અધ્યાય - ૭૦- ભગવાન શ્રીહરિએ કહેલા પ્રાણ, ઇન્દ્રિયો અને અવસ્થાનાં ગુણરૂપ લક્ષણો.

ભગવાન શ્રીહરિએ કહેલા પ્રાણ, ઇન્દ્રિયો અને અવસ્થાનાં ગુણરૃપ લક્ષણો. દશ ઇન્દ્રિયોનાં લક્ષણો.

श्रीनारायणमुनिरुवाच - 

स्थावरा जङ्गमा जीवास्तेषां स्थानानि वृत्तयः । वैराजाद्ब्राह्मणः सर्गकाले यान्ति समुद्बवम् ।। १ 

जीवा ये यानि कर्माणि प्राक्सृष्टयां प्रतिपेदिरे । तान्येव प्रतिपद्यन्ते सृज्यमानाः पुनः पुनः ।। २ 

सुकृतं दुष्कृतं वापि मिश्रं वा त्रिगुणात्मकम् । भुक्तावशिष्टं यत्कर्म तदेवादौ प्रपद्यते ।। ३ 

तत्तत्कर्मानुसारेण देहं बुद्धिं च जीविकाम् । स्थानं चाप्नोति तत्तस्य रोचते नात्र संशयः ।। ४ 

इत्थं कर्मवशा जीवाः पुनः कर्माणि कुर्वते । तेषां स्थूलास्तु ये देहास्ते ज्ञोयाः पाञ्चभौतिकाः ।। ५

भूतानि पञ्च चान्योन्यं मिलितानि हरीच्छया । तेभ्यो जातास्तु ये देहास्ते सर्वे पाञ्चभौतिकाः ।। ६ 

ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે નિત્યાનંદ મુનિ ! વૃક્ષાદિ સ્થાવર તેમજ મનુષ્ય, પશુ આદિ જંગમ જીવો તથા તેમના સ્થાન અને આજીવિકા, સૃષ્ટિ સમે સમાધિદ્વારા વૈરાજપુરુષની સાથે એકતા પામેલા બ્રહ્માજી થકી ઉત્પન્ન થાય છે.૧ 

જે જીવે પૂર્વ સૃષ્ટિમાં જે કર્મો કરેલાં હોય છે, તે જીવો આ કલ્પમાં બ્રહ્માજી થકી જન્મ પામ્યા પછી ફરી તેજ કર્મો કરવા લાગે છે.૨ 

તેની જરા વિસ્તારથી વાત કરું તો પૂર્વ કલ્પમાં કર્મો ભોગવતાં ભોગવતાં પ્રલય આવી જવાથી બાકી રહી ગયેલાં સુકૃત, દુષ્કૃત અથવા મિશ્ર એવાં ત્રિગુણાત્મક જે કર્મો હતાં, તે જ કર્મો જન્મતાં વેંત જીવો તત્કાળ પ્રાપ્ત કરે છે.૩ 

તે કર્મોને અનુસારે જ તેમને દેહ, બુદ્ધિ, આજીવિકા અને ભોગનાં સ્થાન પ્રાપ્ત થાય છે. અને તે બધુ તેને રુચિકર પણ લાગે છે, તેમાં કોઇ સંશય નથી.૪ 

હે મુનિવર્ય ! આ પ્રમાણે કર્મને વશ જીવો ફરી તેવા જ કર્મો કરવા લાગે છે. તે જીવોનાં સ્થૂળ શરીરો પંચભૂતથી ઉત્પન્ન થયેલાં જાણવા.૫ 

પંચભૂતોનું હરિઇચ્છાથી પરસ્પર મિલન થાય છે. ત્યારે તેમાંથી ઉત્પન્ન થયેલા સર્વે શરીરોને પણ પાંચભૌતિક શરીરો કહેવાય છે.૬ 

प्रधानं तु महाभूतमेकं सर्ववपुष्ष्वपि । चत्वार्यन्यानि भूतानि गौणानि तु भवन्ति हि ।। ७ 

पृथ्वीतत्त्वं प्रधानं च यत्र तत्रापराणि तु । सन्त्यव्यक्तानि चत्वारि जलं तेजो मरुन्नभः ।। ८ 

जलतत्त्वं प्रधानं च यत्र तत्रापराणि तु । सन्त्यव्यक्तानि चत्वारि पृथ्वी तेजो मरुन्नभः ।। ९ 

तेजस्तत्त्वं प्रधानं च यत्र तत्रापराणि तु । सन्त्यव्यक्तानि चत्वारि पृथ्वी तोयं मरुन्नभः ।। १०

वायुतत्त्वं प्रधानं च यत्र तत्रापराणि तु । सन्त्यव्यक्तानि चत्वारि पृथ्व्यम्भस्तेजसी नभः ।। ११

नभस्तत्त्वं प्रधानं च यत्र तत्रापराणि तु । सन्त्यव्यक्तानि चत्वारि पृथ्व्यम्भस्तेजसी मरुत् ।। १२ 

जीवानां यादृशा देहास्तेषां लोकाश्च तादृशाः । तादृशा एव तेषां च भोगाः सर्वेऽपि सन्ति वै ।। १३ 

मुख्यभूतधरा देहाः स्थावरा जङ्गमा इह । मुख्यभृताम्बवो देहा जीवानां सन्ति वारिणि ।। १४ 

ये देवलोके देहाश्च तेजोमुख्या भवन्ति ते । देहाः प्रधानमरुतो वायुलोके वसन्ति च ।। १५ 

देहास्तु मुख्यवियतो भ्रमन्त्याकाश एव हि । कर्मास्ति यादृशं यस्य स तादृग्लभते वपुः ।। १६ 

હે મુનિવર્ય ! સર્વે પ્રાણીઓના દેહમાં એક મહાભૂત પ્રધાન હોય છે. ને બાકીના ચારભૂત ગૌણ હોય છે.૭ 

