ભગવાન શ્રીહરિએ કહેલો જન્માષ્ટમીના વ્રતનો અને ઉદ્યાપનના વિધિનો નિર્ણય. વ્રતવિધિ સાથે પાળવાના નિયમો. જન્માષ્ટમીવ્રતનું ઉદ્યાપન.
श्री नारायणमुनिरुवाच -
सर्वे शृणुत भो भक्ता ! मम वाक्यं हितावहम् । श्वोऽस्ति जन्मतिथिः साक्षाद्वासुदेवस्य विश्रुता ।। १ ।।
तस्या व्रतं प्रकर्तव्यं सर्वैरेव मदाश्रितैः । श्रीकृष्णो हि यथास्माकमिष्टोऽस्त्येषापि तादृशी ।। २
विधानमस्याः सकलं यथाशास्त्रं च वो जनाः ! । कथयामि तदाश्रुत्य कर्तव्यं तद्व्रतं तथा ।। ३
सप्तमीवेधरहिता रोहिणीबुधसंयुता । निशीथगाष्टमी या सा कृष्णजन्माष्टमी मता ।। ४
अष्टमी रोहिणीयुक्ता निशीथे यत्र दृश्यते । मुख्यः कालः स विज्ञोयस्तत्र जातो यतो हरिः ।। ५
जन्माष्टमीव्रतस्यास्य निर्णये बहवो द्विजाः । विवदन्ते हि विद्वांसः स्वमतस्थापनोद्यताः ।। ६
जन्माष्टमी जयन्ती च व्रते द्वे इति केचन । एकमेवेति केचिच्च विद्वांसः कथयन्ति हि ।। ७
कृष्णजन्मनिशामेव जयन्तीं केचिदूचिरे । अष्टमीरोहिणीयोगं जयन्त्याख्यं तु केचन ।। ८
ભગવાન શ્રીનારાયણ મુનિ કહે છે, હે ભક્તજનો ! તમો સર્વે તમારા હિતને કરનારૂં મારૂં વચન સાંભળો. આવતી કાલે સાક્ષાત્ શ્રીકૃષ્ણ ભગવાનની લોક અને શાસ્ત્રમાં પ્રસિદ્ધ જન્મતિથિ ગોકુળાષ્ટમી છે.૧
મારા આશ્રિત સર્વે ભક્તજનોએ તેનું વ્રત અવશ્ય કરવું. કારણ કે અમને જેવા શ્રીકૃષ્ણ ભગવાન વહાલા છે તેવી જ તેમની જન્મતિથી પણ વહાલી છે.૨
તો હે ભક્તજનો ! એ તિથિનો સમગ્ર વ્રત કરવાનો વિધિ તમને હું શાસ્ત્રને અનુસારે કહું છું. તમારે તે વિધિ સાંભળ્યા પછી તે પ્રમાણે જન્માષ્ટમીનું વ્રત અવશ્ય કરવું.૩
હે ભક્તજનો ! સપ્તમીના વેધ રહિતની રોહિણી નક્ષત્રને બુધવારે યુક્ત અષ્ટમી હોય, તેમજ મધ્યરાત્રીએ પ્રાપ્ત હોય એવી અષ્ટમી તિથિ જન્માષ્ટમીના વ્રત માટે યોગ્ય મનાયેલી છે. સપ્તમીના વેધ રહિતની હોવાનો અહીં એ ભાવ છે કે, શ્રીકૃષ્ણ ભગવાનના પ્રાદુર્ભાવ પછી એક મુહૂર્ત બાદ દુર્ગાદેવીની જન્મતિથિ નવમી હોવી જરૂરી છે.૪
જે રાત્રીના સમયે રોહિણી નક્ષત્ર યુક્ત અષ્ટમી હોય તે જ જન્મનો મુખ્ય કાળ સમજવો. કારણ કે તે કાળમાં ભગવાન શ્રીકૃષ્ણનો પ્રાદુર્ભાવ થયેલો છે.૫
આ જન્માષ્ટમીવ્રતના નિર્ણયમાં અનેક વિદ્વાનો તથા અનેક બ્રાહ્મણો પોતપોતાના મતનું સ્થાપન કરવા તત્પર થઇ વાદ-વિવાદ કરે છે.૬
કેટલાક વિદ્વાનો જન્માષ્ટમી અને જયંતી એ બે વ્રતને જુદાં ગણે છે. અને કેટલાક વિદ્વાનો એક ગણે છે.૭
ત્યારે વળી કેટલાક વિદ્વાનો જન્માષ્ટમીની રાત્રીને જ જયંતી કહે છે. અને કેટલાક અષ્ટમી અને રોહિણી નક્ષત્રના યોગને જ જયંતી કહે છે.૮
उदये चाष्टमी किञ्चिदित्यत्रेन्दूदयं बुधाः । केचिद्वदन्ति केचिच्च सूर्यस्यैवोदयं द्विजाः ।। ९
तिथ्यन्तपारणापक्षं गृहीत्वा केऽपि वादिनः । अष्टमीं सप्तमीविद्धां प्रशंसन्ति व्रते किल ।। १०
