સંવત્ ૧૮૭૭ ના માગસર સુદિ ૮ અષ્ટમીને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રીલોયા મધ્યે સુરાભક્તના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને ધોળી છીંટની ડગલી પહેરી હતી તથા ધોળો સુરવાળ પહેર્યો હતો તથા ધોળો ફેંટો મસ્તકે બાંધ્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.
તે સમયમાં નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પુછયો જે, ''આ જગતમાં કેટલાક મનુષ્યને સ્ત્રીયાદિક પદાર્થમાં એવું હેત થાય છે જે, 'તેનો વિયોગ થયો હોય, તો પ્રાણનો ત્યાગ થઇ જાય.' અને કેટલાકને સ્ત્રીયાદિક પદાર્થમાં હેત છે પણ સાધારણ છે, માટે તેના વિયોગે કરીને પ્રાણનો ત્યાગ ન થાય ને એ બે પ્રકારના જીવ છે તે જેમ સંસારમાં હેતે કરીને જોડાય છે, તેમ તે હેતવાળાને જો ભગવાન મળે તો તેમાં પણ એમજ જોડાય જે, 'ભગવાનનો વિયોગ થાય તો પ્રાણ જાય.' અને જેને સંસારમાં સાધારણ હેત છે, ને તેને ભગવાન મળે તો ભગવાનમાં પણ સાધારણ હેત થાય. તે એ બે પ્રકારના જે મનુષ્ય તેને વિષે કર્મે કરીને એવો ભેદ છે કે એ બે પ્રકારના જીવ અનાદિના જ છે ?'' પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ''એ ભેદ જીવમાં સ્વાભાવિક નથી, એતો કર્મે કરીને થાય છે. તે કેવી રીતે થાય છે, તો જ્યારે જીવ કર્મ કરે છે ત્યારે જીવની વૃત્તિનો વેગ ત્રણ પ્રકારે થાય છે, એક મંદ વેગ, બીજો મધ્યમ વેગ, અને ત્રીજો તીવ્ર વેગ. તેમાં જેવે વેગે વૃત્તિ પદાર્થમાં ચોટે ત્યારે તેને તેવી જાતનું કર્મ લાગે છે, તે કર્મે કરીને સ્નેહમાં પણ ત્રણ પ્રકાર છે.''
પછી વળી નિત્યાનંદ સ્વામીએ પુછયું જે, ''વૃત્તિના વેગમાં એ ત્રણ પ્રકાર થયા તે ગુણે કરીને થયા કે કોઇ બીજા હેતુએ કરીને થયા ?'' ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, 'એ ત્રણ પ્રકારના જે ભેદ તે ગુણે કરીને નથી, એતો જે પદાર્થમાં કેવળ ઇન્દ્રિયોજ પ્રવર્તે, ત્યારે મંદ વેગ થાય છે અને જ્યારે મને સહિત ઇન્દ્રિયો પદાર્થમાં જાય, ત્યારે મધ્યમ વેગ થાય છે. અને જ્યારે ઇન્દ્રિયો, મન અને જીવ એ ત્રણે ભેળાં થઇને પદાર્થમાં પ્રવર્તે છે, ત્યારે તે વૃત્તિનો તીવ્ર વેગ થાય છે. અને તે તીવ્ર વેગ એક ચક્ષુ ઇન્દ્રિયને વિષે લાગ્યો હોય, તો બીજી ઇન્દ્રિયો તેને અનુવર્તી થઇને સર્વે ઇન્દ્રિયોમાં લાગે છે, એવી રીતે જે જે ઇન્દ્રિયોમાં મુખ્યપણે તીવ્ર વેગ લાગ્યો હોય ત્યારે બીજી ઇન્દ્રિયો તેને અનુવર્તી થઇ રહે છે. અને એ જે તીવ્ર વેગ તે રજોગુણી, સત્ત્વગુણી અને તમોગુણી એ ત્રણેયને લાગે છે, ને એક એક ઇન્દ્રિયમાં તો સર્વને તીવ્ર વેગ હોય છે અને તદનુસારે પદાર્થમાં હેત થાય છે.''
