અધ્યાય - ૬૪ ત્યાગી સાધુનું નિઃસ્વાદિ વર્તમાન.

ત્યાગી સાધુનું નિઃસ્વાદિ વર્તમાન. રસદોષને જીતવાના ઉપાયો. ગૃહસ્થના ઘેર જમવા જવાની ત્યાગીસાધુની રીત. નિઃસ્વાદી નિયમભંગના પ્રાયશ્ચિતની રીત.

श्रीनारायणमुनिरुवाच -

सर्वेषामिन्द्रियाणां हि क्षोभहेतू रसो मतः । तन्मूलाः सकला दोषाः प्रवर्तन्तेऽघहेतवः ।। १ 

साङ्गः कामो रसादेव सद्यः प्रभवतीति तु । प्रसिद्धमस्ति लोकेषु क्षुत्क्षामे तददर्शनात् ।। २ 

महतां भूमिपालानां ब्राह्मणानामपि क्वचित् । धर्मिष्ठानामपि रसात्सक्तिर्मांशासने ह्यभूत् ।। ३

देवानां च नृपादीनां रसादेव प्रवर्तते । हिंसायज्ञापरो वेदः सर्व इत्यपभाषणम् ।। ४

अहिंसयज्ञात्तपसः स्वाद्धर्माच्च सनातनात् । उञ्छादिवृत्तेर्विप्राणां भ्रष्टत्वं च रसादभूत् ।। ५ 

साम्प्रतं ब्राह्मणादेश्च मद्यमांसाशने भुवि । प्रवृत्तिरस्त्येव रसाद्देव्याद्युद्देशतः किल ।। ६ 

चतुर्षु वर्णेषु नृणां चतुर्ष्वप्याश्रमेषु च । वेदोक्तधर्मसाङ्कर्यं रसादेव प्रवर्तते ।। ७ 

पशुपक्ष्यादिहिंसायामुत्तमानां नृणामपि । प्रवृत्ती रक्षसां तुल्या रसात्स्तैन्तयेऽपि जायते ।। ८ 

ભગવાન શ્રીનારાયણ મુનિ કહે છે, હે મુનિ ! સર્વે ઇન્દ્રિયોને ક્ષોભ પમાડનારૂં કોઇ કારણ હોય તો તે રસાસ્વાદ છે, કારણ કે, પાપોની ઉત્પત્તિના કારણભૂત સર્વે દોષો એક રસમાંથી જ પ્રવર્તે છે.૧ 

અંગે સહિત કામ રસથકી જ તત્કાળ ઉત્પન્ન થાય છે. એવું લોકોમાં પ્રસિદ્ધપણે દેખાય છે. કેવી રીતે ? કે ભૂખથી પીડાતા દુર્બળ માણસમાં કામ દેખાતો નથી પરંતુ જે રસે કરીને પુષ્ટ થયો હોય તેને વિષે જ તે દેખાય છે.૨ 

ધર્મિષ્ટ એવા મોટા મોટા રાજાઓને પણ રસથકી માંસ ભક્ષણને વિષે આસક્તિ થયેલી છે. તેમજ ધર્મિષ્ઠ એવા બ્રાહ્મણોને પણ ક્યાંક ક્યાંક રસાસ્વાદથી માંસભક્ષણને વિષે આસક્તિ થયેલી જોવા મળે છે.૩ 

''સર્વે વેદો હિંસામયયજ્ઞાનું પ્રતિપાદન કરે છે'' આવી રીતનું દુષ્ટ વચન યજ્ઞા કરાવનારા દેવતા તથા રાજા તથા બ્રાહ્મણાદિકોના મુખથકી માત્ર એક રસાસ્વાદના કારણે જ પ્રવર્તે છે. યજ્ઞાનું શેષ માંસ ખાવા માટે જ તેઓ વેદને હિંસામયયજ્ઞા પરક કહે છે. પણ વેદ કાંઇ હિંસામયયજ્ઞા પર નથી.૪ 

જીવની હિંસાએ રહિત યજ્ઞા કરવો તથા તપ કરવું, એ બે પોતાના સનાતનધર્મ થકી બ્રાહ્મણોનું જે ભ્રષ્ટપણું થયું છે તે એક રસને વિષે આસક્તિથી જ થયું છે. તેવીજ રીતે શિલોંચ્છાદિક વૃત્તિથકી પણ બ્રાહ્મણોનું જે પતન થયું છે, તે પણ રસ થકી જ થયું છે.૫ 

હાલના સમયે પણ પૃથ્વીમાં બ્રાહ્મણાદિક ઉચ્ચવર્ણ તથા બ્રહ્મચર્યાદિક શુદ્ધ આશ્રમ વાળાઓને કોઇ દેવી કે ભૈરવ આદિક દેવતાઓને નૈવેદ્ય ધરાવવાના મિષે કરીને રસાસક્તિથી મદ્ય, માંસના ભક્ષણને વિષે પ્રવૃત્તિ થઇ છે. ૬

ચાર વર્ણ તથા ચાર આશ્રમમાં રહેલા મનુષ્યોમાં વેદે કહેલા ધર્મને વિષે જે સંકરપણું પ્રવર્ત્યું છે, તે રસાસક્તિથી જ પ્રવર્ત્યું છે.૭ 

ઉત્તમ જાતિનાં મનુષ્યો રાક્ષસોની જેમ પશુપક્ષી આદિક જીવોની હિંસા રસાસક્તિથી જ કરે છે. તથા ઉત્તમજાતિનાં મનુષ્યો પણ રસાસક્તિથી ચોરી કરવાને વિષે પણ પ્રવર્તે છે.૮ 

