ભગવાન શ્રીહરિએ જેઠ, અષાઢ અને શ્રાવણ માસમાં આવતા વ્રતો અને ઉત્સવોનું કરેલું નિરૃપણ. સ્નાનયાત્રા ઉત્સવ. રથયાત્રા ઉત્સવ. માસિક હિંડોળા મહોત્સવ. શ્રી વરાહ જયંતિ ઉત્સવ. પવિત્રાં અર્પણ ઉત્સવ. શ્રીરામાનંદ સ્વામી પાદુર્ભાવોત્સવ.
श्रीनारायणमुनिरुवाच -
दशम्यां शुक्लापक्षे तु ज्येष्ठे मासि कुजेऽहनि । अवतीर्णा भुवि स्वर्गाद्धस्तर्क्षे च सरिद्वरा ।। १
हरते दश पापानि तस्माद्दशहरा स्मृता । इयं योगवशात्पूर्वा ग्राह्या वापि परा तिथिः ।। २
मलमासे त्वियं कार्या पूर्वस्मिन्नेव नोत्तरे । उपचारैर्महद्बिस्तां लक्ष्मीमूर्ताविहार्चयेत् ।। ३
पूष्पैर्गन्धैश्च नैवैद्येः फलैश्च दशसङ्खया । तथा दीपैश्च ताम्बूलैः पूजयेच्छ्रद्धयार्चकः ।। ४
लक्ष्म्या मूर्तिर्न चेत्तर्हि हैमीं चारुचतुर्भुजाम् । चन्द्रश्वेतां च दधतीं कुम्भाम्भोजे वराभये ।। ५
सितवस्त्रां सिताभूषां प्रसन्नरुचिराननाम् । गङ्गा मूर्तिं विधायैव मध्याह्ने तां प्रपूजयेत् ।। ६
गङ्गाविर्भावपद्यानि गेयान्यत्र महोत्सवे । पूजनान्ते च भुञ्जीत विधिरन्यस्तु नैत्यकः ।। ७
ગંગાવતરણ મહોત્સવ :- શ્રીનારાયણમુનિ કહે છે, હે પુત્રો ! જેઠમાસની સુદ દશમીના દિવસે મંગળવારે હસ્તનક્ષત્રમાં સર્વે નદીઓમાં ઉત્તમ ગંગાજી સ્વર્ગમાંથી પૃથ્વીપર અવતર્યાં છે.૧
આ તિથિ કાયા, મન અને વાણીથી થતાં દશ પ્રકારનાં પાપોનો વિનાશ કરે છે. તેથી તેમનું નામ ''દશહરા'' પડેલું છે. આ તિથિ બે દિવસનો યોગ ધરાવતી હોય તો તેમાં જે દિવસે હસ્તનક્ષત્ર હોય તેજ પહેલી અથવા બીજી ગ્રહણ કરવી.૨
જો અધિક જેઠ માસ હોય તો આ ગંગાવતરણ મહોત્સવ તેજ મહિનામાં ઉજવવો. પરંતુ મૂળ જેઠ માસમાં ઉજવવો નહિ. આ દશમીના દિવસે ગંગાજીની લક્ષ્મીજીની મૂર્તિમાં ભાવના કરીને મોટા ઉપચારોથી પૂજા કરવી.૩
પૂજા કરનારે દશની સંખ્યામાં પુષ્પો, ગંધ, નૈવેદ્ય, ફળો, દીપ, ધૂપ અને તાંબૂલથી શ્રદ્ધાપૂર્વક ગંગાજીની પૂજા કરવી.૪
જો લક્ષ્મીજીની મૂર્તિ ન હોય તો સુવર્ણની ચતુર્ભુજ અને ચંદ્રમાજેવી શ્વેત ગંગાજીની મૂર્તિ કરાવવી. તેમાં જમણા ઉપરના હાથમાં કળશ અને નીચેના હાથમાં વરદાનની મુદ્રા રાખવી, અને ડાબા ઉપરના હાથમાં કમળનું પુષ્પ અને નીચેના હાથમાં અભયની મુદ્રા ધારણ કરાવવી.૫
વળી તે શ્વેત વસ્ત્રને ને શ્વેત આભૂષણો ધારણ કરેલી ને મનોહર મુખવાળી ગંગાજીની મૂર્તિ તૈયાર કરાવવી. તેમનું બપોરના સમયે પૂજન કરવું.૬
