૧૫. મૂર્તિ હૃદયમાં અખંડ ધારવી. કાયર ન થવું, નિત્ય નવી શ્રદ્ધા રાખવી.

સંવત્ ૧૮૭૬ ના માગશર વદી ૩ ત્રીજને દિવસ શ્રીજી મહારાજ શ્રીગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ સર્વે સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે "જેના હઇયામાં ભગવાનની ભક્તિ હોય તેને એવી વૃત્તિ રહે જે ભગવાન તથા સંત તે મને જેજે વચન કહેશે તેમજ મારે કરવું છે," એમ તેના હઇયામાં હિંમત રહે અને "આટલું વચન મારાથી મનાશે અને આટલું નહિ મનાય" એવું વચન તો ભૂલ્યે પણ ન કહે, અને વળી ભગવાનની મૂર્તિને હઇયામાં ધારવી તેમાં શૂરવીરપણું રહે અને મૂર્તિ ધારતાં ધારતાં જો ન ધરાય તો પણ કાયર ન થાય અને નિત્ય નવી શ્રદ્ધા રાખે અને મૂર્તિ ધારતાં જ્યારે ભૂંડા ઘાટસંકલ્પ થાય અને તે હઠાવ્યા હઠે નહિ તો ભગવાનનો મોટો મહિમા સમજીને પોતાને પૂર્ણકામ માનીને તે સંકલ્પને ખોટા કરતો રહે અને ભગવાનના સ્વરૂપને હઇયામાં ધારતો રહે, તે ધારતાં ધારતાં દશ વર્ષ થાય અથવા વીશ વર્ષ થાય અથવા પચીશ વર્ષ થાય અથવા સો વર્ષ થાય તો પણ કાયર થઇને ભગવાનના સ્વરૂપને ધારવું તે મુકી દે નહિ, કેમ જે શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે જે, ''अनेकजन्मसंसिद्धस्ततो याति परां गतिम् ।'' તે માટે એમ ને એમ ભગવાનને ધારતો રહે એવું જેને વર્તતું હોય, તેને એકાંતિક ભક્ત કહીએ." ઇતિ વચનામૃતમ્ ।।૧૫।।