સંવત્ ૧૮૭૮ ના શ્રાવણ સુદિ પંચમીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર મેડીની ઓસરીએ વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી, ને પરમહંસ દુકડ, સરોદા, સતાર વજાડીને મલાર રાગનાં કીર્તન ગાતા હતા.
પછી શ્રીજીમહારાજે કહ્યું જે, "કીર્તન ગાવવાં રહેવા દ્યો, હવે તો પરમેશ્વરની વાર્તા કરીએ." પછી પરમહંસે કહ્યું જે, 'સારૃં મહારાજ !' પછી શ્રીજી મહારાજે પ્રશ્ન કર્યો જે, "શાસ્ત્રમાં કહ્યા એવા ધર્મ પાળતો હોય, ને ભગવાનની ભક્તિ પણ કરતો હોય, ને તેને એવો આપત્કાળ આવે જે ભક્તિ રાખવા જાય તો ધર્મ જાય, ને ધર્મ રાખવા જાય તો ભક્તિ જાય, ત્યારે કેને રાખવો ને કેનો ત્યાગ કરવો૧ ?" પછી બ્રહ્માનંદ સ્વામી બોલ્યા જે, "જો ભગવાન ભક્તિ રાખ્યે રાજી હોય, તો ભક્તિ રાખવી અને જો ધર્મ રાખ્યે રાજી હોય, તો ધર્મ રાખવો." ત્યારે શ્રીજી મહારાજે કહ્યું જે, "જેને પ્રગટ ભગવાન મળ્યા હોય, તેને તો જેમ ભગવાન રાજી હોય તેમજ કરવું એ ઠીક છે. પણ જ્યારે ભગવાનનું પરોક્ષપણું હોય, ત્યારે ૨કેમ કરવું ?" પછી મુક્તાનંદ સ્વામી એનો ઉત્તર કરવા લાગ્યા પણ થયો નહિ. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે, "જ્યારે ભગવાન પરોક્ષ હોય, ને આપત્કાળ પડે, ને કોઇ ન રહે, ત્યારે તો ભગવાનનું એક અખંડ ચિંતવન કરવું, તો એ ભગવાનના માર્ગ થકી પડે નહિ." ૩ પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પુછયો જે, "જે ભગવાનનો મહિમા અતિશે સમઝતો હોય તેણે કરીને એમ જાણે જે, ગમે તેટલાં પાપ કર્યાં હોય ને જો ભગવાનનું એક નામ લીધું હોય તો સર્વે પાપ બળીને ભસ્મ થઇ જાય. એવું માહાત્મ્ય સમજતો હોય તેણે કેવી રીતે સમજે ત્યારે ધર્મમાંથી ડગાય નહિ ?" પછી મુક્તાનંદ સ્વામીએ એ પ્રશ્નનો ઉત્તર કરવા માંડયો પણ થયો નહિ.૩ પછી શ્રીજી મહારાજ બોલ્યા જે,"જે ભગવાનનો મહિમા અતિશે જાણતો હોય, તેને તો આવી રીતે સમજાય ત્યારે ધર્મમાં રહેવાય જે, 'મારે તો અખંડ ભગવાનનું ચિંતવન કરીને એકાંતિક ભક્ત થવું છે,૪ અને જો કામ, ક્રોધ, લોભાદિક વિકારને વિષે મારી વૃત્તિ જશે તો મારે ભગવાનના ચિંતવનમાં એટલો વિક્ષેપ થશે, એમ જાણીને કુમાર્ગ થકી અતિશે ડરતો રહે, અને અધર્મને વિષે કોઇ કાળે પ્રવર્તેજ નહિ' એવી રીતે સમજે તો ભગવાનનું માહાત્મ્ય અતિશે સમજતો હોય તો પણ ધર્મમાંથી કોઇ કાળે પડેજ નહિ. ૫અને ભગવાનનું જે અખંડ ચિંતવન થવું, તે કાંઇ થોડી વાત નથી. ભગવાનનું ચિંતવન કરતાં કરતાં જો દેહ મુકે તો તે અતિ મોટી પદવીને પામે છે."
