાસજીએ હાથ જોડીને પુછયું જે, "હે મહારાજ! ભગવાન શે પ્રકારે રાજી થાય છે ?'' પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, "જો ભગવાનનો દ્રોહ ન કરીએ તો ભગવાન રાજી થાય. ત્યારે કહેશો જે દ્રોહ તે શું ? તો જે આ સર્વ જગતના કર્તા હર્તા ભગવાન છે તેને કર્તા હર્તા ન સમજીએ, ને વિશ્વના કર્તાહર્તા કાળને જાણીએ, અથવા માયાને જાણીએ અથવા કર્મને જાણીએ, અથવા સ્વભાવને જાણીએ, એ તે ભગવાનનો દ્રોહ છે. કેમ જે, ભગવાન સર્વના કર્તાહર્તા છે, તેનો ત્યાગ કરીને કેવળ કાળ, કર્મ, સ્વભાવ અને માયા, તેને જગતના કર્તાહર્તા કહે છે; માટે એ ભગવાનનો અતિ દ્રોહ છે. ત્યાં દષ્ટાંત, જેમ તમે ગામના પટેલ છો, તે જે તમારી ગામમાં પટલાઈ ન રહેવા દે તે તમારો દ્રોહી કહેવાય અને વળી જેમ ચક્રવર્તી રાજા હોય તેનો હુકમ ખોટો કરીને રાજા ન હોય તેનો હુકમ ચલાવે, તો તે પુરૂષ રાજાનો દ્રોહી કહેવાય અને વળી જેમ કોઈક એવા કાગળ લખી લખીને મેલે જે,'અમારો રાજા છે તે નાક કાન વિનાનો છે, અથવા હાથ પગ વિનાનો છે.' એવી રીતે રાજાનું રૂપ સંપૂર્ણ હોય તેને ખંડિત કરીને વર્ણવે તે રાજાનો દ્રોહી કહેવાય. તેમ ભગવાન છે તે કર ચરણાદિક સમગ્ર અંગે કરીને સંપૂર્ણ છે, અને લેશમાત્ર પણ કોઈ અંગે વિકળ નથી, અને સદા મૂર્તિમાન જ છે; તેને અકર્તા કહેવા તથા અરૂપ કહેવા, ને ભગવાન વિના બીજા જે કાળાદિક તેને કર્તા કહેવા, એજ ભગવાનનો દ્રોહ છે. એવી જાતનો જે ભગવાનનો દ્રોહ તેને જે ન કરે, તેણે સંપૂર્ણ ભગવાનની પૂજા કરી, અને તે વિના તો ચંદન પુષ્પાદિકે કરીને પૂજે છે તો પણ ભગવાનનો દ્રોહી છે માટે ભગવાનને જગતના કર્તાહર્તા જાણે અને મૂર્તિમાન જાણે તે ઉપર જ ભગવાન રાજી થાય છે.

અને વેદમાં તો ભગવાનનું સ્વરૂપ બહુ રીતે વર્ણવીને નારાયણે પોતે પોતાને મુખે કહ્યું છે, પણ તે કોઈના સમજ્યામાં આવ્યું નહિ ત્યારે સાંખ્યશાસ્ત્રે કરીને ચોવીશ તત્ત્વ કહ્યાં ને પંચવીશમું ભગવાનનું સ્વરૂપ કહ્યું. તે સાંખ્યના આચાર્ય જે કપિલમુનિ તેણે એમ વિચાર્યું જે, "સ્થૂલ,સૂક્ષ્મ ને કારણ તેને વિષે જીવ એકપણે કરીને વર્તે છે અને એથી ન્યારો જીવ રહી શકતો નથી; અને ઇશ્વર છે તે પણ પોતાની ઉપાધિ જે વિરાટ્ સૂત્રાત્મા ને અવ્યાકૃત તેને વિષે એકપણે વર્તે છે પણ તે વિના રહી શકતા નથી માટે સાંખ્યશાસ્ત્રે જીવને ને ઈશ્વરને ચોવીશ તત્ત્વ ભેળા જ ગણ્યા છે, અને પંચવીશમા પરમાત્માને કહ્યા છે." અને યોગશાસ્ત્રના આચાર્ય જે હિરણ્યગર્ભ ઋષિ તેણે ચોવીશ તત્ત્વ કહીને પંચવીશમો જીવને કહ્યો છે, તેમ જ પંચવીશમા ઈશ્વરને કહ્યા છે અને પરમાત્માને છવીશમા કહ્યા છે. એવી રીતે સાંખ્યશાસ્ત્ર ને યોગશાસ્ત્ર તેણે ભગવાનનું સ્વરૂપ કહ્યું તો પણ સાક્ષાત્કાર ભગવાનના સ્વરૂપનું જ્ઞાન ન થયું, અને અનુમાન પ્રમાણે તો થયું જે, 'સાંખ્યને મતે ચોવીશ તત્ત્વથી પર છે તે વસ્તુ સત્ય છે. અને યોગને મતે ચોવીશ તત્ત્વથી પર જીવ ઈશ્વર છે, ને તેથી પર પરમાત્મા છે, તે સત્ય છે. એવી