અધ્યાય - ૬૩ ત્યાગી સાધુનું નિષ્કામી વર્તમાન.

ત્યાગી સાધુનું નિષ્કામી વર્તમાન. કામદોષને જીત્યાના ઉપાયો. નિયમભંગનાં પ્રાયશ્ચિતો.

श्रीनारायणमुनिरुवाच - 

यथा जलानां सर्वेषां निधानं वारिधिर्मतः। तथैव सर्वदोषाणामाश्रयः काम उच्यते ।। १ 

ज्ञानशास्त्रातिविज्ञानां ब्रह्म-स्थितिमतामपि । ब्रह्मानन्दादपि सुखं स्त्रैणं कामाद्विशिष्यते ।। २

कामेन स्त्रीसुखं लब्धुं पण्डिता अपि दम्भतः । भक्तयाटोपं ज्ञानवार्तां स्त्रीणां संसदि कुर्वते ।। ३

कामादेव हि नार्योऽपि पुंसः सङ्गसुखाप्तये । कृष्णाभेदेन तद्बक्तसेवां प्रीत्यैव कुर्वते ।। ४

ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે ગોપળાનંદ મુનિ ! જેમ સર્વે જળને રહ્યાનું સ્થાન સમુદ્ર માન્યો છે. તેમ સર્વે દોષોનો આશ્રય કામ કહ્યો છે.૧ 

જ્ઞાનશાસ્ત્રના જાણવાવાળા તથા બ્રહ્મસ્વરૂપને વિષે સ્થિતિવાળા પુરુષો પણ જો કામવાસનાને આધીન થાય તો તેમને સ્ત્રી સંબંધી સુખ બ્રહ્મના આનંદથી પણ અધિક મનાય છે.૨ 

કેટલાક પંડિતો પણ કામે કરીને સ્ત્રી સંબંધી સુખ પામવાને અર્થે સ્ત્રીઓની સભામાં દંભે કરીને ભક્તિનો આડંબર કરે છે, તથા જ્ઞાનની વાર્તા કરે છે.૩ 

કેટલીક સ્ત્રીઓ પણ કામ થકી પુરુષના સંગનું સુખ પામવાને અર્થે શ્રીકૃષ્ણ ભગવાન સંગાથે અભેદે કરીને ભગવાનના ભક્તની સેવાને પ્રીતિપુર્વક કરે છે. ભગવાન અને ભગવાનના ભક્તમાં કોઇ ભેદ નથી, એમ જાણીને ભક્તની સેવા કરે છે, એવી દુષ્ટ સમજણ કરાવનારો કામ છે. ભગવાન ક્યાં ? ને ભક્ત ક્યાં ? એ બેમાં તો અતિશય ભેદ છે. ભગવાન ચાહે તેમ કરે ને ભક્ત તો ભગવાનના કહેલા ધર્મમાં રહે તો કલ્યાણ થાય.૪ 

स्त्रीसुखप्राप्तये कामाच्छिष्यं गुरुरपि स्वयम् । वञ्चयत्यथ शिष्योऽपि तदर्थे च निजं गुरुम् ।। ५ 

कामात्सगोत्रागमनं गुरुस्त्रीगमनं तथा । जायते मातृगामित्वं पुत्र्यादिगमनं तथा ।। ६

जायते कामतः पुंसां गमनं विधवास्वपि । कुलजानां चोत्तमानां यवनीश्वपचीष्वपि ।। ७

मैथुनार्थे प्रवृत्तिश्च पुंसां पुंस्वपि जायते । पशुजातिषु वा क्क पि गर्दभीप्रमुखासु च ।। ८ 

कीश्वद्धैर्यहीनस्य त्यागिनो महतोऽपि च । करमन्थेन कामाद्वै जायते वीर्यपातनम् ।। ९

कामाद्धिवर्णसाङ्कर्य सर्वथा जायते भुवि । चतुर्णामाश्रमाणां च वर्णानां धर्मनाशनम् ।। १०

હે મુનિ ! કામથકી સ્ત્રી સંબંધી સુખ પામવાને અર્થે ગુરુ પણ પોતાના શિષ્યને ઠગે છે. તે પ્રમાણે શિષ્ય પણ કામવાસનાથી સ્ત્રીનું સુખ પામવા માટે પોતાના ગુરુને ઠગે છે.૫ 

કામ પરવશપણાથી પોતાના ગોત્રની સ્ત્રીનો સંગ થાય છે. પોતાના ગુરુની સ્ત્રીનો સંગ થાય છે. પોતાની મા, દિકરી, બહેન તથા ભાણેજ તેનો પણ સંગ થાય છે.૬ 

કામે કરીને પુરુષને વિધવા સ્ત્રીનો પણ સંગ થાય છે. કુળવાન એવા બ્રાહ્મણાદિક ઉત્તમ જ્ઞાતિના પુરુષને કામે કરીને યવની જે વેશ્યાદિક મુસલમાનની સ્ત્રી, તેનો પણ સંગ થાય છે. તથા શ્વપચી જે ચાંડાલની સ્ત્રી તેનો પણ સંગ થાય છે.૭ 

કામે કરીને પુરુષને પુરુષ વિષે મૈથુન કરવાને અર્થે પ્રવૃત્તિ થાય છે. કામે કરીને ક્યારેક ગર્દભી આદિક પશુની જાતિને વિષે મૈથુન કરવાને અર્થે પુરુષ પ્રવર્તે છે.૮

વાનરની પેઠે ધીરજ રહિત થઇને પોતાને હાથે કરીને શિશ્ન ઇન્દ્રિય થકી વીર્યનો પાત કરે છે.૯ 

કામથકી પૃથ્વીને વિષે અતિશય વર્ણસંકરપણું વટલવું, વટલાવવું, તેની પ્રવૃત્તિ નિશ્ચય થાય છે. બ્રહ્મચારી, ગૃહસ્થ. વાનપ્રસ્થ અને સંન્યાસ એ ચાર આશ્રમ તથા બ્રાહ્મણ, ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર એ ચાર વર્ણના ધર્મનો નાશ પણ કામ થકી જ થાય છે.૧૦ 

पतिपित्रा-दिघाते च कामात् स्त्रीणां प्रवर्तनम् । अवध्यानामपि स्त्रीणां घाते पुंसस्तथैव च ।। ११ 

अभक्ष्यमत्स्यमांसादिभक्षणेऽपि प्रवर्तनम् । कामाझ्वत्युत्तमानां सुरापाने तथाऽनृते ।। १२

काममाश्रित्य वर्तन्ते क्रोधश्च मदमत्सरौ । मानेर्ष्यादर्पदम्भाश्च निर्लज्जत्वं च पैशुनम् ।। १३ 

