૬. ઉપાસનાની દૃઢતાવાળાનું કલ્યાણ થાય છે, કૃષ્ણાવતાર સર્વોત્કૃષ્ટ છે.

સંવત્ ૧૮૭૭ ના ફાગણ વદિ ૯ નવમીને દિવસ રાત્રિને સમે શ્રીજી મહારાજ ગામ શ્રીપંચાળા મધ્યે ઝીણાભાઇના દરબારમાં ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન હતા, ને મસ્તક ઉપર ધોળો ફેંટો બાંધ્યો હતો, ને ધોળે અંગરખે સહિત ગરમપોસની રાતી ડગલી પહેરી હતી, ને ધોળો ખેસ પહેર્યો હતો, ને ધોળી પછેડી ઓઢી હતી, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ''અમે ઝાઝીવાર સુધી વિચાર કર્યો ને સર્વે શાસ્ત્રમાં નજર ફેરવીને જોયું ત્યારે એમ જણાયું જે, ''શ્રીકૃષ્ણ જેવો અવતાર સર્વ શક્તિએ યુક્ત બીજો કોઇ નથી થયો.'' કેમ જે, બીજી જે સર્વે પોતાની અનંત મૂર્તિઓ ભિન્નભિન્નપણે રહી છે તે સર્વેનો ભાવ શ્રીકૃષ્ણભગવાને પોતાને વિષે દેખાડયો. કેવી રીતે તો પ્રથમ પોતે દેવકીથકી જન્મ્યા ત્યારે શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારીને ચતુર્ભુજરૂપે દર્શન દીધું તેણે કરીને લક્ષ્મીપતિ જે વૈકુંઠનાથ તેનો ભાવ પોતામાં જણાવ્યો, તથા માતા યશોદાને પોતાના મુખમાં વિશ્વરૂપ દેખાડયું તેણે કરીને સહસ્રશીર્ષાપણે કરીને અનિરૂદ્ધપણું પોતામાં જણાવ્યું, તથા અક્રુરને યમુનાના ધરામાં દર્શન દીધાં તેણે કરીને શેષશાયીપણું જણાવ્યું, તથા અર્જુનને રણસંગ્રામમાં વિશ્વરૂપ દેખાડયું જે, '' पश्य मे पार्थ ! रूपाणि शतशोथ सहस्रशः '' એવી રીતે અનંત બ્રહ્માંડ દેખાડીને પુરૂષોત્તમપણું જણાવ્યું; તથા પોતે શ્રીકૃષ્ણે કહ્યું જે,

यस्मात्क्षरमतीतोहमक्षरादपि चोत्तमः ।
अतोस्मि लोके वेदे च प्रथितः पुरुषोत्तमः ।।
એવી રીતે પોતે પોતાનું પુરૂષોત્તમપણું જણાવ્યું તથા ગોલોકવાસી જે રાધિકા સહિત શ્રીકૃષ્ણ તે તો પોતેજ હતા અને બ્રાહ્મણના બાળકને લેવા ગયા ત્યારે અર્જુનને પોતાનું ભૂમાપુરૂષરૂપે દર્શન કરાવ્યું તથા શ્વેતદ્વીપવાસી વાસુદેવ તેણે તો પોતે જ એ અવતાર ધર્યો હતો તથા નરનારાયણ તો સમગ્ર ભારતને વિષે તથા ભાગવતમાં એ શ્રીકૃષ્ણને જ કહ્યા છે, તે માટે એ શ્રીકૃષ્ણના અવતારને વિષે તો ભિન્નભિન્નપણે રહી જે એજ ભગવાનની મૂર્તિઓ તથા શક્તિઓ, ઐશ્વર્ય તે સમગ્ર છે માટે એ અવતાર તે બહુ મોટો થયો છે. અને બીજી મૂર્તિને વિષે થોડું ઐશ્વર્ય છે ને એને વિષે સંપૂર્ણ ઐશ્વર્ય છે, માટે કૃષ્ણાવતાર જેવો કોઇ અવતાર નથી. અને એ અવતાર સર્વોપરી વર્તે છે. અને બીજા અવતારે કરીને થોડી શક્તિ જણાવી છે ને આ અવતારે કરીને સંપૂર્ણ ઐશ્વર્યશક્તિયો જણાવી. માટે આ અવતાર સર્વોત્કર્ષપણે વર્તે છે. એવી રીતે જેની પ્રત્યક્ષ શ્રીકૃષ્ણના સ્વરૂપમાં અચળ મતિ હોય ને એ મતિ કોઇ દિવસ વ્યભિચારને ન પામતી હોય ને તેની વતે કોઇ કુસંગે કરીને કદાચિત્ કાંઇક અવળું વર્તાઇ ગયું હોય તોપણ તે કલ્યાણના માર્ગમાંથી પડે નહિ, એનું કલ્યાણ જ થાય. માટે તમે પરમહંસ હરિભક્ત છો તે પણ એવી રીતે જો ઉપાસનાની દૃઢતા ભગવાનને વિષે રાખશો તો કદાચિત્ કાંઇક અવળું વર્તાઇ જશે તો પણ અંતે કલ્યાણ થશે.'' એવી રીતની વાર્તાને સાંભળીને સર્વે સાધુ તથા હરિભક્ત તે શ્રીજીમહારાજને વિષે સર્વ કારણપણું જાણીને ઉપાસનાની દૃઢતા કરતા હવા. ઇતિ વચનામૃતમ્ ।।૬।। ૧૩૨ ।।

૧ અર્થ - હે પૃથાના પુત્ર ! સેંકડો ને હજારો મારાં રૃપોને તું જો.
૨ અર્થ - જે કારણથી ક્ષરને ઉલંઘીને રહ્યો છું અને અક્ષરથી પણ ઉત્તમ છું, તે કારણથી લોકમાં અને વેદમાં પુરૃષોત્તમ એવા નામથી પ્રસદ્ધિ છું.