पभिेदो रसादेव जायते विदुषामपि । विहायान्यान्स्वादुभक्ष्ये पुंसश्चेकाकिनो रुचिः ।। ९ 

अपेयपाने चाभक्ष्यभक्षणे मादकाशने । प्रवृत्तिरुत्तमानां वै रसाद्बवति निश्चितम् ।। १० 

हरिकीर्तनसच्छास्त्रकथानां च भवच्छिदाम् । जीविकात्वं रसादेव हर्यर्चापूजनस्य च ।। ११ 

रसाच्छत्रुवशत्वं च ततो मृत्युर्भवत्यपि । अत्याहारेण मृत्युश्च रसाद्रोगा भवन्ति च ।। १२ 

क्रोधलोभमदेर्ष्याद्या अपि दोषा रसान्नृणाम् । महान्तः प्रभवन्त्येव बहवः पापहेतवः ।। १३ 

પંક્તિભેદના દોષને જાણનારા વિદ્વાનો પણ રસાસક્તિથી પંક્તિભેદ કરે છે. પોતાના મનુષ્યોને ન આપી એકલાએ ભક્ષણ કરવું તેને વિષે એક રસથકી જ મનુષ્યને રૂચિ થાય છે. અર્થાત્ સ્વાદુ ચીજ પોતે એકલો જ ખાય છે.૯ 

ઉત્તમ જાતિના મનુષ્યને પણ ન પીવા યોગ્ય વસ્તુ પીવાને વિષે, ન ખાવા યોગ્ય વસ્તુ ખાવાને વિષે, તથા જે ખાવા-પીવાથી કેફ ચઢે ને ધર્મ અધર્મની ખબર ન રહે, એવી વસ્તુ ખાવા પીવાને વિષે પ્રવૃત્તિ એક રસાસક્તિથી જ થાય છે.૧૦ 

જે જન્મ-મરણરૂપ સંસારને છેદી નાખનારાં છે, એવાં ભગવાનનાં કીર્તન, સત્શાસ્ત્રની કથા તથા ભગવાનની પ્રતિમાની પૂજા તે માત્ર આજીવિકાને માટે કરાય છે. તે રસ થકી જ થાય છે. અર્થાત્ રસાસ્વાદને વશ થઇને વિદ્વાનો પોતાના દેહ કુટુંબની આજીવિકાને અર્થે કીર્તન કથા તથા પૂજા કરે છે.૧૧ 

રસાશક્તિને કારણે પોતાના શત્રુને આધીન થઇ જવાય છે. અને પછી તે થકી મૃત્યુ પણ થાય છે. રસાસ્વાદથી વધુ પડતો આહાર કરાય છે. જેથી મૃત્યુ પણ થાય છે, વળી રસથકી નાના પ્રકારના રોગ થાય છે.૧૨ 

મનુષ્યો જેને કારણે પાપ કરે છે, એવા ક્રોધ, લોભ, મદ, ઇર્ષ્યા એ આદિક અનેક મહાન દોષોની ઉત્પત્તિ રસ થકી જ થાય છે.૧૩ 

इत्येते कथिता दोषा रसमाश्रित्य ये स्थिताः । ब्रुवे रसजयोपायानथ त्यागिहितावहान् ।। १४ 

सुस्वादुभोजनासक्तिर्न कार्या त्यागिभिः क्वचित् । योगैः सिद्धा अपि यया लभन्ते श्वादितुल्यताम् ।। १५ 

अनासक्तो रसास्वादे त्यागी वैष्णव आत्मवित् । निर्वाहार्थं स्वदेहस्य भिक्षावृत्तिमुपाश्रयेत् ।। १६ 

अल्पमल्पं शुचीन् याचेद्धृहस्थानन्नमन्वहम् । रसं यथा मधुकरः प्रत्यब्जं तान्यपीडयन् ।। १७ 

चातुर्वर्ण्यगृहस्थाश्च त्यागिभि-र्मैक्षचारिभिः । अपक्वान्नं याचितव्याः शुद्धं नान्ये त्वनापदि ।। १८

सदन्नं तच्च बहुलं प्राप्नुयाद्यस्य वेश्मनः । तमेव रसलोभेन नार्थयेत्प्रतिवासरम् ।। १९ 

नारायण ! हरे ! सच्चिदानन्दादिप्रभो ! इति । उच्चैर्वदेदङ्गणस्थो गृहिणां भैक्षमर्थयन् ।। २० 

રસદોષને જીતવાના ઉપાયો :- હે મુનિ ! એવી રીતે રસને આશરીને રહેલા સર્વે દોષો અમે તમને કહ્યા. હવે ત્યાગી સાધુઓને હિત કરનારા એવા રસને જીતવાના ઉપાયો કહીએ છીએ.૧૪ 

ત્યાગી સાધુએ ક્યારેય પણ સ્વાદુ ભોજનને વિષે આસક્તિ કરવી નહિ. કારણ કે યોગે કરીને સિદ્ધ થયેલા મોટા ત્યાગી સાધુઓ પણ જો રૂડા ભોજનને વિષે આસક્તિ કરે તો તે પણ શ્વાન અને બિલાડા જેવા કહેવાય છે.૧૫ 

રૂડા રસે યુક્ત ભોજનને વિષે આસક્તિ રહિત અને પોતાના જીવાત્માને દેહ ઇન્દ્રિયો થકી જુદો જાણનાર ભગવાનનો ભક્ત ત્યાગી સાધુ પોતાના દેહ નિર્વાહને અર્થે ભિક્ષાવૃત્તિને આશરે.૧૬ 