अपकीर्तिश्च सम्मोहः स्मृतिभ्रंशो मतिक्षयः । अपमृत्युर्महारोगाः काममेव समाश्रिताः ।। १४ 

श्वादिनीचतनुप्राप्तिर्नानानरकयातनाः । कामाद्बवन्त्यसद्बुद्धिः संसृतिश्च पुनः पुनः ।। १५ 

કામથકી સ્ત્રીઓ પોતાના પતિ, પિતા, ભાઇ આદિકને મારી નાખે છે, અથવા મરાવી નાખે છે. તથા કોઇ પણ રીતે મારી નાખવાને યોગ્ય નહિ એવી સ્ત્રીઓને પણ કામસુખની પ્રાપ્તિમાં અંતરાય કરતી હોય તો તેને મારી નાખે છે.૧૧ 

ઉત્તમ જાતિના મનુષ્યો પણ કોઇ રીતે ખાવા યોગ્ય નહિ એવાં માછલાં તથા બીજી રીતનું માંસ એ આદિક જે અપવિત્ર વસ્તુ તેનું કામવશ થઇ ભક્ષણ કરે છે. કામથકી ઉત્તમ મનુષ્યોની સુરાપાનને વિષે તથા કેવળ અસત્ય બોલવાને વિષે પ્રવૃત્તિ થાય છે.૧૨ 

ક્રોધ, મદ, મત્સર, માન, ઇર્ષ્યા, દર્પ, દંભ, નિર્લજ્જપણું ને ચાડિયાપણું એ જે દોષ તે કામને આશરીને વર્તે છે. અર્થાત્ કામમાં એ સર્વે દોષ રહ્યા છે.૧૩ 

જગતમાં અપકીર્તિ, અવળી સમજણ, પૂર્વાપરની સ્મૃતિનો નાશ, રૂડી બુદ્ધિનો નાશ, અપમૃત્યુ અને મોટો રોગ એ સર્વે કામને આશરીને જ રહ્યા છે.૧૪ 

કામથકી શ્વાન, ગર્દભ, શૂકર આદિક નીચ દેહની પ્રાપ્તિ તથા નાના પ્રકારના નરકના દુઃખોની પ્રાપ્તિ થાય છે. કામથકી જીવની અતિશય ભૂંડી બુદ્ધિ થાય છે. તથા ચોર્યાસી લાખ જાતિને વિષે વારંવાર જન્મમૃત્યુની પ્રાપ્તિ થાય છે.૧૫ 

इत्यादयो बहुविधा दोषाः कामस्य सन्ति वै । अथ तस्य जयोपायाः कीर्त्यन्ते गुणसंज्ञाकाः ।। १६

कामो हि बलवाञ्छत्रुर्यौवने नंश्च योषितः । पीडयत्येव नितरां जेयोऽसौ सद्व्रतादिभिः ।। १७ 

धारणापारणासंज्ञां चातुर्मास्ये व्रतं शुभम् । प्रतिवर्षं विधातव्यं यथोक्तविधिनैव तत् ।। १८ 

चान्द्रायणं पराकं वा देशकालानुसारतः । कुर्वीत चतुरो मासान्कामोन्मूलनकृ द्व्रतम् ।। १९

कृच्छ्रातिकृछ्राख्यव्रतं व्रतं सान्तपनं तथा । उद्दालकं यावकं वा सौम्यकृच्छ्राभिघं व्रतम् ।। २० 

फलकृच्छ्रं पर्णकृच्छ्रं मूलकृछ्राम्बुकृच्छ्रके । मासोपवासाख्यव्रतं कुर्यात्त्यागी पुमान्मुने ! ।। २१ 

व्रतैरेव विनश्यन्ति मनसः कामवासनाः । प्रत्यब्दं तानि तत्कुर्याद्यावत्स्यात्कामसयः ।। २२ 

કામદોષને જીત્યાના ઉપાયો :- હે મુનિ ! આ પ્રમાણે કામના અનેક પ્રકારના દોષો છે. હવે તેને જીતવાના ઉપાયો કહીએ છીએ. તે ઉપાયો ધર્મસર્ગ થકી ઉત્પન્ન થાય છે. માટે તે સદ્ગુણરૂપ કહેવાય છે, તેણે કરીને અધર્મ સર્ગના દોષ યુક્ત જે કામ તે જીતાય છે.૧૬ 

સ્ત્રીઓ તથા પુરુષોને યૌવન અવસ્થાને વિષે અત્યંત પીડા કરનારો કામ નામે શત્રુ મહાબળવાન છે. તે માટે સારાં વ્રતો તથા સારા વિચારોએ કરીને તેને જીતવો.૧૭

દરવર્ષે ચોમાસામાં ધારણા પારણા નામે રૂડું વ્રત શાસ્ત્રમાં કહેલા વિધિ પ્રમાણે યુવાન ત્યાગી સાધુએ કરવું.૧૮ 

વળી કામને મૂળમાંથી ઉખાડી નાખે એવું ચાંદ્રાયણવ્રત તથા પારાક નામે વ્રત તે દેશકાળને અનુસારે ચોમાસાના ચાર માસ સુધી યુવાન ત્યાગી સાધુ કરે.૧૯ 

વળી કૃચ્છ્રવ્રત, અતિકૃચ્છ્રવ્રત, સાંતપવનવ્રત, ઉદ્દાલકવ્રત, યાવકવ્રત, તથા સૌમ્યકૃચ્છ્રવ્રત, ફળકૃચ્છ્રવ્રત પર્ણકૃચ્છવ્રત, મૂળકૃચ્છ્રવ્રત, જળકૃચ્છ્રવ્રત, તથા માસોપવાસ વ્રત યુવાન અવસ્થાવાળો ત્યાગી સાધુ કરે.૨૦-૨૧ 

આ વ્રત કહ્યાં તે સર્વેનાં લક્ષણો તથા કરવાની રીત પોતાના ગુરુ તથા મોટા સાધુ થકી જાણવી. કારણ કે મનને વિષે રહેલી કામની વાસનાઓ વ્રતે કરીને નાશ પામે છે. માટે કામનો અત્યંત વિનાશ થાય ત્યાં સુધી વર્ષોવર્ષ પોતાની શક્તિ પ્રમાણે તે વ્રતો કરવાં.૨૨ 

तथा वस्तुविचारेण महतां सङ्गमेन च । त्यागिभिर्जीयते नूनमेष कामोऽपि दुर्जयः ।। २३ 

यां तु कामविलासात्र्यै पुमानमिलषेत् स्त्रियम् । मांसास्थिस्नायुमज्जासृक्श्लेष्मविष्ठामयी हि सा ।। २४ 