गृहीत्वा पारणापक्षमुत्सवान्तेऽथ केचन । नाद्रियन्ते पूर्वयुक्तां प्राशस्त्यान्नवमीयुजेः ।। ११
सूर्योदयस्य सम्बन्धमुपवासितिथेर्जगुः । मुख्यं केचिच्च केचित्तु कर्मकालं विचक्षणाः ।। १२
नाद्रियन्ते द्विजाः केचिद्विद्धां शुद्धां च वाष्टमीम् । आलम्ब्य रोहिणीमेव विद्वांसः कुर्वते व्रतम् ।। १३
કેટલાક પંડિત બ્રાહ્મણો ''ઉદયે ચાષ્ટમી કિઞ્ચિત્'' આ રીતના સ્કંદપુરાણના વાક્યમાં ઉદય શબ્દથી ચંદ્રોદય માને છે. અર્થાત્ ચંદ્રોદય સમયે વર્તતી અષ્ટમી વ્રતમાં ગ્રહણ કરવી, એમ કહે છે. અને કેટલાક વિદ્વાનો ઉદય શબ્દથી સૂર્યોદય માને છે.૯
કોઇ વિદ્વાનો તિથિના અંતે જ પારણા કરવા જોઇએ. એવો પક્ષ લઇને સપ્તમીના વેધવાળી અષ્ટમી જ વ્રતમાં શ્રેષ્ઠ છે. એવી પ્રશંસા કરે છે.૧૦
કોઇ વિદ્વાનો કાલાદર્શમાં કહેવા પ્રમાણે ઉત્સવની સમાપ્તિ વખતે પારણાં કરવાં જોઇએ એવા પક્ષનો સ્વીકાર કરી નવમી તિથિના યોગવાળી અષ્ટમી તિથિની પ્રશંસા કરતા હોવાથી પૂર્વોક્ત સપ્તમીના વેધવાળી અષ્ટમીને આદર કરતા નથી.૧૧
કોઇ વિચક્ષણ પુરુષો ઉપવાસ તિથિનો ને સૂર્યોદયનો સંબંધ મુખ્ય કહે છે. કેટલાક પૂજન- ઉત્સવ ઉજવવાના મધ્યરાત્રીરૂપ સમયને જ મુખ્ય કહે છે.૧૨
કોઇ સપ્તમીના વેધવાળી અષ્ટમી કે વેધ વગરની અષ્ટમીનો આદર કરતા નથી. પરંતુ એક રોહિણી નક્ષત્રનો આશ્રય રાખીને વ્રત કરે છે.૧૩
इत्यादयो बहुविधा वादाः सन्त्यत्र हि व्रते । अवलम्ब्यार्षवाक्यानि विद्वद्बिर्ग्रथिताश्च ते ।। १४
सप्रमाणा हि ते सर्वे तेषु शिष्टैः सुनिश्चितम् । पक्षं प्रदर्शयाम्यद्य सर्वसंशयनुत्तये ।। १५
यदा पूर्वदिने ह्येव रोहिणीबुधसंयुता । निशीथगाष्टमी सम्यक् नोत्तरा तु निशीथगा ।। १६
तदा विद्धाऽपि सप्तम्या ग्रहीतव्याष्टमी व्रते । परेद्युः पारणा कार्या तिथ्यन्ते व्रतचारिभिः ।। १७
प्रोक्ता योगविशेषेण सप्तमीसहिताष्टमी । ग्राह्येत्यग्निपुराणादौ नान्यथा केवलाष्टमी ।। १८
આ પ્રમાણે અનેક પ્રકારના વાદ-વિવાદો આ જન્માષ્ટમીના વ્રતમાં રહેલા છે. તે પણ વિદ્વાનો આર્ષ પુરુષોના વાક્યોનો આધાર લઇને જ નિર્ણય સિંધુ, સમયમયૂખ, હરિભક્તિવિલાસ આદિ ગ્રંથોમાં લખ્યા છે.૧૪
એ સર્વે વિવાદો ઋષિમુનિઓના વાક્યોના પ્રમાણોથી યુક્ત છે. આ સર્વે પક્ષોની મધ્યે શિષ્ટ પુરુષોએ સારી રીતે સુનિશ્ચિત કરેલો પક્ષ તમારા સર્વેના સંશયોનું નિવારણ કરવા અત્યારે હું તમને કહું છું.૧૫
હે ભક્તજનો ! જો સપ્તમીના દિવસે જ રોહિણી નક્ષત્ર અને બુધવાર યુક્ત મધ્યરાત્રીએ અષ્ટમીનો સારી રીતે યોગ વર્તતો હોય તો અને બીજે દિવસે અષ્ટમી મધ્યરાત્રીએ વ્યાપ્તિ ન હોય તો સપ્તમીના વેઘવાળી જ અષ્ટમીનો વ્રત કરવામાં સ્વીકાર કરવો. અને વ્રત કરનાર મનુષ્યોએ બીજે દિવસે અષ્ટમીતિથિના અંતે પારણાં કરવાં.૧૬-૧૭
આવી રીતના યોગ વિશેષના કારણે સપ્તમીના વેધવાળી અષ્ટમીતિથિ પણ અગ્નિપુરાણ આદિકમાં ગ્રહણ કરવાની કહી છે. પરંતુ તેનાથી વિપરીત કેવળ મધ્યરાત્રીએ અષ્ટમી વ્યાપ્તિ હોય અને બુધવાર કે રોહિણી નક્ષત્રનો યોગ ન હોય તો તે સાતમના વેધવાળી અષ્ટમીનો સ્વીકાર કરવો નહિ.૧૮