રીતે પરમાત્માના સ્વરૂપનું બે શાસ્ત્ર વતે અનુમાન પ્રમાણે કરીને જ્ઞાન થયું, પણ તે ભગવાન કાળા છે કે પીળા છે ? લાંબા છે કે ટુંકા છે ? કે સાકાર છે કે નિરાકાર છે ? એવું કાંઈ જ્ઞાન ન થયું, પછી પોતે વાસુદેવ ભગવાને પંચરાત્ર નામે તંત્ર કર્યું. તેને વિષે એમ પ્રતિપાદન કર્યું જે, શ્રીકૃષ્ણ પુરુષોત્તમ ભગવાન છે તે પોતાના અક્ષરધામને વિષે સદા દિવ્ય સાકાર મૂર્તિમાન રહ્યા છે; અને તેજ ભગવાન જે તે શ્વેતદ્વીપવાસી જે અનંત નિરન્નમુક્ત છે તેમને પાંચ વખત પોતાનું દર્શન આપે છે, તથા વૈકુંઠલોકને વિષે તે જ ભગવાન ચતુર્ભુજ મૂર્તિ થકા લક્ષ્મીજીએ સહિત છે ને તે શંખ, ચક્ર, ગદા, પદ્મને ધરી રહ્યા છે, તથા વિશ્વક્સેનાદિક જે પાર્ષદ તેમણે સેવ્યા છે અને એજ ભગવાન પૂજવા યોગ્ય છે, ભજવા યોગ્ય છે ને પામવા યોગ્ય છે અને તેજ ભગવાન રામકૃષ્ણાદિક અવતાર ધારણ કરે છે, અને વાસુદેવ, સંકર્ષણ, પદ્યુમ્ન, અનિરુદ્ધ એ ચતુર્વ્યુહરૂપે વર્તે છે.' એવી રીતે સાકાર મૂર્તિનું પ્રતિપાદન કર્યું છે, પછી તે જ પંચરાત્ર તંત્રને નારદજીએ ફરીને કર્યું ત્યારે તે નારદ પંચરાત્ર કહેવાયું. તેને વિષે એવી રીતે ભગવાનના સ્વરૂપનું પ્રતિપાદન કર્યું જે, કોઈ રીતે સંશય રહ્યો નહિ.' અને તેજ રીતે શિવજીએ પાશુપાતશાસ્ત્ર કર્યું તેને વિષે પણ અષ્ટભુજ,ચતુર્ભુજ રૂપે કરીને શ્રીનારાયણના સ્વરૂપનું જ વર્ણન કર્યું છે, માટે શ્રીમદ્બાગવતમાં કહ્યું છે જે -
नारायणपरा वेदा देवा नारायणाङ्गजाः ।
नारायणपरा लोका नारायणपरा मखाः ।।
नारायणपरो योगो नारायणपरं तपः ।
नारायणपरं ज्ञानं नारायणपरा गतिः ।।
वासुदेवपरा वेदा वासुदेवपरा मखाः ।
वासुदेवपरा योगा वासुदेवपरा क्रियाः ।
वासुदेवपरं ज्ञाानं वासुदेवपरं तपः ।
वासुदेवपरो धर्मो वासुदेवपरा गतिः ।।
એવી રીતે પાંચ શાસ્ત્રે કરીને શ્રીકૃષ્ણનારાયણ વાસુદેવના સ્વરૂપનું જ પ્રતિપાદન કર્યું છે. અને એ પાંચ શાસ્ત્રે કરીને જે ભગવાનના સ્વરૂપને સમજે તે જ પુરો જ્ઞાની કહેવાય. જેમ દુધ છે તેને નેત્રે જુએ ત્યારે ધોળું દેખાય અને નાકે સુંઘે ત્યારે સુગંધવાન જણાય અને આંગળીએ કરીને અડે ત્યારે ટાઢું ઉનું જણાય. અને જિહ્વાએ કરીને ચાખે ત્યારે સ્વાદુ જણાય પણ એક ઈન્દ્રિયે કરીને દુધના સ્વરૂપનું સંપૂર્ણ જ્ઞાન ન થાય અને સર્વ ઈન્દ્રિએ કરીને તપાસી જુએ ત્યારે સંપૂર્ણ જ્ઞાન થાય છે. તેમ વેદાદિક પાંચ શાસ્ત્રે કરીને ભગવાનના સ્વરૂપને સમજે ત્યારે સંપૂર્ણ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય છે. અને એમ જાણવું તેને સંપૂર્ણ જ્ઞાન કહીએ. અને ભગવાન પણ એમ સમજે જ રાજી થાય છે પણ પરમેશ્વરને રાજી કર્યાનો બીજો ઉપાય નથી. માટે એવી રીતે સમજે તે જ પુરો જ્ઞાની કહેવાય અને ભગવાન પણ તે ઉપર જ અતિશે રાજી થાય છે " ઇતિ વચનામૃતમ્ ।।૨।। ૨૦૨ ।।

૧ અને તેમને શાસ્ત્રનું લેશ માત્ર જ્ઞાાન નથી એમ જણાય છે.
૨ અને વેદાદિ શાસ્ત્રનું તાત્પર્ય સાકાર વાસુદેવ ભગવાનમાંજ છે.