ભિક્ષાવૃત્તિ કેવી રીતે કરવી તે કહીએ છીએ. પવિત્ર ગૃહસ્થને ઘેર નિત્ય જઇ જેમ ભમરો દરેક કમળમાંથી થોડો થોડો રસ લે છે, પણ તે કમળને ભાંગી તોડી નાખતો નથી, તેમ ત્યાગી સાધુ પણ ગૃહસ્થને પીડા ન થાય તેવી રીતે થોડું થોડું અન્ન માંગીને ભિક્ષા કરે.૧૭ 

ભિક્ષાવૃત્તિ આચરનારા ત્યાગી સાધુએ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ ચાર વર્ણના ગૃહસ્થો પાસેથી પવિત્ર કાચું અન્ન માંગી લેવું. કોઇ આપત્કાળ પડયો ન હોય ત્યાં સુધી એ ચાર વર્ણથી ઉતરતા વર્ણના ગૃહસ્થોને પાસે કાચું અન્ન પણ માગવું નહિ. આપત્કાળમાં મંગાય તેનો દોષ નહિ.૧૮ 

જે ગૃહસ્થના ઘરથકી સારૂં સારૂં અન્ન ઝાઝું મળતું હોય, તેજ ગૃહસ્થને ઘેર રસને લોભે કરીને નિત્ય માગવા જવું નહિ.૧૯ 

ભિક્ષા માગવા જવું ત્યારે ત્યાગી સાધુએ ગૃહસ્થના આંગણામાં ઊભા રહી ''નારાયણ હરે, સચ્ચિદાનંદ પ્રભો'' એ રીતે ઊંચે સ્વરે બોલવું.૨૦ 

यत्पिष्टतण्डुलाद्याप्तं भिक्षयान्नं फलादि वा । स्वयं शुचिः पाचयित्वा हरये तन्निवेदयेत् ।। २१ 

तदन्नं तुलसीमिश्रं विष्णोः पादाम्बुना पुमान् । प्रासादिकेनाम्बुना वा भुजिकाले विमिश्रयेत् ।। २२

यदि भोजनवेलायां कश्चिद्याचेत भिक्षुकः । तर्हि दद्यादात्मबुद्धया तस्मा अन्नमविक्लवः ।। २३

ત્યારપછી ભિક્ષામાં મેળવેલા લોટ, ચોખા, દાળ આદિક અન્ન અથવા ફળાદિકની પવિત્ર થઇને રસોઇ કરવી ને, તે રસોઇ ભગવાનને નિવેદન કરવી.૨૧ 

તુલસીએ યુક્ત નૈવેદ્યનું અન્ન જમવા સમયે ભગવાનનું ચરણામૃત અથવા પ્રસાદીનું જળ મેળવીને ત્યાગી સાધુએ જમવું.૨૨ 

ભોજન કરવાને સમયે કોઇક ભિક્ષુક આવી અન્ન માંગે તો તેને પોતાપણાની બુદ્ધિથી પ્રસન્ન મને અન્ન આપવું. પરંતુ તેને પરાયો માની આકળા થઇને કચવાઇ જવું નહિ.૨૩ 

गृहस्थो वैष्णवो विप्रः स्वधर्मपरिनिष्ठितः । लोकगर्हापापकर्मसूतकादिविवर्जितः ।। २४ 

भोक्तुं निमन्त्रयेत्स्वस्य गेहे तर्हि तदालयम् । गच्छेयुस्तत्र भुञ्जीरन् प्राग्वद्विष्णुनिवेदितम् ।। २५ 

तग्देहे प्रतिमा न स्याद्यदि विष्णोः कदाचन । स्वेज्यमूर्तिं तदा तत्र नीत्वा कुर्युर्निवेदनम् ।। २६

यदि तस्य गृहे मूर्तिर्भवेत्तर्हि निजाश्रमे । स्वयं पक्त्वा प्रस्थमन्नं कुर्युर्विष्णोर्निवेदनम् ।। २७ 

ततो गृहिगृहे भोक्तुं गच्छेद्वै त्यागिमण्डलम् । सेवाधर्मः सदोषः स्यादन्यथा तु कृते सति ।। २८ 

अशक्तः पाककरणे ब्राह्मणो वैष्णवोऽपि चेत् । अन्यो वाऽग्राह्या पक्वान्नः सतो भोक्तुं निमन्त्रयेत् ।। २९ 

तर्ह्यपक्वान्नमानाय्य स्वाश्रमे वातदालये । पाकं कुर्युस्त्यागिनस्तु कारयेयुर्द्विजेन वा ।। ३० 

पाकं कर्तुं गृहिगृहे पञ्चोनैस्त्यागिभिः क्वचित् । कर्तुं च भोजनं तद्वन्न गन्तव्यमिति स्थितिः ।। ३१ 

ગૃહસ્થના ઘેર જમવા જવાની ત્યાગીસાધુની રીત :- જે પોતાના ધર્મને વિષે નિષ્ઠાવાળો, લોકની નિંદા, પાપકર્મ તથા સૂતકાદિકથી રહિત અને ભગવાનનો ભક્ત ગૃહસ્થ બ્રાહ્મણ હોય ને તે પોતાને ઘેર ત્યાગી સાધુને જમવાનું નોતરું દે તો તેને ઘેર જમવા જવું, અને ત્યાં ભગવાનને નૈવેદ્ય ધરીને તે અન્ન ચરણામૃત અથવા પ્રસાદીનું જળ મેળવીને જમવું.૨૪-૨૫ 