તેમાં જ્યારે જે શરીરમાં પૃથ્વી તત્ત્વ પ્રધાન હોય તે શરીરમાં જળ, તેજ, વાયુ અને આકાશ એ ચાર તત્ત્વો ગૌણ હોય છે.૮ 

તથા જેમાં જળતત્ત્વ પ્રધાન હોય તેમાં પૃથ્વી, તેજ, વાયુ અને આકાશ આ ચાર ભૂતો અવ્યક્ત હોય છે.૧૦ 

તેમ જ જેમાં તેજ તત્ત્વ પ્રધાન હોય તેમાં પૃથ્વી આદિ ચારભૂતો અવ્યક્ત હોય છે.૧૧ 

તેવી જ રીતે જેમાં વાયુ તત્ત્વ પ્રધાન હોય તેમાં બીજા ચાર તત્ત્વો અવ્યક્ત હોય છે. અને જેમાં આકાશ તત્ત્વ પ્રધાન હોય તેમાં ચાર અન્ય ભૂતો અવ્યક્ત-ગૌણ હોય છે.૧૨ 

જે જીવાત્માઓના જેવા દેહો, તેને અનુસાર તેવા લોક પણ હોય છે. અને તેમના સર્વે વૈભવો, ભોગ પણ તેને અનુરૂપ જ હોય છે.૧૩ 

જેમ કે, પૃથ્વી તત્ત્વ જે જીવાત્માઓના દેહોમાં મુખ્ય હોય તેવા સ્થાવર, જંગમ શરીરો આ પૃથ્વીપર રહે છે, અને જે જીવાત્માઓના શરીરો જળતત્ત્વ પ્રધાન હોય તે વરુણ લોકમાં રહે છે.૧૪ 

દેવોના સ્વર્ગલોકમાં જે જીવોના દેહો રહેલા છે, તે તેજતત્ત્વપ્રધાન છે, ને વાયુપ્રધાન શરીરવાળા જીવો વાયુલોકમાં રહે છે.૧૫ 

અને જે જીવોના આકાશતત્ત્વ પ્રધાન શરીરો હોય તે જીવો આકાશમાં ભમે છે. આવા જુદી જુદી પ્રકારના દેહો પ્રાપ્ત થવાનું કારણ એ છે કે, જે જીવનાં જેવાં કર્મ હોય તે જીવને તેવું શરીર પ્રાપ્ત થાય છે.૧૬ 

अन्योन्यमिश्रभूतानां विकाराः पञ्च पञ्चधा । पाञ्चभौतिकदेहेषु ज्ञोयाः सर्वत्र युक्तिभिः ।। १७ 

तत्र त्वङमां समज्जास्थिस्नय्विति क्ष्मास्ति पञ्चधा । श्लेष्मा पित्तं वसा स्वेदो रक्तं चेत्म्बु पञ्चधा ।। १८ 

चक्षू रुट् जाठरः शुक्रमूष्मा तेजो हि पञ्चधा । प्राणोऽपानो व्यानोदानौ समानः पञ्चधा मरुत् ।। १९

श्रोत्रं घ्राणो मुखं कोष्ठं हृदयं पञ्चधेति खम् । इत्थं विकारा भूतानां देहे स्युः पञ्चविंशतिः ।। २०

देहोऽयं स्थूलसंज्ञोऽस्ति मलमूत्रमयोऽशुचिः । सम्बन्धाज्जीवसत्तायास्तस्मिन्प्रेमाऽस्ति देहिनाम् ।। २१ 

સ્થૂલ શરીરનું વિવરણ :- શ્રીવાસુદેવ ભગવાનની ઇચ્છાથી પરસ્પર ભેળા મળેલા પંચમહાભૂતોના પાંચ પ્રકારના વિકારો સર્વે પાંચભૌતિક શરીરોને વિષે જોવા મળે છે. તેને યુક્તિથી જાણવા.૧૭ 

તે શરીરમાં ચામડી, માંસ, મજ્જા, અસ્થિ અને સ્નાયુ આ પાંચ વિકારો પૃથ્વીના છે. કફ, પિત્ત, વસા-માંસનો ચિકાશ, પરસેવો અને રૂધિર આ પાંચ વિકારો જળના છે.૧૮ 

ચક્ષુ, ક્રોધ, જઠરાનલ વીર્ય, ને ઉષ્ણતા-ગરમી, આ પાંચ વિકારો તેજના છે. પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન આ પંચપ્રાણ તે વાયુના વિકારો છે.૧૯ 

શ્રોત્ર, ઘ્રાણ, મુખ, અન્નકોષ્ટ અને હૃદય આ પાંચ વિકારો આકાશના છે. આ પ્રમાણે પંચમહાભૂતોના પચીશ વિકારો શરીરમાં રહેલા છે.૨૦ 

આવા પચીશ વિકારવાળા શરીરને સ્થૂલ શરીર કહેવામાં આવે છે, તે મળ-મૂત્રથી ભરેલું અપવિત્ર છે. છતાં તેમાં સર્વેને સ્નેહ થાય છે, તેનું કારણ જીવ સત્તાનો સંબંધ છે. જીવ જાય પછી તો કોઇ સ્નેહ કરતું નથી.૨૧ 

स्थूलदेहस्य मध्येऽस्ति जीवस्यान्यत्कलेवरम् । प्राणेन्द्रियमनोबुद्धिसङ्घातः सूक्ष्मसंज्ञिातम् ।। २२ 

एकः प्राणो वृत्तिभेदात्प्रोक्तः पञ्चविधः किल । प्राणोऽपानो व्यानोदानौ समान इति नामभिः ।। २३ 

नागः कूर्मश्च कृकलो देवदत्तो धनञ्जयः । इत्यन्ये तस्य भेदास्तु सन्त्येतेष्वेव सङ्गताः ।। २४ 