આ ઉત્સવમાં ગંગાવતરણના પદોનું ગાયન કરાવવું. પૂજાની સમાપ્તિ પછી જ ભોજન સ્વીકારવું. બાકીનો વિધિ સર્વ પૂર્વવત્ સામાન્ય વિધિ જાણવો.૭
ज्येष्ठे मासि भवेज्ज्येष्ठा यस्मिन्नर्कोदये दिने । तत्राभिषेकविधिना स्नपनीयो रमापतिः ।। ८
जलैरुज्जवलपात्रस्थैर्निर्मलैश्च सचन्दनैः । शङ्खेन स्नपयेत्कृष्णं मन्त्रैर्वेदपुराणगैः ।। ९
ततः पीतानि वासांसि धारयेद्रुक्मिणीपतिम् । उष्णीषं पाटलं चैव भूषा नानाविधा अपि ।। १०
सूपं भक्तं पोलिकां च वटिकां क्वथिकां तथा । व्यञ्जनानि च नैवेद्ये यथालब्धान्युपाहरेत् ।। ११
जलक्रीडनपद्यानि कृष्णस्यात्र च गापयेत् । भुञ्जीत पूजनान्ते च विधिरन्यस्तु नैत्यकः ।। १२
સ્નાનયાત્રા ઉત્સવ :- હે પુત્રો ! જેઠમાસમાં જે દિવસે સૂર્યોદય સમયે જ્યેષ્ઠા નક્ષત્ર હોય તેજ દિવસે શ્રીકૃષ્ણ ભગવાનને અભિષેક વિધિથી સ્નાન કરાવવું.૮
તેમાં ઉજ્જવળ પાત્રમાં ભરેલા નિર્મળ ને ચંદનમિશ્રિત જળથી શંખવડે વૈદિક કે પૌરાણિક મંત્રોથી શ્રીકૃષ્ણ ભગવાનને સ્નાન કરાવવું.૯
પછી રૂકમણી પતિને પીળાં વસ્ત્રો, લાલ પાઘ અને આભૂષણો ધારણ કરાવવાં. નૈવેદ્યમાં દાળ, ભાત, રોટલી, કઢી, વડા અને સમયાનુસાર પ્રાપ્ત થતા શાકો અર્પણ કરવાં.૧૧
આ ઉત્સવમાં ભગવાનની જળક્રીડાના પદોનું ગાન કરાવવું ને પૂજાના અંતે ભોજન કરવું. બાકીનો વિધિ સર્વ સામાન્ય જાણવો.૧૨
आषाढशुक्ले नक्षत्रं पुष्यः सूर्योदये यदा । तदा साश्वो रथःस्थाप्यः कृष्णस्याग्रे स्वलंकृतः ।। १३
वासांसि पीतरक्तानि धारयेद्बूषणानि च । परिमेयानि हेतीस्तु श्रीपतिं हेमनिर्मिताः ।। १४
नैवेद्ये दधि भक्तं च शर्करां गुडलड्डुकान् । दधान्नीराजयित्वाथ बालकृष्णं रथे न्यसेत् ।। १५
धृत्वा भोगांश्चतुर्वारं नीराज्योत्तारयेच्च तम् । गापयेद्रथयात्रां च विधिरन्यस्तु नैत्यकः ।। १६
રથયાત્રા ઉત્સવ :- હે પુત્રો ! અષાઢમાસમાં સુદ પક્ષમાં જે દિવસે સૂર્યોદય સમયે પુષ્યનક્ષત્ર હોય, તે દિવસે અશ્વે સહિત અલંકૃત કરેલો રથ ભગવાનની આગળ ઉત્તર સન્મુખ સ્થાપન કરવો.૧૩
શ્રીપતિ શ્રીકૃષ્ણ ભગવાનને લાલ અને પીળાં વસ્ત્રો ધારણ કરાવવાં ને કેટલાક સુવર્ણના આયુધો ધારણ કરાવવાં.૧૪
નૈવેદ્યમાં દહીં, ભાત, સાકર ને ગોળના લાડુ અર્પણ કરવા, રાજભોગની આરતી કરી પછી બાલશ્રીકૃષ્ણને રથ પર બેસાડવા. રથયાત્રાના પદોનું ગાયન કરવું.૧૫
