સંવત્ ૧૮૭૬ના માગશર વદિ ૪ ચોથને દિવસ શ્રીજી મહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.
પછી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી જે, "જે ભગવાનના ભક્તને ૧સત્ અસત્નો વિવેક હોય, તે તો જે જે અવગુણ પોતામાં હોય તેને જાણે અને વિચારીને તેનો ત્યાગ કરી દે. અથવા કોઇ સત્સંગીમાં કાંઇક અવગુણ પોતાને ભાસતો હોય તો તેનો ત્યાગ કરી દે.અને તેના જે ગુણ તેનું જ ગ્રહણ કરે. અને પરમેશ્વરને વિષે તો તેને કોઇ અવગુણ ભાસેજ નહિ. અને ભગવાન અને સંત તે જે જે વચન કહે તેને પરમ સત્ય કરીને માને પણ તે વચનને વિષે સંશય કરે નહિ. અને સંત કહે જે 'તું દેહ, ઇન્દ્રિય, મન, પ્રાણથી જુદો છું અને સત્ય છું અને એનો જાણનારો છું અને એ દેહાદિક સર્વે અસત્ય છે ' એમ વચન કહે તેને સત્ય માનીને તે સર્વેથી જુદો આત્મારૂપે વર્તે, પણ મનના ઘાટ ભેળો ભળી જાય નહિ. અને જેણે કરીને પોતાને બંધન થાય અને પોતાના એકાંતિક ધર્મમાં ખોટય આવે એવાં જે પદાર્થ તથા કુસંગ તેને ઓળખી રાખે અને તેથી છેટેજ રહે અને તેના બંધનમાં આવે નહિ. અને સવળો વિચાર હોય તેને ગ્રહણ કરે અને અવળો વિચાર હોય તેનો ત્યાગ કરે એવી રીતે જે વર્તતો હોય ત્યારે જાણીએ જે તેને વિવેક છે. ઇતિ વચનામૃતમ્ ।।૧૬।।
૧ કાળ આદિકથી પરિણામાદિ નહિ પામનારા આત્મા પરમાત્માદિ.