કદાચિત તે ગૃહસ્થ બ્રાહ્મણને ઘેર ભગવાનની પ્રતિમા ન હોય તો પોતાને પૂજવાની મૂર્તિ ત્યાં લઇ જઇને નૈવેદ્ય કરવું ને પછી જમવું.૨૬ 

જો ગૃહસ્થ બ્રાહ્મણને ઘેર ભગવાનની મૂર્તિ હોય અને તેનું ઘર છેટે હોય તો તેની પાસે કાચું અન્ન એક જણ જમે તેટલું બે શેરને આશરે પોતાના ઉતારે મંગાવી પોતે તેની રસોઇ કરી ભગવાનને નૈવેદ્ય કરવું.૨૭ 

પછી જ ત્યાગી સાધુનું મંડળ ગૃહસ્થ બ્રાહ્મણને ઘેર જમવા જાય. પોતાને પૂજવાની મૂર્તિને નૈવેદ્ય કર્યા વિના જમવા જાય તો ભગવાનની સેવારૂપ ધર્મમાં દોષ આવે છે.૨૮ 

જો ભગવાનનો ભક્ત ગૃહસ્થ બ્રાહ્મણ રસોઇ તૈયાર કરવાને અસમર્થ હોય ને ત્યાગી સાધુને જમવાનું નોતરું દે અથવા જેનું રાંધેલ અન્ન ખપતું ન હોય એવા ક્ષત્રિય, વૈશ્ય અને સત્શૂદ્ર પણ જો ત્યાગી સાધુને જમાવનું નોતરું દે, તો તેની પાસે કાચા અન્નનું સીધું પોતાને જોઇએ તેટલું પોતાના ઉતારે મંગાવીને રસોઇ કરવી, અથવા તેને ઘેર જઇ એકાંત જગ્યા હોય ત્યાં ત્યાગી સાધુ રસોઇ કરે અથવા ભગવાનના ભક્ત બ્રાહ્મણ પાસે રસોઇ કરાવે.૨૯-૩૦ 

જ્યારે ગૃહસ્થના ઘેર રસોઇ કરવા જવું હોય ત્યારે ત્યાગી સાધુએ પાંચથી ઓછા ક્યારેય ન જવું. અને ગૃહસ્થના ઘેર જમવા જવું હોય તો પણ પાંચથી ઓછા ક્યારેય ન જવું, અમે આ મર્યાદા બાંધી છે. તે પ્રમાણે વર્તવું.૩૧ 

सम्पदं गृहिणो दृा भोक्तुं यायुस्तदालयम् । न त्वल्पवित्तं गृहिणं क्लेशयेयुः कदाचन ।। ३२ 

गृही स्वगेहेऽनुदिनं देशकालानुसारतः । शाल्यादि वा कोद्रवादि प्राश्नीयादन्नमत्र यत् ।। ३३ 

तस्य गेहे तदेवान्नं ग्रहीतव्यं न चेतरत् । रोगाद्यापदमाप्तस्य न दोषो जरतस्तथा ।। ३४ 

पर्वोत्सवादौ गृहिणो विशेषो यदि नैत्यकात् । स्वस्मै च तादृशं दद्यादन्नं ग्राह्यं तदा तु तत् ।। ३५ 

यत्र स्याद्गृहिणो गेहे पुरुषः परिवेषकः । तत्रैव भोक्तुं गन्तव्यं नान्यत्र त्यागिभिः क्वचित् ।। ३६

प्रासादिकं विना त्यागी चन्दनं सुमनःस्रजम् । न धारयेद्बगवतो बृहद्व्रतमुपाश्रितः ।। ३७ 

सुगन्धितैलताम्बूलपूगैलाजातिजादि तु । प्रासादिकमपि त्यागी स्वीकुर्यान्न विनापदम् ।। ३८ 

ગૃહસ્થના ઘરની સંપત્તિ જોઇને ત્યાગી સાધુએ તેમનું નોતરું સ્વીકારીને તેને ઘેર જમવા જવું અથવા સીધું લેવું. થોડા ધનવાળા ગૃહસ્થને ક્લેશ થાય તેમ ક્યારેય ન કરવું.૩૨ 

દેશકાળને અનુસારે ગૃહસ્થ પોતાને ઘેર ચોખા, ઘઉ આદિક ભારે અન્ન જમતો હોય કે પછી કોદરા, બાજરો, બંટી આદિક જેવું તેવું અન્ન જમતો હોય, અને જ્યારે તે ગૃહસ્થને ઘેર જમવા જવું અથવા પોતાને ઉતારે તેનું સીધું લેવું ત્યારે જેવું અન્ન તે નિત્ય જમતો હોય તેવું અન્ન ત્યાગી સાધુએ લેવું, પણ તેથી ભારે અન્ન ન લેવું. રોગાદિક આપત્કાળમાં તથા વૃદ્ધાવસ્થામાં પોતાને સદે તેવું અન્ન ગૃહસ્થ પાસે માંગી લે, તેનો દોષ નથી.૩૩-૩૪ 

અમાવાસ્યા, દ્વાદશી ને પૂનમ એ પર્વો તથા અન્નકૂટાદિક ઉત્સવોને દિવસે ગૃહસ્થ નિત્ય કરતાં કાંઇક વિશેષ સારૂં ખાતો હોય, ને તે દિવસે તેવું સારૂં અન્ન ત્યાગી સાધુને આપે તો તે લેવું.૩૫ 