વચ્ચે ચાર વાર ભોગ ધરવો ને ચાર વાર આરતી ઉતારવી. ત્યારપછી રથ ઉપરથી ભગવાનને ઊતારી પોતાને સ્થાને વિરાજમાન કરવા. બાકીનો વિધિ સર્વ સામાન્ય જાણવો. તેમાં પૂજાના અંતે ભોજન કરવું તે પણ જાણવું. અને અષાઢ સુદ દેવપોઢીની એકાદશીના શયનોત્સવ ઉજવવો.૧૬
शुचौ मासि प्रतिपदि द्वितीयायां च वा तिथौ । वृषराशेश्चन्द्रबले स्थाप्या दोला स्वलंकृता ।। १७
सायाह्ने प्रत्यहं कृष्णं बालं तत्र निधारयेत् । नीराजयित्वा द्वे नाडयौ भक्त आन्दोलयेत्ततः ।। १८
नभःकृष्णतृतीयायां नीराज्योत्तारयेच्च तम् । दोलाक्रीडान्वहं गेया विधिरन्यस्तु नैत्यकः ।। १९
માસિક હિંડોળા મહોત્સવ :- હે પુત્રો ! અષાઢ માસના વદ પક્ષના પડવાના દિવસે કે બીજના દિવસે વૃષભ રાશિમાં ચંદ્રનું બળ હોય ત્યારે અલંકૃત કરેલો હિંડોળો સ્થાપન કરવો.૧૭
એ હિંડોળામાં સાયંકાળે પ્રતિદિન શ્રીબાલકૃષ્ણને બિરાજમાન કરી આરતી ઉતારી બે ઘડી પર્યંત ઝૂલાવવા.૧૮
એકમાસ પછી શ્રાવણવદ તૃતીયાના દિવસે છેલ્લે આરતી ઉતારી હિંડોળેથી ઉતારવા, એક માસ પર્યંત પ્રતિદિન હિંડોળાના પદોનું ગાન કરવું. બાકીનો પૂજાવિધિ સર્વ સામાન્ય જાણવો.૧૯
श्रावणे शुक्लपक्षे तु चतुर्थ्यां भौमवासरे । मध्याह्ने ब्रह्मणो नस्तो वराहो जज्ञा ईश्वरः ।। २०
दिनद्वये तद्वयाप्त्यादौ चतुर्थ्येषा परा मता । वासुदेवं तत्र चार्चेद्वराहाभिधयाऽर्चकः ।। २१
धारयेत्तत्र वासांसि कौसुम्भानि रमापतिम् । नैवेद्ये पायसं दद्याद्वटकांश्च विशेषतः ।। २२
वराहजन्मपद्यानि गापयेदत्र तूत्सवे । पूजापि महती कार्या पूजनान्ते च भोजनम् ।। २३
अथवा कारयेद्धैमं वराहं शक्तितः पुमान् । नराङ्गं सूकरास्यं च मानक्पीनं सुभीषणम् ।। २४
चतुर्बाहुं गदाचक्रशङ्खपद्मविराजितम् । स्तूयमानं मुनिगणैर्बद्धाञ्जलिभिरानतैः ।। २५
श्रीर्वामकूर्परस्थाऽस्य धरानन्तौ पदानुगौ । कर्तव्यौ च ततः पूजां मध्याह्नेऽस्य समाचारेत् ।। २६
શ્રી વરાહ જયંતિ ઉત્સવ :- હે પુત્રો ! શ્રાવણ માસના સુદ પક્ષમાં ચતુર્થીના દિવસે મંગળવારે મધ્યાહ્નસમયે બ્રહ્માજીની નાસિકામાંથી વરાહ ભગવાનનો પ્રાદુર્ભાવ થયેલો છે.૨૦
આ ચોથ બે દિવસ વ્યાપ્તિ હોય તો પણ બીજી જ ચોથ વરાહ ભગવાનની પૂજા માટે ગ્રહણ કરવી. પૂજારીએ તે દિવસે વરાહ ભગવાનના નામે શ્રીવાસુદેવ ભગવાનની પૂજા કરવી.૨૧
ભગવાનને કસૂંબલ વસ્ત્રો ધારણ કરાવવાં. નૈવેદ્યમાં દૂધપાક ને વડાં વિશેષ પણે અર્પણ કરવાં.૨૨
અને વરાહ ભગવાનના જન્મના પદોનું ગાયન કરાવવું અને મોટી પૂજા કરવી તેમજ પૂજાના અંતે ભોજન કરવું.૨૩