पूर्वेद्युरेव योगश्च प्रागुक्तः सकलो यदि । भवेदथ परेद्युस्तु निशीथे केवलाष्टमी ।। १९
उपवासद्वयं कुर्यात्तदा शक्तस्तु पूरुषः । उपवासमशक्तस्तु कुर्यादेकं परेऽहनि ।। २०
बुधाष्टमीरोहिणीनां निशीथे योगमन्तरा । पूर्वविद्धा न कर्तव्या बुधैर्जन्माष्टमी क्वचित् ।। २१
बुधवारो न चेत्तर्हि रोहिणीसहितामपि । पूर्वविद्धां विहायैव शुद्धा ग्राह्याष्टमी मता ।। २२
विना ऋक्षेणापि कार्या नवमीसंयुताष्टमी । सऋक्षापि न कर्तव्या सप्तमीसंयुताष्टमी ।। २३
पलं घंट मुहूर्तं वा यदा कृष्णाष्टमी ततः । नवमी सैव ग्राह्या स्यात्सप्तमीसंयुता न तु ।। २४
જો સપ્તમીની તિથિએ પૂર્વોક્ત રોહિણી નક્ષત્ર, બુધવાર અને મધ્યરાત્રીએ અષ્ટમીની વ્યાપ્તિનો યોગ વર્તતો હોય અને બીજે દિવસે અષ્ટમીની તિથિએ કેવળ અષ્ટમી તિથિ વ્યાપ્તિ હોય તો તેમાં સમર્થ પુરુષે બે ઉપવાસ કરવા અને અસમર્થ પુરુષે બીજે દિવસે કેવળ અષ્ટમીની તિથિએ જ એક ઉપવાસ કરવો.૧૯-૨૦
મધ્યરાત્રીએ બુધવાર, અષ્ટમી અને રોહિણી નક્ષત્રનો યોગ ન હોય તો ડાહ્યા જનોએ સપ્તમીના વેધવાળી અષ્ટમી તિથિ વ્રતમાં ક્યારેય પણ લેવી નહીં.૨૧
હે ભક્તજનો ! જો બુધવારનો યોગ ન હોય પરંતુ મધ્ય રાત્રીએ અષ્ટમી અને રોહિણી નક્ષત્રનો યોગ હોય, છતાં પણ સપ્તમીના વેધવાળી અષ્ટમી વ્રતમાં લેવી નહિ. ને બીજે દિવસે સપ્તમીના વેધ વગરની શુદ્ધ અષ્ટમી વ્રતમાં સ્વીકારવી.૨૨
બીજું કે રોહિણી નક્ષત્રનો યોગ ન હોય એવી પણ નવમીના વેધવાળી અષ્ટમી વ્રતમાં સ્વીકારવી, પરંતુ રોહિણી નક્ષત્રવાળી હોય છતાં સપ્તમીના વેધવાળી અષ્ટમી સ્વીકારવી નહિ.૨૩
જો આ વદપક્ષની અષ્ટમી તિથિ બેઘડી એકઘડી કે પળ માત્ર વર્તતી હોય અને ત્યારપછી નવમી તિથિ આવી જતી હોય તો નવમીના વેધવાળી અષ્ટમી વ્રતમાં સ્વીકારવી. પરંતુ સપ્તમીના એક પલમાત્રના વેધવાળી અષ્ટમી વ્રતમાં સ્વીકારવી નહિ.૨૪
विद्धायाश्च क्षयः स्याञ्चेत्सप्तमीसंयुताष्टमी । तदा परा ग्रहीतव्या व्रते जन्मतिथिः प्रभोः ।। २५
शुद्धाऽधिकाष्टमी यर्हि तदापि नवमीयुजेः । प्राशस्त्यादुत्तरा ग्राह्येत्यूचुः केचन वैष्णवाः ।। २६
बहुकालव्यापकत्वाद्वेधाभावाच्च सर्वथा । पूर्वा ग्राह्येति गोस्वामिमतं तद्ग्र्राह्यमस्ति नः ।। २७
इति सेपतो ह्येष सर्वसारो निरूपितः । निश्चित्यैतन्मतं ज्ञोयो जन्माष्टम्यास्तु निर्णयः ।। २८
હે ભક્તજનો ! જો સપ્તમીના વેધવાળી અષ્ટમીનો ક્ષય હોય અર્થાત્ એકજ દિવસે સૂર્યોદય સમયે સપ્તમી તિથિ હોય પછીથી અષ્ટમી બેસે પરંતુ તે અષ્ટમી બીજે દિવસે સૂર્યોદયના પ્રારંભ સમયે ન હોય. ત્યારે નવમી બેસી ગઇ હોય તો અષ્ટમી તિથિ સાતમના વેધવાળી જ થઇ, માટે આવી પરિસ્થિતિમાં તો શ્રીકૃષ્ણ ભગવાનનું જયંતી વ્રત કેવળ નવમી તિથિએ જ ગ્રહણ કરવું.૨૫