हृदि प्राणो गुदेऽपानः समानो नाभिमण्डले । उदानः कण्ठदेशस्थो व्यानः सर्वशरीरगः ।। २५ 

प्राणः प्राग्गतिमाञ्ज्ञोयोऽपानोऽधोगतिरुच्यते । भुक्तपीतान्नतोयादेः समानः साम्यकृन्मतः ।। २६ 

उदान उत्क्रमणकृद्व्यानः सर्वाङ्गचेष्टनः । नाग उग्दारकृत्कूर्म उन्मीलनकरः स्मृतः ।। २७ 

कृकलः क्षुत्करो देवदत्तो जृम्भणकृत्तथा । धनञ्जयः पोषणकृत्प्रोक्तः साङ्खयविशारदै ।। २८ 

देवदत्तो मतः प्राणेऽपाने तु कृकलः स्मृतः । धनञ्जयः समाने च कूर्मो व्याने स्थितः खलु ।। २९ 

उदानेऽन्तर्हितो नाग इति पञ्चविधो ह्यसुः ।इन्द्रियाणि दशोक्तानि ब्रुवे तल्लक्षणान्यपि ।। ३०

સૂક્ષ્મ શરીરનું વિવરણ :- જીવાત્માના આ સ્થૂલ શરીરને મધ્યે પંચપ્રાણ, દશ ઇન્દ્રિયો તથા મન અને બુદ્ધિનો જે સમૂહ તેને બીજું સૂક્ષ્મ શરીર કહેલું છે.૨૨ 

આ સૂક્ષ્મ શરીરના તત્ત્વોનું વિવરણ કરીએ, તેમાં પ્રથમ પ્રાણનું વિવરણ કરીએ શરીરમાં એક જ પ્રાણ છે તે ક્રિયાના ભેદથી પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન, આમ પાંચ નામથી કહેવાય છે.૨૩ 

તેવી જ રીતે નાગ, કૂર્મ, કુકલ, દેવદત્ત, ધનંજય, આ પ્રકારના પાંચ અન્ય ભેદો રહેલા છે, તે પ્રાણાદિ પાંચને વિષે સાથે મળીને રહેલા છે.૨૪ 

તેમાં પ્રાણ હૃદયમાં રહેલો છે, અપાન ગુદામાં, સમાન નાભિમા, ઉદાન કંઠપ્રદેશમાં અને વ્યાન આખા શરીરમાં રહેલો છે.૨૫ 

શ્વાસોશ્વાસના રૂપમાં આગળ ગતિ કરતો વાયુ પ્રાણ જાણવો. મળ મૂત્રના વિસર્જનમાં નીચે ગતિ કરતો વાયુ ''અપાન'' જાણવો. ખાધેલા અન્નને અને પીધેલા જળાદિકને પોતપોતાના માર્ગ પ્રત્યે લઇ જતો વાયુ ''સમાન'' કહેવાય છે. એક દેહમાંથી બીજા દેહમાં ગતિ કરાવવામાં ઉત્ક્રાંતિ કરાવનારો વાયુ 'ઉદાન' કહેલો છે. અને નખથી શિખા પર્યંત આખા શરીરમાં અવયવોને ચેષ્ટા કરાવતો વ્યાન કહેલો છે, ઓડકાર ખાવાની ક્રિયા કરાવનારો વાયુ 'નાગ' કહેલો છે.નેત્રોને વાયુ મિલન-ઉન્મૂલન કરાવનારો વાયુ 'કુર્મ'કહેલો છે.૨૭ 

ભૂખને ઉઘાડનારો વાયુ'કુકલ' કહેલો છે. બગાસું ખાવાની ક્રિયા કરાવનારો વાયુ 'દેવદત્ત' કહેલો છે, તથા શરીરનું પોષણ કરવામાં ઉપકાર વાયુ 'ધનંજય' કહેલો છે. આવો સાંખ્ય વિશારદોનો મત છે.૨૮ 

દેવદત્ત નામનો વાયુ પ્રાણમાં અંતર્લીન થઇને રહેલો છે. કુકલ વાયુ અપાનમાં, ધનંજય વાયુ સમાનમાં, કૂર્મવાયુ વ્યાનમાં અને નાગ વાયુ ઉદાનમાં અંતર્લીન થઇને રહેલો છે. આ પ્રમાણે પાંચ પ્રકારના પ્રાણ કહ્યા તેમજ દશ ઇન્દ્રિયોની વ્યાખ્યા પણ પૂર્વ અધ્યાયમાં જણાવીને હવે તેના લક્ષણો કહીએ છીએ.૨૯-૩૦ 

श्रूयते येन तच्छ्रोत्रं सा च त्वक्त्वच्यते यया । चक्ष्यते येन तच्चक्षुर्जिह्वा लेढि यया रसम् ।। ३१

घ्रायते येन तद्घ्राणमुच्यते वाग्यया वचः । पण्यते येन पाणिः स पादो येन च पद्यते ।। ३२

तग्दुदं गूयते येन मेढ्रं मेहति येन च । करणानि दशैतानि बाह्यानि कथितानि वै ।। ३३ 

मनोऽन्तःकरणं प्रोक्तं बुद्धिश्चापि तथाविधा । अहङ्कारस्तथा चित्तमित्यपि द्वयमिष्यते ।। ३४ 

मनोबुद्धयोरभेदं च केचिदिच्छन्ति पण्डिताः । मनसा संशयं जीवो बुद्धया चाप्नोति निश्चयम् ।। ३५ 

अन्तर्गते मनोबुद्धयोर्ज्ञोयेऽहंकृतिचेतसी । अहन्तां चेतनां चाहङ्कारेणाप्नोति चेतसा ।। ३६ 