હે પુત્રો ! જો પૂજા કરનારને વરાહ સ્વરૂપની જ પૂજા કરવી હોય તો પોતાની શક્તિ પ્રમાણે વરાહ ભગવાનની સુવર્ણની પ્રતિમા તૈયાર કરાવવી. તેમાં શરીર મનુષ્યનું અને મુખારવિંદ સૂકરનું કરવું. શરીર થોડું રૂષ્ટપૃષ્ટ કરવું ને મહાભયંકર જણાતું કરવું.૨૪
ચાર ભુજાવાળા તેમને જમણા નીચેના હાથના ક્રમથી ગદા, ચક્ર, શંખ અને પદ્મ ધારણ કરાવી વિરાજમાન કરવા. બે હાથ જોડીને મુનિજનોથી સ્તુતિ કરતા તે વરાહ ભગવાનની ડાબી બાજુ ઉપરના ભાગે લક્ષ્મીજી બેસાડવાં, પૃથ્વી અને શેષનાગને તેમના ચરણના અનુયાયી બનાવવા. પછી મધ્યાહ્ન સમયે તેમની પૂજા કરવી.૨૫-૨૬
श्रावणे शुक्लपक्षे तु स्वव्रतैकादशीदिने । द्वादश्यां वा भगवते पवित्रं तु समर्पयेत् ।। २७
हैमं रौप्यं च वा क्षौमं कौशं कौशेयजं च वा । ब्राह्मण्या कर्तितैः सूत्रैर्निर्मितं वापि तच्छुभम् ।। २८
तत्रोत्तमं पवित्रं तु षष्टया सह शतैस्त्रिभिः । सप्तस्या सहितं द्वाभ्यां शताभ्यां मध्यमं स्मृतम् ।। २९
साशीतिना शतेनापि कनिष्ठं तत्समाचरेत् । साधारणपवित्राणि त्रिभिः सूत्रैः समाचरेत् ।। ३०
उत्तमं तु शतग्रन्थि पञ्चाशद्ग्रन्थि मध्यमम् । कनिष्ठं तु पवित्रं स्यात्षड्त्रिंशद्ग्रन्थि शोभनम् ।। ३१
अधमं नाभिमात्रं स्यादूरुमात्रं तु मध्यमम् । श्रेष्ठं तु तज्जानुमात्रं प्रतिमाया निगद्यते ।। ३२
विशेष इह चैतावान्विधिरन्यत्तु नित्यवत् । पूजनादि प्रकुर्वीत कमलाराधिकापतेः ।। ३३
પવિત્રાં અર્પણ ઉત્સવ :- હે પુત્રો ! શ્રાવણ માસના સુદ પક્ષની વ્રતની એકાદશીના અથવા બારના દિવસે ભગવાનને પવિત્રાં અર્પણ કરવાં.૨૭
તે પવિત્રાં સુવર્ણતંતુ, રજતતંતુ, શણના છીડાના તંતુ, દર્ભના તંતુ અને બ્રાહ્મણે કાતેલા સૂત્રથી તૈયાર કરેલાં સર્વોત્તમ મનાયેલા છે.૨૮
તે પવિત્રાની મધ્યે જે પવિત્રું ત્રણસોને સાઠ તંતુથી બનાવેલું હોય તે પવિત્રોત્તમ કહેલું છે. બસોને સિત્તેર તંતુથી કરેલું પવિત્રું મધ્યમ અને એકસોને એંશી તંતુઓથી તૈયાર કરેલું પવિત્રું કનિષ્ઠ કહેલું છે. ત્રણ સુત્રોથી કરેલાં પવિત્રાં સાધારણ કહેલાં છે.૨૯-૩૦
વળી સો ગ્રંથિવાળું શોભાયમાન પવિત્રું ઉત્તમ, પચાસ ગ્રંથિવાળું મધ્યમ અને છત્રીસ ગ્રંથિવાળું પવિત્રું કનિષ્ઠ કહેલું છે.૩૧
વળી ત્રીજો ભેદ કે પ્રતિમાની નાભિપર્યંત આવતું પવિત્રું કનિષ્ઠ, સાથળ સુધી આવતું પવિત્રું મધ્યમ અને જાનુપર્યંત આવતું પવિત્ર ઉત્તમ મનાયેલું છે.૩૨
આ ઉત્સવમાં આટલો વિધિ જ વિશેષ છે બાકીનો કમલા અને રાધિકા પતિનો પૂજા આદિકનો વિધિ તો હમેશના પ્રમાણે જાણવો.૩૩