જો શુદ્ધ અષ્ટમીતિથિની વૃદ્ધિ હોય અર્થાત્ પહેલી અષ્ટમી સાઠ ઘડીની પૂર્ણ હોય અને બીજે દિવસે સૂર્યોદય સમયે એક, બે કે ત્રણ ઘડી જેટલી અષ્ટમી હોય પછીથી નવમી તિથિ બેસી જતી હોય છતાં પણ બીજા દિવસે નવમીના વેધવાળી અષ્ટમી તિથિનું વ્રત પ્રશંસનીય છે. તેથી બીજી અષ્ટમી વ્રતમાં ગ્રહણ કરવી, એમ કેટલાક વૈષ્ણવો કહે છે.૨૬
હે ભક્તજનો ! વિઠ્ઠલેશ ગોસ્વામીનો મત એવો છે કે આવી રીતની જ્યારે બે અષ્ટમી હોય ત્યારે પહેલી શુદ્ધ અષ્ટમી બહુકાળ વ્યાપ્તિની હોવાથી અને જન્મ સમયે તેનો યોગ હોવાથી અને સપ્તમીનો તેમાં વેધ ન હોવાથી શુદ્ધ સાઠ ઘડીની એ પહેલી અષ્ટમીનો જ વ્રત કરવામાં સ્વીકાર કરવો. આ રીતનો ગોસ્વામી વિઠ્ઠલનાથજીનો અભિપ્રાય છે. તે મતનો આપણે પણ સ્વીકાર કરીએ છીએ.૨૭
આ પ્રમાણે સમગ્ર નિર્ણયનો સારાંશ જે હોય તે મેં તમને સંક્ષેપથી કહ્યો છે. મારા આશ્રિત ભક્તજનોએ આ સારાંશનો જ આશ્રય કરી જન્માષ્ટમીના વ્રતનો નિર્ણય કરવો.૨૮
व्रतं करिष्यन्पुरुषः सप्तम्यां लघुभुग्भवेत् । जितेन्द्रियः स्वपेद्रात्रौ कृष्णमेव विचिन्यतन् ।। २९
ब्राह्मे मुहूर्त उत्थाय कृत्वा नित्यविधिं ततः । मध्याह्ने च नदीं गत्वा विधिना स्ननमाचरेत् ।। ३०
कृत्वापामार्गसमिधा दन्तधावनामादितः । तिलामलककल्केन स्नयान्मृत्स्नानपूर्वकम् ।। ३१
ततो माध्याह्निकं कृत्वा गृहमेत्य शुचिर्व्रती । मण्डपं कारयेद्रम्यं कदलीस्तम्भशोभितम् ।। ३२
विचित्रवस्त्रैः पुष्पैश्च मण्डितं चाम्रपल्लवैः । शुभैर्नानाविधै रङ्गैस्तत्र तत्र सुचित्रितम् ।। ३३
सितैः पीतैस्तथा रक्तैः कर्बुरैर्हरितैरपि । वासोभिः शोभितं कुर्यात्समन्तात्कलशैर्नवैः ।। ३४
पत्रैः फलैरनेकैश्च दीपालिभिरितस्ततः । पुष्पमालाविचित्रं च चन्दनागुरुधूपितम् ।। ३५
तन्मध्ये सूतिकागारं देवक्या विदधीत च । धात्रीं कुर्यात्तत्र चैकां नालच्छेदनकर्तरीम् ।। ३६
तन्मध्ये मञ्चके रम्ये स्थापयेद्देवकीं ततः । तदुत्सङ्गे बालकृष्णं स्थापयेच्च स्तनन्धयम् ।। ३७
यशोदां तत्र चैकस्मिन्प्रदेशे सूतिकागृहे । स्थापयेद्गोकुले तद्वत्प्रसूतवरकन्यकाम् ।। ३८
વ્રતવિધિ સાથે પાળવાના નિયમો :- હે ભક્તજનો ! ગોકુલાષ્ટમીનું વ્રત કરનાર પુરુષે સાતમના દિવસે મિતાહારી રહેવું અને ઇન્દ્રિયોને જીતી શ્રીકૃષ્ણ ભગવાનનું ભજન કરતાં કરતાં રાત્રીએ શયન કરવું.૨૯
અષ્ટમીએ બ્રાહ્મમુહૂર્તમાં ઉઠીને પોતાનો નિત્યવિધિ કરવો. ત્યારપછી મધ્યાહ્ને નદીએ જઇ વિધિપૂર્વક સ્નાન કરવું.૩૦
તેમાં પ્રથમ અઘેડાના કાષ્ઠથી દાતણ કરી તીર્થની માટી શરીરે લગાવી સ્નાન કરવું ને ફરી તલ અને આમળાના ચૂર્ણથી અંગમર્દન કરી સ્નાન કરવું.૩૧
પછી મધ્યાહ્ન સંધ્યાવિધિ કરવો. બહાર અને અંદર પવિત્રપણે રહેતા વ્રત કરનાર પુરુષે ઘેર આવી કેળાના સ્તંભથી સુશોભિત કરાયેલા રમણીય મંડપની રચના કરાવવી.૩૨
