શ્રીહરિએ શ્રીમદ્ ભાગવત આદિ સત્શાસ્ત્રોના શ્રવણનો કરેલો પ્રારંભ.
सुव्रत उवाच -
इति श्रुत्वा भगवतो वाक्यं राजा स उत्तमः । प्रहृष्टमानसो भूप ! प्रणनाम तमीश्वरम् ।। १
देशकालानुकूल्ये च पुरश्चर्यां द्विजोत्तमैः । स्वयमैच्छत्कारयितुं श्रीमद्बागवतस्य सः ।। २
ततः स भगवांस्तत्र कारयामास मण्डपम् । विचित्रवर्णैर्वसनै रम्भास्तम्भैश्च शोभितम् ।। ३
ततो द्वितीये दिवसे विधाय प्रातराह्निकम् । तस्मिन्च्यासासनं रम्यं कारयामास मण्डपे ।। ४
पौराणिकं समाहूय पूर्वोक्तविधिनैव तम् । उपवेश्यासने चार्चत्पुस्तकार्चनपूर्वकम् ।। ५
तस्मै वासांसि नूत्नानि बहुमूल्यानि स प्रभुः । कौशेयानि च सूक्ष्माणि प्रारम्भसमये ददौ ।। ६
कुण्डले कटके हैमे प्रादाद्धैमोर्मिकाः शुभाः । ततः पुराणप्रारम्भं कारयामास स प्रभुः ।। ७
रामप्रतापेच्छारामौ हरेरन्तिक आसने । निषेदतुरुभौ बन्धू श्रोतृधर्मस्थितौ नृप ! ।। ८
यथोचितं सभायां च निषेदुस्तत्र पार्षदाः । उत्तमप्रमुखा भूषा मुकुन्दाद्याश्च वर्णिनः ।। ९
સુવ્રતમુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન્ ! આ પ્રમાણેનાં ભગવાન શ્રીહરિનાં વાક્યો સાંભળી ઉત્તમ ભૂપતિનું મન ખૂબજ પ્રસન્ન થયું ને પરમેશ્વર એવા ભગવાન શ્રીહરિને પ્રણામ કરીને મનમાં દેશકાળની અનુકૂળતાએ શ્રીમદ્ ભાગવતનું પુરશ્ચરણ કરાવવાની ઇચ્છા કરી. તેમ જ કથાશ્રવણ અને પુસ્તકદાન કરવાની પણ ઇચ્છા કરી.૧-૨
ત્યારે શ્રીહરિએ અનેક પ્રકારનાં ચિત્રવિચિત્ર રંગોવાળાં વસ્ત્રોથી અને કેળાના સ્તંભોથી સુશોભિત કરાયેલા મંડપની પોતાના નિવાસસ્થાનની સમીપે રચના કરાવી.૩
ત્યારપછી સંવત ૧૮૭૬ ના માગસર સુદ સાતમના પ્રાતઃકાળે આહ્નિકવિધિ પૂર્ણ કરી રચના કરાયેલા મંડપની મધ્યે રમણીય વ્યાસાસન તૈયાર કરાવ્યું.૪
ત્યારપછી પાર્ષદો દ્વારા પ્રાગજી પુરાણીને બોલાવ્યા ને વ્યાસાસન ઉપર બેસાડી શ્રીમદ્ ભાગવતના પુસ્તકની પૂજા કર્યા બાદ પુરાણીની પૂજા કરી.૫
પછી શ્રીહરિએ કથાના પ્રારંભ સમયે વક્તા પ્રાગજી પુરાણીને બહુ મૂલ્યવાળાં સૂક્ષ્મ નવીન રેશમી વસ્ત્રો અર્પણ કર્યાં.૬
ત્યારપછી શ્રીહરિએ સુવર્ણનાં કુંડળ, કડાં અને વીંટીઓ અર્પણ કરીને કથાનો પ્રારંભ કરાવ્યો.૭
અને શ્રોતાઓના ધર્મમાં રહેલા રામપ્રતાપભાઇ અને ઇચ્છારામભાઇ પણ શ્રીહરિની સમીપે આસન ઉપર વિરાજમાન થયા.૮
સોમલાખાચર આદિ પાર્ષદો, ઉત્તમ આદિ રાજાઓ અને મુકુન્દાનંદ બ્રહ્મચારિ આદિ વર્ણીઓ તે સભામાં પોતપોતાના યોગ્ય સ્થાને બેઠા.૯
