સંવત્ ૧૮૭૭ ના ફાગણ સુદિ ૪ ચોથને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રીપંચાળા મધ્યે ઝીણાભાઇના દરબારમાં ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન હતા ને મસ્તક ઉપર ધોળો ફેંટો બાંધ્યો હતો તથા ધોળો અંગરખો પહેર્યો હતો તથા ધોળો ખેસ પહેર્યો હતો તથા ધોળી પછેડી ઓઢી હતી અને માથાના ફેંટાનો પેચ જમણી કોરે છુટો હતો અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.
તે સમયમાં સંધ્યા આરતી થઇ રહી તે કેડે શ્રીજી મહારાજ તકીયા ઉપર વિરાજમાન થઇને બોલ્યા જે "અમે આ સર્વે મોટા પરમહંસ તથા મોટા હરિભક્તને પ્રશ્ન પુછીએ છીએ જે, "ભગવાનમાં હેત હોય તથા ધર્મમાં નિષ્ઠા હોય તો પણ જો વિચારને ન પામ્યો હોય તો અતિ સારા જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, અને ગંધ એ પંચવિષય તે જે તે અતિશય ભૂંડા જે શબ્દાદિક પંચવિષય તે સરખા થાય નહિ અથવા તેથી અતિશે ઉતરતા પણ થાય નહિ. માટે કયા વિચારને પામે ત્યારે અતિ સારા જે પંચવિષય તે અતિશે ભૂંડા જે પંચવિષય તે સરખા થઇ જાય અથવા તે કરતાં પણ અતિશે ભૂંડા થઇ જાય ? એ પ્રશ્ન સર્વે મોટેરા પરમહંસને તથા સર્વે મોટેરા હરિભક્તને અમે પુછીએ છીએ, તે જેણે જેવે વિચારે કરીને એ સારા પંચવિષયને ભૂંડા પંચવિષય જેવા જાણ્યા હોય અથવા ભૂંડાથી પણ અતિશે ભૂંડા જાણ્યા હોય તે જે પોતપોતાનો વિચાર તે કહો." પછી તે સર્વે પરમહંસે તથા સર્વે હરિભક્તે પોતપોતાનો વિચાર કહી દેખાડયો.
ત્યાર પછી શ્રીજી મહારાજ બોલ્યા જે, "તમારો સર્વેનો તો એ વિચાર સાંભળ્યો, પણ હવે અમે જે વિચાર કર્યો છે તે કહીએ છીએ. જેમ કોઇકનો કાગળ પરદેશથી આવ્યો હોય તે વાંચીને તેને કાગળના લખનારાની જેવી બુદ્ધિ હોય તેવી જણાઇ આવેછે તથા જેમ પાંચ પાંડવ, દ્રૌપદી, કુંતાજી તથા રૂક્મિણી, સત્યભામા, જાંબવતી આદિક ભગવાનની પટરાણીઓ તથા સાંબ જે ભગવાનનો પુત્ર, ઇત્યાદિક ભક્તોનાં રૂપ તથા વચન તે શાસ્ત્રમાં લખ્યાં છે. તે શાસ્ત્રને શ્રવણે કરીને તેમના રૂપનું પ્રમાણ તે દર્શન જેવું જ થાય છે તથા તેમનાં વચને કરીને તેમની બુદ્ધિનું પ્રમાણ થાય છે, તેમ પુરાણ ભારતાદિક ગ્રંથે કરીને એમ સાંભળ્યામાં આવે છે, જે ભગવાન જે તે આ જગતની જે ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય તેના કર્તા છે, ને સદા સાકાર છે અને જો સાકાર ન હોય તો તેને વિષે કર્તાપણું કહેવાય નહિ. અને જે અક્ષરબ્રહ્મ છે તે તો એ ભગવાનને રહેવાનું ધામ છે, એવા દિવ્ય મૂર્તિ પ્રકાશમય ને સુખરૂપ જે ભગવાન તે જે તે પ્રલયકાળે માયામાં કારણ શરીર સહિત લીન હતા જે જીવ તેમને ઉત્પત્તિ કાળે