હે ભક્તજનો ! અનેક પ્રકારનાં રંગીન વસ્ત્રો તથા પુષ્પોથી અને આમ્રપત્રના તોરણોથી સુશોભિત કરી તે મંડપની મધ્યે રંગોથી રંગોળી પૂરાવવી.૩૩
તેમજ શ્વેત, પીળા, લાલ, કાબરા અને લીલા વસ્ત્રોથી અને નૂતન કળશોથી મંડપને સુશોભિત કરવો.૩૪
તથા આસોપાલવ આદિનાં પત્રો તથા લીંબુ આદિકનાં ફળોથી અને દીવાની પંક્તિથી તેમજ પુષ્પોની માળાથી મંડપને રંગબેરંગી કરવો, અને ચંદન તથા અગરુના ધૂપથી સુગંધીમાન કરવો.૩૫
આવા રમણીય મંડપની મધ્યે દેવકીમાતાના સૂતિકાગૃહની રચના કરવી તેમાં એક ધાત્રી અર્થાત્ ઉપમાતાની અને એક નાળી છેદન કરનારી સ્ત્રીની રચના કરવી.૩૬
પછી તે સૂતિકા ગૃહની મધ્યે રમણીય સુંદર પલંગ ઉપર દેવકીમાતાની સ્થાપના કરવી, તેમના ખોળામાં સ્તનપાન કરતા બાલકૃષ્ણને બેસાડવા.૩૭
વળી તે મંડપના એક ભાગમાં ગોકુળ ગામની રચના કરી, તેમાં સૂતિકાગૃહની રચના કરી, પલંગ ઉપર એક કન્યા ખોળામાં સ્તનપાન કરતી હોય તેવા યશોદામાતાની સ્થાપના કરવી.૩૮
नन्दश्च वसुदेवश्च गोपा गोप्यश्च धेनवः । बाललीला च कृष्णस्य तत्र कल्प्या यथोचितम् ।। ३९
रोहिणी बलदेवश्च षष्ठी देवी वसुन्धरा । ब्रह्मा च रोहिणीऋक्षं तथा कृष्णाष्टमी तिथिः ।। ४०
मार्कण्डेयो बलिर्व्यासो हनुमांश्च विभीषणः । कृपः परशुरामश्च सप्तैते चिरजीविनः ।। ४१
नृत्यन्तश्चाप्सरोवृन्दैर्गन्धर्वा गीततत्पराः । लेखनीयाश्च तत्रैव कालियो यमुनाहृदे ।। ४२
इत्येवमादि यत्किञ्चद्यथाशक्ति यथामति । लेखयित्वा प्रयत्नेन पूजयेद्बक्तितत्परः ।। ४३
यथाशक्ति प्रकर्तव्या कृष्णादीनां तु मूर्तयः । सौवर्ण्याद्याश्च तत्पूजा कर्तव्या निशि भक्तितः ।। ४४
उपहारैर्यथालब्धैः शुद्धैः श्रीकृष्णमर्चयेत् । सहाङ्गदेवतं मन्त्रैर्व्रतग्रन्थोदितैः पुमान् ।। ४५
देवक्यादियुतं कृष्णं गीतवाद्यसमन्वितम् । सम्पूज्य विधिना भक्तः पार्षदांस्तस्य चार्चयेत् ।। ४६
सम्पूज्य सर्वदेवांश्च प्रणम्य दण्डवत् भुवि । ब्राह्मणान् पूजयित्वाथ तेभ्यो दद्याञ्च दक्षिणाम् ।। ४७
ततो मुहूर्ते दोलायां बालकृष्णं तमादरात् । सम्पूज्य नीराजयित्वा शनैरान्दोलयेत्पुमान् ।। ४८
હે ભક્તજનો ! તે મંડપમાં નંદરાય, વસુદેવજી, ગોવાળો, ગોપીઓ, ગાયો અને ભગવાન બાલકૃષ્ણને રમવા લાયક રમકડાંઓની યથાયોગ્ય કલ્પના કરીને સ્થાપવાં.૩૯
રોહિણી, બળદેવ, ષષ્ઠીદેવી, પૃથ્વી, બ્રહ્મા, રોહિણી નક્ષત્ર, કૃષ્ણાષ્ટમી તિથિ તેમજ માર્કંડેય, બલિ, વ્યાસ, હનુમાન, વિભીષણ, કૃપાચાર્ય અને પરશુરામ આ સાત ચિરંજીવીઓ, અપ્સરાઓનાં વૃંદોએ સહિત નાચ-ગાન કરી ગીત ગાવામાં તત્પર વર્તતા ગંધર્વો, તેમજ યમુનાના ધરામાં કાળિનાગ હોય એમ આ સર્વેનાં મંડપમાં ચિત્રો દોરાવવાં.૪૦-૪૨
આ પ્રમાણે જે કાંઇ યથાશક્તિ અને યથાબુદ્ધિ અનુસારે ચિત્રોનું આલેખન કરાવી ભક્તિમાં તત્પર વર્તતા વ્રત કરનારા પુરુષોએ પ્રયત્નપૂર્વક પૂજન કરવું.૪૩
તેમાં શ્રીકૃષ્ણ ભગવાનની બાલસ્વરૂપ મૂર્તિ યથાશક્તિ સુવર્ણની કરાવીને રાત્રેના તેમની ભાવથી પૂજા કરવી.૪૪