उद्दिश्याप्यसतीं योषां कामेन विवशः पुमान् । यानि कर्माणि कुरुते जायन्ते तान्यृतानि हि ।। २५ 

तैः कर्मभिस्ततो याति नरकान्विविधान्नरः । योनीः श्वखरकीशाद्या लभते च पुनः पुनः ।। २६ 

इत्थं विचार्य तत्सङ्गं त्यक्त्वा दूरत एव हि । एतेषु नियमेष्वेव वर्तितव्यं मुमुक्षुभिः ।। २७

कथा वार्ताः कचिन्नैव स्त्रीणां श्रव्या असत्प्रियाः । त्यागिभिः पुरुषैस्तासां कर्तव्यं कीर्तनं न च ।। २८ 

स्त्रीभिः सह न च क्रीडां न च तासां निरीक्षणम् । न गुह्यभाषणं ताभिः सह कुर्यात्कदाचन ।। २९ 

सङ्कल्पो निश्चयश्चापि न कर्तव्यस्तदाप्तये । स्पर्शस्तु नैव कर्तव्यो दारव्या अपि योषितः ।। ३० 

હે મુનિ ! તેમજ વસ્તુવિચારે કરીને અને મોટા પુરુષોના સમાગમે કરીને ત્યાગી સાધુ નિશ્ચય દુઃખે કરીને જીતાય, એવા કામને જીતે છે.૨૩ 

હવે તે વસ્તુ વિચાર કહીએ છીએ. પુરુષ કામભોગની પ્રાપ્તિને અર્થે જે સ્ત્રીને ઇચ્છે છે. તે સ્ત્રી માંસ, હાડકાં, નાડીઓ, મજ્જા, લોહી, લીટ, વિષ્ટા, આદિક જે અતિ ભૂંડી વસ્તુઓથી ભરેલી છે. તેમાં એકે વસ્તુ રૂડી નથી. તેમાં પુરુષ જે સુખ માને છે. તે મહામૂર્ખ છે.૨૪ 

અતિશય અપવિત્ર વસ્તુઓની ભરેલી અને નાશવંત સ્ત્રી છે. તેને સારા જેવી અને સાચા જેવી માનીને કામે કરીને પરવશ થયેલો પુરુષ જે જે પાપકર્મ કરે છે. તે કર્મ નિશ્ચય સાચાં થાય છે.૨૫ 

તે પુરુષ તે કર્મે કરીને નાના પ્રકારનાં નરકને પામે છે. તથા શ્વાન, ગર્દભ, વાનર, શૂકર, આદિક યોનિઓને વારંવાર પામે છે.૨૬ 

એવો વિચાર કરીને સ્ત્રીને વિષેની આસક્તિનો દૂરથી જ ત્યાગ કરીને મુમુક્ષુ એવા ત્યાગી સાધુઓએ અમે કહેલા નિયમો અનુસાર નિરંતર વર્તવું.૨૭ 

સ્ત્રી સંબંધી શૃંગારરસના ગ્રંથોની કથા અને વ્યવહાર સંબંધી સ્ત્રીઓની વાર્તા જે અસત્પુરુષ હોય તેને પ્રિય લાગે છે. માટે ત્યાગી સાધુઓએ તો સ્ત્રીઓની કથા વાર્તા ક્યારેય સાંભળવી નહિ. અને પોતાના મુખે કરીને સ્ત્રીઓના ગુણ અને રૂપનું વર્ણન કરવું નહિ. ત્યાગી સાધુ સ્ત્રીઓ સંગાથે હાસ્ય વિનોદાદિક રમત કરે નહિ. સ્ત્રીઓને જાણી જોઇને જુવે નહિ. ક્યારેય પણ સ્ત્રી સાથે છાની રીતે બોલે નહિ, સ્ત્રીના શરીર સંબંધી વાર્તા પુરુષ સંગાથે સ્ત્રીને કહેવડાવે નહિ.૨૯ 

સ્ત્રીની પ્રાપ્તિને માટે ત્યાગી સાધુ મનમાં સંકલ્પ તથા તેનો બુદ્ધિએ કરીને નિશ્ચય ન કરે. તથા કાષ્ઠાદિકની સ્ત્રીની પૂતળીનો સ્પર્શ ન કરે, તો સાક્ષાત્ સ્ત્રીનો સ્પર્શ ન કરે તેમાં શું કહેવું ?.૩૦ 

ज्वलद्वह्नौ वरं पातो वरं वा विषभक्षणम् । कूपे वा पतनं श्रेष्ठं न तु स्त्रीगमनं क्वचित् ।। ३१ 

तथा स्त्रीजातिमात्रस्य गुह्यमङ्गं कदाचन । द्रष्टव्यं त्यागिभिर्नैव स्पृश्यं स्त्रीवसनं न च ।। ३२

धौतार्द्राद्धौतशुष्काद्वा नवीनाद्योषितोंऽशुकात् । इतरस्य तु संस्पर्शे जाते दोषो न चान्यथा ।। ३३

नारीणां सम्मुखं तैश्च नोपवेश्यं कदाचन । तासां चित्रं न कर्तव्यं नावलोक्यं तथैव तत् ।। ३४

धनुर्मात्रान्तरं त्यक्त्वा गन्तव्यं दूरतः स्त्रियाः । हर्युत्सवेषु बहुले जनौघे मिलिते सति ।। ३५ 

देवालये चाज्ञाशिशौ तथा सङ्कीर्णवर्त्मनि । भिक्षाटने च संरक्ष्यं स्त्रीस्पर्शात्स्वाङ्गमेव हि ।। ३६

બળતા અગ્નિમાં પડવું સારૂં, ઝેર ખાવું તે પણ સારૂં, કૂવામાં પડવું સારૂં પરંતુ સ્ત્રીનો સાક્ષાત્ સંગ કરવો તે લેશ પણ સારો નથી. તે ત્રણે થકી સ્ત્રીનો સંગ કરવો તે અતિશય ભૂંડો છે.૩૧ 

સ્ત્રીજાતિ માત્રનું ગુહ્ય અંગ ત્યાગી સાધુએ ક્યારેય જોવું નહિ, સ્ત્રીને પહેરવાનાં વસ્ત્રોનો સ્પર્શ કરવો નહિ. સ્ત્રીએ ઉતારી મૂકેલા વસ્ત્રનો પણ સ્પર્શ કરવો નહિ.૩૨ 

સ્ત્રીનું ધોયેલું વસ્ત્ર લીલું હોય અથવા સૂકાયેલું હોય, તથા નવું હોય તેને અડી જવાય તો દોષ નથી. એ વિના બીજું જે સ્ત્રીને પહેરવા ઓઢવાનું વસ્ત્ર તેને અડાય તો તેનો દોષ છે.૩૩ 

