અધ્યાય - ૧૦ - સારંગપુરના ભક્તજનોની પ્રાર્થનાથી શ્રીહરિનું જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવવા સારંગપુરમાં આગમન.

સારંગપુરના ભક્તજનોની પ્રાર્થનાથી શ્રીહરિનું જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવવા સારંગપુરમાં આગમન. સારંગપુરમાં દિવ્ય સત્સંગસભાનું આયોજન.

सुव्रत उवाच -

पौराणिकं प्रापयित्वा गीतवाद्यपुरःसरम् । तद्धृहं स प्रभुर्वेद्यां निम्बाधस्तादुपाविशत् ।। १

तत्राजगाम तावत्तु सारङ्गपुरभूपतिः । जीववर्मा च तत्पुत्री देविकाख्या दृढव्रता ।। २

क्षत्रवीरस्तथा राठो मालत्या सुतया सह । तत्रागच्छञ्च पुञ्जाख्यो भक्तो भगवतो महान् ।। ३

प्रणम्य भगवन्तं ते मानितास्तेन सादरम् । निषेदुस्तस्य पुरतस्तद्दर्शनमहामुदः ।। ४

सम्पृष्टाः स्वागतं तेन प्रभुणा विनयानताः । त ऊचुस्तं नमस्कृत्य बद्धाञ्जलिपुटा वचः ।। ५

भगवन्भवबन्धघ्न ! त्वद्बक्ता वयमीश्वर ! । नेतुं सारङ्गनगरं त्वामत्र स्म उपागताः ।। ६

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! ભગવાન શ્રીહરિએ ગીત વાજિંત્રો વગાડવા પૂર્વક પ્રાગજી પુરાણીને તેમના નિવાસ સ્થાને વળાવ્યા ને સ્વયં ઉત્તમરાજાના દરબારમાં લીંબતરુ નીચે વેદિકા ઉપર વિરાજમાન થયા.૧ 

તે સમયે સારંગપુરના રાજા જીવાખાચર શ્રીહરિની સમીપે આવ્યા તેની સાથે પતિવ્રતાના ધર્મવાળી દેવિકા નામની તેમની પુત્રી અને તેમના ભાઇઓ તથા પુત્રો અમરાખાચર અને વાઘાખાચર પણ હતા.૨ 

તેમજ ક્ષત્રિયોની મધ્યે શૂરવીર રાઠોડ ભક્ત પણ તેમની પુત્રી માલતીની સાથે ત્યાં પધાર્યા. તથા અતિશય શ્રેષ્ઠ ભક્ત પૂંજાભાઇ પણ પધાર્યા.૩ 

હે રાજન્ ! જીવાખાચર આદિ સર્વે સારંગપુરવાસી ભક્તજનોએ શ્રીહરિને નમસ્કાર કર્યા અને શ્રીહરિ પણ તેમને આદર આપી સત્કાર્યા. તે સમયે તે સર્વે ભક્તજનોને ભગવાન શ્રીહરિના દર્શનથી મહા આનંદ પ્રાપ્ત થયો ને સૌ શ્રીહરિની આગળ બેઠા.૪ 

ત્યારે શ્રીહરિએ સ્વાગત પ્રશ્નો પૂછયા. તેથી વિનયથી નમ્ર થયેલા તે સર્વે ભક્તજનો બે હાથ જોડી ભગવાન શ્રીહરિને નમસ્કાર કરીને કહેવા લાગ્યા કે, હે ભગવાન ! હે ભવબંધનને તોડનારા ! હે પરમેશ્વર ! તમારા ભક્તો અમે તમને સારંગપુર લઇ જવા માટે આવ્યા છીએ.૫-૬

आढयेऽनाढयेऽपि वा भक्ते विशेषो नास्ति ते किल । समदर्शिन ईशस्य ततोऽस्मासु दयास्तु ते ।। ७

जन्माष्टम्युत्सवं नाथ ! पुरे नः कर्तुमर्हसि । अस्माकं यद्धनं किञ्चित्तत्तवैवास्ति निश्चितम् ।। ८

एतावद्याचितं स्वामिन्नस्माकं भक्तवत्सलः । दातुमर्हसि नाथ ! त्वं वयं हि त्वत्परायणाः ।। ९

इति तैः प्रार्थितः स्वामी तान्निष्कपटचेतसः । जानन्नुवाच भो भक्तास्तत्राऽयास्यामि निश्चितम् ।। १०

कुरुतोत्सवसम्भारान् यूयं गत्वाग्रतोऽनघाः ! । पञ्चम्यामागमिष्यामि तत्राहं नात्र संशयः ।। ११

