સંવત્ ૧૮૭૭ના શ્રાવણ વદિ ૭ સાતમને દિવસ ૧સાંજને સમે શ્રીજીમહારાજ ગામ શ્રીસારંગપુર મધ્યે જીવાખાચરના દરબારમાં ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને શ્વેત પાઘ મસ્તકે બાંધી હતી ને કાળા છેડાનો ખેશ ઓઢયો હતો ને ધોળો ખેશ પહેર્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.
પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પુછયો જે ''હે મહારાજ ! એક ભક્ત તો નાના પ્રકારની ૨પૂજાસામગ્રી લઇને પ્રત્યક્ષ ભગવાનની પૂજા કરે છે અને એક ભક્ત તો નાના પ્રકારના માનસિક ઉપચારે કરીને ભગવાનની માનસીપૂજા કરે છે, એ બે ભક્તમાં શ્રેષ્ઠ તે કોણ છે ?'' ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે, જો ભગવાનને વિષે પ્રેમે કરીને અતિ રોમાંચિત ગાત્ર થઇને તથા ગદ્ ગદ્ કંઠ થઇને જો ભગવાનની પ્રત્યક્ષ પૂજા કરે છે અથવા એવી રીતેજ ભગવાનની માનસીપૂજા કરે છે તો એ બેય શ્રેષ્ઠ છે. અને પ્રેમે કરીને રોમાંચિત ગાત્ર અને ગદ્ ગદ્ કંઠ થયા વિના કેવળ શુષ્ક મને કરીને પ્રત્યક્ષ ભગવાનની પૂજા કરે છે તોય ન્યૂન છે અને માનસીપૂજા કરે છે તોય ન્યૂન છે.''
ત્યારે સોમલેખાચરે પુછયું જે ''એવી રીતે જે, પ્રેમ મગ્ન થઇને પ્રત્યક્ષ ભગવાનની પૂજા કરતો હોય અથવા માનસીપૂજા કરતો હોય તે ભક્ત કયે લક્ષણે કરીને ઓળખાય ?'' ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે ''જેને ભગવાનની સેવા પૂજાને વિષે તથા કથા, વાર્તા, કીર્તનને વિષે અતિશે શ્રદ્ધા હોય તથા ભગવાનનું અતિશય માહાત્મ્ય સમજતો હોય ને એ બે વાનાં દિવસે દિવસે નવાં ને નવાં રહેતાં હોય પણ ક્યારેય ગૌણ ન પડે, જેમ મુક્તાનંદ સ્વામીને અમે પ્રથમ લોજપુરમાં દીઠા હતા અને જેવી શ્રદ્ધા અને ભગવાનનું માહાત્મ્ય હતું તેવું ને તેવુંજ આજ દિવસ સુધી નવું ને નવું છે પણ ગૌણ પડયું નથી, એવે લક્ષણે કરીને તે ભક્તને ઓળખવો અને એવી રીતે માહાત્મ્ય ને શ્રદ્ધા વિનાના સર્વે ૧યાદવ શ્રીકૃષ્ણ ભગવાન ભેળાજ રહેતા અને જેમ રાજાની સેવાચાકરી કરે તેમ સેવાચાકરી કરતા તો પણ તેનું કોઇ નામ જાણતું નથી અને તે ભક્ત પણ કહેવાયા નથી. અને ઉદ્ધવજી જો શ્રીકૃષ્ણ ભગવાનની શ્રદ્ધામાહાત્મ્યે સહિત સેવાચાકરી કરતા તો તે પરમભાગવત કહેવાયા અને તેની શાસ્ત્રમાં તથા લોકમાં અતિશય પ્રસિદ્ધિ છે.