પછી વ્રત કરનારા પુરુષે યથા સમયે પ્રાપ્ત થયેલા શુદ્ધ ઉપચારોથી વ્રતના ગ્રંથોમાં કહેલા મંત્રોથી અંગદેવતાઓએ સહિત શ્રીકૃષ્ણ ભગવાનનું પૂજન કરવું.૪૫
પૂજનમાં ભક્તે દેવકીએ સહિત ભગવાન શ્રીકૃષ્ણનું ગીત-વાજિંત્રો વગાડવા પૂર્વક પૂજન કરી પછી ભગવાનના પાર્ષદોની અને સર્વે દેવતાઓની પૂજા કરવી. અને પૃથ્વી પર દંડવત્ પ્રણામ કરવા. ત્યારપછી બ્રાહ્મણોની પૂજા કરી તેઓને દક્ષિણા આપવી, પછી બાલકૃષ્ણને પારણિયામાં પધરાવી પૂજા કરીને આરતી ઉતારવી, અને એક મુહૂર્ત પર્યંત ધીરે ધીરે ઝુલાવવા.૪૮
कथां च जन्माध्यायोक्तां शृणुयाद्बक्तिभावतः । ततः कुशासने स्थित्वा कुर्याज्जागरणं व्रती ।। ४९
प्रातः कुर्यान्मूर्तिदानं कृत्वैवोत्तरपूजनम् । ब्राह्मणान्भोजयित्वाथ स्वयं कुर्वीत पारणाम् ।। ५०
सर्वेष्वेवोपवासेषु दिवा पारणमिष्यते । न रात्रौ पारणं कूर्यादाश्यात् पञ्चामृतं हरेः ।। ५१
एतेनैव विधानेन प्रतिमासं च यः पुमान् । कृष्णाष्टमीव्रतं कुर्यात्प्राप्नुयात्स्वेप्सितं हि सः ।। ५२
एवं संवत्सरं पूर्णे व्रतं कृत्वा जितेन्द्रियः । महापूजां विधायान्ते दद्याच्छय्यां च गाः पुमान् ।। ५३
आदावन्तेऽथवा मध्ये कुर्यादुद्यापनं व्रती । तेन साङ्गं व्रतं सर्वान्कामान् फलति निश्चितम् ।। ५४
वार्षिकं तु व्रतं कार्ये प्रतिवर्षे यथाविधि । कृष्णः प्रसन्नो भवति व्रतिभ्यस्तेन निश्चितम् ।। ५५
ત્યારપછી વ્રત કરનારા પુરુષે શ્રીમદ્ ભાગવતના દશમ સ્કંધમાં વર્ણવેલા શ્રીકૃષ્ણ ભગવાનના જન્મના અધ્યાયોની કથા દર્ભાસન ઉપર બેસીને ભાવથી સાંભળવી ને જાગરણ કરવું. પ્રાતઃકાળે નિત્યવિધિ કરી ઉત્તર પૂજન કરી મૂર્તિનું દાન કરવું ને બ્રાહ્મણોને જમાડી સ્વયં પારણાં કરવાં.૫૦
સર્વે ઉપવાસોમાં દિવસે જ પારણાં કરવાનું કહેલું છે. તેથી રાત્રીએ પારણાં કરવાં નહિ પરંતુ ભગવાનના પંચામૃતનું થોડું પાન કરવું.૫૧
જે પુરુષો મેં કહેલા આ વિધાન પ્રમાણે દર મહિને વદ પક્ષની અષ્ટમીની તિથિએ આવી રીતે જન્માષ્ટમીનું વ્રત કરે છે તે ઇચ્છિત ફળને પ્રાપ્ત કરે છે.૫૨
આ પ્રમાણે જીતેન્દ્રિય વ્રત કરનારે એક વર્ષ સુધી આ વ્રતનું અનુષ્ઠાન કરી સમાપ્તિને અંતે મહાપૂજા કરવી ને ગાય અને શય્યાનું દાન આપી ઉદ્યાપન કરવું.૫૩
અને વ્રતની આદિમાં, મધ્યમાં અને અંતમાં પણ ઉદ્યાપન કરવું. એમ કરવાથી વ્રત સાંગોપાંગ સર્વે ઇચ્છાઓને પૂર્ણ કરનારૂં થાય છે.૫૪
આ જન્માષ્ટમીનું વાર્ષિક વ્રત દર વર્ષે વિધિપૂર્વક કરવું તેનાથી શ્રીકૃષ્ણ ભગવાન અતિશય પ્રસન્ન થાય છે.૫૫
उद्यापनं व्रतस्यास्य कथयामि समासतः । मण्डलं सर्वतोभद्रं कर्तव्यं मण्डपोत्तमे ।। ५६
तस्योपरि प्रतिष्ठाप्य ताम्रकुम्भं जलान्वितम् । वेष्टयेच्छ्वेतवस्त्रेण नवरत्नसमन्वितम् ।। ५७
पञ्चपल्लवसंयुक्तं पूर्णपात्रसमन्वितम् । कार्यः सुवर्णेनैकेन देवकीसहितो हरिः ।। ५८