ત્યાગી સાધુઓએ ક્યારેય પણ સ્ત્રીઓની સન્મુખ બેસવું નહિ. સ્ત્રીના ચિત્રને પણ જોવું નહિ.૩૪ 

માર્ગમાં ચાલવું ત્યારે સ્ત્રી થકી પાંચ હાથ છેટે ચાલવું. ભગવાનના જન્મ ઉત્સવને વિષે ઘણાક જનના સમૂહ ભેગા થયા હોય ત્યારે સ્ત્રી થકી એટલે છેટે ન ચલાય તેનો બાધ નથી. ત્યારે તો સ્ત્રીના સ્પર્શ થકી પોતાના અંગની જ રક્ષા કરવી.૩૫ 

ભગવાનનું મંદિર હોય તથા માર્ગમાં કોઇ નાની બાળકી બેઠી હોય, સાંકડો માર્ગ હોય, અને ભિક્ષા માગવા જાય, એ ચાર ઠેકાણે પણ સ્ત્રીના સ્પર્શથકી પોતાના અંગની રક્ષા કરવી, પણ પાંચ હાથ છેટે ચાલવાનો નિયમ ન રહે, તેનો બાધ નહિ.૩૬ 

यत्र वा स्यात्क्रिया स्त्रीणां तत्र कार्या न सा तथा । स्त्रीवेषधारी च पुमान्नेक्ष्यः स्पृश्यो न च क्वाचित् ।। ३७

सम्भाषणं न कर्तव्यं स्त्रीभिः सह कदाचन । न वर्णनीयाश्च गुणास्तासां नैवागुणा अपि ।। ३८

स्त्रियमुद्दिश्य कर्तव्यं न विष्णोर्गुणकीर्तनम् । स्त्रिया मुखादपि तथा नैव श्रव्या कथा हरेः ।। ३९ 

शालग्रामस्य यस्य स्यात्स्वयं योषैव पूजिका । दर्शनार्थं न वै तस्य गन्तव्यं त्यागिभिः क्वाचित् ।। ४० 

भिक्षां सभाप्रसङ्गं वा विना न गृहिणां गृहान् । गच्छेयुस्त्यागिपुरुषा गच्छेयुः क्वापि नैकलाः ।। ४१ 

ब्रह्मचर्यं न हातव्यमपि प्राणात्यये निजम् । तत्त्यागबोधकं वाक्यं न ग्राह्यं स्वगुरोरपि ।। ४२ 

नैव कारयितव्यं च स्वस्थाने स्त्रीप्रवेशनम् । अन्नोदकादि पुरुषैरानाय्यं न स्त्रिया क्वचित् ।। ४३

सम्मार्जनोपलेपादि स्वकुटयामाचरेत्स्वयम् । पुंसा वा कारयेत्त्यागी न तु तत्क्वापि योषया ।। ४४

ત્યાગી સાધુએ જે ઠેકાણે સ્ત્રીઓની સ્નાનાદિક ક્રિયા થતી હોય તે ઠોકાણે તે ક્રિયા કરવા જવું નહિ, સ્ત્રીના વેષને ધરી રહ્યો એવો જે પુરુષ તેને ક્યારેય પણ જોવો નહિ, અને અડવું પણ નહિ.૩૭ 

ત્યાગી સાધુએ ક્યારેય પણ સ્ત્રીઓની સંગાથે બોલવું નહિ, સ્ત્રીઓના ગુણઅવગુણનું વર્ણન કરવું નહિ.૩૮ 

સ્ત્રીને સંભળાવવા સારૂં ભગવાનના ગુણોનું કીર્તન કરવું નહિ, તથા સ્ત્રીના મુખથકી ક્યારેય પણ ભગવાનની કથા વાર્તા સાંભળવી નહિ.૩૯ 

જે શાલિગ્રામની પૂજા કરનારી સ્ત્રીઓ જ હોય, તે શાલિગ્રામના દર્શન કરવા સારૂં ત્યાગી સાધુએ ક્યારેય જાવું નહિ. કેમ જે સ્ત્રીઓએ પૂજેલા શાલિગ્રામનાં દર્શન કરનારને મોટું પાપ થાય છે, એમ નારદીપુરાણમાં કહ્યું છે.૪૦ 

ભિક્ષા કરવા અથવા સભાનો પ્રસંગ હોય ને જાવું પડે, એ બે પ્રસંગ વિના બીજા કોઇ કામ સારૂં ત્યાગી સાધુ ગૃહસ્થના ઘર પ્રત્યે જાય નહિ. કોઇ પણ કાર્ય સારૂં કોઇ ઠેકાણે એકલા તો ક્યારેય જવું નહિ.૪૧ 

પોતાના પ્રાણ જાય એવું કષ્ટ આવી પડે, તો પણ ત્યાગી સાધુએ પોતાના બ્રહ્મચર્યવ્રતનો ભંગ કરવો નહિ. પોતાના બ્રહ્મચર્યવ્રતનો ત્યાગ થાય એવું વચન તો પોતાના ગુરૂનું પણ ન માનવું.૪૨ 

પોતાને રહ્યાનું જે સ્થાન તેને વિષે સ્ત્રીને પેસવા દેવી નહિ. અન્નજળ આદિક પદાર્થ તે પુરુષ પાસે મંગાવવું પણ સ્ત્રી પાસે ક્યારેય મંગાવવું નહિ. સ્ત્રી પોતાની જાતે લઇને આવે તો પણ લેવું નહિ.૪૩ 

પોતાને રહેવાની જગ્યાને વિષે વાળવું, લીંપવું એ આદિક કાર્ય ત્યાગી સાધુ પોતાને હાથે કરે અથવા કોઇક પુરુષ પાસે કરાવે પણ સ્ત્રી પાસે તે કાર્યને ક્યારેય ન કરાવે.૪૪ 

यत्र स्त्रियाः पादचारो भूतपूर्वो भवेत्स्थले । तल्लेपयित्वा वस्तव्यं पुंसा वा प्रोक्ष्य वारिणा ।। ४५ 

सङ्गो नैव च कर्तव्यः शिश्नोदरसुखैषिणाम् । स्त्रीसङ्गवत्स्त्रैणसङ्गो दूराद्धेयो मुमुक्षुभिः ।। ४६ 

स्त्रीणां स्त्रैणनराणां च सङ्गात्पुंसोऽत्र बन्धनम् । यथा दृढं भवति वै न तथान्यप्रसङ्गतः ।। ४७

स्त्रैणसङ्गात्साधुताया ऐश्वर्याण्यखिलान्यपि । नाशमायान्ति सहसा मुक्तानां च मुमुक्षताम् ।। ४८