एतत्सूक्ष्मं वपुः प्रोक्तं वपुषोः स्थूलसूक्ष्मयोः । अन्योन्याश्रय एवास्ति सूक्ष्मस्यान्तश्च कारणम् ।। ३७ 

तच्चाविद्यामयं प्रोक्तं युक्तं सच्चितकर्मभिः । बन्धेनानादिना तेन जीवस्त्वग्बीजवद्वृतः ।। ३८

यथा भूमेश्च गन्धस्य न भावो व्यतिरेकतः । तथा कारणदेहस्य जीवस्य न पृथक्स्थितिः ।। ३९ 

દશ ઇન્દ્રિયોનાં લક્ષણો :- જે કર્ણના માધ્યમથી શબ્દ સાંભળી શકાય તેને શ્રોત્ર કહેવાય છે. જેનાથી સ્પર્શનો અનુભવ કરી શકાય તેને ત્વક્-ચામડી કહેવાય છે. જેના માધ્યમથી જીવ રૂપ નિહાળી શકે તેને નેત્ર કહેવાય છે. જેના વડે જીવ રસનો સ્વાદ માણી શકે તેને જીહ્વા કહેવાય છે.૩૧ 

અને જેનાવડે ગંધ ગ્રહણ કરી શકે તેને નાસિકા કહેવાય છે. અને જેનાથી વચન બોલી શકાય તે ઇન્દ્રિયને વાક્, કહેલી છે. જેનાથી જીવ આદાન-પ્રદાનનો વ્યવહાર કરી શકે તેને પાણિ-હાથ, કહેવાય છે. જેના વડે આવાગમન કરી શકાય તે ઇન્દ્રિયને પાદ-પગ કહેલા છે.૩૨ 

જે ઇન્દ્રિયથી મળ વિસર્જન થાય તેને ગુદા કહેલી છે. અને જેનાથી મૂત્ર વિસર્જન થાય તેને ઉપસ્થ- શિશ્ન ઇન્દ્રિય કહેલી છે. આ દશે ઇન્દ્રિયોને બાહ્ય કરણ કહેવાય છે.૩૩ 

અને જે સૂક્ષ્મ શરીરમાં મન કહ્યું, તેને અંતઃકરણ કહેવાય છે. તેવી જ રીતે બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આ ત્રણને પણ અંતઃકરણ કહેવાય છે.૩૪ 

હે મુનિવર્ય ! કેટલાક પંડિતો મન અને બુદ્ધિને અભિન્ન કહે છે. જીવ મનથી સંશય અને બુદ્ધિથી નિશ્ચય કરે છે, તેથી તે ભિન્ન છે.૩૫ 

અહંકાર અને ચિત્તનો પણ મન અને બુદ્ધિમાં અંતર્ભાવ જાણવો. તેમાં અહંકારનો મનમાં અને ચિત્તનો બુદ્ધિમાં અંતર્ભાવ જાણવો. જીવ અહંકારથી દેહમાં હુંપણું ને ચિત્તથી ચેતના પ્રાપ્ત કરે છે.૩૬ 

આ પ્રમાણે પ્રાણ ઇન્દ્રિયો અને મન બુદ્ધિના સંઘાથવાળા સૂક્ષ્મ શરીરનું વિવેચન કર્યું. હવે સ્થૂળ અને સૂક્ષ્મ શરીર પરસ્પર એક બીજાના આધારે રહે છે. અને એ સૂક્ષ્મ શરીરની મધ્યે કારણ શરીર રહેલું છે.૩૭ 

તે અવિદ્યામય છે. અને સંચિત કર્મોથી યુક્ત કહ્યું છે. જેમ બીજ ત્વચાથી આવૃત છે. તેમ જીવ અનાદિ બંધનરૂપ તે કારણ શરીરથી આવૃત્ત છે. અહીં જીવ શબ્દ એક વચનમાં કહ્યો છે. તે જીવસમૂહનો જાતિવાચક છે. બાકી જીવોની કોઇ ગણના થઇ શકે નહિ.૩૮ 

જેમ ગંધ અને પૃથ્વી છૂટા પડતા નથી, તેમ જીવ અને કારણ શરીર છૂટા પડતા નથી. જ્યાં સુધી જીવ મુક્તદશાને પ્રાપ્ત ન કરે ત્યાં સુધી તે બન્ને અપૃથક્ રહે છે.૩૯ 

जाग्रत्स्वप्नं सुषुप्तिश्च तिस्रोऽमिश्रगुणात्मिकाः । अवस्था गुणसाङ्कर्यात्सन्ति मिश्राः परस्परम् ।। ४०

वैराजस्थित्यवस्थायाः कार्यं सत्त्वगुणात्मिका । नेत्रस्थानकृतावासाऽवस्था जाग्रदितीरिता ।। ४१ 

स्थूलदेहाभिमानेन विश्वसंज्ञास्य चात्मनः । बाह्यान्तःकरणैर्यत्र सविवेकं यथार्थतः ।। ४२ 

शब्दादिबाह्यविषयभोगः स्यात्पूर्वकर्मणाम् । अनुसारेण तत्सत्त्वप्रधानं जाग्रदुच्यते ।। ४३ 

अत्र चेद्विषयान्भ्रान्त्या भुे जीवोऽयथार्थतः । रजःप्रधानसत्त्वात्मजाग्रत्स्वप्नः स उच्यते ।। ४४ 

भुञ्जान एव विषयाञ्छब्दादीनपि जाग्रति । शोकश्रमादिना विद्याद्विवेकाभावतो न चेत् ।। ४५ 

तमःप्रधानसत्त्वात्मजाग्रत्सुप्तं तदुच्यते । वैश्वानरस्तु फलदो मुने ! जाग्रति कर्मणाम् ।। ४६ 

જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ આ ત્રણ અવસ્થાનું નિરૂપણ :- જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ આ ત્રણ અવસ્થા છે, તે પરસ્પર નહીં મળેલા સત્ત્વ, રજ અને તમ આ ત્રણ ગુણના કાર્યરૂપ છે. અને પરસ્પર મળી ગયેલા ત્રણ ગુણના કાર્યરૂપ પણ છે.૪૦ 

વૈરાજપુરુષની સ્થિતિ અવસ્થાના કાર્યરૂપે રહેલી તથા સત્ત્વગુણાત્મિકા તેમજ નેત્રના સ્થાનમાં વાસ કરનારી આ અવસ્થાને જીવની જાગ્રત અવસ્થા કહેલી છે.૪૧

તેમાં પણ વિશ્વાભિમાની નામના આત્માના સ્થૂળદેહના અભિમાને સહિત નેત્રાદિ બ્રાહ્ય ઇન્દ્રિયો દ્વારા તથા મન આદિ આંતર ઇન્દ્રિયોદ્વારા વિવેક પૂર્વક સાન-ભાન સાથે પૂર્વકર્મને અનુસારે શબ્દાદિ પંચ વિષયોને ભોગવવા તે સત્ત્વપ્રધાન જાગ્રત અવસ્થા કહી છે.૪૨-૪૩ 

જાગ્રત અવસ્થામાં જીવ જ્યારે ભ્રાંતિપૂર્વક અયથાર્થપણે વિષયભોગનો અનુભવ કરે છે. ત્યારે તે રજોગુણ પ્રધાન સત્ત્વગુણવાળી જાગ્રત અવસ્થામાં સ્વપ્ન અવસ્થા જાણવી.૪૪ 

જાગ્રત અવસ્થામાં પણ શબ્દાદિ પંચ વિષયોને ભોગવતો જીવ શોક અને પરિશ્રમના કારણે સદ્-અસદ્ના વિવેકે રહિત થઇ મેં આ ભોગવેલું છે, એમ જાણે નહિ તેને તમોગુણ પ્રધાન સત્ત્વગુણવાળી જાગ્રત અવસ્થામાં સુષુપ્તિ અવસ્થા રહેલી છે, એમ જાણવું. હે મુનિવર્ય ! જાગ્રત અવસ્થામાં કર્મફળપ્રદાતા પણે વૈશ્વાનર નામે વૈરાજપુરુષરૂપે રહેલા શ્રીવાસુદેવ ભગવાન છે.૪૫-૪૬ 

ब्रह्मविद्याभ्यासतोऽस्य सत्सच्छास्त्रप्रसङ्गतः । एतद्बेदत्रयज्ञानं येन तुर्यं हि तत्पदम् ।। ४७ 

त्रित्रिभेदास्ववस्थासु गुणानां या प्रधानता । उक्ता च चक्ष्यते सा तु तादृक् कर्मानुसारतः ।। ४८

हिरण्यगर्भस्योत्पत्त्यवस्थाकार्यं गलस्थितिः । रजोगुणात्मिकावस्था प्रोच्यते स्वप्नसंज्ञाया ।। ४९ 

सूक्ष्मदेहाभिमानेन तैजसाख्यस्य चात्मनः । विनाश्यस्थिरभोगाप्तिः पूर्वकर्मानुसारतः ।। ५० 

इन्द्रियैर्मनसा बुद्धया यत्र स्याच्च प्रियाप्रिया । रजोगुणप्रधानं तत्स्वप्नमित्युच्यते पदम् ।। ५१ 

जाग्रतीव यदा स्वप्ने शबदादीन्विषयानपि । भु जीवो विवेकेन जानन्स प्रोच्यते तदा ।। ५२ 

सत्त्वप्रधानकरजाआत्मकस्वप्नजागरः । भुञ्जानोऽपि स्वाप्नभोगान्वेत्ति जाडयेन तान्न सा ।। ५३ 

तमःप्रधानकरजआत्मकस्वप्नसुप्तिका । हिरण्यगर्भः फलदः स्वप्ने भवति कर्मणाम् ।। ५४ 

एतद्बेदत्रयज्ञानं प्रबुद्धस्य यतो भवेत् । तुरीयं तत्पदं प्रोक्तं यत्प्रकाशात्मकं सदा ।। ५५ 

સત્પુરુષ અને સત્શાસ્ત્રના પ્રસંગથી તથા બ્રહ્મવિદ્યાના અભ્યાસથી જીવને આ પૂર્વોક્ત જાગ્રત અવસ્થાના ત્રણ ભેદથી અલગ રહેલા પોતાના આત્માનું જ્ઞાન જે પદથી થાય છે. તે પદ કર્મફલપ્રદાતારૂપે અંતર્યામીપણે રહેલું છે, તે પદ શ્રીવાસુદેવ ભગવાનના સ્વરૂપને તૂર્ય નામથી કહેવાય છે.૪૭ 

ત્રણ ભેદવાળી આ જાગ્રત અવસ્થામાં જે ગુણોની પ્રધાનતા કહી અને કહેવાશે તે પ્રધાનતા તો જીવના કર્માનુસાર જાણવી, અર્થાત્ જીવ જેવું કર્મ કરે છે, અંતર્યામીપણે રહેલા ભગવાન તેને તેવું ફળ આપે છે.૪૮

હે મુનિ ! હવે સ્વપ્નાવસ્થા કહું છું. હિરણ્યગર્ભની ઉત્પત્તિ અવસ્થાના કાર્યરૂપે કંઠપ્રદેશમાં રહેલી રજોગુણી અવસ્થાને સ્વપ્ન અવસ્થા કહેલી છે. ૪૯ 

તેનું લક્ષણ એ છે કે સૂક્ષ્મ દેહના અભિમાને સહિત તૈજસ નામે જીવાત્મા પૂર્વકર્માનુ સારે ઇન્દ્રિય મન અને બુદ્ધિથી પ્રિય અપ્રિય તેમજ ક્ષણે ક્ષણે વિનાશ પામતા જેથી અસ્થિર એવા ભોગોને જે અવસ્થામાં રહીને ભોગવે છે, એ પદને રજોગુણ પ્રધાન સ્વપ્નાવસ્થા કહેલી છે.૫૦-૫૧ 