બુદ્ધિ, ઇંદ્રિયો, મન અને પ્રાણને આપે છે. તે શાને અર્થે આપે છે ? તો ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ જે વિષય તેના ભોગને અર્થે ને મોક્ષને અર્થે આપે છે. અને એ જીવોને અર્થે ભોગ ને ભોગોનાં સ્થાનક તે ભગવાને રચ્યાં છે; તેમાં જે ઉત્તમ પંચવિષય કર્યા છે તે ભૂંડા પંચવિષયના દુઃખની નિવૃત્તિને અર્થે કર્યા છે. જેમ કોઇક ભારે શાહુકાર હોય તે રસ્તાને બેય કોરે છાયાને અર્થે ઝાડ રોપાવે છે તથા પાણીની પરબ બંધાવે છે તથા સદાવ્રત કરાવે છે તથા ધર્મશાળા કરાવે છે તે ગરીબ સારૃં કરાવે છે, તેમ બ્રહ્મા, શિવ અને ઇન્દ્રાદિક દેવ છે તે તો એ ભગવાનની આગળ જેવાં સડતાળાના રાંક હોય ને પીપરની ટેટી બાફીને ખાતા હોય તે જેવા ગરીબ છે. તે બ્રહ્માદિક દેવ મનુષ્યના સુખને અર્થે ઉત્તમ એવા પંચવિષય તે ભગવાને રચ્યા છે. અને જેમ શાહુકારે સદાવ્રત ધર્મશાળાદિકમાં સુખ જેવાં રાંકને અર્થે રચ્યાં છે તે કરતાં તે શાહુકારના ઘરમાં સુખ તે અતિશે ઉત્તમ હશે એમ જણાય છે, તેમ એ ભગવાને બ્રહ્માદિકને અર્થે એવાં સુખ રચ્યાં છે તો પોતાના ધામમાં તો એ કરતાં અતિ ઉત્તમ સુખ હશે એમ બુદ્ધિવાળો હોય તેને જાણ્યામાં આવે છે. માટે એ ભગવાનના સુખનું અતિશેપણું બુદ્ધિવાનને જાણ્યામાં આવે છે, તેણે કરીને સારા વિષય તે ભૂંડા થઇ જાય છે. અને સંસારમાં જે પશુ, મનુષ્ય, દેવતા, ભૂત ઇત્યાદિક જ્યાં જ્યાં પંચવિષય સંબંધી સુખ જણાય છે, તે ધર્મે સહિત જે કિંચિત્ ભગવાનનો સંબંધ તેણે કરીને છે પણ પંડે ભગવાનમાં જેવું સુખ છે તેવું કોઇને વિષે નથી. જેમ આ મશાલ બળે છે તે મશાલને સમીપે જેવો પ્રકાશ છે તેવો થોડેક છેટે નથી. અને તેથી ઘણે છેટે તો મુળગો નથી. તેમ બીજે ઠેકાણે તો કિંચિત્ સુખ છે, અને સંપૂર્ણ સુખ તો ભગવાનના સમીપમાં રહ્યું છે. અને જેટલું ભગવાનથી છેટે થવાય છે તેટલા સુખમાં ન્યૂનતા થાય છે. માટે જે મુમુક્ષુ હોય તે પોતાના હૃદયમાં એમ વિચારે જે, 'જેટલું મારે ભગવાનથી છેટું થશે તેટલું દુઃખ થશે અને મહાદુઃખીયો થઇશ. અને થોડેક ભગવાનને સંબંધે કરીને એવું સુખ થાય છે.માટે મારે ભગવાનનો સંબંધ અતિશે રાખવો છે અને હું અતિ સંબંધ રાખીશ તો મારે ઉત્કૃષ્ટ સુખની પ્રાપ્તિ થશે' એમ વિચારીને અને ભગવાનના સુખનો લોભ રાખીને જેમ ભગવાનનો સંબંધ અતિશે રહે તેમ ઉપાય કરે, તેને બુદ્ધિવાન કહીએ. અને પશુના સુખથી મનુષ્યમાં અધિક સુખ છે, ને તે કરતાં રાજાનું સુખ અધિક છે, ને તેથી દેવતાનું સુખ અધિક છે, ને તેથી ઇન્દ્રનું અધિક છે. ને તેથી બૃહસ્પતિનું ને તેથી બ્રહ્માનું, ને તેથી વૈકુંઠલોકનું ને તેથી ગોલોકનું સુખ તે અધિક છે. અને તેથી ભગવાનના