પછી બ્રહ્માનંદ સ્વામીએ પુછયું જે, "એમ જાણીએ છીએ તો પણ અખંડ ચિંતવન રહેતું નથી એનું શું કારણ છે ?" પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, એક તો અખંડ ચિંતવન થાય એવી શ્રદ્ધા જોઇએ અને જ્યારે એવી શ્રદ્ધા ન હોય, ત્યારે તેટલું માહાત્મ્ય જાણ્યામાં પણ ઓછપ છે. અને જ્યારે માહાત્મ્ય જાણ્યામાં ઓછપ છે, ત્યારે ભગવાનના સ્વરૂપના નિશ્ચયમાં પણ તેટલી ઓછપ છે. માટે જો ભગવાનના સ્વરૂપનું માહાત્મ્ય તથા શ્રદ્ધા હોય તો અખંડ ચિંતવન થાય. તે માહાત્મ્ય એમ જાણવું જે, 'ભગવાન તો ૬જેવા પ્રકૃતિપુરૂષથકી પર છે તેવા ને તેવા પ્રકૃતિપુરૂષમાં આવ્યા છે, તો પણ પ્રતાપે યુક્ત છે. અને પ્રકૃતિપુરૂષનું કાર્ય જે બ્રહ્માંડ તેને વિષે આવ્યા છે તો પણ ભગવાન તેવાને તેવા પ્રતાપે યુક્ત છે. પણ ભગવાનની મૂર્તિને વિષે કોઇ રીતે માયાનો લેશ અડતો નથી. જેમ અન્ય ધાતુ છે ને સોનું પણ છે તેને ભેળાં કરીને પૃથ્વીમાં દાટે તો સોનાં વિના અન્ય ધાતુ છે. તે સર્વે ઘણે કાળે કરીને ધૂળ ભેગાં ધૂળ થઇ જાય. અને સોનું હોય તેતો જેમ પૃથ્વીમાં રહે તેમ વૃદ્ધિ પામે પણ ઘટે નહિ. તેમ ભગવાન અને બીજા જે બ્રહ્માદિક દેવ તથા મુનિ તે કાંઇ સરખા નથી. કેમ જે, જ્યારે વિષયરૂપી ધૂળનો યોગ થાય, ત્યારે ભગવાન વિના બીજા ગમે તેવા મોટા હોય તો પણ વિષયમાં એકરસ થઇ જાય; અને ભગવાન તો મનુષ્ય જેવા જણાતા હોય તો પણ એને માયિક પદાર્થ બાધ કરવાને સમર્થ થાય નહિ. અને ગમે તેવા વિષય હોય તો તેમાં કોઇ દિવસ લોપાય નહિ. એવું ભગવાનનું અલૌકિક સામર્થ્ય છે.' એમ ભગવાનનું માહાત્મ્ય જાણે તો તેને ભગવાનનું અખંડ ચિંતવન થાય. અને જ્યાં સુધી વિષયનો લીધો લેવાય ત્યાં સુધી એ ભક્તે ભગવાનનો અલૌકિક મહિમા જાણ્યો જ નથી. અને જો ઉદ્ધવજી હતા તેને ભગવાને એમ કહ્યું જે, 'હે ઉદ્ધવ ! હું થકી અણુમાત્ર ન્યૂન નથી. તે શા માટે, જે ઉદ્ધવજીએ અલૌકિક ભગવાનનું માહાત્મ્ય જાણ્યું હતું ને પંચ વિષયના લીધા લેવાતા નોતા. અને જેને ભગવાનનો મહિમા સમજાય છે. તેને રાજ્ય હોય અથવા ભીખમાગી ખાય તે બેય સરખું વર્તે. અને બાળક સ્ત્રી, સોળવર્ષની સ્ત્રી અને એંશી