मुक्तानन्दाद्या मुनयो निषेदुस्तत्र संसदि । जयारमादयो योषा निषेदुश्चैकतोऽखिलाः ।। १०
सर्वेऽपि तत्र श्रोतारः सात्त्विकैर्लक्षणैर्युताः । आसन्सुशिक्षितास्ते वै प्रागेव हरिणा निजाः ।। ११
सर्वज्ञोऽपि हरिस्तत्र नृनाटयमनुशीलयन् । सुश्रावेतरवत्साक्षात्स्वयं धर्मप्रवर्तकः ।। १२
अध्यात्मभागं कठिनं तत्र स्वानुभवेन सः । क्वचित्क्वचिद्विशदयन् वक्तृश्रोतृनमूमुदत् ।। १३
कथान्ते कीर्तनं कृत्वा श्रोतृभिः सह स प्रभुः । नाम्नां भगवतोऽथाह तं पौराणिकमुत्तमम् ।। १४
अस्मन्मोदिवणिग्गेहादामान्नं स्वेप्सितं त्वया । ग्रहीतव्यं द्विजश्रेष्ठ घृतं सितशर्करा ।। १५
नित्यं च लडुकाद्येव यथेष्टं भोजनं त्वया । कर्तव्यं हि श्रमो यस्मात्कर्तव्योऽस्ति तवान्वहम् ।। १६
प्रातः कर्तुं पयःपानं धेनुद्वन्द्वं गृहाण च । इत्युक्त्वा स पयस्विन्यौ धेनू तस्मै ददादुभे ।। १७
તેવીજ રીતે મુક્તાનંદ સ્વામી આદિ સંતો પણ તે સભામાં બેઠા. જયાબા, રમાબા અને લલિતાબા આદિ સ્ત્રી ભક્તજનો પણ સભાના એક વિભાગમાં મર્યાદાપૂર્વક બેઠાં.૧૦
તે સભાને વિષે બેઠેલા સર્વે શ્રોતાજનો ભગવાન શ્રીહરિ થકી પૂર્વે સારી રીતે શિક્ષણ પ્રાપ્ત કરેલું હોવાથી સાત્વિક લક્ષણોથી યુક્ત હતા.૧૧
તે સભામાં શ્રીહરિ સ્વયં સાક્ષાત્ સર્વજ્ઞા હોવા છતાં પણ મનુષ્ય-નાટયનું અનુકરણ કરી પુરાણ શ્રવણના ધર્મનું પૃથ્વી પર પ્રવર્તન કરવા માટે અન્ય મુમુક્ષુ શ્રોતાઓની જેમ શ્રવણ કરવા લાગ્યા.૧૨
હે રાજન્ ! ભગવાન શ્રીહરિ કથા પ્રસંગમાં કોઇ કોઇ વારે કઠિન જણાતા અધ્યાત્મના વિભાગને પોતાના અનુભવસિદ્ધ જ્ઞાનથી વિસ્તારપૂર્વક બોધ આપી સર્વે શ્રોતાઓ તથા વક્તાને પણ આનંદ ઉપજાવતા હતા.૧૩
ભગવાન શ્રીહરિએ કથાની સમાપ્તિ વખતે શ્રોતાજનોની સાથે ભગવાનના નામ સંકીર્તન કર્યા બાદ સાત્ત્વિક લક્ષણવાળા વક્તા પ્રાગજી પુરાણીને કહેવા લાગ્યા.૧૪
હે દ્વિજોત્તમ ! તમે અમારા મોદીવણિકની દુકાનેથી તમને ગમતું કાચું અન્ન, ઘી, સાકર આદિ ગ્રહણ કરવું.૧૫
હે પુરાણી, તમે નિરંતર ચૂરમાના કે મોતિયા લાડુનું ઇચ્છિત ભોજન કરો. કારણ કે તમારે પ્રતિદિન પરિશ્રમ કરવાનો છે.૧૬
પ્રાતઃકાળે દૂધનું પાન કરવા આ બે ગાયનો સ્વીકાર કરો. એમ કહીને બહુ દૂધવાળી બે ગાયો વક્તાને અર્પણ કરી.૧૭
ततः पौराणिकः प्राह स्वामिन्नाज्ञां तवान्वहम् । एवमेव कृपानाथ ! पालयिष्ये न संशयः ।। १८
किञ्चिद्वयञ्जनसामग्रया आनुकूल्यं भवेद्यदि । तदा तु सम्यगाज्ञायाः पालनं स्यात्तव प्रभो ! ।। १९
