૧૪. રામાનુજાદિ આચાર્યોનો સિદ્ધાંત, શ્રીજી સિદ્ધાંત, રૂચીનું.

સંવત્ ૧૮૭૭ ના માગશર વદિ ૧૧ એકાદશીને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રીલોયા મધ્યે સુરાભક્તના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને માથે ધોળો ફેંટો ધારણ કર્યો હતો તથા ધોળી ચાદર ઓઢી હતી તથા ધોળો ખેસ પહેર્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા જે,''પૂર્વે જે આચાર્ય થઇ ગયા છે તેમની પૃથક્ પૃથક્ રૂચિ છે, તેમાં શંકરસ્વામીને અદ્વૈતજ્ઞાનાંશ પ્રધાન જણાય છે. તથા રામાનુજનો એમ મત છે જે, ''જીવ, માયા અને પુરૂષોત્તમ એ ત્રણે નિત્ય છે, ને પુરૂષોત્તમ છે, તે જીવ માયાના નિયંતા છે, ને સર્વના કારણ છે, ને પોતાના અક્ષરધામને વિષે સદા દિવ્ય આકાર થકા વિરાજમાન છે, ને સર્વે જે અવતાર તે તેના છે; એવા જે પુરૂષોત્તમનારાયણ તેની ઉપાસના જીવને કરવી.' એવી રીતે રામાનુજની સમજણ જણાય છે. તથા વલ્લભાચાર્યને કેવળ ભક્તિ ઉપર નિષ્ઠા બહુ જણાય છે. અને એ સર્વે આચાર્યે પોતાના ગ્રંથોમાં પ્રસંગે કરીને બીજી વાર્તાઓ લખી છે, પણ ગમે તેવી રીતે કરીને અંતે પોતાની રૂચિ ઉપર જાય. એમ તેમના ગ્રંથને વિષે તેમનાં વચન છે તેણે કરીને તેમનો અભિપ્રાય યથાર્થ જાણ્યામાં આવે છે, તેમ અમારી વાર્તા સાંભળીને તમને સર્વેને અમારી કેવી રૂચિ જણાય છે, અને જેમ સોય કેડે દોરો ચાલ્યો જાય છે. ને વળી જેમ માળાના મણકાને વિષે દોરો સુંસરો છે, તેમ અમારી જે સર્વે વાર્તા તેમાં શો અભિપ્રાય નિરંતર સુંસરો ચાલ્યો આવે છે, તે જેને જેમ જણાતો હોય તે તેમ કહો ?' ત્યારે સર્વે મોટેરા પરમહંસે જેને જેમ જણાયુ તેણે તેમ કહ્યું. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ''લ્યો અમે અમારો અભિપ્રાય તથા રૂચિ તે કહીએ. એક તો અમને એ ગમે છે જે, ઋષભદેવ ભગવાન વાસુદેવ સંઘાથે એકાત્મતાને પામ્યા હતા તો પણ જ્યારે સિદ્ધિઓ આવીને પ્રાપ્ત થઇઓ, ત્યારે પોતે ભગવાન હતા તો પણ બીજા ત્યાગીની શિક્ષાને અર્થે તે સિદ્ધિઓને ગ્રહણ ન કરતા હવા. તે શ્રીમદ્બાગવતમાં કહ્યું છે જે, યોગી સિદ્ધ થયો હોય ને પોતાનું મન વશ થયું હોય, તો પણ તે મનનો વિશ્વાસ ન કરવો. ત્યાં શ્લોક છે-
न कुर्यात्कर्हिचित्सख्यं मनसि ह्यनवस्थिते ।
यद्विस्रंभाञ्चिराच्चीर्णं चस्कन्द तप ऐश्वरम् ।।
नित्यं ददाति कामस्य छिद्रं तमनु ये।रयः ।
