ગઢપુરમાં એકાંત સ્થળે બેસી શ્રીહરિએ કરેલા ગૂઢ ત્રણ સંકલ્પો. મંદિરો બાંધવાનો પહેલો સંકલ્પ. આચાર્યની સ્થાપના કરવાનો બીજો સંકલ્પ. સદ્ગ્રંથની રચના કરવાનો ત્રીજો સંકલ્પ.
सुव्रत उवाच -
निवसंस्तत्र भगवानेकदा विजने स्थितः । व्यचिन्तयस्य मनसा स्वावतारप्रयोजनम् ।। १ ।।
कलेः प्राप्य बलं भूमावधर्मः सान्वयोऽसुरैः । वर्धितो नितरां तेन धर्मोऽतिक्षीणतां गतः ।। २ ।।
सन्तः कष्टं भृशं प्रापुदवता ऋषयस्तथा । भूमिश्च पापिनां भारं सहितुं न शशाक च ।। ३ ।।
शापव्याजेन विप्रर्षेः प्रादुर्भूय ततो भुवि । उन्मूलिता मया सर्वे स्वप्रतापेन तेऽसुराः ।। ४ ।।
धर्मो भक्त्या सह परां पुष्टिं च गमितोऽधुना । सन्तो देवाश्च मुनयः प्रापिताः परमं सुखम् ।। ५ ।।
अधर्मः सान्वयः क्वापि नेक्ष्यते भूतलेऽधुना । चातुर्वर्ण्यजनाः सर्वे स्वधर्मस्था भजन्ति माम् ।। ६
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! ગઢપુરમાં નિવાસ કરતા શ્રીહરિ એક વખત એકાંતસ્થળમાં બેસી મનથી પોતાના અવતારનું પ્રયોજન વિચારવા લાગ્યા.૧
આ પૃથ્વી પર કલિયુગનું બળ પ્રાપ્ત કરી અસુર ગુરુ તથા રાજારૂપે ઉદ્ભવેલા દૈત્યોએ સહિત અધર્મવંશ પોતાના પરિવારે સહિત અતિશય વૃદ્ધિ પામ્યો. તેના કારણે પરિવારે સહિત ધર્મવંશ અતિશય ક્ષીણ થયો.૨
સંતપુરુષો, દેવતાઓ તથા ઋષિમુનિઓ અત્યંત કષ્ટ પામવા લાગ્યા. પૃથ્વી પાપીઓનો ભાર સહન કરવા સમર્થ થઇ નહિ.૩
પછી દુર્વાસા મુનિના શાપનું મિષ લઇ આ ભારતવર્ષની ધરા પર ઉત્તર કૌશલ દેશમાં ધર્મદેવ થકી ભક્તિદેવીને વિષે જન્મ ધારણ કરી બ્રહ્મપુર ધામના અધિપતિ એવા મેં મારા અલૌકિક પ્રતાપથી તે સર્વે અસુર ગુરુરૂપ તથા રાજારૂપ દૈત્યોનો મૂળે સહિત વિનાશ કર્યો.૪
અત્યારે ભક્તિએ સહિત ધર્મ બહુ જ પોષણ પામેલ છે. સાધુ, દેવતા અને મહર્ષિઓ પણ પરમ સુખને પામ્યા છે.૫
આખા પરિવારે સહિત અધર્મ અત્યારે પૃથ્વી પર કોઇ પણ સ્થળે જોવામાં આવતો નથી. ચારેય વર્ણના સર્વે મનુષ્યો પોતપોતાના ધર્મમાં રહી મારૂં ભજન કરે છે.૬
धृत्वावतारं यत्कार्यं तत्कृतं सकलं किल । तथापि भाविनां नणां कार्यं किञ्चिद्धितं मया ।। ७ ।।
अन्तर्हिते मयि भुवो भक्ता एते च मच्छ्रिताः । निरालम्बा भविष्यन्ति कार्यं किञ्चिञ्च तत्कृते ।। ८
एवं विचार्य भगवान् सर्वेषां स नृणां भुवि । व्यचिन्तयद्धितं त्रेधा दयावात्सल्यवारिधिः ।। ९ ।।
અવતાર ધારણ કરી જે કાર્ય કરવાનું હતું તે મેં સમગ્ર કાર્ય પૂર્ણ કરેલ છે. એ સ્પષ્ટ છે છતાં પણ ભાવિ મનુષ્યોના હિત માટે મારે અવશ્ય કાંઇ પણ કરવું જોઇએ.૭
વળી મારા અંતર્ધાન થયા પછી મારે આશરે રહેલા ભક્તજનો નિરાધાર થશે. તે ભક્તજનોના આધાર માટે પણ મારે કંઇક કરવું જોઇએ.૮