तदान्तिकस्थं स प्राह प्रहसन्वृद्धमालिकम् । अस्येप्सितं त्वया शाकं नित्यं देयमिति प्रभुः ।। २०
तदा स ब्राह्मणो हृष्टो जातं जातं प्रभोऽखिलम् । वदन्नित्थं तमानम्य जगाम स्वालयं ततः ।। २१
कथां स प्रत्यहं शृण्वन्भक्तानान्दयन् हरिः । समाप्ते श्रीभागवते प्रागुक्तमकरोद्विधिम् ।। २२
वस्त्रदाने वाचकाय हेममुद्रार्पणे च सः । स्वयं स्वसदृशो नूनमुल्लङ्घयैव विधि बभौ ।। २३
कृतं भगवता तेन सन्मानं वाचकस्य तु । श्रुत्वाऽपुर्विस्मयं सर्वे भुवि भूपतयोऽपि च ।। २४
अन्यानपि द्विजांस्तत्र समायातान् स ईश्वरः । कामवर्षीव पर्जन्यो दक्षिणाभिरतोषयत् ।। २५
ત્યારે પ્રાગજી પુરાણી ભગવાન શ્રીહરિ પ્રત્યે કહેવા લાગ્યા કે, હે સ્વામિન્ ! હે કૃપાનાથ ! તમારી આજ્ઞાનું હું નિરંતર પાલન કરીશ તેમાં કોઇ સંશય નથી.૧૮
હે પ્રભુ ! જો શાક વગેરે સામગ્રીની કંઇક અનુકૂળતા થાય તો ઇચ્છાનુસાર લાડુ આદિ જમવાની તમારી આજ્ઞાનું સારી રીતે પાલન થઇ શકે.૧૯
તે સાંભળી ભગવાન શ્રીહરિ હસવા લાગ્યા ને પોતાની સમીપે જ ઊભેલા હરનાથ નામના વૃદ્ધ માળી પ્રત્યે કહેવા લાગ્યા કે, આ પ્રાગજી પુરાણીને તેમની ઇચ્છા પ્રમાણે તમારે દરરોજ શાક આપવું.૨૦
તે સમયે વક્તા પ્રાગજી પુરાણી હસતા હસતા ભગવાન શ્રીહરિ પ્રત્યે કહેવા લાગ્યા કે, હે પ્રભુ ! મારી સમગ્ર ઇચ્છા પૂરી થઇ. આ પ્રમાણે વારંવાર બોલી શ્રીહરિને નમસ્કાર કરી ત્યાંથી પોતાના નિવાસસ્થાન પ્રત્યે ગયા.૨૧
પ્રતિદિન કથાનું શ્રવણ કરતા અને ભક્તજનોને આનંદ ઉપજાવતા ભગવાન શ્રીહરિએ શ્રીમદ્ ભાગવત કથાની સમાપ્તિ વખતે સભામાં પૂર્વોક્ત ઉત્તમરાજાને કહેલ સમગ્ર વિધિનું પાલન કર્યું.૨૨
અને ભગવાન શ્રીહરિ પુરાણીને વિધિ કરતાં ઉપર જઈ અધિકાધિક સોનામહોરોનું અને વસ્ત્રોનું દાન કરી સર્વ કરતાં શ્રેષ્ઠ શોભવા લાગ્યા.૨૩
શ્રીહરિએ કરેલું પુરાણીનું સન્માન સાંભળી સર્વે રાજાઓ પણ અતિશય વિસ્મય પામી ગયા.૨૪
તેમજ શ્રીહરિએ કથા શ્રવણ કરવા પધારેલા અન્ય બ્રાહ્મણોને પણ ઇચ્છાનુસાર વરસાદની જેમ દક્ષિણા આદિક અર્પણ કરી સંતોષ પમાડયા.૨૫
श्रीमद्बागवतं श्रुत्वा मासेनैकेन स प्रभुः । शुश्राव दशमं स्कन्धं पञ्चमं च विशेषतः ।। २६
मासद्वयेन तौ श्रुत्वा ततः फाल्गुनमासि सः । सम्भारेणैव महता चक्रे दोलोत्सवं हरिः ।। २७
ततः स भगवग्दीतां भाष्योपेतां नृपाशृणोत् । तावच्च नवमी प्राप्ता चैत्रशुक्लातिपावनी ।। २८
देशान्तरेभ्यो बहवस्तत्राजग्मुस्तदुत्सवे । पुरुषाः सस्त्रियो भक्ता मुनयश्च सहस्रशः ।। २९