ह्मचर्यमहिंसा चानीर्ष्या शौचं क्षमा दया । सत्यं मौनं यशो बुद्धिर्हीत्ररस्तेयं शमो दमः ।। ४९

इत्यादयो गुणाः सङ्गात्स्त्रैणानां यान्ति हि क्षयम् । तस्मात्सङ्गो न कर्तव्यः स्त्रीषु स्त्रैणेषु सर्वथा ।। ५० 

જે સ્થાનકને વિષે પ્રથમ સ્ત્રીનો પગફેર થયો હોય, ત્યાં ત્યાગી સાધુને નિવાસ કરવો હોય તો તે સ્થાનને પુરુષ પાસે લીંપાવીને ત્યાં નિવાસ કરવો, અને લીંપવાનું અનુકુળ ન હોય અથવા કોઇક આપત્કાળ આવી પડયો હોય તો તે સ્થાનને જળે કરીને છાંટીને ત્યાં નિવાસ કરવો.૪૫ 

બીજું કેવળ સ્ત્રીસંબંધી સુખને જ ઇચ્છતા તથા સારૂં સારૂં ખાઇને કેવળ પેટ ભર્યાના સુખને ઇચ્છતા, એવા જે અસત્પુરુષ તેનો સંગ ત્યાગી સાધુએ કરવો નહિ. જેમ સ્ત્રીના સંગનો ત્યાગ કરવો તેમ કેવળ સ્ત્રી પ્રત્યે કામી એવા પુરુષના સંગનો પણ ત્યાગી સાધુઓએ છેટેથી જ ત્યાગ કરવો.૪૬ 

કારણ કે આલોકમાં સ્ત્રીઓના સંગ થકી તથા સ્ત્રીને આધીન કામી પુરુષના સંગ થકી જેવી રીતે મુમુક્ષુ પુરુષને અતિશય દૃઢપણે બંધન થાય છે, તેવી રીતે બીજા પદાર્થોના પ્રસંગ થકી નથી થાતું. માટે એ બેના પ્રસંગનો સર્વ પ્રકારે ત્યાગ કરવો.૪૭ 

મુક્ત, મુમુક્ષુ અને સાધુ પુરુષોના રૂડાગુણરૂપ સમગ્ર ઐશ્વર્ય અને સામર્થ્ય તે સ્ત્રીને આધીન કામી પુરુષના સંગથકી તત્કાળ નાશ પામી જાય છે.૪૮ 

બ્રહ્મચર્યવ્રત, અહિંસા, કોઇની નિંદા ન કરવી, પવિત્રપણું, ક્ષમા, દયા, સત્ય, મૌન, સારી કીર્તિ, બુદ્ધિ, લજ્જા, ચોરી ન કરવી, મન આદિક ચાર અંતઃકરણને નિયમમાં રાખવાં, નેત્રાદિક ઇન્દ્રિયોને નિયમમાં રાખવી, એ આદિક સદ્ગુણો કામી પુરુષના સંગથકી નિશ્ચય નાશ પામે છે. તે માટે ત્યાગી સાધુઓએ કોઇ પ્રકારે સ્ત્રીઓનો તથા સ્ત્રીઓને આધીન કામી પુરુષનો પ્રસંગ ન કરવો.૪૯-૫૦ 

भक्तया विष्णौ सतां सङ्गादेतैश्च नियमैः सह । त्यागिनो दुर्जयं कामं जित्वा यान्ति परं सुखम् ।। ५१ 

ययातिरैलमुख्याश्च पुरापि धरणीश्वराः । कामत्यागात्परं सौख्यं स्वाभीष्टं ननु लेभिरे ।। ५२

एतेषु नियमेषु स्याद्यस्य यस्य च्युतिः क्वचित् । कर्तव्यं तस्य तस्याशु प्रायश्चित्तं हितैषिभिः ।। ५३ 

ભગવાનને વિષે ભક્તિ અને નિષ્કામી સાધુ પુરુષનો સંગ આ બે સહિત અમે કહ્યા એવા જે સર્વે નિયમો તેનું પાલન કરવાથી ત્યાગી સાધુ દુઃખે કરીને જીતાય એવા કામને જીતીને પરમ સુખ પામે છે.૫૧ 

પૂર્વે યયાતિ, ઐલ, પુરુરવા, એ આદિક મોટા રાજાઓ પણ કામનો ત્યાગ કરી પોતાને મનોવાંછિત પરમ સુખને નિશ્ચય પામ્યા છે.૫૨ 

અમે કહ્યા જે નિયમ તેમાંથી કોઇ નિયમનો ભંગ થઇ જાય ત્યારે તેનું પ્રાયશ્ચિત પોતાનું હિત ઇચ્છનારા ત્યાગી સાધુએ તત્કાળ કરવું.૫૩ 

अज्ञानात्स्त्रीकथायास्तु श्रवणे कीर्तने तथा । स्त्रीणां वा विहरन्तीनां क्रीडास्थाने क्षणं स्थितौ ।। ५४ 

स्त्रिया दृष्टया दृशं बध्वा स्वस्य तत्प्रेक्षणे कृते । पुमुदृशेन वा नार्या बोधेऽप्यज्ञानतः कृते ।। ५५ 

पुंसा च कारिते गुह्यभाषणेऽपि स्त्रियं प्रति । जाते स्त्रीसङ्गसङ्कल्पे मनसा कामतः क्वचित् ।। ५६ 

तत्सङ्कल्पवशत्वे च स्वस्य जाते क्षणं क्वाचित् । स्त्रयङ्गस्थवस्त्रस्पर्शे च जातेऽप्यज्ञानतस्तथा ।। ५७ 

धनुर्मानान्तरगतिच्यवने चाप्यनापदि । सम्भाषणे स्त्रिया जाते स्त्रीगुह्याङ्गस्य चेक्षणे ।। ५८ 

भङ्गेऽन्येषां व्रतानां च प्रमादादपि कर्हिचित् । उपवासो विधातव्यो विष्णुनामजपान्वितः ।। ५९ 

बुद्धिपूर्वं क्वचित्दृृष्टे पशुपक्ष्यादिमैथुने । उपवासो विधातव्यस्त्यागिना चैकवासरम् ।। ६० 

નિયમભંગનાં પ્રાયશ્ચિતો :- જે પ્રાયશ્ચિતમાં એક ઉપવાસ કરવો પડે, એવા જે નિયમભંગ તે અમે કહીએ છીએ. અજાણતા સ્ત્રી સંબંધી વાર્તા સાંભળી જવાય, તથા કહેવાઇ જવાય, અને સ્ત્રીઓ પરસ્પર ક્રીડા કરતી હોય, તે ઠેકાણે ક્ષણમાત્ર ઊભું રહી જવાય, તો પૃથક્ પૃથક્ એક એક ઉપવાસ કરવો.૫૪ 

