૫. માનીપણું ને નિર્માનીપણું કયાં સારૃં તે વિષે.

સંવત્ ૧૮૭૭ ના ફાગણ વદિ ૮ અષ્ટમીને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રીપંચાળા મધ્યે ઝીણાભાઇના દરબારમાં ઓટાને વિષે ઢોલિયા ઉપર વિરાજમાન હતા, ને ધોળો ખેસ પહેર્યો હતો, ને ગરમ પોસની રાતી ડગલી પહેરી હતી, ને મસ્તક ઉપર ધોળો ફેંટો બાંધ્યો હતો, ને ધોળી ચાદર ઓઢી હતી ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી સ્વયંપ્રકાશાનંદસ્વામીએ પ્રશ્ન પુછયો જે, ''કયે ઠેકાણે માન સારૃં છે ને કયે ઠેકાણે સારૃં નથી ને કયે ઠેકાણે નિર્માનીપણું સારૃં છે ને કયે ઠેકાણે સારૃં નથી ?'' પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ''જે સત્સંગનો દ્રોહી હોય ને પરમેશ્વરનું ને મોટા સંતનું ઘસાતું બોલતો હોય તેની આગળ તો માન રાખવું તેજ સારૃં છે. અને તે ઘસાતું બોલે ત્યારે તેને તીખા બાણ જેવું વચન મારવું પણ વિમુખની આગળ નિર્માની થવું નહિ તેજ રૂડું છે. અને ભગવાન ને ભગવાનના સંતની આગળ તો જે માન રાખવું તે સારૃં નથી. ને તેની આગળ તો માનને મુકીને દાસાનુદાસ થઇને નિર્માનીપણે વર્તવું તેજ રૂડું છે.'' ઇતિ વચનામૃતમ્ ।।૫।। ૧૩૧ ।।