योगिनः कृतमैत्रस्य पत्युर्जायेव पुंश्चली ।।
એવી રીતે જે મનનો વિશ્વાસ ન કરે, તેવો ત્યાગ અમને ગમે છે. તથા અમારા મનમાં શ્વેતદ્વીપ તથા બદ્રિકાશ્રમ જેવા ગમે છે તેવા બીજા લોક ગમતા નથી. અને એમ મનમાં રહે છે જે, શ્વેતદ્વીપને વિષે તથા બદરિકાશ્રમને વિષે જઇને નિરન્નપણે રહ્યા થકા તપ કરીએ, તે બહુ સારૃં લાગે, પણ બીજા લોકમાં અનેક પ્રકારના વૈભવ ભોગવવા તે નથી ગમતા. તથા ભગવાનના જે ઘણાક અવતાર થયા છે તેને એમ જાણીએ છીએ જે એ સર્વે અવતાર નારાયણના છે, તો પણ તે અવતારમાં ઋષભદેવજી બહુ ગમે , તથા તેથી ઉતરતા કપિલજી તથા દત્તાત્રેય એ બે સરખા જણાય છે. અને એ ત્રણે અવતાર કરતાં કોટી ઘણું શ્રીકૃષ્ણને વિષે અમારે હેત છે. અને એમ જાણીએ છીએ જે, 'બીજા સર્વે અવતાર કરતાં આ અવતાર બહુ મોટો થયો ને બહુ સમર્થ છે, અને એમાં અવતાર અવતારી એવો ભેદ નથી જણાતો.' અને બીજા જે મત્સ્ય કચ્છાદિક ભગવાનના અવતાર છે, પણ તેમાં અમારી અતિ રૂચી નથી. અને આવી રીતે તો અમારે ઉપાસના છે જે, સર્વથી પર એક મોટો તેજનો સમૂહ છે, તે તેજનો સમૂહ અધો-ઉર્ધ્વ તથા ચારે કોરે પ્રમાણે રહિત છે ને અનંત છે અને તે તેજના સમૂહના મધ્ય ભાગને વિષે એક મોટું સિંહાસન છે તેની ઉપર દિવ્યમૂર્તિ એવા જે શ્રીનારાયણ પુરૂષોત્તમ ભગવાન તે વિરાજમાન છે ને તે સિંહાસનને ચારે કોરે અનંત કોટિ મુક્ત બેઠા થકા તે નારાયણનાં દર્શન કરે છે, એવા જે મુક્તે સહિત શ્રીનારાયણ તેને અમે નિરંતર દેખીએ છીએ. અને તે ભગવાનને વિષે તેજનું અતિશેપણું છે, તેણે કરીને જ્યારે એ સભા સહિત તે ભગવાનનાં દર્શન નથી થતાં ત્યારે અમને અતિશય કષ્ટ થાય છે, અને તે તેજનો સમૂહ તો નિરંતર દેખાય છે તો પણ એને વિષે રૂચિ નથી, અને ભગવાનની મૂર્તિનાં દર્શને કરીનેજ અતિ સુખ થાય છે. અમારે એવી રીતે ઉપાસના છે. અને એ ભગવાનને વિષે ભક્તિ તો જેવી ગોપીઓને હતી તેવી ગમે છે. તે સારૃં અમે સૌ માણસને જોતા રહીએ છીએ જે, કોઇક કામી સ્ત્રી હોય તેને પુરૂષને વિષે જેવું હેત હોય તથા કામી પુરૂષને સ્ત્રીને વિષે જેવું હેત હોય તેને દેખીને એમ થાય જે, 'એવું હેત આપણે ભગવાનમાં હોય તો ઠીક' તથા કોઇકને પુત્રમાં, ધનમાં બહુ હેત જણાય તેને દેખીને એમ થાય જે, 'એવું હેત આપણે ભગવાનમાં હોય તો ઠીક.' તથા કોઇક ગાતો હોય તો તેને સાંભળીને તેને પાસે કોઇક માણસને મોકલીએ અથવા અમે પંડે એની પાસે જઇએ ને જાણીએ જે, 'એ બહુ ઠીક કરે છે.'