इति वाक्यं प्रभोः श्रुत्वा तेऽतिसंहृष्टमानसाः । प्रोचुस्तं भगवन् ! भक्तैरागन्तव्यं सहाखिलैः ।। १२

तथेत्युक्ते भगवता जीववर्मोत्तमं नृपम् । आमन्त्रयामास भक्तानपरांश्चागमाय सः ।। १३

ततस्तदैव स्वपुरं गन्तुकामं समुत्सुकम् । उत्तमो जीववर्माणं राठादींश्चाप्यभोजयत् ।। १४

હે શ્રીહરિ ! ઉત્તમરાજા જેવા ધનાઢય ભક્ત કે અમારા જેવા નિર્ધન ભક્તોમાં સમાન દૃષ્ટિ રાખતા પરમેશ્વર એવા તમને કોઇના વિષે ન્યૂનાધિક ભાવ નથી એ નિશ્ચિત વાત છે. માટે તમે અમારી ઉપર દયા કરો ને અમારા સારંગપુરમાં પધારી ત્યાં જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવો. હે નાથ ! અમારૂં જે કાંઇ ધન છે તે તમારૂં જ છે એ નક્કી વાત છે.૭-૮ 

હે સ્વામિન્ ! હે નાથ ! અમારી આટલી પ્રાર્થના છે, તેને તમે પૂર્ણ કરો. કારણ કે તમો તો ભક્તવત્સલ છો અને અમે તમારા આશ્રિત ભક્તજનો છીએ.૯ 

આ પ્રમાણે સારંગપુરના ભક્તજનોએ પ્રાર્થના કરી, ત્યારે શ્રીસ્વામિનારાયણ ભગવાન તે ભક્તોને નિષ્કપટ અંતરવાળા જાણી કહેવા લાગ્યા કે, હે ભક્તજનો ! અમે તમારા સારંગપુર નગરમાં ચોક્કસ આવશું.૧૦ 

હે નિષ્પાપ ભક્તજનો ! તમે સર્વે ત્યાં જઇ ઉત્સવની સામગ્રી ભેળી કરવા લાગો. હું શ્રાવણવદ પાંચમના રોજે ત્યાં જરૂર આવીશ. તેમાં કોઇ સંશય નથી.૧૧ 

આવી રીતનાં શ્રીહરિનાં વચનો સાંભળી અતિશય રાજી થયેલા તે જીવાખાચર આદિક સારંગપુરના ભક્તજનો ભગવાન પ્રત્યે કહેવા લાગ્યા કે, હે ભગવાન ! તમે સમગ્ર ભક્તજનોને સાથે લઇને પધારજો.૧૨ 

ત્યારે શ્રીહરિએ તથાસ્તુ કહ્યું. અને જીવાખાચરે ઉત્તમરાજાને તથા અન્ય સર્વે ભક્તજનોને પણ શ્રીહરિની સાથે સારંગપુર આવવા આમંત્રણ આપ્યું.૧૩ 

પછી પોતાના પુર પ્રત્યે જવા તૈયાર થયેલા જીવાખાચર તથા રાઠોડ ભક્ત આદિ સર્વેને ઉત્તમ રાજાએ ભોજન કરાવ્યું.૧૪ 

भुक्त्वा ते स्वपुरं गत्वा सम्भारांश्चक्रुरादरात् । अन्नोदपात्रास्तरणकाष्ठशाकघृतादिकान् ।। १५

भगवानपि पञ्चम्यामुत्तमेन च पार्षदैः । भक्तैश्चान्यैः परिवृतस्तत्पुरं प्रययौ ततः ।। १६

समारूढो वाहं जविनमरुणं मञ्जुलगतिं दघद्वल्गां वामे करकमलकोशेऽतिमृदुले ।

परे वेत्रं चेशः सितसकलवासाः परिवृतो हयारूढैः सोमप्रभुखनिजभक्तैश्च स ययौ ।। १७

रामप्रतापो वडवां समारुह्याशु कैसरीम् । तमन्वगाद्रोहिताश्वमिच्छारामोऽधिरुह्य च ।। १८

जयारमादयो योषा अपृात्मानमेव तम् । यान्तं दृष्ैवानुययुस्तञ्चिरस्थितिशङ्किताः ।। १९

હે રાજન્ ! તે ભક્તજનો ભોજન સ્વીકારી પોતાના પુરમાં પાછા આવ્યા ને ઉત્સવ માટે અન્ન, જળપાત્રો, પાથરણાં, કાષ્ઠ, શાક, ઘી, સાકર અને ગોળ આદિક અનેક પ્રકારની સામગ્રી આદરપૂર્વક ભેળી કરી.૧૫ 