હવે સ્વપ્નમાં જાગ્રત કહું છું કે, જ્યારે જીવ જાગ્રત અવસ્થાની પેઠે વિવેકજ્ઞાને સહિત જાણતો થકો સ્વપ્નામાં પણ શબ્દાદિ પંચવિષયોને ભોગવે છે, ત્યારે તે સત્વગુણ પ્રધાન રજોગુણાત્મક સ્વપ્નાવસ્થામાં જાગ્રત અવસ્થા કહી છે. હવે સ્વપ્નમાં સુષુપ્તિ અવસ્થા કહું છું, સ્વપ્નાવસ્થામાં ભોગ ભોગવવા છતાં જીવ જડતાના કારણે સ્વપ્નમાં ભોગવેલા ભોગનું પ્રિય અપ્રિયપણું જાણી શક્તો નથી તેથી એ અવસ્થાને તમોગુણ પ્રધાન રજોગુણાત્મિકા સ્વપ્ન અવસ્થામાં રહેલી સુષુપ્તિ અવસ્થા જાણવી. આ સ્વપ્નાવસ્થામાં જીવને કર્મ પ્રમાણે શુભ-અશુભ ફળ આપનારા હિરણ્યગર્ભનારૂપમાં રહેલા શ્રીવાસુદેવ છે.૫૨-૫૪ 

સ્વપ્નાવસ્થામાંથી નીકળી જાગ્રતની પ્રબુદ્ધ દશામાં આવી ગયેલા જીવાત્માને પૂર્વોક્ત સંત તથા સત્શાસ્ત્રના પ્રસંગથી અને બ્રહ્મવિદ્યાના અભ્યાસથી આ સ્વપ્નાની ત્રણે અવસ્થાથી પર રહેલા પોતાના આત્માના સ્વરૂપનું જ્ઞાન જે પદથી થાય છે, તેને તુરીયપદ કહે છે, તે પદ સદાય પ્રકાશમાન છે.૫૫ 

ईश्वरप्रलयावस्थाकार्यं च तमआत्मिका । हृदयस्थानगावस्था सुषुप्तिरिति कथ्यते ।। ५६ 

बाह्यान्तःकरणानां च वृत्तयो भोग्यवासनाः । लीनाः कारणदेहे स्युर्ज्ञातृता कर्तृता तथा ।। ५७ 

तस्याभिमन्तुः प्राज्ञास्य सगुणब्रह्मणो मुने ! । सुखलेशेऽतिलीनत्वं यत्सा सुप्तिस्तमोमयी ।। ५८ 

कर्मसंस्कारतः कर्तृवृत्तेरुत्थानमत्र यत् । स्वप्नोरजोमुख्यतमोमयसुप्तौ हि स स्मृतः ।। ५९ 

जाग्रत्स्वप्नव्यथातापाद्विशन्त्यास्तत्र वै पुनः । प्रातिलोम्यं कर्तृवृत्तेः सुप्तौ ज्ञानं तु तस्य यत् ।। ६० 

सत्त्वमुख्यतमोमय्यां सुप्तौ तज्जाग्रदुच्यते । कर्मणां फलदातात्र सुषुप्तावीश्वरो मतः ।। ६१ 

एतद्बेदत्रयज्ञानं प्रबुद्धस्य यतो भवेत् । तुरीयं तत्पदं प्रोक्तं ज्ञातव्यं सूक्ष्मया दृशा ।। ६२ 

હે મુનિ ! હવે સુષુપ્તિ અવસ્થા કહીએ છીએ, ઇશ્વરની પ્રલયાવસ્થાના કાર્યરૂપ તથા તમોગુણાત્મક ને હૃદયસ્થાનમાં રહેલી અવસ્થાને સુષુપ્તિ અવસ્થા કહેવાય છે.૫૬

આ અવસ્થામાં જ્યારે બ્રાહ્ય ઇન્દ્રિયોની વૃત્તિ અને અંતઃકરણની વૃત્તિ તથા ભોગવાસના તથા જીવની જ્ઞાતૃત્વ અને કર્તૃત્વ શક્તિ પણ કારણ શરીરમાં લીન થઇ જાય છે.૫૭ 

ત્યારે તે કારણ દેહનો અભિમાની પ્રાજ્ઞા નામે જીવાત્મા સગુણ બ્રાહ્મના સુખલેશમાં અતિશયલીન થઇને રહે છે. તે અવસ્થાને તમોગુણપ્રધાન સુષુપ્તિ અવસ્થા કહેલી છે.૫૮ 

હવે એ સુષુપ્તિમાં સ્વપ્ન કહીએ છીએ. આ સુષુપ્તિમાં પૂર્વ જાગ્રત અવસ્થામાં અતિશય તીક્ષ્ણપણે કહેલા કર્મના સંસ્કારને વશવર્તીને કર્મ કરનાર જીવની વૃત્તિનું જે ઉત્થાન થાય છે. તેને રજોગુણપ્રધાન તમોગુણવાળી સુષુપ્તિ અવસ્થામાં સ્વપ્ન અવસ્થા કહેલી છે.૫૯ 