અને અમારે સુવાણ તો એવા સાથે થાય છે જે, 'જેમાં કામ, ક્રોધ, લોભ, સ્વાદ, સ્નેહ, માન, ઇર્ષ્યા, દંભ, કપટ, ઇત્યાદિક દોષ ન હોય, ને ધર્મશાસ્ત્રમાં કહ્યું છે એવી રીતે ધર્મ પાળતો હોય, ને ભગવાનની ભક્તિએ યુક્ત હોય, તે સાથેજ અમારે બેઠા ઉઠયાની સુવાણ થાય છે. અને એવો ન હોય ને તે અમારે ભેગો રહેતો હોય તો પણ તેની સાથે સુવાણ થાય નહિ, તેની તો ઉપેક્ષા રહે છે. અને મોરે તો અમારે કામી ઉપર બહુ અભાવ રહેતો અને હવે તો ક્રોધ, માન, ઇર્ષ્યા એ ત્રણ જેમાં હોય તે ઉપર બહુ અભાવ રહે છે. કાં જે, કામી હોય તે તો ગૃહસ્થની પેઠે નિર્માની થઇને સત્સંગમાં પડયો રહે છે. અને જેમાં ક્રોધ, માન, ઇર્ષ્યા હોય છે તે તો સત્સંગમાંથી જરૂર પાછો પડી જતાં દેખાય છે. માટે એ ત્રણ ઉપર બહુ ખેદ રહે છે, તે માન તે શું ? તો જે માની હોય તેને પોતાથી મોટો હોય તેની આગળ પણ સ્તબ્ધપણું રહે. પણ તેની આગળ હલકો થઇને તેની સેવામાં વર્તાય નહિ, ''અને એ સર્વે જે અમારો અભિપ્રાય તે થોડાકમાં લ્યો કહીએ જે, જેવી રીતે શંકરસ્વામીએ અદ્વૈત બ્રહ્મનું પ્રતિપાદન કર્યું છે, તેને વિષે તો અમારે રૂચિ નથી. તથા રામાનુજ સ્વામીએ જેવી રીતે ક્ષર અક્ષર થકી પર જે પુરૂષોત્તમ ભગવાન તેનું નિરૂપણ કર્યું છે તે પુરૂષોત્તમ ભગવાનને વિષે તો અમારે ઉપાસના છે. તથા ગોપીયોના જેવી તો એ પુરૂષોત્તમ ભગવાનને વિષે અમારે ભક્તિ છે તથા શુકજીના જેવો તથા જડભરતના જેવો તો અમારે વૈરાગ્ય છે ને આત્મનિષ્ઠા છે.'' એવી રીતે અમારો અભિપ્રાય તથા રૂચિ છે, તે અમારી વાર્તાએ કરીને તથા અમે માન્યા જે અમારા સંપ્રદાયના ગ્રંથ તેણે કરીને જો પૂર્વાપર વિચારીને જુવે તો જે બુદ્ધિવાન્ હોય તેના જાણ્યામાં આવે છે.'' એવી રીતે પોતાના ભક્તજનની શિક્ષાને અર્થે શ્રીજી મહારાજે વાર્તા કરીને પોતે તો સાક્ષાત્ પુરૂષોત્તમનારાયણ છે. ઇતિ વચનામૃતમ્ ।।૧૪।। ૧૨૨ ।।

૧ જીવાત્મા પરમાત્માનું ઐક્યજ્ઞાન.
૨ અર્થ - મન અતિ ચંચળ હોવાથી સર્વદા એક સ્થિતિ વિનાનું છે માટે તેનો ક્યારેય પણ 'મારે વશ થયું છે, માટે અનર્થ કરશે નહિ' એવો વિશ્વાસ કરવો નહિ, કેમ કે જે મનનો વિશ્વાસ કરવાથી બહુકાળે મહાપ્રયાસથી સંપાદન કરેલું મોટા મોટા સૌભરી વિગેરે ઇશ્વરોનું પણ તપ નાશ થઇ ગયું છે. વળી મનનો વિશ્વાસ કરનાર યોગીનું મન, કામને પેસવાનો અવકાશ નિરંતર આવે છે, યોગીના મનમાં કામને પેસવાનો અવકાશ આપ્યા પછી જે ક્રોધાદિ અંતઃશત્રુઓ છે તેમને પેસવાનો અવકાશ આપે છે, જેમ વિશ્વાસ કરનાર પતિને પુંશ્ચલી સ્ત્રી જારને અવકાશ આપીને ઘાત કરાવે છે. તેમ મન પણ કામાદિકથી યોગીને ભ્રષ્ટ કરે છે.
૩ કેમકે તેમનામાં સત્પુરૃષના ક્ષમાદિક ગુણ છે.