ત્યારે વળી નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પુછયો જે, ''એને ભગવાનમાં કેમ તીવ્ર વેગે કરીને હેત થતું નથી ?'' ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, ''દેશ, કાળ, ક્રિયા, ધ્યાન, શાસ્ત્ર, દીક્ષા, મંત્ર અને સંગ એટલાને યોગે કરીને શુભ અથવા અશુભ આચરણ થાય છે, તે જો રૂડા દેશ, કાળ, સંગાદિક પ્રાપ્ત થયા હોય, તો ભગવાનને વિષે પણ તીવ્ર વેગે કરીને સ્નેહ થાય છે. અને જો ભૂંડા દેશાદિકનો યોગ થાય તો ભગવાન વિના અન્ય પદાર્થમાં પ્રીતિ થાય છે.''
ત્યારે ચૈતન્યાનંદ સ્વામીએ પુછયું જે, ''કાળ વિષમ હોય ત્યારે કેમ કરવું ?'' પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ''જ્યારે જે સ્થળમાં કાળનું વિષમપણું હોય ત્યારે તે ઠેકાણેથી અન્ય સ્થળમાં ભાગી જવું, પણ વિષમ કાળમાં રહેવું નહિ અને કાળ સત્યયુગ, ત્રેતા, દ્વાપર, કળિરૂપે કરીને બહાર વર્તે છે ને પોતાના અંતરમાં પણ વર્તે છે, તે જ્યારે હૈયામાં કળિ વર્તતો હોય, ત્યારે ભગવાનની મૂર્તિ હૈયામાં ધારવી નહિ, બહાર નેત્રને આગળ ધારવી.'
પછી મુક્તાનંદ સ્વામીએ પુછયું જે ''જેના હૃદયમાં મંદવેગ, મધ્યમવેગ, અને તીવ્રવેગ વર્તતો હોય તે કેમ જાણવો ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે ''જ્યારે મંદ વેગ વર્તતો હોય ત્યારે નાની બાળકી તથા નવયૌવન સ્ત્રી તથા વૃદ્ધ સ્ત્રી એ ત્રણેયને દેખીને સરખો ભાવ રહે, કેમ જે ત્યાં એકલી ઇન્દ્રિયનીજ વૃત્તિ ગઇ છે, માટે તેમાં મંદ વેગ છે. અને જ્યારે ઇન્દ્રિયને વિષે મન ભળે છે ને એ ત્રણ પ્રકારની સ્ત્રીને દેખે છે, ત્યારે બાળકી ને વૃદ્ધ સ્ત્રી તેનો તો ભૂંડો ઘાટ નથી થતો અને યુવાન સ્ત્રીને વિષે ભૂંડો ઘાટ થાય છે ને વિકારને પામી જાય છે, એને મધ્યમ વેગ જાણવો. અને જ્યારે ઇન્દ્રિયને વિષે મન ને જીવ એ બેય ભળીને એ ત્રણ પ્રકારની સ્ત્રીને દેખે છે, ત્યારે તો એ ત્રણેય પ્રકારની સ્ત્રીને વિષે ભૂંડા ઘાટ થાય છે ને વિકારને પામે છે અને પોતાની મા બોન હોય તો તેને દેખીને પણ વિકારને પામે, એને તીવ્ર વેગ જાણવો.''
