૪. સત્સંગીએ પરસ્પર ઇર્ષ્યા ન કરવી તે બાબત ને નારદ અને તુંબરૂનું દષ્ટાંત.

સંવત્ ૧૮૭૬ ના માગશર સુદિ ૭ સપ્તમીને દિવસ શ્રીજી મહારાજ શ્રીગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વેશ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે "ભગવાનના ભક્તને પરસ્પર ઇર્ષ્યા ન કરવી." ત્યારે આનંદાનંદ સ્વામી બોલ્યા જે "હે મહારાજ ! ઇર્ષ્યા તો રહે છે." ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે, ઇર્ષ્યા કરવી તો નારદજીના જેવી કરવી, જેમ 'એક સમયને વિષે નારદજી ને તુંબરૂ એ બે વૈકુંઠને વિષે લક્ષ્મીનારાયણનાં દર્શન કરવા ગયા, તે લક્ષ્મીનારાયણ આગળ તુંબરૂએ ગાન કર્યું, તેણે કરીને લક્ષ્મીજી તથા નારાયણ એ બેય પ્રસન્ન થઇને તુંબરૂને પોતાનાં વસ્ત્ર આભૂષણ આપ્યાં ત્યારે નારદજીને તુંબરૂ ઉપર ઇર્ષ્યા આવી જે, 'હું તુંબરૂના જેવી ગાનવિદ્યા શીખું અને ભગવાનને પ્રસન્ન કરૃં.'પછી નારદજી ગાનવિદ્યા શીખતા હવા, અને ભગવાન આગળ ગાતા હવા, ત્યારે ભગવાને કહ્યું જે 'તમને તુંબરૂના જેવું ગાતાં નથી આવડતું. પછી વળી શિવ ઉપર તપ કરીને શિવ થકી વર પામીને ગાન વિદ્યા શીખીને ભગવાન આગળ ગાતા હવા, તો પણ ભગવાન એની ગાન વિદ્યા ઉપર પ્રસન્ન ન થયા, એવી રીતે સાત મન્વંતર સુધી ગાન વિદ્યા શીખ્યા અને ગાયા તો પણ ભગવાન પ્રસન્ન ન થયા, પછી તુંબરૂ પાસે ગાન વિદ્યા શીખ્યા અને શ્રીકૃષ્ણ ભગવાન આગળ દ્વારિકામાં ગાતા હવા ત્યારે શ્રીકૃષ્ણ ભગવાન પ્રસન્ન થયા અને પોતાનાં વસ્ત્ર અલંકાર નારદજીને આપ્યાં, ત્યારે નારદજીએ તુંબરૂ સાથે ઇર્ષ્યા મેલી, માટે ઇર્ષ્યા કરવી તો એવી કરવી જે જેની ઉપર ઇર્ષ્યા હોય, તેના જેવા ગુણોને ગ્રહણ કરવા અને પોતાના અવગુણને ત્યાગ કરવા, અને તેવું ન થવાય ને જે ઇર્ષ્યાએ કરીને ભગવાનના ભક્તનો દ્રોહ થાય તેવી ઇર્ષ્યાનો તો ભગવાનના ભક્તને સર્વ પ્રકારે ત્યાગ કરવો. ઇતિ વચનામૃતમ્ ।।૪।।