અજાણતા સ્ત્રીની દૃષ્ટિ સાથે પોતાની દૃષ્ટિ બાંધીને તે સ્ત્રીને જોવાઇ જવાય, તથા અજાણતા પુરુષના મિષે સ્ત્રીને જ્ઞાનવાર્તાનો બોધ કરાઇ જવાય, તો પૃથક્ પૃથક્ એક એક ઉપવાસ કરવો.૫૫ 

પુરુષદ્વારા અજાણતા છાનીવાર્તા સ્ત્રી પ્રત્યે કહેવડાવે તથા ક્યારેક કામના પરવશપણા થકી મને કરીને સ્ત્રીના સંગનો સંકલ્પ કરી જવાય, તો એક એક ઉપવાસ કરવો ૫૬ 

ક્યારેક સ્ત્રીસંગના સંકલ્પને તત્કાળ ટાળી ન શકાય તથા સ્ત્રીના અંગ ઉપરના વસ્ત્રનો સ્પર્શ જો અજાણતા થઇ જાય, તથા ધોયેલું, ભીનું અથવા સૂકું અને નવું એ ત્રણ સિવાયનું જે સ્ત્રીને પહેર્યા ઓઢયાનું જે વસ્ત્ર, તેનો જો અજાણતા સ્પર્શ થઇ જાય તો એક એક ઉપવાસ કરવો.૫૭ 

કોઇ આપત્કાળ ન હોય અને માર્ગ પહોળો હોય તો પણ સ્ત્રી થકી પાંચ હાથ છેટે ન ચલાય, તથા સ્ત્રી સાથે અજાણતા બોલાઇ જવાય તથા અજાણતા સ્ત્રીનું ગુહ્ય અંગ દેખાઇ જવાય તો એક એક ઉપવાસ કરવો.૫૮ 

એવી રીતે ક્યારેક અસાવધાનપણાથી નિયમમાં ફેર પડી જાય તો ભગવાનના નામ જપે યુક્ત એક એક ઉપવાસ ત્યાગી સાધુએ કરવો.૫૯ 

જો ક્યારેક જાણીને પશુપક્ષીનું મૈથુન જોવાઇ જાય તો પણ ત્યાગી સાધુએ એક ઉપવાસ કરવો.૬૦ 

दीक्षाग्रहीतृपुरुषसम्बन्धिजनप्रच्छने । भिक्षानिमित्ते कार्ये च तथा पुस्तकलेखने ।। ६१ 

उचितावासदाने च हरीक्षागतयोषिताम् । ईदृशावश्यके कार्ये सम्प्राप्ते सति कर्हिचित् ।। ६२ 

स्त्रीसम्बन्धि वचः श्रव्यं कथितं पुरुषेण चेत् । स्वस्वमण्डलमुख्येन न सर्वैस्त्यागिभिस्तु तत् ।। ६३

शृणुयादुत्तरं ब्रूयादितरो यदि तद्वचः । सद्यः स्नत्वा जपेत्तर्हि मनुं त्रिर्वसुवर्णकम् ।। ६४

नरनारायणीयां च ततः स प्रणमेद्दिशम् । एवं कृते विशुद्धिः स्यात्त्यागिनस्तस्य निश्चितम् ।। ६५ 

असाक्षिकं न वक्तव्यं मुख्येनापि तदुत्तरम् । उक्ते सति तु तस्यापि प्रायश्चित्तं तदेव हि ।। ६६ 

आवश्यकाधिकं ब्रूयाद्यदि वार्ताप्रसङ्गतः । तर्हि स्नत्वा ह्युपवसेद्दिनमेकं हरिं स्मरन् ।। ६७ 

હવે જે ઠેકાણે સ્ત્રી સંબંધી વચનને પુરુષ થકી સાંભળવું પડે તે કહીએ છીએ, ત્યાગીની દીક્ષા લેવા સારૂં આવેલા પુરુષના સંબંધી જનોએ પૂછવું તથા કોઇક બાઇ માણસ સાધુને જમવા સારૂં રસોઇ દેવાનું કહેવરાવે તેની આજીવિકાની રીત પૂછવી તથા કોઇક બાઇ માણસ પુસ્તક લખાવવા માટે મોકલે, તેની કાંઇક વાત પૂછવી. ભગવાનનાં મંદિરો પ્રત્યે દર્શન કરવા માટે આવેલી સ્ત્રીઓને ઘટે તેવે ઠેકાણે ઉતારો અપાવવો તે માટે સ્ત્રી સંબંધી વાત પૂછવી, આવું ક્યારેક કોઇક અવશ્ય કાર્ય આવી પડે ત્યારે જો પુરુષ આવીને કહે, તો તે સંબંધી વચન મંડળના મુખ્ય સાધુએ સાંભળવું.૬૧-૬૩ 

મુખ્ય સિવાય બીજો ત્યાગી સાધુ જો તે વચન સાંભળે અથવા તેનો ઉત્તર કરે તો તે તત્કાળ સ્નાન કરીને ત્રણવાર અષ્ટાક્ષર મંત્રનો જપ કરે.૬૪ 

તે પછી તે ત્યાગી સાધુ શ્રીનરનારાયણદેવ જે દિશામાં રહ્યા છે, તે ઉત્તર દિશા પ્રતિ સાષ્ટાંગ નમસ્કાર કરે. એ રીતે ત્યાગી સાધુ નિશ્ચય વિશુદ્ધ થાય.૬૫ 

અને તે મુખ્ય સાધુએ પણ સ્ત્રી સંબંધી વચનનો ઉત્તર એક કે બે બીજા પુરુષની સાથે રહીને કરવો, પણ તે વિના ન કરવો. તે વચન પણ બીજા એક કે બે પુરુષની સાક્ષીમાં સાંભળવું, અને બીજા પુરુષની સાક્ષી વિના જો તે વચન સાંભળે અથવા તેનો ઉત્તર કરે, તો તે મુખ્ય સાધુએ પણ બીજા ત્યાગી સાધુને કહ્યું તે પ્રાયશ્ચિત કરે.૬૬

તે મુખ્ય ત્યાગી સાધુ સ્ત્રી સંબંધી વચનનો ઉત્તર કરતાં અવશ્ય બોલવાનું હોય તેથી અધિક વચન વાર્તાના પ્રસંગે કરીને બોલે તો સ્નાન કરીને હરિનું સ્મરણ કરે અને એક ઉપવાસ કરે ત્યારે શુદ્ધ થાય.૬૭ 

करमन्थेन तु कृते त्यागना वीर्यपातने । उपवासास्तेन कार्या दिवसानां चतुष्टयम् ।। ६८ 