પછી ભગવાન શ્રીહરિ પણ ઉત્તમરાજા, સોમલાખાચર આદિક પાર્ષદો તથા અન્ય અનેક ભક્તજનોની સાથે સંવત ૧૮૭૭ ના શ્રાવણવદ નાગપંચમીને દિવસે સારંગપુર પ્રત્યે જવા નીકળ્યા.૧૬ 

તે સમયે ભગવાન શ્રીહરિ અતિશય વેગવાન લાલરંગના તેમજ મંજુલગતિએ ચાલતા અશ્વ ઉપર આરુઢ થયા. ડાબા હાથમાં ઘોડાની લગામ પકડી અને જમણા હાથમાં છડી ધારણ કરી સમગ્ર શ્વેતવસ્ત્રોમાં શોભી રહેલા ને ઘોડાઓ ઉપર આરુઢ થયેલા સોમલાખાચર આદિ પાર્ષદોની સાથે વીંટાઇને સારંગપુર જવા નીકળ્યા.૧૭

રામપ્રતાપભાઇ કેસરજાતિના ઘોડા ઉપર બેસીને તત્કાળ ભગવાન શ્રીહરિની પાછળ પાછળ ચાલવા લાગ્યા, તેમજ ઇચ્છારામભાઇ પણ લાલવર્ણના ઘોડા ઉપર બેસીને ચાલવા લાગ્યા.૧૮ 

તે સમયે જયાબા, રમાબા, લલિતાબા વગેરે બહેનો પોતાને પૂછયા વિના ચૂપચાપ નીકળી ગયેલા શ્રીહરિ લાંબો સમય સુધી સારંગપુર રોકાઇ જશે, એવી શંકાથી તેમની પાછળ ચાલવા લાગી.૧૯ 

श्रुत्वाऽयान्तं हरिं राजन् ! सारङ्गपुरवासिनः । गीतवादित्रनिर्धोषैस्तत्सन्मुखमुपाययुः ।। २०

दूरादृाहरिं प्रेम्णा स्रवदश्रव एव ते । प्रणेमुर्दण्डवद्बक्तया ततोऽभिमुवमद्रवन् ।। २१

सम्भाव्य तान् यथायोग्यं साकं तैर्भगवान् पुरम् । प्रविश्यावासमकरोज्जीववर्मालये हरिः ।। २२

राठालये निवासार्थं जयाद्याश्चादिशत्स्त्रियः । अन्येभ्योऽपि यथायोग्यं वासस्थानान्यदापयत् ।। २३

जीववर्मा च पौराश्च हरिं भागवतांश्च तान् । यथोचितेनातिथ्येन प्रीणयामासुरुत्सुकाः ।। २४

गृहिणां त्यागिनां चापि तत्र यूथानि भूरिशः । देशान्तरेभ्य आजम्मुः पौरास्तानि न्यवासयन् ।। २५

भगवद्दर्शनं कृत्वा सर्वे, ते परमां मुदम् । लेभिरे सोऽपि तान् सर्वान् यथोचितमानयत् ।। २६

तत्पुरं हरिभक्तानां यूथैः पुंसां च योषिताम् । तपस्विनां मुनीनां च बभूवातीव संकुलम् ।। २७

तत फल्गोस्तटान्नद्या धवलायास्तटावधि । कारयामास स सभां विशाले वसुधातले ।। २८

ભગવાન શ્રીહરિ સારંગપુર પધારે છે એવા સમાચાર સાંભળી સારંગપુરના સર્વે ભક્તજનો ગીત વાજિંત્રોનો નાદ કરતા કરતા શ્રીહરિની સન્મુખ આવ્યા.૨૦ 

દૂરથી શ્રીહરિનાં દર્શન થતાં જ અતિશય પ્રેમના કારણે તેમના નેત્રોમાંથી હર્ષનાં અશ્રુઓ વહેવા લાગ્યાં ને ભાવપૂર્વક દંડવત્ પ્રણામ કર્યાં. ત્યારપછી ભગવાન શ્રીહરિ સન્મુખ દોટ મૂકી અને શ્રીહરિ પણ દોડીને સન્મુખ પધારેલા તે સર્વે ભક્તજનોને માન આપી આવકાર્યા ને તેઓની સાથે પુરમાં પ્રવેશ કરીને જીવાખાચરના દરબારમાં પોતાનો ઉતારો કર્યો.૨૧-૨૨ 

