સંવત્ ૧૮૮૨ ના કાર્તિક શુદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીવરતાલ મધ્યે શ્રીલક્ષ્મીનારાયણના મંદિરથી ઉત્તરાદી કોરે ગોમતીજીને કાંઠે આંબાવાડિયામાં સિંહાસન ઉપર ગાદી તકીયા નંખાવીને વિરાજમાન હતા, ને ધોળો સુરવાળ ને ધોળો અંગરખો પહેર્યો હતો, અને ગુઢા રંગનો રેંટો કમરે બાંધ્યો હતો, ને માથા ઉપર કસુંબલ રેંટો સોનેરી તારના છેડાવાળો બાંધ્યો હતો, ને ખભે કસુંબલ રેંટો જરકસી છેડાનો વિરાજમાન હતો, ને કંઠને વિષે ગુલાબના પુષ્પના હાર વિરાજમાન હતા, ને માથા ઉપર ગુલાબના પુષ્પના તોરા વિરાજમાન હતા, ને ભુજાઓને વિષે ગુલાબના ગજરા ને બાજુબંધ બાંધ્યા હતા, એવી શોભાને ધરતા થકા ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી વડોદરાવાળા શોભારામ શાસ્ત્રીએ શ્રીજીમહારાજને પ્રશ્ન પુછયો જે, "હે મહારાજ ! મુમુક્ષુ હોય તે જ્યારે નિર્વિકલ્પ સમાધિને પામે ત્યારે ગુણાતીત થાય, ને ભગવાનનો એકાંતિક ભક્ત થાય, ત્યારે જેને નિર્વિકલ્પ સમાધિ ન થાય તેની શી ગતિ થાય?" પછી શ્રીજી-મહારાજ બોલ્યા જે. પ્રાણનો નિરોધ થાય ત્યારે જ નિર્વિકલ્પ સમાધિ થાય એમ નથી. નિર્વિકલ્પ સમાધિની રીત તો બીજી છે તે કહીએ તે સાંભળો જે, શ્રીમદ્બાગવતમાં કહ્યું છે જે-
૧ अत्र सर्गो विसर्गश्च स्थानं पोषणमूतयः ।
मन्वन्तरेसानुकथा निरोधो मुक्तिराश्रयः ।।
એ શ્લોકનો એમ અર્થ છે જે, વિશ્વના સર્ગવિસર્ગાદિક જે નવ લક્ષણ તેણે કરીને જાણ્યામાં આવે એવું આશ્રયરૂપ જે શ્રીકૃષ્ણ ભગવાનનું સ્વરૂપ તેને વિષે જે મુમુક્ષુુની અચળ મતિ થઈ, જેમ આ આંબાનું વૃક્ષ છે તે એકવાર દ્રઢ કરીને જાણ્યું પછી કામ વ્યાપે, ક્રોધ વ્યાપે, લોભ વ્યાપે, તો પણ કોઈ રીતે આંબાને વિષે ભ્રાંતિ ન થાય જે, આંબાનું વૃક્ષ હશે કે નહિ હોય; તેમ જેને પ્રત્યક્ષ શ્રીકૃષ્ણભગવાનના સ્વરૂપનો દઢ નિશ્ચય થયો, ને તેમાં કોઈ જાતનો કુતર્ક ન થાય, તો તે પુરૂષના પ્રાણ લીન ન થયા હોય તો પણ નિર્વિકલ્પ સમાધિ છે. ને પ્રાણ લીન થયા હોય તો પણ નિર્વિકલ્પ સમાધિ છે.અને જેને એ ભગવાનના સ્વરૂપમાં સંકલ્પ વિકલ્પ રહેતા હોય જે, 'બ્રહ્મપુરને વિષે કેવું ભગવાનનું સ્વરૂપ હશે, અને શ્વેતદ્વીપ ને વૈકુંઠને વિષે કેવું ભગવાનનું સ્વરૂપ હશે, અને તે સ્વરૂપનું ક્યારે દર્શન થશે ? એવી જાતના સંકલ્પ વિકલ્પ કર્યા કરે, પણ પ્રગટ ભગવાન મળ્યા તેને જ સર્વના કારણ જાણીને તેણે કરીને જ પોતાને કૃતાર્થ ન માને, અને એવાને દૈવ ૨ઈચ્છાએ કરીને સમાધિ થાય તો પણ સંકલ્પ વિકલ્પ મટે નહિ, અને સમાધિમાં જે જે દેખાય તેથી નવું નવું જોવાને ઈચ્છે પણ મનના વિકલ્પ મટે નહિ, એવો હોય તેને સમાધિ છે તો પણ સવિકલ્પ છે, ને સમાધિ ન હોય તોય સવિકલ્પ છે; માટે એવો હોય તે ગુણાતીત એકાંતિક ભક્ત ન કહેવાય. અને જેને ભગવાનના સ્વરૂપનો દઢ નિશ્ચય હોય ને તેને સમાધિ છે અથવા નથી તોય પણ તેને સદાય નિર્વિકલ્પ સમાધિ જ છે."