महद्बिरेव सम्भारैरुत्सवं प्रीतये प्रभोः । उत्तमः कारयामास राजा निष्कपटान्तरः ।। ३०
समाप्तेऽथोत्सवे तस्मिन्स्वदेशान्प्रति प्रभुः । भक्तान्प्रस्थाप्य च पुनः कथारम्भमचीकरत् ।। ३१
विष्णोः सहसनामाख्यं स्तोत्रं भाष्योपबृंहितम् । शुश्रावाथ त्रयोदश्यां कृष्णायां तत्समापयत् ।। ३२
હે રાજન્ ! ભગવાન શ્રીહરિએ એક મહિના સુધી શ્રીમદ્ ભાગવતનું શ્રવણ કરીને દશમ તથા પંચમ સ્કંધનું વિશેષ શ્રવણ કર્યું.૨૬
બે માસમાં બન્ને સ્કંધનું શ્રવણ કરી ફાગણ માસમાં મોટી સામગ્રીવડે ફૂલડોલનો ઉત્સવ કર્યો.૨૭
પછી શ્રીહરિ શ્રીરામાનુજાચાર્યના ભાષ્યે સહિત શ્રીમદ્ ભગવદ્ગીતાનું શ્રવણ કર્યું. ત્યાં સુધીમાં ભગવાન શ્રીહરિના પ્રાદુર્ભાવની ચૈત્રસુદી નવમી તિથિ પ્રાપ્ત થઇ.૨૮
હે રાજન્ ! તે હરિજયંતીના મહોત્સવમાં દુર્ગપુર પ્રત્યે હજારો નરનારી ભક્તજનો તથા હજારો સંતો દેશાંતરમાંથી પધાર્યા.૨૯
નિષ્કપટ અંતરવાળા ઉત્તમરાજાએ ભગવાન શ્રીહરિને પ્રસન્ન કરવા માટે મોટી સામગ્રીથી શ્રીહરિજયંતીનો મહાન ઉત્સવ ઉજવ્યો અને ઉત્સવની સમાપ્તિમાં શ્રીહરિએ આવેલા ભક્તજનોને પોતપોતાના દેશ પ્રત્યે મોકલી ફરી કથા સાંભળવાનો પ્રારંભ કર્યો.૩૦-૩૧
તેમાં રામાનુજાચાર્યના કૃપાપાત્ર શિષ્ય પરાશર ભટ્ટ દ્વારા રચાયેલ ભાષ્યે સહિત વિષ્ણુસહસ્રનામ સ્તોત્રની કથા સાંભળી અને તેની ચૈત્રસુદ તેરસના દિવસે સમાપ્તિ કરી.૩૨
वैशाखाद्यप्रतिपदि कूर्मजन्ममहोत्सवम् । कृत्वा पुनर्द्वितीयायां कथारम्भमचीकरत् ।। ३३
स्कान्दवैष्णवखण्डस्थं शुश्राव सकलं मुदा । श्री वासुदेवमाहात्म्यं मासेनैकेन स प्रभुः ।। ३४
आद्यज्येष्ठद्वितीयातो मासेनैकेन सांघ्रिणा । शुश्राव सामवेदस्य पारायणमसौ हरिः ।। ३५
ज्येष्ठशुक्लदशम्यां स कृत्वा गङ्गार्चनोत्सवम् ।। मध्याह्नेऽथापरोऽस्य समापनमकारयत् ।। ३६
एकादश्यां निर्जलायां प्रारम्भन्मिताक्षराम् । शृण्वंस्तां च नभःशुक्लतृतीयायां समापयत् ।। ३७
चतुर्थ्यो श्रीवराहस्य प्रादुर्भावमहोत्सवम् । कृत्वा मध्याह्नसमये साधून्विप्रानभोजयत् ।। ३८
ततश्च नागपञ्चभ्यां नयं वैदुरिकं हरिः । श्रोतुमारम्भयामास भक्तानानन्दयन्नृप ! ।। ३९
श्रावण्यां पौर्णमास्यां तं रक्षाबन्धोत्तरं हरिः । समाप्य वस्त्रभूषाद्यैस्तोषयामास वाचकम् ।। ४०
હે રાજન્ ! શ્રીહરિ વૈશાખસુદ પડવાને દિવસે કૂર્મ ભગવાનનો જન્મોત્સવ પણ ધામધૂમથી ઉજવીને ફરી વૈશાખસુદ બીજના દિવસે કથા સાંભળવાનો પ્રારંભ કર્યો.૩૩