જે ગૃહસ્થને ઘેર પીરસનારો પુરુષ હોય તેને ઘેર ત્યાગી સાધુએ જમવા જવું, પણ જ્યાં પીરસનારી સ્ત્રી હોય ત્યાં ક્યારેય ન જવું.૩૬ 

બ્રહ્મચર્યવ્રતને આચરનાર ત્યાગી સાધુ ભગવાનની પ્રસાદિ વિનાનું ચંદન તથા પુષ્પની માળા પણ ધારણ કરે નહિ, ભગવાનની પ્રસાદીનું હોય તે ધારણ કરે.૩૭

સુગંધીમાન તેલ, ફુલેલ અત્તર, તથા નાગરવેલના પાનની બીડી, સોપારી, એલચી, જાયફળ, જાવંત્રી, લવિંગ આદિક વસ્તુ ભગવાનની પ્રસાદિ હોય તો પણ ત્યાગી સાધુ અંગીકાર ન કરે, રોગાદિક આપત્કાળ પડયો હોય ને લેવાય તેનો બાધ નહિ.૩૮ 

एकादशीप्रभृतिषु व्रताहेषु तु योगिभिः । अन्नं फलादि वा प्राप्तं निवेद्यं हरये मुने ! ।। ३९

कर्तव्यं स्वेन तु व्रतं तथा निष्कृत्युपोषणे । निवेद्य हरये त्वन्नं स्वेन कार्यमुपोषणम् ।। ४० 

बहुषु त्यागिवृन्देषु मिलितेषूत्सवादिषु । नैवेद्यस्य विधिः कार्यो देशकालानुसारतः ।। ४१ 

पाकेनैकेन वा द्वाभ्यां बहुभिर्वा यथात्मनः । स्यादेकान्तिकधर्मस्य रक्षा कार्यं तथा बुधैः ।। ४२ 

स्वच्छे देशे सावकाशे सति त्वन्नं चतुर्विधम् । निवेद्यं विष्णवे सर्वं सद्बिस्तैरन्नकूटवत् ।। ४३ 

आल्प्ये तु स्थानपात्रादेरन्नं तदनुसारतः । निवेद्य विष्णवे तत्तद्राशौ तच्च विमिश्रयेत् ।। ४४

હે મુનિ ! યોગી એવા ત્યાગી સાધુને એકાદશી આદિક વ્રતના દિવસોને વિષે અન્ન અથવા ફળાદિક જે પોતાને પ્રાપ્ત થાય તેનું ભગવાનને નૈવેદ્ય ધરવું અને પોતે તો વ્રતનો નકોરડો ઉપવાસ કરવો. પરંતુ માહાત્મ્ય જાણીને તે નૈવેદ્યનું અન્ન ખાવું નહિ. તેવી જ રીતે પ્રાયશ્ચિતનો ઉપવાસ કરવો હોય ત્યારે પણ ભગવાનને રાંધેલા અન્નનું નૈવેદ્ય ધરવું ને પોતે તો નકોરડો ઉપવાસ કરવો. તેમાં જળ સિવાય બીજું કાંઇ ન લેવું.૩૯-૪૦ 

ઉત્સવ ઉપર તથા કોઇ ગૃહસ્થે સર્વે ત્યાગી સાધુને જમાડવા સારૂં તેડયા હોય ને ઘણાક ત્યાગી સાધુનાં મંડળ ભેળાં થયાં હોય ત્યારે ભગવાનને નૈવેદ્ય ધરવાની રીત દેશકાળાનુસારે કરવી.૪૧ 

તે કેવી રીતે ? તો એક પાક અથવા બે પાક અથવા બહુ પાકે કરીને સર્વની એક ભેળી રસોઇ કરવી અથવા નોખા બે મંડળની રસોઇ કરવી ને પછી નૈવેદ્ય ધરવું તેમાં પણ જેમ પોતાના એકાંતિક ધર્મની રક્ષા થાય તેવી રીતે ત્યાગી સાધુએ કરવું.૪૨ 

જો અતિશય મોકળી પવિત્ર જગ્યા હોય તો ભોજ્યાદિ ચારે પ્રકારનું સર્વ અન્ન તે અન્નકૂટની પેઠે ભગવાનને નિવેદન કરવું.૪૩ 

જો જગ્યા મોકળી ન હોય તો તથા રસોઇના પાત્ર નાનાં હોય તો તે પ્રમાણે થોડું થોડું અન્ન ભગવાનને ધરવું. ત્યાર પછી તે પ્રસાદીના સર્વે અન્નને તે તે અન્નના ઢગલામાં ભેળું કરવું, એટલે એ સર્વે પ્રસાદી થાય તે સર્વે ત્યાગી સાધુએ જમવું.૪૪ 

विष्णुप्रसादमाहात्म्यं वर्णयन् येन केनचित् । दत्तं न भक्षयेदन्नं त्यागवान्नसलौल्यतः ।। ४५ 

हरेः प्रासादिकं चान्नं चरणाम्ब्वप्यनर्हते ।न दद्यादेव सद्बक्तो गृीयान्न त्वनर्हतः ।। ४६ 

आहारशुद्धिः सत्त्वस्य शुद्धिहेतुर्भवत्यतः । अन्नं शुचिगृहप्राप्तमद्यं विष्णुनिवेदितम् ।। ४७ 