તેમજ ભગવાન શ્રીહરિએ જયાબા આદિક સ્ત્રી ભક્તજનોને રાઠોડ ભક્તને ઘેર નિવાસ કરવાની આજ્ઞા આપી, અને સાથે આવેલા બીજા ભક્તજનોને પણ યથાયોગ્ય રીતે નિવાસ સ્થાન અપાવ્યાં.૨૩ 

હે રાજન્ ! તે સમયે જીવાખાચર આદિ પુરવાસી ભક્તજનો અતિશય ઉત્સાહમાં આવી ભગવાન શ્રીહરિ તથા તેમની સાથે પધારેલા ભક્તજનોને યથાયોગ્ય આતિથ્ય સત્કાર કરી બહુ જ પ્રસન્ન કર્યા.૨૪ 

પછી ગૃહસ્થ ભક્તજનોના સંઘો તથા સંતોનાં અનેક મંડળો દેશાંતરોમાંથી સારંગપુરમાં આવવા લાગ્યાં ને પુરવાસી ભક્તજનો સર્વેને માટે ઉતારાની વ્યવસ્થા કરવા લાગ્યા.૨૫ 

ભગવાન શ્રીહરિનાં દર્શન કરી તે દેશાંતરવાસી ભક્તજનો અતિશય આનંદ પામ્યા ને શ્રીહરિએ પણ સર્વેને યથાયોગ્ય માન આપી બોલાવ્યા.૨૬ 

ગૃહસ્થ નરનારી ભક્તજનો તથા મહા તપસ્વી સંતોના સમૂહોથી સારંગપુરમાં બહુજ ભીડ જામી.૨૭ 

પછી ભગવાન શ્રીહરિએ ફલ્ગુ નદીના તટથી આરંભીને ધવલાનદીના તટ પર્યંત અતિશય વિશાળ ભૂમિમાં મોટી સભાનું આયોજન કર્યું.૨૮ 

उच्चं सिंहासनं तत्र सप्तम्या निशि स प्रभुः । अध्यारुरोहाथ भक्ता निषेदुस्तस्य चाग्रतः ।। २९

तत्र ज्ञानपतोवृद्धा मुनयः पुरतः प्रभोः । निषेदुः पृष्ठस्तेषां वयोवृद्धास्तपस्विनः ।। ३०

तेषां च पृष्ठतः सर्वे मुनयस्तरुणास्तथा । तेषां पृष्ठे किशोराश्च निषेदुर्मुनयोऽखिलाः ।। ३१

रामप्रतापस्तस्यैव पुरतः सानुजः प्रभोः । सिंहासनं च निकषा न्यषीदत्पीठ उत्तमे ।। ३२

प्रभोश्च दक्षिणे भागे शास्त्रज्ञानतपोधिकाः । विप्रा निषेदुस्तत्पश्चाद्वयोवृद्धा द्विजातयः ।। ३३

वामभागे भगवतः सोमाद्या मुख्यपार्षदाः । निषेदुः पृष्ठस्तेषां जीववर्मादयो नृपाः ।। ३४

मुकुन्दानण्दमुख्याश्च नैष्ठिकब्रह्मचारिणः । प्रान्ते सिंहासनस्यैव तस्थुस्तत्सेवने रताः ।। ३५

भृगुजिन्नाञ्जभीमाद्याः क्षत्रियाः शस्त्रपाणयः । तस्थुर्भगवतः पश्चात्सर्वतः प्रसरद्दृशः ।। ३६

मुनीनां पार्षदानां च मध्येऽथ ब्रह्मचारिणः । निषेदुर्वासुदेवाद्या नैष्ठिकं व्रतमाश्रिताः ।। ३७

स्वस्तिकासनमेवैकमाश्रित्यैतेऽखिला अपि । अकुर्वन्तोऽङ्गचापल्यं निषेदुस्तत्र संसदि ।। ३८

एतेषामथ सर्वेषां पृष्ठतः क्षत्रजातयः । उपाविशंश्च तत्पश्चाद्बक्ता भगवतो विशः ।। ३९

तेषां च पृष्ठतः शूद्रास्तत्पश्चादपरे जनाः । मर्यादया निषेदुस्ते तदेकार्पितदृष्टयः ।। ४०

स्त्रीणां वृन्दानि दूरे च स्वस्वमर्यादयैव हि । निषेदुर्विक्षमाणानि प्रभुं सिंहासनस्थितम् ।। ४१

સારંગપુરમાં દિવ્ય સત્સંગસભાનું આયોજન :- હે રાજન્ ! સંવત ૧૮૭૭ ના શ્રાવણ વદ સાતમની રાત્રીએ તે સભામાં રત્નજડિત ઊંચા સિંહાસન ઉપર વિરાજમાન થયા તે સમયે સર્વે સંતો તથા ભક્તજનો પણ ભગવાન શ્રીહરિની સન્મુખ બેઠા.૨૯ 