પછી બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પુછયો જે ''ત્રણ પ્રકારની જે સ્ત્રીઓ તેને દેખીને વ્યક્તિ જણાય તથા રૂપ-કુરૂપ પણ જણાય અને વિકાર તો થાય નહિ ત્યારે તેને કયો વેગ જાણવો ?'' પછી શ્રીજીમહારાજ બોલ્યા જે ''જે પદાર્થને અત્યંત દુઃખદાયી જાણીને મનન થયું હોય, પછી તે મનને કરીને તે પદાર્થને વિષે અત્યંત દોષ જણાય છે, તે દોષનો મનમાં વિચાર થઇને જીવમાં તે દોષ પ્રવેશ કરે છે, અને જીવથી પર જે સાક્ષી તેણે પણ તે દોષનું પ્રમાણ કર્યું છે, તેણે કરીને એ દોષની અતિ દૃઢતા થઇ છે. માટે પદાર્થને વિષે જ્યારે ઇન્દ્રિયોની વૃત્તિ જાય છે ત્યારે તે વૃત્તિ ભેળે મન તથા જીવ એ બેય આવે છે, પણ જીવમાં જે અતિશે દોષની દૃઢતા છે તે દોષની સેડય મન, ઇન્દ્રિયોને વિષે સોંસરી નીસરે છે, માટે તે પદાર્થ યથાર્થ દેખાય ને જાણ્યામાં આવે, પણ તેને વિષે અત્યંત અભાવ આવી જાય છે. જેમ દુધ-સાકરનું પાત્ર ભર્યું હોય તેમાં સર્પે લાળ નાખી હોય ને તેને નાખતાં દીઠી હોય, પછી તે દુધ જેવું પૂર્વે દેખાતું હતું તેવું ને તેવુંજ દેખાય, પણ તેનો અતિ અભાવ હૈયામાં વર્તે છે, કેમ જે એણે એમ જાણ્યું છે જે, એને પીવે તો તત્કાળ પ્રાણ જાય, તેમ જેને એમ સમજાયું જે, 'આ રૂપવાન સ્ત્રી છે તે કલ્યાણના માર્ગમાં વિરોધી છે'' અને આલોક પરલોકને વિષે પરમ દુઃખદાયી છે. ને સ્ત્રીની પ્રાપ્તિ તો મને સર્વે પશુ આદિક જન્મને વિષે અનંતવાર થઇ છે અને હજી જો પરમેશ્વરને નહિ ભજુંતો અનંત સ્ત્રીની પ્રાપ્તિ થશે, માટે એ વાત દુર્લભ નથી. અને ભગવાન ને ભગવાનના સંત તેનો સંગ તે તો મહા દુર્લભ છે. અને એ દુર્લભ વસ્તુની પ્રાપ્તિને વિષે એ સ્ત્રીજ પરમ વિઘ્નરૂપ છે, એવું જાણીને જે હૈયામાં દોષની દૃઢતા થઇ છે, તેણે કરીને ગમે તેવી રૂપવાન સ્ત્રી દેખાઇ જાય તો પણ વિકાર થાય નહિ. અને વળી એને વિષે અવિકારી રહ્યાનું બીજું પણ કારણ છે. જેમ જનક વિદેહી જેવા જે મોટા ભગવાનના ભક્ત રાજા હતા, તે રાજ્યમાં રહ્યા હતા ને રમણીય એવા જે શબ્દાદિક પંચવિષય તેને ભોગવતા થકા પણ જ્ઞાનની દૃઢતાએ કરીને નિર્વિકારપણે રહ્યા. અને એ જનક જેવા જે જ્ઞાની હોય, તે એમ વિચારે જે, 'હું આત્મા છું, શુદ્ધ છું, ચેતન છું, નિર્વિકાર છું, સુખરૂપ છું, અવિનાશી છું અને સ્ત્રી આદિક જે વિષય છે તે તો દુઃખરૂપ છે, તુચ્છ છે, જડ છે અને નાશવંત છે.' એમ વિચારીને કેવળ પોતાના આત્મસ્વરૂપનેજ સુખરૂપ જાણે છે અને ''શબ્દાદિક વિષયમાં જે સુખ જેવું જણાય છે ને સારાં જેવું જણાય છે તે આત્માવતે જણાય છે અને આત્મા દેહમાંથી નીકળી જાય ત્યારે સુખરૂપ હોય તે ભૂંડું થઇ જાય છે.'' એવી રીતે પોતાના આત્માને વિચારે અને આત્મા થકી પર જે પરમાત્મા તેનો વિચાર કરે જે ''આવું જે માયાથકી પર શુદ્ધ આત્માનું જ્ઞાન તેને હું પામ્યો, તે સંતને પ્રતાપે પામ્યો છું, અને તે સંત પરમેશ્વરના ભક્ત છે, અને પરમેશ્વર છે તે તો ૧સર્વાત્મા એવા જે ૨બ્રહ્મ તેના પણ આત્મા છે અને ૩અક્ષરના પણ આત્મા છે; અને અનેક કોટિ જે મુક્ત તેના પણ આત્મા છે. એવા જે પરબ્રહ્મ પરમાત્મા નારાયણ તેનો હું બ્રહ્મરૂપ એવો દાસ છું.''