અક્ષરધામનું સુખ અતિ અધિક છે. એવી રીતે ભગવાનના સુખને અતિશે જાણીને બીજાં જે જે પંચવિષયનાં સુખ તેને વિષે બુદ્ધિવાનને તુચ્છતા થઇ જાય છે. અને તે ભગવાનના સુખ આગળ બ્રહ્માદિકનું સુખ તો જેવું ભારે ગૃહસ્થને બારણે કોઇક રાંક ઠીકરું લઇને માગવા આવ્યો હોય તેના જેવું છે. અને એ ભગવાનના ધામના સુખનો જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે સર્વે જે બીજાં સુખ તેથી ઉદાસ થઇને મનમાં એમ થાય છે જે, 'આ દેહ મુકીને એ સુખને ક્યારે પામીએ ? અને સ્વાભાવિકપણે પંચવિષયનું ગ્રહણ કરતા હોઇએ તેમાં તો કાંઇ ઝાઝો વિચાર થતો નથી, પણ જો તે વિષયમાં કાંઇક સારપ્ય મનાય છે ત્યારે તુરત એ ભગવાનના સુખમાં દૃષ્ટિ પુગી જાય છે, અને મન અતિ ઉદાસી થઇ જાય છે. અને આ જે સર્વે વાત છે તે જે બુદ્ધિવાળો હોય તેને જાણ્યામાં આવેછે. માટે બુદ્ધિવાળા ઉપર અમારે હેત છે, કેમ જે અમે બુદ્ધિવાળા છીએ તો એવી રીતે અમારી દૃષ્ટિ પુગે છે. માટે બુદ્ધિવાળો જે હોય તેની પણ દૃષ્ટિ પુગે ખરી, અને આવી રીતે અમારો વિચાર તે તમારા સર્વેના વિચાર કરતાં અમને અધિક જણાયો છે તે સારૃં અમારા વિચારને અતિ દૃઢપણે કરીને હૈયામાં સૌ રાખજો અને આ વિચાર વિના તો જો રમણીય પંચવિષયમાં વૃત્તિ ચોટી હોય તેને અતિ બળે કરીને ઉખાડે ત્યારે માંડ માંડ ઉખડે અને જો આ વિચારને પામ્યો હોય તો તે વૃત્તિને ખેંચ્યામાં લેશ માત્ર પ્રયાસ પડે નહિ. સહેજે જ વિષયની તુચ્છતા જણાઇ જાય છે. અને આ જે વાર્તા છે તે જેની ઝાઝી બુદ્ધિ હોય ને ઝાઝા સુખના લોભને ઇચ્છે તેને સમજાય છે. જેમ કોડી કરતાં પૈસામાં વધુ માલ છે, ને તેથી રૂપિયામાં વધુ માલ છે, ને તેથી સોનામહોરમાં વધુ માલ છે, ને તેથી ચિંતામણિમાં વધુ માલ છે. તેમ જ્યાં જ્યાં પંચવિષયનું સુખ છે તેથી ભગવાનના ધામમાં ભગવાનનું સુખ અતિ અધિક છે. માટે જે બુદ્ધિવાળો હોય ને જેની દૃષ્ટિ પુગે તેને આ વિચાર હૃદયમાં ઠરે છે. અને આ વિચાર જેના હૃદયમાં દ્રઢ ઠર્યો હોય ને તે વનમાં બેઠો હોય તો પોતાને એમ જાણે જે, હું અનંત માણસ તથા રાજ્ય સમૃદ્ધિએ વિટાણો છું એમ સમજે પણ દુઃખીયો ન માને, અને ઇન્દ્રના લોકમાં હોય તો જાણે જે, વનમાં બેઠો છું, પણ તે ઇન્દ્રના લોકના સુખે કરીને સુખીયો ન માને, તે સુખને તુચ્છ જાણે, તે સારૃં આ વિચારને રાખીને એમ સર્વે નિશ્ચય રાખજ્યો જે, હવે તો ભગવાનના ધામમાં જ ઠેઠ પુગવું છે. પણ વચમાં કોઇ ઠેકાણે તુચ્છ જે પંચવિષય સંબંધી સુખ તેમાં લોભાવું નથી. એવી રીતે સૌ દૃઢ નિશ્ચય રાખજ્યો. અને આ તો જે અમારો સિદ્ધાંત છે તે તમને સર્વેને કહ્યો છે, માટે દૃઢ કરીને રાખજ્યો." ઇતિ વચનામૃતમ્ ।।૧।। ।।૧૨૭।।