सकृद्बुञ्जीत च त्यागी प्रतिघस्रमनापदि । वर्तेत परिचर्यायामहोरात्रं रमापतेः ।। ४८

ग्राह्यान्नेनापि दत्तं चेदन्नं प्रासादिकं प्रभोः । भुक्तेरनन्तरं तर्हि सद्बिर्भक्ष्यं न सर्वथा ।। ४९

तद्बक्षणे सकृद्बुक्तिव्रतभङ्गो भवेत्किल । अनाचारप्रवृत्तिश्च सत्सु स्यान्नात्र संशयः ।। ५०

उपवासदिने प्राप्तं भक्ष्यं प्रासादिकं हरेः । विसर्जयेन्नमस्कृत्य नान्नं भक्षेत्तु सर्वथा ।। ५१ 

પોતાને જેનું રાંધેલું અન્ન ન ખપતું હોય એવા કોઇ મનુષ્યે આપેલું અન્ન ભગવાનની પ્રસાદીનું હોય તો પણ ત્યાગીએ રસના ઇન્દ્રિયની લોલુપતાએ કરીને ખાય નહિ.૪૫ 

તેમજ રાધેલું ભગવાનની પ્રસાદીનું અન્ન તથા ચરણામૃત જેને ન ખપતું હોય તેને આપે નહિ, તથા તેની પાસેથી લે પણ નહિ.૪૬ 

કારણ કે આહારની શુદ્ધિ અંતઃકરણની શુદ્ધિનું કારણ છે, તે માટે પવિત્ર ગૃહસ્થના ઘર થકી પ્રાપ્ત થયેલું અન્ન ભગવાનને નિવેદન કરીને ખાવું, એવી રીતે શુદ્ધ આહાર ન કરે તો અંતઃકરણ મલીન થઇ જાય છે.૪૭ 

ત્યાગી સાધુએ નિત્ય એકવાર જમવું, રોગાદિક આપત્કાળ પડે ને બીજીવાર જમાય તેનો બાધ નહિ, સાધુએ દિવસે તથા રાત્રીએ પણ નિરંતર ભગવાનની સેવામાં વર્તવું, પરંતુ જમીને નવરા બેસી રહેવું નહિ.૪૮ 

જેનું રાંધેલું અન્ન પોતાને ખપતું હોય, તેણે પણ એકવાર જમ્યા પછી ભગવાનની પ્રસાદીનું અને પોતાને આપ્યું હોય તો તે ત્યાગી સાધુએ કોઇ પ્રકારે ન જમવું, જો તે જમે તો એક વખત જમવાના નિયમનો ભંગ થઇ જાય, તેથી સાધુઓમાં અનાચારની પ્રવૃત્તિ થાય, એમાં કોઇ સંશય નથી.૪૯-૫૦ 

ઉપવાસના દિવસે પ્રાપ્ત થયેલી ભગવાનની પ્રસાદીરૂપ ભક્ષણ કરવા યોગ્ય ફળાદિક વસ્તુને નમસ્કાર કરીને કોઇ બીજાને આપી દે, પણ ત્યાગીએ પોતે કોઇ રીતે ખાય નહિ.૫૧ 

अपि भोजनवेलायां प्राप्ते प्रासादिके यदि । भक्ष्यार्हं स्वस्य न स्याद्यत्सर्वथा तन्न भक्षयेत् ।। ५२ 

त्यक्तं यत्स्वेन नियमाद्देहपीडाकरं च यत् । भक्षयेन्नैव तत्त्यागी प्रासादिकमपि प्रभोः ।। ५३

स्वस्य भोजनपात्रेण नैवेद्यं न समाचरेत् । विष्णोः पूजाम्बुपात्रेण न च शौचविधिं सुधीः ।। ५४ 

अगालितं जलं क्षीरं विष्णवे न निवेदयेत् । प्रसादीकृत्य दत्तं चेदज्ञापुंसा न तत्पिबेत् ।। ५५ 

धातुप्रकोपजननं प्रायस्त्यागी न भक्षयेत् । अशुचेर्मद्यमांसादेः संसर्गमपि सन्त्यजेत् ।। ५६ 

भङ्गां गञ्जं चाहिफेनं मादकं वस्तु यच्च तत् । तमालं त्रिविधं चापि जह्यात्त्यागी तु दूरतः ।। ५७

रोगार्तेनौषधं भक्ष्यं मद्यादिस्पर्शवर्जितम् । शयितव्यं मञ्चके च प्रावार्यं गुप्तदोरकम् ।। ५८ 

न रोगिणः सकृद्बुक्तेर्नियमः स्थविरस्य च। भुञ्जीयातां यथेष्टं तौ स्मरन्तौ हृदये हरिम् ।। ५९ 

ભોજનના સમયે પ્રાપ્ત થયેલી ભગવાનની પ્રસાદીની અન્નાદિક વસ્તુઓ જો પોતાને જમવા યોગ્ય ન હોય તો તેને ભગવાનની પ્રસાદીનું માહાત્મ્ય જાણીને પણ કોઇ રીતે જમે નહિ.૫૨ 

જે અન્નાદિક વસ્તુનો પોતે નિયમ લઇને ત્યાગ કર્યો હોય, તથા જે જમવાથી પોતાના દેહને પીડા કરે તેમ હોય, તો તેને પ્રસાદીના માહાત્મ્યે કરીને પણ જમે નહિ.૫૩

રૂડી બુદ્ધિવાળો ત્યાગી પોતાને ભોજન કરવાના પાત્રમાં ભગવાનને નૈવેદ્ય ન ધરે, તથા ભગવાનની પૂજા કરવાના જલપાત્રોને મળ મૂત્રાદિક ક્રિયા કરવા માટે ન લઇ જાય તથા શૌચ ક્રિયા કરવાના પાત્રનું જળ ભગવાનની પૂજાના પાત્રમાં ન નાખે, એવી રીતે વિવેક રાખવો.૫૪ 

