૭. મનોમય ચક્ર ને તેની ધારા તે જે જગ્યાએ કુંઠીત થાય તે નૈમિષારણ્ય ક્ષેત્ર.

સંવત્ ૧૮૭૭ ના શ્રાવણ વદિ ૧૧ એકાદશીને દિવસ રાત્રિને સમે શ્રીજીમહારાજ ગામ શ્રીસારંગપુર મધ્યે જીવાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા. અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

અને શ્રીજીમહારાજે શ્રીમદ્બાગવત પુરાણના પ્રથમ સ્કંધની કથા વંચાવવાનો આરંભ કરાવ્યો હતો ત્યારે તેમાં એમ વાર્તા આવી જે "જ્યાં મનોમય ચક્રની ધારા કુંઠીત થાય ત્યાં નૈમિશારણ્ય ક્ષેત્ર જાણવું." એ વાર્તાને સાંભળીને મુક્તાનંદ સ્વામીએ પુછયું જે, "હે મહારાજ ! એ મનોમય ચક્ર તે શું છે ને એની ધારા તે શી સમજવી ?" પછી શ્રીજી મહારાજ બોલ્યા જે, "મનોમય ચક્ર તે મનને જાણવું અને એની ધારા તે દશ ઇન્દ્રિયો છે એમ જાણવું અને તે ઇન્દ્રિયોરૂપ જે મનની ધારા તે જે ઠેકાણે ઘસાઇને બુઠી થઇ જાય તેને નૈમિશારણ્ય ક્ષેત્ર જાણવું. તે ઠેકાણે જપ, તપ, વ્રત, ધ્યાન, પૂજા એ આદિક જે સુકૃત તેનો જે આરંભ કરે તે દિનદિન પ્રત્યે વૃદ્ધિ પામે એવું જે નૈમિશારણ્ય ક્ષેત્ર તે જે ઠેકાણે ભગવાનના એકાંતિક સાધુ રહેતા હોય તે ઠેકાણે જાણવું. અને જ્યારે મનોમયચક્રની ઇન્દ્રિયોરૂપ જે ધારા તે બુઠી થઇ જાય ત્યારે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પંચવિષયને વિષે પ્રીતિ રહે નહિ અને જ્યારે કોઇ રૂપવાન સ્ત્રી દેખાય અથવા વસ્ત્રઅલંકારાદિક અતિ સુંદર પદાર્થ દેખાય, ત્યારે મૂળગો તેના મનમાં અતિશે અભાવ આવે પણ તેમાં ઇન્દ્રિયોની વૃત્તિ જઇને ચોટે નહિ, જેમ અતિ તીખી અણીવાળું બાણ હોય તે જે પદાર્થમાં ચોટાડે તે પદાર્થને વીંધીને માંહી પ્રવેશ કરી જાય છે અને પાછું કાઢયું પણ નીસરે નહિ અને તેના તે બાણમાંથી ફળ કાઢી લીધું હોય ને પછી થોથું રહ્યું હોય તેનો ભીંતમાં ઘા કરે તો ત્યાંથી ઉથડકીને પાછું પડે છે પણ જેમ ફળ સોતું ભીંતને વિષે ચોટી જાય છે તેમ ચોટે નહિ, તેમ જ્યારે મનોમય ચક્રની ધારા જે ઇન્દ્રિયો તે બુઠિયો થઇ જાય ત્યારે ગમે તેવો શ્રેષ્ઠ વિષય હોય તેમાં પણ ઇન્દ્રિયોની વૃત્તિ ચોટે નહિ અને થોથાની પેઠે ઇન્દ્રિયોની વૃત્તિઓ પાછી હઠે, એવું વર્તાય ત્યારે જાણીએ જે મનોમય ચક્રની ધારા કુંઠિત થઇ ગઇ. એવું સંતના સમાગમ રૂપી નૈમિશારણ્ય ક્ષેત્ર જ્યાં દેખાય ત્યાં કલ્યાણને ઇચ્છવું અને ત્યાં અતિ દ્રઢ મન કરીને રહેવું. ઇતિ વચનામૃતમ્. ।।૭।। ૮૫

૧ સંધ્યા આરતી પછી.