પછી દીનાનાથ ભટ્ટે પ્રશ્ન પુછયો જે, "મનના સંકલ્પ વિકલ્પ ટાળવાનો ઉપાય કરે, અને જો મનને ન જીતી શકે તો તેની શી ગતિ થાય?" પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, "કૌરવ ને પાંડવને યુધ્ધ કરવાનો પ્રારંભ થયો ત્યારે કૌરવને પાંડવો વિચાર્યા જે, આપણે એવે ઠેકાણે યુદ્ધ કરીએ જે તે યુદ્ધમાં જે કોઈ મરે તો પણ તેના જીવનું રૂડું થાય,' એવું વિચારીને કુરૂક્ષેત્રને વિષે યુદ્ધ કર્યું પછી જીત્યા તેનું પણ સારૃં થયું, ને એ સંગ્રામમાં મરાયા તેને પણ દેવલોકની પ્રાપ્તિ થઈ, ને રાજ્ય થકી પણ અધિક સુખને પામ્યા. તેમ જે મન સાથે લડાઈ આદરે અને જો મનને જીતે તો નિર્વિકલ્પ સ્થિતિને પામે, ને ભગવાનનો એકાંતિક ભક્ત થાય, અને જો મન આગળ હારે તો પણ યોગભ્રષ્ટ થાય. તે પછી એક જન્મે અથવા બે જન્મે અથવા ઘણે જન્મે પણ અંત્યે જાતો એ એકાંતિક ભક્ત થાય, પણ એણે દાખડો કર્યો તે છુટી ન પડે. માટે બુદ્ધિવાન હોય તેને તો પોતાના કલ્યાણને અર્થે મન સાથે જરૂર વૈર બાંધવું. પછી એ મનને જીતશે તો પણ સારૃં છે, ને એ મનથી હારશે તો પણ યોગભ્રષ્ટ થશે, તેમાં અંત્યે જાતાં સારૂ છે. તે માટે જે કલ્યાણને ઈચ્છે તેને તો મન સાથે જરૂર વૈર બાંધવું ." ઇતિ વચનામૃતમ્ ।।૧।। ૨૦૧ ।।
૧ સર્ગઃ- મહદાદિક પૃથિવ્યન્ત તત્ત્વોની ઉત્પત્તિ, અર્થાત્ વૈરાજપુરૃષ સુધીની સૃષ્ટી । વિસર્ગઃ- બ્રહ્માએ કરેલી સૃષ્ટી । સ્થાનં - ભગવાનની સર્વોત્કર્ષ શત્રુ વિજયાદિરૃપ સ્થિતિ । પોષણં - ભગવાનનો જગતના રક્ષણરૃપ અનુગ્રહ । ઉતયઃ - કર્મવાસના । મન્વંતરકથા - ભગવાને અનુગ્રહ કરેલા મન્વંતરાધિપોનો ધર્મ । ઈશાનુકથા - ભગવાનના અવતારચરિત્રોની કથા તથા તેમના એકાંતિક ભક્તોનાં નાનાવિધ આખ્યાનવાળી સત્કથા । નિરોધઃ -ચાર પ્રકારનો પ્રલય । મુક્તિ - દેવ મનુષ્યાદિરૃપનો ત્યાગ કરીને સ્વસ્વરૃપથી રહેવું તે । આશ્રયઃ - જેનાથી ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય થાય છે, જેને પરબ્રહ્મ પરમાત્મા ઈત્યાદિક શબ્દથી શ્રુતિ સ્મૃતિયો કહે છે તે.
૨ ભગવદ્ ઇચ્છા વા પૂર્વના સત્સંસ્કારના બળે કરીને.