अशक्तस्तु तदर्धेन कुर्यात्प्रतिकृतिं हरेः । रोहिण्या सहितं चेन्दुं रौप्यं कृत्वार्चयेद्व्रती ।। ५९
चतुर्विंशतिसङ्खयाकाः स्थालीः पायससम्भृताः । निवेदयित्वा हरये दधाद्विप्रेभ्य एव ताः ।। ६०
दीपमाला घृतेनैव कर्तव्या हरिमन्दिरे । होमः पुरुषसूक्तेन कार्यो वा नाममन्त्रतः ।। ६१
चतुर्विंशतिसङ्खयाकान्ब्राह्मणान्भोजयेत्ततः । यथाशक्तयर्चयेत्तांश्च गन्धवस्त्रविभूषणैः ।। ६२
सोपस्करं ताम्रकुम्भं सुवर्णे गाश्च शक्तितः । यथाविधि ब्राह्मणेभ्यो दद्याच्छ्रीकृष्णतुष्टये ।। ६३
घृतपात्रं तिलपात्रं मुद्रिकां च कमण्डलुम् । उपानहौ च वस्त्राणि शय्यां दधाद्विशेषतः ।। ६४
જન્માષ્ટમીવ્રતનું ઉદ્યાપન :- હે ભક્તજનો ! હવે હું તમને જન્માષ્ટમીના વ્રતનો ઉદ્યાપન વિધિ સંક્ષેપથી કહું છું. સૌ પ્રથમ શ્રેષ્ઠ મંડપમાં સર્વતોભદ્ર મંડલની રચના કરવી.૫૬
તેના મધ્ય ભાગમાં સ્વચ્છ જળ ભરેલા અને તેમાં નવરત્ન પધરાવેલા તાંબાના કળશની શ્વેત વસ્ત્ર વીંટાળીને સ્થાપના કરવી.૫૭
તેમાં પાંચ પલ્લવ પધરાવી ધાન્ય ભરેલા પૂર્ણપાત્રને ઉપર મૂકવું. એક તોલા જેટલા સોનામાંથી તૈયાર કરેલી દેવકીએ સહિત બાલસ્વરૂપ શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિ પધરાવવી.૫૮
અને જે અશક્ત હોય તો તેના અર્ધા ભાગના સુવર્ણમાંથી ભગવાનની પ્રતિમા કરાવીને રોહિણી આદિ નક્ષત્રો સહિત ચંદ્રમાની પ્રતિમા ચાંદીની કરાવવી ને તેનું પૂજન કરવું.૫૯
પૂજનમાં ખીર ભરેલી ચોવીસ થાળીઓ બાલકૃષ્ણ ભગવાનને નૈવેદ્યમાં ધરવી ને પછી તે બ્રાહ્મણોને દાનમાં આપી દેવી.૬૦
મંદિરમાં ઘીની દીપમાળા પૂરવી, પુરુષસૂક્તથી અથવા નામમંત્રથી હોમ કરવો.૬૧
પછી ચોવીસની સંખ્યામાં બ્રાહ્મણોને ભોજન કરાવવું, ને પોતાની શક્તિ પ્રમાણે ચંદન, વસ્ત્ર, આભૂષણાદિકથી તેઓનું પૂજન કરવું.૬૨
તેમાં ઉપહારોએ સહિત તાંબાનો કળશ, સુવર્ણ અને ગાયનું વિધિ પ્રમાણે બ્રાહ્મણોને ભગવાનની પ્રસન્નતાર્થે દાન આપવું.૬૩
તેવીજ રીતે ઘી ભરેલું પાત્ર, સુવર્ણની મુદ્રાઓ, કમંડલું, પગરખાં, વસ્ત્રો અને શય્યાનું પણ વિશેષપણે દાન કરવું.૬૪
श्राद्धे दाने तथा होमे तीर्थयात्राव्रतेषु च । वित्तशाठयं न कुर्वीत यदीच्छेद्विपुलं धनम् ।। ६५
पात्रेषु धर्मकार्येषु वित्तशाठयं करोति यः । सर्वधर्मविनिर्मुक्तो नरके स निमज्जति ।। ६६
सर्वव्रतेषु सामान्या ब्रह्मचर्यादयो यमाः । पालनीयाः प्रयत्नेन स्त्रीभिः पुम्भिश्च सर्वशः ।। ६७
व्रतं प्रोक्तमिदं पुण्यं श्रीहरेर्मथुराभुवः । कामदं रुक्मिणीभर्तुः सर्वेषां द्वारिकापतेः ।। ६८
श्रीकृष्णजन्मदिवसे यश्च भुङ्क्ते नराधमः । स भवेन्मातृगामी च ब्रह्महत्यां लभेत च ।। ६९
उपवासासमर्थश्चेत् फलाहारादिना व्रतम् । यथाशक्ति प्रकुर्वीत हापयेन्न त्विदं क्वचित् ।। ७०
इति प्रोक्तो मया भक्ता ! युष्मभ्यं हि समासतः । जन्माष्टमी व्रतविधिः कर्तव्यो यो मदाश्रितैः ।। ७१