वीर्यस्रावो भवेत्स्वप्ने यदि वैवश्यतस्तदा । प्रातः स्नात्वैव कुर्वीत दिनमेकमुपोषणम् ।। ६९ 

भिक्षाटनेऽध्वनि स्नने पानीयाहरणादिषु । वियुक्तौ त्यागिनौ यर्हि न पश्येतां परस्परम् ।। ७० 

ताभ्यां द्वाभ्यामपि तदा कार्यमेकमुपोषणम् । मलमूत्रोत्सर्जनेऽत्र नोपवासस्तथाऽपदि ।। ७१

त्यागिना च स्त्रिया साकं स्थितौ रहसि वाध्वनि । याने तया सह कृतेऽप्युपोष्येत दिनत्रयम् ।। ७२ 

त्यागिनः कामवैवश्यद्ब्रह्मचर्यं यदष्टमम् । च्युतं भवेत्तदानीं यत्प्रायश्चित्तं तदुच्यते ।। ७३ 

धर्मशास्त्रेषु तु महत्प्रायश्चित्तमिहोदितम् । अशक्यं तत्कलौ कर्तुं तत्कुर्याद्वार्षिकं व्रतम् ।। ७४ 

दिवसेऽनशनं कुर्यादेकस्मिंश्चापरेऽहनि । पिबेन्निर्लवणान्सक्तून्मौनेनैव सकृद्दिवा ।। ७५ 

सक्तून्पातुमशक्तोऽन्नमद्याल्लवणयुक्पुमान् । अन्नद्वयं सलवणं तत्राशक्तोऽपि भक्षयेत् ।। ७६ 

रोगेणोपद्रुतो यः स्यात्कयाचिद्वाऽपदा क्वचित् । उपवासविहीनं स त्यागी कुर्यादिदं व्रतम् ।। ७७ 

रोगे चापदि नष्टायां जपित्वाऽष्टाक्षरं मनुम् । सहस्रसङ्खयं कुर्वीत यथापूर्वं निजं व्रतम् ।। ७८

ત્યાગી સાધુ કામને પરવશ થકો પોતાના હાથને ચાળે કરીને જો વીર્યપાત કરે તો તે ત્યાગી સાધુ ચાર દિવસ સુધી લાગટ ઉપવાસ કરે ત્યારે શુદ્ધ થાય.૬૮ 

અને જો સ્વપ્નને વિષે સ્ત્રીનાં દર્શન કરીને કામના પરવશપણાથકી વીર્યપાત થઇ જાય તો પ્રાતઃકાળે સ્નાન કરીને એક દિવસ ઉપવાસ કરવો.૬૯ 

ભિક્ષા માગવા જવું, માર્ગે ચાલવું, સ્નાન કરવા જવું, તથા જળ ભરવા જવું, એ આદિક ક્રિયા કરવાને અર્થે ભેગા થઇને ગયેલા બે ત્યાગી સાધુ જો તે ક્રિયા કરતાં નોખા પડી જાય ને એક બીજાને દેખે નહિ, તો બન્ને સાધુને એક એક ઉપવાસ કરવો. દિશા ફરવા જવું તથા લઘુશંકા કરવા જવું તેમાં એક બીજાને ન દેખે તેનો ઉપવાસ નહિ. અને કોઇક રોગાદિક આપત્કાળ આવી પડે તેમાં જો એક બીજાને ન દેખે તો તેનો પણ ઉપવાસ નહિ.૭૦-૭૧ 

એકાંત સ્થળને વિષે એકલા ત્યાગી સાધુથી એકલી સ્ત્રીભેળા થોડીકવાર જે ઊભું રહી જવાય, તો તેણે ત્રણ દિવસ સુધી લાગટ ઉપવાસ કરવા.૭૨ 

માર્ગને વિષે એકલી સ્ત્રી ભેળો એકલા ત્યાગી સાધુથી થોડીકવાર જો ચલાઇ જવાય તો પણ તેણે ત્રણ દિવસ સુધી લાગટ ઉપવાસ કરવા. જો કામને પરવશપણાથકી ત્યાગી સાધુને આઠમા બ્રહ્મચર્યવ્રતનો ભંગ થઇ જાય અર્થાત્ સાક્ષાત્ સ્ત્રીનો અંગસંગ થઇ જાય તો તેનું પ્રાયશ્ચિત કહીએ છીએ.૭૩ 

આઠમા બ્રહ્મચર્યવ્રતના ભંગનું શાસ્ત્રમાં તો મોટું પ્રાયશ્ચિત કહ્યું છે, તે આ કળિયુગમાં કરવાને સમર્થ થવાય એવું નથી. તે માટે એક વર્ષનું વ્રત કરવું.૭૪ 

હવે વર્ષનું વ્રત કેવી રીતે કરવું તે કહીએ છીએ. એક દિવસ ઉપવાસ કરવો ને બીજે દિવસે મીઠા વિનાનો સાથવો એકજ વાર દિવસે પીવો પણ રાત્રીએ ન પીવો. પીતી વખતે બોલવું નહિ. તેમ એક વર્ષ સુધી કરવું.૭૫ 

સાથવો પીવાને અસમર્થ એવો ત્યાગી સાધુ મીઠાંવાળું રાધેલું એક અન્ન ખાય, એક અન્ન ખાવાને અસમર્થ એવો સાધુ મીઠાવાળાં રાધેલાં બે અન્ન ખાય. એક તથા બે અન્ન ખાવાનું કહ્યું તે પ્રથમને દિવસે ઉપવાસ કરીને બીજે દિવસે ખાવું .૭૬ 

એ વ્રત કરતાં કોઇક રોગે કરીને ઉપદ્રવ થાય અથવા ક્યારેક તેને કોઇક બીજા પ્રકારની આપદા થાય તો તે ત્યાગી સાધુ ઉપવાસે રહિત એવું એક વ્રત કરે.૭૭ 

જ્યાં સુધી એ ઉપદ્રવ હોય ત્યાં સુધી એકાંતરા ઉપવાસ ન કરવા. તે રોગ તથા આપદા નાશ પામે ત્યારે હજાર અષ્ટાક્ષર મંત્રનો જપ કરે પછી તે ત્યાગી સાધુ પ્રથમ પોતાનું વ્રત કરતો હતો તેમ કરે, અર્થાત્ એક વર્ષના વ્રતમાં બાકી રહેલા દિવસો પૂરા કરે.૭૮ 

वर्षव्रते त्वशक्तस्तु पादोनं व्रतमाचरेत् । अर्धं वाप्यत्यशक्तस्तु कुर्यान्मासत्रयं शुचिः ।। ७९