તે સભામાં જ્ઞાનવૃદ્ધ તપસ્વી જે સંતો હતા તે શ્રીહરિની આગળ જ બેઠા. તેમની પાછળ વયોવૃદ્ધ તપસ્વી સંતો હતા તે બેઠા.૩૦ 

તેમની પાછળ સર્વે યુવાન સંતો અને તેમની પાછળ કિશોર સંતો બેઠા.૩૧ 

નાનાભાઇ ઇચ્છારામજીની સાથે મોટાભાઇ રામપ્રતાપજી શ્રીહરિના આગળના ભાગમાં સિંહાસનની સમીપે જ ઉત્તમ બિછાવેલાં આસન ઉપર વિરાજમાન થયા.૩૨

હે રાજન્ ! શાસ્ત્રજ્ઞાન તેમજ તપથી શ્રેષ્ઠ બ્રાહ્મણો શ્રીહરિના જમણા ભાગમાં બેઠા. તેમની પાછળ વયોવૃદ્ધ બ્રાહ્મણો બેઠા.૩૩ 

અને સોમલાખાચર વગેરે શ્રીહરિના પાર્ષદો તેમની ડાબી બાજુએ બેઠા. તેમની પાછળ સારંગપુરના જીવાખાચર આદિ સર્વે રાજાઓ બેઠા.૩૪ 

ભગવાન શ્રીહરિની સેવામાં સદાય તત્પર એવા મુકુન્દાનંદ બ્રહ્મચારી આદિ નૈષ્ઠિક બ્રહ્મચારીઓ શ્રીહરિના સિંહાસનની નજીકના ભાગમાં બેઠા.૩૫ 

હાથમાં શસ્ત્રો ધારણ કરી ભગુજી, નાંજા, ભીમ અને રતનજી વિગેરે ક્ષત્રિય ભક્તજનો ચારે તરફ દૃષ્ટિ ફેરવતા ફેરવતા શ્રીહરિની પાછળ ઊભા રહ્યા.૩૬ 

નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રતને ધારણ કરી રહેલા વાસુદેવાનંદ આદિક સર્વે બ્રહ્મચારીઓ, સંતો અને પાર્ષદોના વચ્ચેના ભાગમાં બેઠા.૩૭ 

આ રીતે સર્વે સંતો તથા ભક્તજનો પોતાના અંગની ચપળતાનો ત્યાગ કરી સભામાં સ્વસ્તિક આસને સ્થિર બેઠા હતા.૩૮ 

અને ક્ષત્રિય ભક્તજનો હતા તે પૂર્વોક્ત સંતો ભક્તોની પાછળના ભાગે બેઠા. તેમની પાછળ વૈશ્ય ભક્તજનો અને તેની પાછળ શૂદ્ર ભક્તજનો બેઠા. તેથી પાછળના ભાગમાં પંચમવર્ણના ભક્તજનો બેઠા આ રીતે સર્વે ભક્તજનો એક શ્રીહરિના મુખારવિંદ ઉપર દૃષ્ટિ રાખીને સ્થિર આસને બેઠા.૩૯-૪૦ 

અને સર્વે સ્ત્રી ભક્તજનોના વૃંદો પુરુષોની સભાથી થોડે દૂર પોતપોતાની મર્યાદા પ્રમાણે બેઠાં હતાં.૪૧ 

तेषूपविष्टेष्वखिलेषु राजन्नित्थं सभायां निजसंश्रितेषु । आनन्दयंस्तानमृतायमानं वचो जगादेत्थमृषिः पुराणः ।। ४२ ।।

હે રાજન્ ! આ પ્રમાણે સર્વે પોતાના આશ્રિત ભક્તજનો સભામાં બેસી ગયા ત્યારે પુરાણપુરુષ પરમાત્મા ભગવાન શ્રીનારાયણઋષિ સર્વેને આનંદ ઉપજાવતા અમૃતની સમાન વચનો કહેવા લાગ્યા.૪૨ 

इति श्रीसत्सङ्गिजीवने नारायणचरित्रे धर्मशास्त्रे चतुर्थप्रकरणे सारङ्गपुरे जन्माष्टम्युत्सवे भगवतः सभोपवेशननिरूपणनामा दशमोऽध्यायः ।।१०।।

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં જન્માષ્ટમીના ઉત્સવ પ્રસંગે સત્સંગ સભાના સ્વરૂપનું નિરૂપણ કર્યું એ નામે દશમો અધ્યાય પૂર્ણ થયો. --૧૦--