૯. પ્રત્યક્ષ મનુષ્ય સ્વરૂપ ભગવાનથીજ પૂર્ણકામપણું માનવું.

સંવત્ ૧૮૭૬ના માગશર સુદિ ૧૨ દ્વાદશીને દિવસ શ્રીજી મહારાજ શ્રીગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, "શ્રીકૃષ્ણ ભગવાનનો પ્રત્યક્ષપણે નિશ્ચય કર્યો હોય અને તેની ભક્તિ કરતો હોય અને તેનાં દર્શન કરતો હોય તો પણ જે પોતાને પૂર્ણ કામ ન માને અને અંતઃકરણમાં ન્યૂનતા વર્તે જે, ગોલોક, વૈકુંઠાદિક ધામને વિષે જે આ ને આ ભગવાનનું તેજોમય રૂપ છે તે મને જ્યાં સુધી દેખાણું નથી, ત્યાં સુધી મારૃં પરિપૂર્ણ કલ્યાણ થયું નથી" એવું જેને અજ્ઞાન હોય તેના મુખથી ભગવાનની વાત પણ ન સાંભળવી, અને જે પ્રત્યક્ષ ભગવાનને વિષે દૃઢ નિષ્ઠા રાખે છે અને તેને દર્શને કરીને જ પોતાને પરિપૂર્ણ માને છે અને બીજું કાંઇ નથી ઇચ્છતો, તેને તો ભગવાન પોતે બલાત્કારે પોતાના ધામને વિષે જે પોતાનાં ઐશ્વર્ય છે અને પોતાની મૂર્તિયો છે તેને દેખાડે છે, માટે જેને ભગવાનને વિષે અનન્ય નિષ્ઠા હોય તેને પ્રત્યક્ષ ભગવાન વિના બીજું કાંઇ ઇચ્છવું નહિ. ઇતિ વચનામૃતમ્ ।।૯।।