૧૩. દેહ દેહ પ્રત્યે જીવ જુદા છે. કર્માનુસારે પ્રભુ જુદા જુદા દેહ પમાડે છે.

સંવત્ ૧૮૭૬ના માગશર વદિ ૧ પડવાને દિવસ રાત્રિને સમે શ્રીજીમહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવ-નારાયણના મંદિરને સમીપે લીંબડાના વૃક્ષની હેઠે ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન હતા. અને રાતો સુરવાળ પહેર્યો હતો અને રાતી ડગલી પહેરી હતી અને માથે સોનેરી સેલું બાંધ્યું હતું અને કટીને વિષે સોનેરી શેલું બાંધ્યું હતું અને કંઠને વિષે મોતીની માળાઓ પહેરી હતી અને પાઘને વિષે મોતીના તોરા લટકતા મુક્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજને નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પુછયો જે "દેહ દેહ પ્રત્યે જીવ એક છે કે અનેક છે ? અને જો એક કહેશો તો વડ, પીંપર આદિક જે વૃક્ષ છે તેની ડાળખીઓ કાપીને બીજે ઠેકાણે રોપે છે ત્યારે તેવો ને તેવો જ વૃક્ષ થાય છે. એ તે એક જીવ બે પ્રકારે થયો કે બીજે જીવે પ્રવેશ કર્યો ? અને કહેશો જે એ તો એનો એ જીવ છે, તો જીવ તો અખંડ છે અને અચ્યુત છે તે કપાણો કેમ?" ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, લ્યો એનો ઉત્તર કરીએ જે, શ્રીકૃષ્ણ ભગવાન છે તેની પુરૂષ અને પ્રકૃતિ એ બે શક્તિઓ છે. તે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય તેનું કારણ છે. તે પુરૂષને પ્રકૃતિરૂપ જે પોતાની બે શક્તિઓ તેનું ગ્રહણ કરીને પોતે વિરાટરૂપને ધારતા હવા. અને વિરાટરૂપ જે એ ભગવાન તે પ્રથમ બ્રાહ્મકલ્પને વિષે તો પોતાના અંગ થકી બ્રહ્માદિક સ્તંબ પર્યંત સમગ્ર જીવને સૃજતા હવા. અને પાદ્મકલ્પને વિષે તો એ ભગવાન બ્રહ્મારૂપે કરીને મરિચ્યાદિકને સૃજતા હવા. અને કશ્યપ અને દક્ષરૂપે કરીને દેવ, દૈત્ય, મનુષ્ય અને પશુપક્ષ્યાદિક સમગ્ર સ્થાવર જંગમ જે જીવ તેને સૃજતા હવા. એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તે પુરૂષપ્રકૃતિરૂપ જે પોતાની શકિત તેણે સહિત થકા જીવ જીવ પ્રત્યે અંતર્યામીરૂપે રહ્યા છે અને જીવે જેવાં કર્મ કર્યાં છે તે જીવને તેવા દેહને પમાડેછે. અને તે જીવ છે તેણે પૂર્વજન્મને વિષે કેટલાંક કર્મ તો સત્ત્વગુણ પ્રધાનપણે કરીને કર્યાં છે અને કેટલાંક કર્મ તો રજોગુણ પ્રધાનપણે કરીને કર્યાં છે અને કેટલાંક કર્મ તો તમોગુણ પ્રધાનપણે કરીને કર્યાં છે; તે કર્મને અનુસારે એ જીવને ભગવાન જે તે ઉદ્બિજ જાતિના જે દેહ, જરાયુજ જાતિના જે દેહ, સ્વેદજ જાતિના જે દેહ અને અંડજ જાતિના જે દેહ, તેને પમાડે છે અને સુખદુઃખરૂપ જે કર્મનાં ફળ તેને પમાડે છે. અને તે જીવના કર્મને અનુસારે તેના દેહ થકી બીજા દેહને સૃજે છે. જેમ "કશ્યપાદિક પ્રજાપતિના દેહ થકી અનેક જાતિના દેહને સૃજતા હવા" તેમ એના એ ભગવાન અંતર્યામીરૂપે કરીને સમગ્ર જીવ જીવ પ્રત્યે રહ્યા થકા જે દેહ થકી જેમ ઉપજ્યાની રીતિ હોય તેમ બીજા દેહને ઉપજાવે છે. પણ જે જીવ થકી બીજા દેહને ઉપજાવે છે તે જીવજ અનેક રૂપે થાય એમ નથી. એ તો જે જીવને જેના દેહ થકી ઉપજ્યાનો કર્મ સંબંધ પ્રાપ્ત થયો હોય તે જીવને તે દ્વારાએ ઉપજાવે છે. ઇતિ વચનામૃતમ્ ।।૧૩।।

૧ વૃક્ષ લતા આદિક.
૨ મનુષ્ય પશુ આદિક.
૩ માંકણ ચાંચળ આદિક.
૪ પક્ષી સર્પ આદિક.