कृष्णाष्टम्यां नभोमासे सुमत्यामजयात्प्रगे । उद्धवस्वामिनः साक्षात्प्रादुर्भावोऽभवद्बुवि ।। ३४
अतोऽत्र स्वामिनो मूर्तिं हैमीं शक्तया विनिर्मिताम् । पूजयेत्सर्वतोभद्रे महापूजाविधानतः ।। ३५
मूर्तिः सा पीवरी कार्या द्विभुजा च सदंशुका । विशालचारुनयना प्रसन्नमुखपङ्कजा ।। ३६
भक्तानुग्रहकृच्छान्ता करात्तजपमालिका । भक्तैश्चन्दनपुष्पाद्यैः पूजितातिमनोहरा ।। ३७
स्वामिनो जन्मकर्माणि पूजाकाले तु गापयेत् । जन्माष्टम्युत्सवं कुर्यात्ततः स तु पुरोदितः ।। ३८
શ્રીરામાનંદ સ્વામી પાદુર્ભાવોત્સવ :- હે પુત્રો ! શ્રાવણ માસની વદ અષ્ટમી તિથિએ પ્રાતઃકાળે અજયવિપ્ર થકી સુમતિદેવીને ત્યાં સાક્ષાત્ ઉદ્ધવજીના અવતાર શ્રીરામાનંદ સ્વામીનો આ પૃથ્વી પર પ્રાદુર્ભાવ થયો છે.૩૪
તેથી પ્રાતઃકાળે પોતાની શક્તિ પ્રમાણે સુવર્ણની નિર્માણ કરેલી રામાનંદ સ્વામીની મૂર્તિને સર્વતોભદ્રમંડળને વિષે સ્થાપન કરી મહાપૂજાના વિધિથી પૂજન કરવું.૩૫
આ મૂર્તિ પુષ્ટ, દ્વિભુજ, શોભાયમાન વસ્ત્રો ધારણ કરેલી, કર્ણસુધી દીર્ઘ નેત્રોવાળી, પ્રસન્નમુખવાળી, ભક્તજનો પર અનુગ્રહ કરતી, શાંત, જમણા હાથમાં જપમાલાને ધારણ કરી રહેલી તેમજ ભક્તજનો દ્વારા ચંદન પુષ્પાદિક વડે પૂજા કરાયેલી, અતિશય મનોહર તૈયાર કરાવવી.૩૬-૩૭
પૂજાના સમયે રામાનંદ સ્વામીના જન્મ કર્મોનું વર્ણન કરતાં પદોનું ગાન કરાવવું. પછી જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવવો, અને તે ઉત્સવનો વિધિ મેં તમને પહેલેથી જ કહી દીધો છે.૩૮
इत्येते वार्षिकाः प्रोक्ताः श्रीविष्णोरुत्सवा मया । आवश्यकाः सुतौ ! नृणामुद्धवाध्वनि तिष्ठताम् ।। ३९
एतेषु तत्तत्समये भूषानैवेद्यवाससाम् । भेदः पृथक्पृथक् प्रोक्तः स ज्ञोयः सति वैभवे ।। ४०
देशकालधनादीमानुकूल्यं न यस्य तु । पुंसो भवेत्स तु स्वस्य कुर्याच्छक्तयनुसारतः ।। ४१
सति वित्ते तु न क्वापि शाठयं कुर्वीत् पूरुषः । श्रीविष्णोरुत्सवेष्वेषु तत्प्रसन्नत्वहेतुषु ।। ४२
उत्सवार्थं भगवत ऋणं कुर्वीत न क्वचित् । यतो भक्त्यर्पितेनासौ पत्रेणापि प्रतुष्यति ।। ४३
હે પુત્રો ! ઉદ્ધવસંપ્રદાયને વિષે રહેલા મનુષ્યોને અવશ્યપણે ઉજવવા યોગ્ય શ્રીવિષ્ણુ ભગવાનના વાર્ષિક મહોત્સવોનો વિધિ મેં તમને કહ્યો.૩૯
ઔ આ ઉત્સવોને વિષે તે તે સમયે આભૂષણ નૈવેદ્ય અને વસ્ત્રનો જે અલગ અલગ ભેદ કહ્યો, એ ભેદ પોતાના ધન સંપત્તિના વૈભવ અનુસાર જાણવો.૪૦
