સંવત્ ૧૮૭૬ના માગશર સુદિ ૧૪ ચૌદશને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.
પછી બ્રહ્માનંદ સ્વામીએ પુછયું જે, "હે મહારાજ ! વાસનાનું શું રૂપ છે ?" ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે, "પૂર્વે જે વિષય ભોગવ્યા હોય, દીઠા હોય અને સાંભળ્યા હોય તેની જે અંતઃકરણને વિષે ઇચ્છા વર્તે તેને વાસના કહીએ અને વળી જે વિષય ભોગવ્યામાં ન આવ્યા હોય, તેની જે અંતઃકરણને વિષે ઇચ્છા વર્તે તેને પણ વાસના કહીએ."
ત્યારે મુક્તાનંદ સ્વામીએ પુછયું જે, "હે મહારાજ ! ભગવાનનો એકાંતિક ભક્ત કેને કહીએ ?'' ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે, "જેને ભગવાન વિના બીજી કોઇ વાસના ન હોય અને પોતાને બ્રહ્મરૂપ માનીને ભગવાનની ભક્તિ કરતો હોય તે એકાંતિક ભક્ત કહેવાય." ઇતિ વચનામૃત. ।।૧૧।।