તે સમયે સ્કંદપુરાણની અંદર વિષ્ણુખંડમાં રહેલા શ્રીવાસુદેવમાહાત્મ્યનું એક મહિના સુધી અતિશય હર્ષપૂર્વક શ્રવણ કર્યું.૩૪
ત્યારપછી પ્રથમ જેઠસુદ બીજથી આરંભીને સવા મહિના સુધી પોતાના સામવેદની અમદાવાદના પંડિત હેમંતરામવિપ્રના મુખથકી પારાયણ સાંભળવા લાગ્યા.૩૫
તે બીજા જેઠસુદ દશમીની તિથિએ મધ્યાહ્ને ગંગાર્ચનોત્સવ ઉજવીને બપોર પછી સામવેદની પારાયણની સમાપ્તિ કરી.૩૬
પછી સંવત ૧૮૭૬ ના જેઠ સુદ નિર્જલા એકાદશીની તિથિએ મિતાક્ષરાટીકાએ યુક્ત યાજ્ઞાવલ્ક્યસ્મૃતિની કથા સાંભળવાનો પ્રારંભ કર્યો. તેનું શ્રવણ કરતાં કરતાં સંવત ૧૮૭૭ ના નવાવર્ષના શ્રાવણસુદ ત્રીજની તિથિએ તેની પૂર્ણાહુતિ કરી.૩૭
બીજે દિવસે શ્રાવણ સુદ ચતુર્થીને દિવસે શ્રીહરિએ મધ્યાહ્ને વરાહ ભગવાનનો પ્રાદુર્ભાવ મહોત્સવ ઉજવ્યો અને સાધુ બ્રાહ્મણોને ભોજન કરાવ્યાં.૩૮
આ પ્રમાણે ભક્તજનોને આનંદ ઉપજાવતા ભગવાન શ્રીહરિ શ્રાવણ સુદ નાગપંચમીની તિથિએ વિદુરનીતિ સાંભળવાનો પ્રારંભ કર્યો.૩૯
ને શ્રાવણ માસની પૂર્ણિમાને દિવસે રક્ષાબંધનનું કાર્ય પૂર્ણ કર્યા પછી વિદુરનીતિની સમાપ્તિ કરી વસ્ત્ર, આભૂષણાદિક વડે વક્તાને સંતોષ પમાડયા.૪૦
इत्थं श्री वासुदेवो निजजननयनानन्दपूर्णेन्दुवक्त्रो, मानुष्यं नाटयन्स्वं सकलमपि भुवि स्थापयन्नेव धर्मम् ।
स्वीयानां हृद्दरीभ्यः कलिबलसहितं दुर्जयं चाप्यधर्मं, मूलादुत्पाटयंश्चाप्रथत मुनिगुरुः स्वामिनारायणाख्यः ।। ४१ ।।
હે રાજન્ ! આ પ્રમાણે પોતાના આત્મીય ભક્તજનોના નેત્રોને આનંદ ઉપજાવવામાં પૂર્ણિમાના ચંદ્રમાની સમાન મુખકમળવાળા, મનુષ્યનાટયનું અનુકરણ કરી પોતાના ભક્તજનોમાં ભાગવતધર્મનું સ્થાપન કરતા અને હૃદયરૂપી ગુફામાંથી જીતવા અશક્ય એવા અને કલિયુગના બળથી અજેય થઇ ફરતા અધર્મ સર્ગને મૂળમાંથી ઉખેડીને વિનાશ કરતા અને સંતોના ગુરુ સ્વરૂપે વિરાજતા શ્રીવાસુદેવ ભગવાન સ્વયં આ પૃથ્વી પર શ્રીસ્વામિનારાયણ સ્વરૂપે પ્રસિદ્ધિને પામ્યા.૪૧
આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના इति श्री सत्सङ्गिजीवने नारायणचरित्रे धर्मशास्त्रे चतुर्थप्रकरणे पुराणश्रवणोत्सवे श्रीमद्बागवतादिसच्छास्त्रश्रवणावाचकसन्माननिरूपणनामा नवमोऽध्यायः ।। ९ ।।
ચતુર્થ પ્રકરણમાં પુરાણ શ્રવણના ઉત્સવ પ્રસંગે ભગવાન શ્રીહરિએ શ્રીમદ્ ભાગવતાદિ સચ્છાસ્ત્રોનું શ્રવણ કર્યું અને વિધિ પ્રમાણે વક્તાનું પૂજન કર્યાનું નિરૂપણ કર્યું એ નામે નવમોઅધ્યાય પૂર્ણ થયો. --૯--