પછી નિર્વિકારાનંદ સ્વામીએ પ્રશ્ન પુછયો જે ''હે મહારાજ ! શ્રવણ, મનન, નિદિધ્યાસ અને સાક્ષાત્કાર તે કોને કહેવાય ?'' ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, શ્રોત્રે કરીને વાર્તા સાંભળવી તેને શ્રવણ કહીએ. અને જે વાર્તા શ્રવણ કરી હોય તે વાર્તાનો મને કરીને વિચાર કરીને જેટલી વાર્તા ત્યાગ કર્યા યોગ્ય હોય તેટલીનો ત્યાગ કરે અને જેટલી વાર્તા ગ્રહણ કર્યા યોગ્ય હોય તેટલીનું ગ્રહણ કરે તેને મનન કહીએ, અને જે વાર્તા નિશ્ચય કરીને મનને વિષે ગ્રહણ કરી હોય તેને રાત દિવસ સંભારવાનો જે અધ્યાસ રાખવો તેને નિદિધ્યાસ કહીએ અને તે વાર્તા જેવી હોય તેવીને તેવી જ ચિંતવન કર્યા વિના પણ સર્વે મૂર્તિમાનની પેઠે ઇદં સાંભરી આવે તેને સાક્ષાત્કાર કહીએ. અને જો એવી રીતે આત્માના સ્વરૂપનું શ્રવણાદિક ર્ક્યું હોય તો આત્મસ્વરૂપનો એવી રીતે સાક્ષાત્કાર થાય, અને જો ભગવાનનો એવી રીતે શ્રવણ, મનન, નિદિધ્યાસ કર્યો હોય તો ભગવાનનો એવી રીતે સાક્ષાત્કાર થાય છે, પણ મનન ને નિદિધ્યાસ એ બે કર્યા વિના કેવળ શ્રવણે કરીને સાક્ષાત્કાર થતો નથી. અને જો ભગવાનના સ્વરૂપનું દર્શન કરીને તેનું મનન અને નિદિધ્યાસ તે ન કર્યો હોય તો લાખ વર્ષ સુધી દર્શન કરે તો પણ તે સ્વરૂપનો સાક્ષાત્કાર ન થાય, અને તે દર્શન તો કેવળ શ્રવણમાત્ર સરખું કહેવાય અને જેણે ભગવાનના અંગ અંગનું દર્શન કરીને પછી તે અંગ અંગનું મનન ને નિદિધ્યાસ તે કર્યો હશે, તો તે અંગ આજે સહેજે સાંભરી આવતું હશે. અને જે અંગનું દર્શનમાત્ર જ થયું હશે તો તે અંગને સંભારતો હશે. તો પણ નહિ સાંભરતું હોય, અને કેટલાક હરિભક્ત કહે છે જે, 'અમે મહારાજની મૂર્તિ ધ્યાનમાં બેસીને ઘણાય સંભારીએ છીએ તોપણ એકે અંગ ધાર્યામાં નથી આવતું તો સમગ્ર મૂર્તિ તો ક્યાંથી આવે ?'' તેનું પણ એજ કારણ છે જે ભગવાનની મૂર્તિનાં દર્શનમાત્રજ કરે છે પણ મનન ને નિદિધ્યાસ નથી કરતો. માટે કેમ ધાર્યામાં આવે ?કાં જે જે માયિક પદાર્થ છે તે પણ કેવળ દ્રષ્ટિ માત્ર દેખ્યું હોય ને કેવળ શ્રવણમાત્ર સાંભળ્યું હોય અને તેને જો મનમાં સંભારી ન રાખ્યું હોય તો તે વીસરી જાય છે, તો જે, અમાયિક ને દિવ્ય એવું જે ભગવાનનું સ્વરૂપ તે તો મનન ને નિદિધ્યાસ કર્યા વિના ક્યાંથી સાંભરે ? માટે ભગવાનનું દર્શન કરીને તથા વાર્તા સાંભળીને જો તેનું મનન ને નિદિધ્યાસ નિરંતર કર્યા કરે તો તેનો સાક્ષાત્કાર થાય, નહિતો આખી ઉંમર દર્શન શ્રવણ કરે તો પણ સાક્ષાત્કાર થાય નહિ. ઇતિ વચનામૃતમ્ ।।૩।। ૮૧ ।।
૧ છ ઘડી દિવસ બાકી હતો ત્યારે.
૨ ચંદન પુષ્પાદિક.