અને તે ભગવાનનો મહિમા તો એમ સમજે જે ૪'' द्युपतय एव ते न ययुरन्तमनन्ततया '' ઇત્યાદિક શ્રુતિએ ભગવાનનો મહિમા અતિશે પ્રતિપાદન કર્યો છે, એવી રીતે પોતાના સ્વરૂપનું તથા પરબ્રહ્મના સ્વરૂપનું જેને જ્ઞાન છે, તેને ગમે તેવા સુંદર વિષય પ્રાપ્ત થાય પણ તેણે કરીને કાંઇ લેશમાત્ર પણ તેનું મન વિકારને પામે નહિ, અને અવશ્ય જે શબ્દાદિક વિષય ગ્રહણ કર્યા જોઇતા હોય તેને ગ્રહણ કરે, પણ તે વિષયને આધીન થઇ જાય નહિ, સ્વતંત્રપણે ગ્રહણ કરે; જેમ કરોળીઓ પોતાની લાળને વિસ્તારીને પાછી સ્વતંત્રપણે ગળવી ઘટે ત્યારે ગળી લે છે, તેમ એવો જે જ્ઞાની તે પોતાનાં ઇન્દ્રિયોની વૃત્તિને વિષયમાં પ્રસારીને પાછો સ્વતંત્ર થકો સંકેલી લે છે. અને એવો જે હોય તે રાજ્યમાં હોય, તો પણ વનમાં છે અને વનમાં હોય તો પણ તેને રાજ્ય કરતાં વધતો આનંદ છે. અને એવો જે જ્ઞાની તે રાજ્યમાં રહ્યો હોય, ને હજારો મનુષ્ય પોતાની આજ્ઞામાં રહેતા હોય ને સમૃધ્ધિએ યુક્ત હોય તેણે કરીને પોતાને કાંઇ એમ ન માને જે, 'હું બહુ મોટો થઇ ગયો.' અને તે રાજ્યનો નાશ થઇ જાય ને હાથમાં મૃતિકાનું પાત્ર લઇને ઘરોઘર માગી ખાય, તેણે કરીને એમ ન માને જે 'હું હવે તો ગરીબ થઇ ગયો.' કેમ જે, તે તો પોતાના કેફમાં મહા અલમસ્ત રહે તથા તેને પોતાના સ્વરૂપનો તથા ભગવાનના સ્વરૂપનો મહિમા જાણ્યો છે. તે માટે એને સોનું, કૂચો, લોઢું, પાષાણ એ સર્વેને વિષે સમબુદ્ધિ વર્તે છે. તથા માન અપમાનને વિષે સમબુદ્ધિ વર્તે છે. અને એવો જે જ્ઞાની તેને કોઇ પદાર્થ બંધન કરવા સમર્થ નથી, કેમ જે એની દૃષ્ટિ તો અતિ મોટી થઇ ગઇ છે ને માયિક સર્વે પદાર્થને તુચ્છ જાણ્યા છે. જેમ કોઇક પુરૂષ પ્રથમ કંગાલ હોય ને પછી તેને રાજ્ય મળે, ત્યારે તેની દૃષ્ટિ મોટી થાય છે. અને પ્રથમ લાકડાંના ભારા વહેંચતો હોય તથા તુચ્છ તુચ્છ કામ કરતો હોય, તે સર્વે એને વિસરી જાય, ને મોટાં મોટાં રાજ્ય સંબંધી કાર્ય કરવા લાગે. તેમ એવા જ્ઞાનીને સર્વ પદાર્થ માત્ર તુચ્છ થઇ જાય છે, એવા જ્ઞાનને વિષે એની વિશાળ દૃષ્ટિ થાય છે, અને એવી રીતે જે સમજ્યો છે તે સુખીયો છે. તથા જે વિશ્વાસી હોય, કહેતાં એમ સમજતો હોય જે 'આવા મોટા સંત તથા ભગવાન જે વાત કહે છે તે એમજ છે પણ એમાં કાંઇ સંશય નથી, એમ સમજીને તે ભગવાન તથા સંત જેમ કહે તેમ કરવા લાગે, એ બે જણ સુખીયા છે ને એ વિના જે બીજા છે તે સુખીયા નથી. ત્યાં શ્લોક છે-
૫यश्च मूढतमो लोके यश्च बुद्धेः परं गतः ।
तावुभौ सुखमेधेते क्लिश्यत्यन्तरितो जनः ।
તથા ભગવગ્દીતામાં કહ્યું છે જે-
૬विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः ।
रसवर्जं रसोप्यस्य परं दृष्ट्वा निवर्तते ।।
એવી રીતે જેની અલૌકિક દૃષ્ટિ થાય છે, તેને પરમેશ્વર વિના સર્વ પદાર્થ તુચ્છ થઇ જાય છે. અને આ બે શ્લોક તેનો પણ એક સરખો ભાવ છે.''
પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને કહ્યું જે ''હે મહારાજ! હવે તમે જે પ્રશ્ન પુછતા હતા, તે પુછો.'' ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, ''માયામાં તે કેવળ દુઃખ છે કે સુખ પણ કાંઇક છે ?'' એ પ્રશ્ન છે. પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, માયા તો કેવળ દુઃખદાયી છે. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ''માયામાંથી ઉપજ્યા એવા જે સત્ત્વ, રજ અને તમ એ ત્રણ ગુણ, તેમાં જે સત્ત્વ છે તે તો સુખરૂપ કહેવાય છે. તથા શ્રીમદ્બાગવતમાં કહ્યું છે જે, ૭'' सत्त्वं यद् ब्रह्मदर्शम् '' તથા સત્ત્વગુણની સંપત્તિ તે જ્ઞાન, વૈરાગ્ય, વિવેક, શમદમાદિક છે એવી જે માયા તે કેવી રીતે દુઃખરૂપ છે ? અને વળી એકાદશ સ્કંધમાં કહ્યું છે જે- ૮ विद्याविद्ये मम तनू विद्ध्युद्धव ! शरीरिणाम् ।बंधमोक्षकरी आद्ये मायया मे विनिर्मिते ।।
માટે મોક્ષને કરે એવી જે વિદ્યારૂપ માયા તે કેવી રીતે દુઃખદાયી છે ?'' પછી એ પ્રશ્નને સાંભળીને મુક્તાનંદ સ્વામી આદિક સર્વે પરમહંસ બોલ્યા જે, 'હે મહારાજ ! એનો ઉત્તર અમથી થાય નહિ, 'એનો ઉત્તર તો કૃપા કરીને તમેજ કરો' પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, 'જેમ યમરાજાનું જે રૂપ તે પાપી જીવને અતિ ભયાનક, વિકરાળ જણાય છે તથા મોટા મોટા દાંત ને મોટું મુખ ભયાનક દેખાય છે તથા કાજળ જેવું કાળું ને પર્વત જેવું મોટું ને કાળ જેવું ભયાનક, એવું દુઃખરૂપ દેખાય છે. અને પુણ્યવાળા જે જીવ તેને તો યમરાજાનું રૂપ અતિશે સુખદાયી, વિષ્ણુના જેવું જણાય છે, તેમ માયા છે તે જે ભગવાનથી વિમુખ છે તેને તો અતિ બંધન કરનારી છે, ને અતિ દુઃખદાયી છે, અને જે ભગવાનના ભક્ત છે તેને તો એ માયા અતિશે સુખરૂપ છે, અને માયાનાં કાર્ય જે ઇન્દ્રિયો, અંતઃકરણ અને દેવતા તે સર્વે ભગવાનની ભક્તિને અતિ પુષ્ટ કરે છે. માટે ભગવાનના ભક્તને તો માયા દુઃખદાયી નથી, પરમ સુખદાયી છે.''
પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પુછયો જે, ''જ્યારે માયા સુખદાયી છે ત્યારે પરમેશ્વરનો ભક્ત હોય તે, ભગવાનની મૂર્તિને હૃદયમાં ધારીને ભજન કરવા બેસે છે ત્યારે એને અંતઃકરણરૂપ માયા તે સંકલ્પવિકલ્પરૂપે કરીને કેમ દુઃખ આપે છે ?'' પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ''જેને ભગવાનનું માહાત્મ્ય સારી પેઠે સમજીને અતિશે દૃઢ ભગવાનનો આશ્રય હોય, તેને તો અંતઃકરણરૂપ માયા છે તે દુઃખ દેતી નથી. અને જેને એવા આશ્રયમાં ફેર હોય તેને દુઃખ દે છે. જેમ કાચો સત્સંગી હોય, તો તેને કુસંગી હોય, તે ડગાવવાનો આગ્રહ કરે, પણ જે પાકો સત્સંગી હોય તેને ડગાવ્યાની કોઇ લાલચ રાખે નહિ, અને તેને સાંભળતાં કોઇ સત્સંગનું ઘસાતું બોલી શકે નહિ. તેમ જેને એવો પરિપક્વ પરમેશ્વરનો આશરો થયો છે. તેને ડગાવ્યાની લાલચ અંતઃકરણરૂપ માયા રાખે નહિ અને સામી તેની ભક્તિમાં પૃષ્ટિ કરવા લાગે. અને જેના જીવને વિષે એવા આશરામાં કાંઇ કાચ્યપ હોય તેને એ માયા ડગાવે છે ને દુઃખ દે છે, અને જ્યારે એનો એ જીવ એવી રીતે ભગવાનનો પરિપક્વ આશ્રય કરશે ત્યારે એને ડગાવ્યાને અર્થે ને પીડવાને અર્થે માયા સમર્થ નહિ થાય. માટે એનો ઉત્તર એજ છે જે 'જેને ભગવાનનો એવો પરિપક્વ નિશ્ચય છે તેને કોઇ રીતે માયા દુઃખ દેવાને અર્થે સમર્થ થતીજ નથી.'' ઇતિ વચનામૃતમ્ ।।૧૦।। ૧૧૮ ।।
૧. સર્વમાં વ્યાપક.
૨. નિરાકાર અક્ષર બ્રહ્મ.
૩. સાકાર અક્ષરબ્રહ્મ
૪. અર્થ - બ્રહ્માદિ-દેવોપણ તમારા મહિમાના પારને પામતા નથી કેમકે અપાર છે, કિં બહુના તમેપણ તમારા મહિમાના અંતને પામતા નથી.
૫ અર્થ - જે ભક્ત લોકમાં એટલે શ્રુતિ સ્મૃતિના અર્થ જ્ઞાાનમાં મૂઢતમ (અતિશય અજ્ઞાની) છે એટલે શાસ્ત્રનું જ્ઞાાન નથી પણ કેવળ ભગવાન અને તેમના ભક્તના વચનમાં દૃઢ વિશ્વાસથી તેમના કહેવા પ્રમાણે ભગવાનને ભજે છે. અને જે બુદ્ધિથી પર (આત્મા પરમાત્માના સ્વરૃપ) ને પામ્યો છે એટલે શ્રુતિ સ્મૃતિના અર્થને જાણવા પૂર્વક સાક્ષાત ભગવાનની એકાંતિક ઉપાસનાથી આત્મા પરમાત્માના યથાર્થ જ્ઞાાનને પામ્યો છે, તે બન્ને સુખેથી વૃદ્ધિ પામે છે એટલે ભગવાનની સેવારૃપ મુક્તિને પામે છે. અને જે અંતરિત જન (જ્ઞાની કે વિશ્વાસી નહિ તે) છે તે તો કલેશને પામે છે એટલે ભગવાનનું સુખ નહિ પામતાં બીજા લોકમાં ભોગ કલેશ માત્ર ફળને પામે છે.
૬ અર્થ - નેત્રાદિ તે તે ઇન્દ્રિયોના દર્શનાદિ તે તે આહારને નહિ કરનારા મનુષ્યના રાગ વર્જીત વિષયો નિવૃત્ત થાય છે, વિષયો નિવૃત્ત થાય છે. પણ રાગ નિવૃત્ત થયો નથી, રાગ પણ ઉત્કૃષ્ટ આત્મસ્વરૃપને જોઇને નિવૃત્તિ પામે છે.
૭ અર્થ - જે સત્વગુણ છે તે પરબ્રહ્મનું દર્શન કરાવનારો છે.
૮ અર્થ - હે ઉદ્ધવ ! વિદ્યા અને અવિદ્યા તે મારા શરીરભૂત છે ને મારી માયા (સંકલ્પથી) નિર્માણ થયેલી ને આદિભૂત છે તે વિદ્યા ને અવિદ્યા મનુષ્યને બંધન ને મોક્ષ કરનારી છે. વિદ્યા શક્તિ મોક્ષ કરનારી છે અને અવિદ્યા શક્તિ બંધન કરનારી છે.