य इति शृणुयाद्बक्तया पठेद्वापि समाहितः । पुमान् सोऽपि व्रतफलं प्राप्नुयान्नात्र संशयः ।। ७२
હે ભક્તજનો ! જે મનુષ્યો પુષ્કળ ધન મેળવવા ઇચ્છતા હોય તેમણે શ્રાદ્ધમાં, દાનમાં, હોમમાં, વ્રતમાં કે તીર્થયાત્રામાં ધનનો લોભ કરવો નહિ.૬૫
કારણ કે જે પુરુષ દાન આપવા યોગ્ય પાત્રમાં કે ધર્મકાર્યમાં ધનનો લોભ કરે છે. તે પુરુષ સર્વધર્મથી પતિત થઇ અંતે રૌરવ નરકમાં પડે છે. એથી આવા વ્રતના ઉદ્યાપનાદિ ધર્મકાર્યમાં ધનનો લોભ ન કરવો.૬૬
અને બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું એ સર્વે વ્રતોમાં સાધારણ એક સરખો નિયમ છે. તેથી સર્વે વ્રત કરનારા સ્ત્રી પુરુષોએ વ્રતમાં પ્રયત્નપૂર્વક બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું.૬૭
હે ભક્તજનો ! મથુરાપુરીમાં પ્રગટેલા રૂક્મિણીના પતિ અને દ્વારિકાના નાથ એવા શ્રીકૃષ્ણ ભગવાનનું આ પુણ્યકારી વ્રત સર્વજનોના મનોરથોને પૂર્ણ કરનારૂં કહેલું છે.૬૮
જે પુરુષો ભગવાનના આ જન્મ દિવસે અન્નનો આહાર કરે છે તે નરાધમ છે અને તેને માતૃગમન કર્યા તુલ્ય પાપ લાગે છે.૬૯
આ વ્રતના દિવસે જે મનુષ્યો ઉપવાસ કરવા અસમર્થ હોય તો ફલાહારાદિકથી યથાશક્તિ વ્રત કરવું પરંતુ આ વ્રતને ક્યારેય પણ છોડી દેવું નહિ.૭૦
હે ભક્તજનો ! આ પ્રમાણે મેં તમને જન્માષ્ટમીતિથિનો વ્રતવિધિ સંક્ષેપથી કહ્યો. તે વિધિનું મારા આશ્રિત ભક્તજનોએ અવશ્ય પાલન કરવું.૭૧
જે પુરુષ મનને એકાગ્ર કરી ભક્તિભાવપૂર્વક આ જન્માષ્ટમીના વ્રતવિધિનું શ્રવણ કરશે અથવા પાઠ કરશે એ પુરુષ પણ વ્રતના ફળને પ્રાપ્ત કરશે, તેમાં કોઇ જાતનો સંશય નથી.૭૨
सुव्रत उवाच -
इत्यादिश्य निजान्भक्तान्प्रहृष्स्टैस्तैः स वन्दितः । स्वावासं पुनरागच्छत्स्वस्वस्थानं ययुर्जनाः ।। ७३
सान्ध्यं विधिं तत्र विधाय सर्वे श्रीकृष्णनामानि पठन्मुखेन । समास्तृतायां भुवि मध्ययामद्वये स सुष्वाप निशो नरेन्द्र ! ।। ७४ ।।
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે ભગવાન શ્રીહરિએ પોતાના ભક્તજનોને જન્માષ્ટમીના વ્રત વિધિનો ઉપદેશ કર્યો. તે સાંભળી સર્વે ભક્તજનો ખૂબજ રાજી થયા ને શ્રીનારાયણ ભગવાનને વંદન કર્યા અને શ્રીહરિ પણ પોતાના નિવાસસ્થાને પધાર્યા અને ભક્તજનો પણ પોતપોતાના નિવાસસ્થાને ગયા.૭૩
હે નરેન્દ્ર ! પોતાના ઉતારે આવી ભગવાન શ્રીહરિએ સમગ્ર સંધ્યાવિધિ કર્યો ને મુખેથી શ્રીકૃષ્ણ ભગવાનના નામ ઉચ્ચારણ કરતાં કરતાં સપ્તમી તિથિના મધ્યના બીજા પ્રહરમાં પૃથ્વી પર બિછાવેલા તૃણના આસન ઉપર યોગનિદ્રાનો સ્વીકાર કર્યો.૭૪
इति श्रीसत्सङ्गिजीवने नारायणचरित्रे धर्मशास्त्रे चतुर्थप्रकरणे सारङ्गपुरे जन्माष्टम्युत्सवे व्रतविधिरूपणनामैकादशोऽध्यायः ।। ११ ।।
આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં સારંગપુર ગામે જન્માષ્ટમીના ઉત્સવ અને વ્રતવિધિનું નિરૂપણ કર્યું એ નામે અગીયારમો અધ્યાય પૂર્ણ થયો. --૧૧--