હે રાજન્ ! અપાર કરૂણાના સાગર અને વાત્સલ્યના વારિધિ ભગવાન શ્રીહરિએ આ પ્રમાણે સર્વજનોનું હિત વિચારી પૃથ્વી પરના જનો માટે ત્રણ પ્રકારના હિત સંકલ્પો નક્કી કર્યા.૯
कारयित्वा मन्दिराणि तत्र स्वप्रतिमा अहम् । स्थापयेय ततस्ताश्च सेविष्यन्ते हि मानवाः ।। १० ।।
स्वधर्मे वर्तमानानां पुंसां तत्सेवनादिह । सिद्धिमेष्यति सर्वेषां पुरुषार्थचतुष्टयम् ।। ११ ।।
મંદિરો બાંધવાનો પહેલો સંકલ્પ :- હું મંદિરો બંધાવી તેમાં મારા અર્ચાસ્વરૂપોની પ્રતિષ્ઠા કરૂં, તેથી મનુષ્યો અત્યારે અને ભવિષ્યમાં પણ તે મારાં સ્વરૂપોની સેવા પૂજા કરશે.૧૦
આલોકમાં પોતપોતાના વર્ણાશ્રમને ઉચ્ચિત ધર્મમાં રહીને જે મનુષ્યો તેમની સેવા પૂજા કરશે, તે સર્વેને ચારે પુરુષાર્થની સિદ્ધિ પ્રાપ્ત થશે.૧૧
भक्तिमार्गस्य पुष्टयर्थे मन्त्रदीक्षाप्यपेक्ष्यते । अतो धर्मान्वये शुद्धे गुरुतां स्थापयेय च ।। १२ ।।
આચાર્યની સ્થાપના કરવાનો બીજો સંકલ્પ :- ધર્મે સહિત મારા ભક્તિમાર્ગના અતિશય પોષણને માટે મંત્રદીક્ષાની બહુજ અપેક્ષા રહેશે. તેથી મારા શુદ્ધ ધર્મવંશને વિષે મંત્રદીક્ષાનું પ્રદાન કરનાર આચાર્યની સ્થાપના કરું.૧૨
धर्मज्ञानविरक्तीनां भक्तेश्चावगमाय तु । ग्रन्थं कर्ता शतानन्दो मञ्चरित्रोपबृंहितम् ।। १३ ।।
सिद्धान्तं सर्वशास्त्राणां तेन ज्ञास्यन्ति मच्छ्रिताः । एवमेव ततः कृत्वा यायां धाम स्वकं भुवः ।। १४
સદ્ગ્રંથની રચના કરવાનો ત્રીજો સંકલ્પ :- ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિના અવબોધને માટે શતાનંદ સ્વામી મારાં ચરિત્રોથી સભર ગ્રંથની રચના કરશે.૧૩
મારા આશ્રિતો તે ગ્રંથના માધ્યમથી સર્વશાસ્ત્રોના સિદ્ધાંતના રહસ્યને જાણી શકશે. બસ આ ત્રણ પ્રકારનાં કાર્યો કરીને હું આ પૃથ્વી થકી અંતર્ધાન થઇ મારા અક્ષરધામ પ્રત્યે જઇશ.૧૪
सुव्रत उवाच -
स एवं गूढसङ्कल्पो निवसंस्तत्र पत्तने । लेखयामास सर्वाणि सच्छास्त्राणि सुलेखकैः ।। १५ ।।
अचीकरद्बूमिपते ! महान्तं चैत्रासितैकादशिकोत्सवं सः । सन्तर्पयामास मुनींश्च विप्रान्सहस्रशो द्वादशिकादिने च ।। १६ ।।
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે ત્રણ ગૂઢ સંકલ્પો પૂરા કરવાનો દૃઢ સંકલ્પ કરી શ્રીહરિ દુર્ગપુરમાં નિવાસ કરવા લાગ્યા અને સુંદર લેખન કરતા અનંત સંતો પાસે સર્વશાસ્ત્રોનું લેખન કરાવ્યું.૧૫
હે ભૂમિપતિ ! આમ કરતા ભગવાન શ્રીહરિએ ચૈત્રવદી એકાદશીનો મહા ઉત્સવ ઉજવી બારસને દિવસે હજારો સંતો, બ્રાહ્મણોને ભોજન કરાવી તૃપ્ત કર્યા.૧૬
इति श्रीसत्सङ्गिजीवने नारायणचरित्रे धर्मशास्त्रे चतुर्थप्रकरणे भगवद्गुढसङ्कल्पनिरूपणनामा चतुर्विंशोऽध्यायः ।। २४
આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં શ્રીહરિએ ગઢપુરમાં કરેલા ત્રણ સંકલ્પોનું નિરૂપણ કર્યું એ નામે ચોવીસમો અધ્યાય પૂર્ણ થયો. --૨૪--