વર્ષની સ્ત્રી તે સર્વેમાં સરખો ભાવ વર્તે. અને જે જે સંસારમાં સારૃં નરસું પદાર્થ હોય તે સર્વમાં સરખી ભાવના રહે. પણ સારાં પદાર્થમાં પતંગીયાંની પેઠે અંજાઇ જાય નહિ. અને ભગવાન વિના બીજા કોઇ પદાર્થમાં લોભાય નહિ, એક ભગવાનની મૂર્તિમાંજ લોભાય. અને એવી રીતે જે વર્તતો હોય તે ભક્ત ગમે તેવા મોટા વિષય હોય તેમાં બંધાય નહિ. અને જો એવો મર્મ ન સમજાયો હોય, તો ફાટી લંગોટી તથા તુંબડી તેમાંથી પણ મનને ઉખેડવું મહા મુશ્કેલ છે. માટે આવી રીતે ભગવાનની મૂર્તિનું માહાત્મ્ય જાણ્યા વિના બીજાં કોટી સાધન કરે, તો પણ ભગવાનની મૂર્તિનું અખંડ ચિંતવન થતું નથી, અને જે ભગવાનના સ્વરૂપનો મહિમા જાણે છે તેનેજ ભગવાનનું અખંડ ચિંતવન થાય છે. ઇતિ વચનામૃતમ્ ।।૪।। ।।૧૩૭।।
૧ ધર્મ જ્ઞાાન વૈરાગ્ય અને ભક્તિથી ભગવાનની એકાંતિકતા થાય છે તેમાં જ્ઞાાન-વૈરાગ્યમાં અંતઃ સાધનની અપેક્ષા છે માટે વિષમ દેશ કાળાદિકથી પણ તેની નિવૃત્તિનો ભય નથી, શ્રવણાદિ ભક્તિ અને ધર્મનો બાહ્ય સાધનની અપેક્ષા છે માટે દેશકાળાદિકની વિષમતા થયે સતે ધર્મનો ત્યાગ કરીને ભક્તિ રાખવી કે ધર્મને રાખીને ભક્તિનો ત્યાગ કરવો આમાં શું યોગ્ય છે તે કહો? આટલું પ્રશ્નનું તાત્પર્ય છે.
૨. બેને મધ્યે કેનો ત્યાગ કરવો અને કેને રાખવું ?.
૩. ભક્તિ અને ધર્મનું સાહચર્ય હોવાથી તેમાંથી એકનો લોપ થાય તો બન્નેનો લોપ થવાનો સંભવછે માટે ઉપરથી તે બન્નેનો ત્યાગ કરવા પૂર્વક અંતરમાં તે બે ભગવાનના ચિંતવનદ્વારા રાખવાં, જે સર્વથા અખંડ ભગવાનનું ચિંતવન કરે છે તેણે ભક્તિ ધર્મ બન્નેને રાખ્યા છે એમાં લેશમાત્ર સંશય નથી, કેમકે ભગવાનની મૂર્તિ ધર્મભક્તિના આધારરૃપ છે માટે ભગવાનનાં એકાગ્રપણે કરેલા ચિંતવનથી બન્નેનું રક્ષણ સંભવે છે, આવો ભાવાર્થ સમઝવો.
૪. તેમાં ધર્માદિકજ ચાર હેતુઓ છે, તેમાં ધર્મ મુખ્ય છે તે ધર્મ ભગવાનને અતિપ્રિય છે, કેમકે ભગવાન ધર્મરક્ષણ માટેજ યુગ યુગમાં પ્રકટ થાય છે અને ધર્મદ્રોહિઓનો નાશ કરે છે. ભગવાનને ધર્મ પ્રિય છે માટે મારે ધર્મમાંજ રહેવું.
૫ અને અંતે ભગવાનના ધામને પામે.
૬ સ્વતંત્ર છે તથા નિર્વિકાર છે અને.