नियमैः सहितं कार्यं व्रतमेकान्तराशनम् । एतत्पवित्रं परमं मनःकायविशोधनम् ।। ८० 

व्रतं कर्तुमशक्तो यः पुमान्स तु समाचरेत् । बदर्याश्रमयात्रां वै ततः शुद्धयति स ध्रुवम् ।। ८१ 

अथवा विदधीतासौ मासमेकं समाहितः । व्रतं चान्द्रायणं नाम सर्वपातकनाशनम् ।। ८२ 

अविज्ञाते जनैरस्मिन्पापे तु चतुरक्षरम् । मनुं जपेद्वर्षमेकं लक्षार्धं प्रतिवासरम् ।। ८३

એક વર્ષનું વ્રત કરવાને અશક્ત એવો ત્યાગી સાધુ નવ મહિના સુધી એ વ્રત કરે. નવ મહિના સુધી કરવાને અસમર્થ હોય તે છ મહિના સુધી એ વ્રત કરે અને અતિશય અસમર્થ હોય તો ત્રણ મહિના સુધી એ વ્રત કરીને પવિત્ર થાય.૭૯ 

એક દિવસ ન ખાવું અને બીજે દિવસ ખાવું, એવું વ્રત કરે તે વ્રતના અંગરૂપ અહિંસા, બ્રહ્મચર્યાદિક નિયમે સહિત કરવું, એ અતિ પવિત્ર છે. અને મન તથા દેહને અતિ શુદ્ધ કરનારૂં છે.૮૦ 

એવી રીતે તે વ્રત કરવાને અસમર્થ ત્યાગી સાધુ બદરીનાથજીની યાત્રા કરી આવે તો તેથી પણ નિશ્ચય શુદ્ધ થાય છે.૮૧ 

યાત્રા કરવાને અસમર્થ ત્યાગી સાધુ સાવધાન પણે એક મહિના સુધી ચાંદ્રાયણ વ્રત કરે. તે વ્રત સર્વ પાપનો નાશ કરનારૂં છે.૮૨ 

સાક્ષાત્ સ્ત્રીના અંગસંગરૂપ પાપ તેને કોઇ મનુષ્યે ન જાણ્યું હોય તો એ ત્યાગી સાધુ એક વર્ષ સુધી પ્રતિદિન પ્રત્યે ''નારાયણ'' એવો જે ચાર અક્ષરનો મંત્ર તે પચાસ હજાર જપે અર્થાત્ નિત્યપ્રત્યે એ મંત્રની પાંચસો માળા ફેરવે.૮૩ 

मौनी दृढासनो मन्त्रं त्रिभिः कालैर्यथाबलम् । उपविश्य जपेद्बक्तया ततः शुद्धिमवाप्नुयात् ।। ८४ 

एवं व्रतेन संशुद्धः सद्बिः सन्मण्डले पुमान् । ग्रहीतव्योऽथ तद्दोषः पुनर्वाच्यो न तैः क्वचित् ।। ८५ 

मैथुनार्थं प्रवृत्तौ च पुंसि वा पशुजातिषु । तप्तकृच्छ्रं व्रतं कार्यं त्यागिना स्वस्य शुद्धये ।। ८६

પોતાની શક્તિ પ્રમાણે નિત્ય પ્રાતઃકાળ, મધ્યાહ્ન અને સાયંકાળ એ ત્રણ સમયે કરીને પચાશહજાર મંત્ર જપવા, અને જપ કરતાં મૌનવ્રત અને દૃઢ આસન રાખીને એક સ્થળને વિષે બેસીને ભક્તિએ કરીને જપ કરવો. એવી રીતે એક વર્ષ સુધી નિત્યે એ મંત્રનો જપ કરે તો તે ત્યાગી સાધુ શુદ્ધિને પામે.૮૪ 

એવી રીતે બહુ પ્રકારના ભેદે કરીને વ્રત કરવાનું કહ્યું, તે વ્રતે કરીને વિશુદ્ધ થયેલા ત્યાગી સાધુને બીજા ત્યાગી સાધુએ મંડળમાં લેવો. તે પછી તેનો દોષ ક્યારેય પણ તે ત્યાગી સાધુઓએ કહેવો નહિ.૮૫ 

પુરુષને વિષે અથવા પશુ જાતિને વિષે મૈથુન કરવાને અર્થે પ્રવર્તે તો તે ત્યાગી સાધુએ પોતાની શુદ્ધિને અર્થે તપ્તકૃચ્છ્ર વ્રત કરવું, તેનું લક્ષણ એ છે જે ત્રણ દિવસ સુધી ત્રણ ત્રણ પળી ગરમ જળ પીવું,ત્રણ દિવસ સુધી બે બે પળી ગરમ દૂધ પીવું, ત્રણ દિવસ સુધી ગરમ ઘી પીવું. તથા ત્રણ દિવસ સુધી ગરમ વાયુ પીવો, એવી રીતે બાર દિવસનું વ્રત કહ્યું છે.૮૬ 

कृत्वा यो दुष्कृतं तस्य नैव कुर्वीत निष्कृतिम् । स तु सन्मण्डलात्सद्यो निष्कास्यो ह्यन्त्यजादिवत् ।। ८७ 

कामस्य दोषा इति कीर्तितास्ते तथा गुणास्तज्जयसाधनानि ।अथो रसस्यापि वदामि दोषांस्तुभ्यं मुने ! तज्जयनान् गुणांश्च ।। ८८ 

જે ત્યાગી સાધુ પાપકર્મ કરીને તેનું પ્રાયશ્ચિત ન કરે તેને ચાંડાલની પેઠે તત્કાળ ત્યાગી સાધુના મંડળમાંથી નિશ્ચય કાઢી મૂકવો, પણ તેની મોહબત ન રાખવી, અને તેનો લોભ પણ ન રાખવો.૮૭ 

હે મુનિ ! એવી રીતે કામના દોષ અને તેને જીતવાના નિયમરૂપ ઉપાય અમે તમને કહ્યા, હવે રસના જે દોષ તથા તેને તેને જીતવાના ઉપાયરૂપ ગુણ તે કહીએ છીએ. તેને તમે સાંભળો.૮૮ 

इति श्रीसत्सङ्गिजीवने नारायणचरित्रे धर्मशास्त्रे चतुर्थप्रकरणे त्यागिधर्मेषु कामदोषतज्जयोपायनिरूपणनामा त्रिषष्टितमोऽध्यायः ।। ६३

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં ત્યાગી સાધુના ધર્મને વિષે કામના દોષો તથા તેને જીતવાના ઉપાયોનું નિરૂપણ કર્યું એ નામે ત્રેસઠમો અધ્યાય પૂર્ણ થયો. --૬૩--