હવે સુષુપ્તિમાં જાગ્રત કહીએ છીએ. જાગ્રત ને સ્વપ્નાવસ્થામાં ભોગવેલી વ્યથાના સંતાપને કારણે સુષુપ્તિ અવસ્થામાં અનુભવેલા સુખમાં ફરી પ્રવેશ કરતી કર્તૃવૃત્તિના પ્રતિલોમપણાનું સુષુપ્તિ અવસ્થામાં જે જ્ઞાન વર્તે છે, તે જ્ઞાનને સત્ત્વગુણપ્રધાન તમોગુણાત્મિકા સુષુપ્તિ અવસ્થામાં રહેલી જાગ્રત અવસ્થા કહે છે. આ સુષુપ્તિ અવસ્થામાં જીવના શુભ અશુભ કર્મનું ફળ આપનારા ઇશ્વર નામે શ્રીવાસુદેવ મનાયેલા છે.૬૦-૬૧ 

સુષુપ્તિ અવસ્થામાંથી બહાર નીકળી પ્રબુદ્ધદશામાં આવેલા જીવને પૂર્વોક્ત સંત તથા સત્શાસ્ત્રના પ્રસંગથી અને બ્રહ્મવિદ્યાના અભ્યાસથી આ સુષુપ્તિ અવસ્થાની ત્રણે અવસ્થાથી પર રહેલા સ્વસ્વરૂપનું જ્ઞાન જે પદથકી પ્રાપ્ત થાય તે શ્રીવાસુદેવના પદને તુરીયપદ કહેલું છે. તે પદને સૂક્ષ્મ જ્ઞાનદૃષ્ટિથી જાણવું.૬૨ 

तिसृणामप्यवस्थानां मूलभूता गुणास्त्रयः । सत्त्वं रजस्तम इति ज्ञातव्यास्तेऽपि लक्षणैः ।। ६३ 

सत्त्वमानन्द उद्रेकः प्रीतिः प्राकाश्यमेव च । सुखसङ्गित्वमारोग्यं सन्तोषः श्रद्दधानता ।। ६४

अकार्पण्य संरम्भः क्षमा धृतिरहिंसनम् ।समता सत्यमानृण्यं मार्दवं हीरचापलम् ।। ६५ 

शौचमार्जवमाचारो ह्यलौल्यं हृद्यसम्भ्रमः । इष्टानिष्टविमिश्राणां कृतानामविकत्थनम् ।। ६६ 

दानेन चानुग्रहणमस्पृहत्वं परार्थता । सर्वभूतदया चैव सत्वस्यैते गुणाः स्मृताः ।। ६७ 

नानारसेच्छा चास्थैर्यं रूपमैश्वर्यविग्रहौ । अत्यागि त्वमकारुण्यं सुखदुःखोपसेवनम् ।। ६८ 

परापवादेषु रतिर्विवादानां च सेवने । अहङ्कारोह्यसत्कारश्चिन्ता वैरोपसेवनम् ।। ६९ 

परितापोऽभिहरणं हीनाशोऽनार्जवं तथा । भेदः परुषता हिंसा कामः क्रोधो मदस्तथा ।। ७० 

अक्षमा परिहासश्चासन्तोषो हर्ष एव च । एते गुणा राजसा हि तामसानथ कीर्तये ।। ७१ 

સત્ત્વ, રજ અને તમ,આ ત્રણ ગુણોનાં લક્ષણોનું નિરૂપણ :- હે મુનિ ! સત્ત્વ, રજ અને તમ આ ત્રણ ગુણો કહેલા છે. તે ગુણો જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ આ ત્રણે અવસ્થાના મૂળભૂત કારણ છે, તેમને તેમનાં લક્ષણોથી જાણવા.૬૩ 

પ્રથમ સત્ત્વગુણનાં લક્ષણ કહીએ છીએ. સત્ત્વ, ધૈર્ય, આનંદ, ઐશ્વર્ય, પ્રીતિ, પ્રાકાશ્ય, વસ્તુનું યથાર્થ જ્ઞાન, સજ્જનોનો સંગ, આરોગ્ય, સંતોષ, શ્રદ્ધા, અકાર્પણ્ય, અદીનપણું, અક્રોધ, ક્ષમા, ધીરજ, અહિંસા, સમતા, સત્યભાષણ, ઋણરહિતતા, મૃદુતા, લજ્જા, અચપળતા, પવિત્રતા, સરળતા, સદાચરણ, અતૃષ્ણા, હૃદયમાં આકુળતા રહિતપણું, ઇષ્ટ, અનિષ્ટ અને મિશ્ર કર્મોની પ્રશંસાનો ત્યાગ, દાનથી થતો અનુગ્રહ, અસ્પૃહા, વૈરાગ્ય, યથાશક્તિ પરનું હિત, સર્વજીવપ્રાણીમાત્ર ઉપર દયા આ સર્વે તથા શમ, દમ, તપ, સ્મૃતિ, આત્મસુખનો અનુભવ વગેરે સત્ત્વગુણના લક્ષણો છે.૬૪-૬૭ 

હવે રજોગુણનાં લક્ષણ કહીએ છીએ, અનેક પ્રકારના રસની ઇચ્છા, અસ્થિરતા, રૂપનું નિરૂપણ, ઐશ્વર્ય, પ્રભાવ દેખાડવાની ઇચ્છા, વિગ્રહ- વિરોધી કર્મ દ્વારા યુદ્ધ કરવાની રૂચિ, સુપાત્રમાં પણ દાન ન કરવું, દયાનો અભાવ, દુઃખમિક્ષિત સુખનું સેવન, સ્વાર્થની સિધ્ધિ માટે અન્ય ઉપર મિથ્યાપવાદની રૂચિ, વિવાદો કરવામાં પ્રીતિ, અહંકાર, કોઇનો પણ સત્કાર ન કરવો, ચિંતા, વેરનું સતત સેવન, લેવા દેવા વિના પરિતાપ કરવો, કોઇ પણ રીતે પરધન હરવાની વૃત્તિ, બેશરમીનું વર્તન, સરળતાનો અભાવ, પક્ષપાતપણાની બુદ્ધિ, કઠોરતા, હિંસા, કામ, ક્રોધ, મદ, અક્ષમા, અન્યની મશ્કરી કરવી, અસંતોષ, ઇચ્છિત લાભમાં છકી જવું, આ સર્વે રજોગુણનાં લક્ષણો છે. હવે તમોગુણના લક્ષણો કહીએ છીએ.૬૮-૭૧ 