ત્યાગી સાધુ ગાળ્યા વિનાનું જળ તથા દૂધ ભગવાનને નૈવેદ્ય ન ધરે, કોઇ અજ્ઞાની પુરુષ ગાળ્યા વિનાનું જળ અને દૂધ ભગવાનની પ્રસાદીરૂપ કરીને પોતાને આપે તો તે ગાળ્યા વિના પીએ નહિ, ગાળીને જ પીએ.૫૫ 

ત્યાગી સાધુએ રાજસી તામસી અન્ન જમવાથી દેહની પુષ્ટિએ કરીનેવીર્ય ઉત્તેજીત થાય એવું અન્નાદિક ભગવાનની પ્રસાદી હોય તો પણ અતિશય ન ખાય, થોડું જ લે, તેમાં પણ મદ્ય, માંસાદિક અપવિત્ર વસ્તુઓના સંસર્ગને તો અતિશય ત્યાગે.૫૬ 

ત્યાગી સાધુ ભાંગ, ગાંજો, અફિણ તથા જેણે કરીને કેફ ચઢે એવી સર્વ વસ્તુઓનો દૂરથી ત્યાગ કરે. તેમજ ખાવા, પીવા કે સૂંઘવાની આ ત્રણ પ્રકારની તમાકુનો પણ દૂરથી ત્યાગ કરે.૫૭ 

રોગે કરીને પીડા પામેલા સાધુએ મદ્ય, માંસાદિક અપવિત્ર વસ્તુના સ્પર્શ રહિત ઓસડ ખાવું, ખાટલા ઉપર સૂવું, તથા ગોદડું ઓઢવું ને પાથરવું.૫૮ 

રોગી તથા વૃદ્ધ સાધુઓને એક વખત જમવાનો નિયમ નથી. માટે તેઓએ પોતાના હૃદયને વિષે ભગવાનનું સ્મરણ કરી જે રૂચે તે રીતે જમવું.૫૯ 

सत्सङ्गेन हरेर्भक्तया सहैतैर्नियमैः शुभैः । हर्यर्पितेतरत्यागाज्जीयते दुर्जयो रसः ।। ६० 

उञ्छवृत्तिर्मुग्दलाख्यो रन्तिदेवादयो नृपाः । रसास्वादपरित्यागाल्लेभिरे परमं सुखम् ।। ६१ 

एतेषु नियमेषु स्याद्यस्य कस्यापि चेच्च्युतिः । कर्तव्यं विष्कृतं तर्हि त्यागिभिस्तस्य सत्वरम् ।। ६२ 

નિઃસ્વાદી નિયમભંગના પ્રાયશ્ચિતની રીત :- નિઃસ્વાદી સાધુપુરુષના સમાગમ તથા ભગવાનની ભક્તિએ સહિત આ રૂડા નિયમોનું પાલન કરવાથી તથા ભગવાનને અર્પણ કર્યા વિનાના અન્નાદિક વસ્તુઓનો ત્યાગ કરવાથી ત્યાગી સાધુ દુર્જય રસાસ્વાદને જીતે છે.૬૦ 

શિલોંચ્છવૃત્તિવાળા મુદ્ગલ નામે ઋષિ તથા રંતિદેવાદિ રાજા રસાસ્વાદનો પરિત્યાગ કરવાથી પરમ સુખને પામ્યા હતા.૬૧ 

આ નિયમો કહ્યા તેમાંથી જો કોઇ નિયમનો ભંગ થઇ જાય તો તેનું પ્રાયશ્ચિત ત્યાગી સાધુએ તત્કાળ કરવું.૬૨ 

अन्नस्य वह्निपक्वस्य श्रीकृष्णाय निवेदनम् । अकृत्वा भोजनकृतावेकं दिनमभोजनम् ।। ६३

प्रासादिकान्यगन्धस्रग्धृतावेकमुपोषणम् । प्रासादिकस्य तैलादैः स्वीकृतौ च तथा मतम् ।। ६४

विष्णोः प्रासादिकान्नस्य पादोदस्याप्यनर्हते । दाने वा तत आदाने कार्यं चान्द्रायणं व्रतम् ।। ६५ 

पञ्चोना यदि गच्छेयुः सन्तः कर्तुं च भोजनम् । पाकं वा गृहिगृहे तत्कुर्युरेकमपोषणम् ।। ६६ 

अज्ञानान्मद्यपाने वा कृते मांसस्य भक्षणे । मासमेकं पिबेत्सक्तूनुष्णोदकविमिश्रितान् ।। ६७

भङ्गारसाद्यपेयस्य क्वचित्पानेऽप्यबुद्धितः । कृते त्यागी न कुर्वीत दिनमेकं तु भोजनम् ।। ६८ 

નિઃસ્વાદી વર્તમાનના ભંગનું પ્રાયશ્ચિત :- અગ્નિએ કરીને રાંધેલું અન્ન ભગવાનને નૈવેદ્ય કર્યા વિના જો જમાય તો એક ઉપવાસ કરવો. ભગવાનની પ્રસાદી વિનાનું ચંદન તથા પુષ્પની માળા ધારણ કરાય તો એક ઉપવાસ કરવો.૬૩ 