तामिस्रमन्धतामिस्रं तमो मोहो महातमः । कार्याकार्याविवेकश्च प्रमादोऽथ व्यथा भयम् ।। ७२ 

असमृद्धिस्तथा दैन्यं शोकस्तन्द्रा विषादनम् । गन्धवासोविहारेषु पुष्पेषु शयनेषु च ।। ७३ 

दिवास्वप्नेऽतिनिद्रायां निर्वादेऽभिरुचिस्तथा । नृत्यवादित्रगीतानामज्ञानाच्छ्रद्दधानता ।। ७४ 

द्वेषो धर्मविशेषाणामेते वै तामसा गुणाः । एवं त्रयो गुणा ज्ञोया लक्षणैस्तु पृथक्पृथक् ।। ७५

તામિસ્ર, ક્રોધ, અંધતામિસ્ર, દુર્મરણ, તમ, અજ્ઞાન, મોહ, ગ્રામ્યભોગ ભોગવવાની ઇચ્છા, કાર્ય અકાર્યનો અવિવેક, પ્રમાદ, વ્યથા, ભય, અસમૃદ્ધિ, દીનતા, શોક, તંદ્રા, આળસ, વિષાદ, શરીરપર અત્તર લગાવવાનો શોખ, અનેક પ્રકારનાં વસ્ત્રો પહેરવાનો શોખ, હમેશાં રમતમાં રૂચિ, પુષ્પના હાર ધારણ કરવામાં તથા શયનમાં રૂચિ, દિવસે સુવાની રૂચિ, પરનિંદામાં રૂચિ, નૃત્ય કરવું, વાજિત્રો વગાડવાં, ગીત ગાવાં, એ આદિકમાં પોતાની કોઇ લાયકાત ન હોય છતાં તેમાં અતિશય શ્રદ્ધા દેખાડવી, ધાર્મિક જનોનો દ્વેષ કરવો, આ સર્વે તમોગુણનાં લક્ષણો છે. આ પ્રમાણે તમારે ત્રણે ગુણનાં લક્ષણો જાણી રાખવાં. આ લક્ષણોનો વિશેષ વિસ્તાર ભગવદ્ગીતા, મોક્ષધર્મ અને શ્રીમદ્ભાગવતના અગિયારમાં સ્કંધ થકી જાણી લેવો.૭૨-૭૫ 

स्थूलादिदेहत्रितयं सहाध्यात्मधिदैवतम् । गुणास्त्रयस्तथावस्था एतत्क्षेत्रमितीरितम् ।। ७६ 

य एतद्वेत्ति सत्त्वात्मा क्षेत्रज्ञा इति कथ्यते । सामान्यसत्तया देहं स सर्वं व्याप्य वर्तते ।। ७७ 

विशेषसत्तया त्वास्ते हृदि क्षेत्रज्ञा एष च । रत्नदीपप्रतीकाशो ज्ञाता सूक्ष्मोऽणुवध्रुवः ।। ७८ 

क्षेत्रज्ञात्वेनेत्थमुक्तो मयात्मा सम्यग्वेत्तुं तत्स्वरूपं पुनस्ते । अध्यात्मादिं मोक्षधर्मप्रणीतं भेदं वच्मि श्रूयतां शुद्धबुद्धे ! ।। ७९ 

ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞાનાં લક્ષણોનું નિરૂપણ :- ક્ષેત્ર એટલે શું ? તો અધ્યાત્મ ને અધિદૈવ સહિત તથા ઇન્દ્રિયો અને તેના દેવતાઓએ સહિત સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ આ ત્રણ દેહો, સત્ત્વ, રજ અને તમ, આ ત્રણ ગુણો, તેમજ જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ આ ત્રણ અવસ્થાને ક્ષેત્ર કહેવાય છે.૭૬ 

આ ક્ષેત્રને જે જાણે છે તે જીવાત્માને ક્ષેત્રજ્ઞા કહેવાય છે. એ ક્ષેત્રજ્ઞા એવો જીવ સામાન્ય સત્તાથી આખા શરીરમાં વ્યાપીને રહ્યો છે.૭૭ 

રત્નદીપની જેમ સદાય પ્રકાશિત, જ્ઞાતા, અણુ સરખો સૂક્ષ્મ અને નિત્ય એવો ક્ષેત્રજ્ઞા જીવ વિશેષ સત્તાએ કરીને હૃદયમાં નિવાસ કરીને રહેલો છે.૭૮ 

હે વિશુદ્ધબુદ્ધિવાળા નિત્યાનંદ મુનિ ! આ પ્રમાણે અમે જે જીવને ક્ષેત્રજ્ઞા કહ્યો, તે ક્ષેત્રજ્ઞા જીવનું સ્વરૂપ સારી રીતે જાણવા માટે ફરી મોક્ષધર્મમાં દેખાડેલા તેના અધ્યાત્મ આદિક ભેદો તમને કહીએ છીએ તેનું તમે શ્રવણ કરો.૭૯ 

इति श्रीसत्सङ्गिजीवने नारायणचरित्रे धर्मशास्त्रे चतुर्थप्रकरणे ज्ञानोपदेशे प्राणेन्द्रियावस्थागुणलक्षणनिरूपणनामा सप्ततितमोऽध्यायः ।। ७० 

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં જ્ઞાનના નિરૂપણમાં પંચપ્રાણ, દશ ઇન્દ્રિયો, ત્રણ અવસ્થા અને ત્રણ ગુણના લક્ષણોનું નિરૂપણ કર્યું, એ નામે સીત્તેરમો અધ્યાય પૂર્ણ થયો. --૭૦--