ભગવાનની પ્રસાદીનું સુગંધીમાન તેલ ફુલેલ અત્તર, શરીરે ચોપડાય તથા નાગરવેલના પાનની બીડી, સોપારી, એલચી, જાયફળ, જાવંત્રી, લવિંગ, એ આદિક વસ્તુ ખવાય તો એક એક ઉપવાસ કરવો.૬૪ 

ભગવાનની પ્રસાદીનું રાંધેલું અન્ન તથા ચરણામૃત જેને ખપતું ન હોય તેને દેવાય તો એક ચાંદ્રાયણ વ્રત કરવું.૬૫ 

તથા જેનું પોતાને ન ખપતું હોય તેનું લેવાય તો પણ એક ચાંદ્રાયણ વ્રત કરવું. પાંચ થકી ઓછા ત્યાગી સાધુઓ ગૃહસ્થને ઘેર જમવા જાય તથા રસોઇ કરવા જાય તો તે સર્વેએ એક એક ઉપવાસ કરવો. અજાણમાં મદ્ય પીવાઇ જાય તથા માંસનું ભક્ષણ થઇ જાય તો એક મહિના સુધી ઊના જળમાં ઘોળીને સાથવો પીવે ત્યારે શુદ્ધિ થાય.૬૭ 

ભાંગનો રસ તથા ગાંજો એ આદિક ન પીધાની વસ્તુ ક્યારેક અજાણમાં પીવાઇ જાય તો ત્યાગી સાધુ એક દિવસ ઉપવાસ કરે.૬૮ 

एतैरन्यैरुपायैश्च हर्येकान्तिककीर्तितैः । सर्वथा त्यागिना जेयं दुर्जयं रसनेन्द्रियम् ।। ६९ 

यावद्रसो न विजितस्तावत्कोऽपि जितेन्द्रियः । पुमान्नैव भवेन्नूनं जितं सर्वं जिते रसे ।। ७०

आहारनियमेनैव पूर्वैरपि जितो रसः । तेनैवात स जेतव्यस्त्यागिना पुरुषेण च ।। ७१ 

હે મુનિ ! આ કહ્યા જે ઉપાય તથા એ વિનાના બીજા પણ ભગવાનના એકાંતિક ભક્ત એવા ત્યાગી સાધુ્ઓ કહે, તે ઉપાયોથી દુર્જય રસના ઇન્દ્રિયને જીતવી.૬૯ 

જ્યાં સુધી રસના ઇન્દ્રિય નથી જીતી ત્યાં સુધી જીતેન્દ્રિય નથી થતો. રસના ઇન્દ્રિયને જીતે ત્યારે તે સર્વે ઇન્દ્રિયોને જીતી છે.૭૦ 

પુર્વે થયેલા મોટામોટા સાધુઓએ પણ આહારને નિયમમાં કરીને રસના ઇન્દ્રિયને જીતી છે માટે ત્યાગી સાધુઓએ આહાર નિયમમાં કરીને રસના ઇન્દ્રિયને જીતવી.૭૧ 

सरसेऽल्पे सकृद्बुक्तेऽप्यन्ने स तु न जीयते । नीरसे च मुहुर्भुक्ते सकृद्बुक्ते च भूयसि ।। ७२ 

युक्त एव ततः कार्य आहारो देहरक्षकः । युक्ताहारविहारस्येत्युक्तं भगवता स्वयम् ।। ७३ 

रसाश्रितास्ते कथिता मयेत्थं दोषा उपायाश्च जयेऽपि तस्य ।

स्नेहस्य तांस्तेऽथ मुने ! वदामि हिताय हि त्यागवतां नराणाम् ।। ७४

આહારને નિયમમાં કરવાની રીત :- રસવાળું અન્ન એકવાર પણ અતિશય થોડું જમવાથી રસના ઇન્દ્રિય નથી જીતાતી તથા રસ વિનાનું અન્ન થોડું થોડું વારંવાર જમવાથી પણ રસના ઇન્દ્રિય નથી જીતાતી, તથા રસ વિનાનું અન્ન એકવાર અતિશય ખાય તો પણ તે જીતાતી નથી.૭૨ 

તે માટે દેહના નિભાવરૂપ આહાર યુક્ત જ કરવો. તેમજ અતિશય થોડું પણ નહિ અને બહુ ઝાઝું પણ નહિ, એવી રીતે જમવું. ભગવદ્ ગીતાને વિષે શ્રીકૃષ્ણ ભગવાને પોતે જ કહ્યું છે જે, યુક્ત આહાર કરનાર યોગીને યોગ સિદ્ધ થાય છે.૭૩ 

હે મુનિ ! એવી રીતે રસાસ્વાદને આશરે રહેલા દોષો તથા તેને જીતવાના ઉપાયો અમે તમને કહ્યા. હવે સ્નેહરૂપ શત્રુના દોષો તથા તેમને જીતવાના ત્યાગી સાધુઓને હિતકારી એવા ઉપાયો અમે કહીએ છીએ તે સાંભળો.૭૪ 

इति श्रीसत्सङ्गिजीवने नारायणचरित्रे धर्मशास्त्रे चतुर्थप्रकरणे त्यागिधर्मेषु रसास्वाददोषतज्जयोपायनिरूपणनामा चतुःषष्टितमोऽध्यायः ।। ६४ 

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિ-જીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં ત્યાગી સાધુના ધર્મને વિષે રસાસ્વાદના દોષો તથા તતેને જીતવાના ઉપાયોનું નિરૂપણ કર્યું એ નામે ચોસઠમો અધ્યાય પૂર્ણ થયો. -૬૪-