જે પુરુષને દેશ, કાળ અને ધનાદિકની અનુકૂળતા ન હોય તે પુરુષને પૂજામાં પોતાની શક્તિ અનુસાર ભૂષણાદિકનું અર્પણ કરવું.૪૧
જો ધન સંપત્તિનો યોગ હોય તો પૂજા કરનારે ભગવાનની પ્રસન્નતાને માટે આ કહેલા તેમના ઉત્સવોમાં ધન વાપરવાની ક્યારેય પણ કંજૂસાઇ ન કરવી.૪૨
તેમજ ભગવાનના ઉત્સવો ઉજવવામાં ક્યારેય પણ કરજ ન કરવું, કારણ કે શક્તિ પ્રમાણે ભક્તિભાવની સાથે અર્પણ કરેલા એક પત્રથી પણ ભગવાન રાજી થઇ જાય છે.૪૩
स्थिरा वापि चला यस्य समीपे प्रतिमा भवेत् । स पूजयेत्स्वशक्त्या तां धर्मान्प्रोक्तान् समाचरन् ।। ४४
अत्र या कथिता पूजा श्रीविष्णोरुत्सवेष्विह । तत्र मन्त्रास्तु विज्ञोयाः स्वाधिकारानुसारिणः ।। ४५
कार्या द्विजातिभिः पूजा मन्त्रैर्वेदपुराणगैः । शूद्रैः स्त्रीभिश्च सा कार्या नाममन्त्रै रमापतेः ।। ४६
अहिंसाब्रह्मचर्याद्याः पालनीयाः प्रयत्नतः । व्रताङ्गभूता नियमाः सर्वेष्वपि व्रतेष्विह ।। ४७
इत्थं भुवि करिष्यन्ति वैष्णवा ये तु मानवाः । तेऽतिप्रिया रमाभर्तुः प्राप्स्यन्त्येव हि तत्पदम् ।। ४८
હે પુત્રો ! જે ભક્તની પાસે ભગવાનની અચળ કે ચળ મૂર્તિ હોય તેમણે પૂર્વે કહેલા ધર્મોનું આચરણ કરી, તે મૂર્તિનું પોતાની શક્તિ અનુસાર પૂજન કરવું.૪૪
આ ઉત્સવમાં જે જે વિષ્ણુ ભગવાનના ઉત્સવોને વિષે પૂજા કરવાનું કહ્યુ,ં તે તેમની પૂજાના મંત્રો પણ પોતે પોતાના અધિકારને અનુસારે જાણવા.૪૫
તેમાં બ્રાહ્મણાદિ ત્રણ વર્ણના ભક્તજનોએ રમાપતિ ભગવાનની પૂજા વેદોક્ત કે પુરાણોક્ત મંત્રોથી કરવી. અને શૂદ્ર તથા સ્ત્રીઓએ નામમંત્રથી પૂજા કરવી.૪૬
આ સર્વે ઉત્સવોમાં અહિંસા, બ્રહ્મચર્ય આદિક વ્રતના અંગભૂત જે જે નિયમો કહેલાં છે તે સર્વે નિયમો દરેક વ્રત અને ઉત્સવને વિષે પ્રયત્નપૂર્વક પાળવાં.૪૭
હે પુત્રો ! આ પૃથ્વી પર જે વૈષ્ણવો મેં કહ્યું એ પ્રમાણે વર્તીને વ્રતો તથા ઉત્સવોનું આચરણ કરશે, તે મનુષ્યો રમાપતિ શ્રીકૃષ્ણ ભગવાનને અતિશય પ્રિય થશે. અને તેના પરમપદ ધામને પ્રાપ્ત કરશે. તેમાં કોઇ સંશય નથી.૪૮
सुव्रत उवाच -
इत्थं निशम्य भगवग्ददितं यथावत्संवत्सरोत्सवविधिं विदिताखिलार्थौ ।
तौ भ्रातरौ नरपते ! मुदितावभूतां तद्वच्च तं विदधतुः स्म तथाऽहतुः स्वान् ।। ४९
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે ભગવાન શ્રીહરિએ કહેલો વાર્ષિક વ્રતો તથા ઉત્સવાના વિધિ યથાર્થપણે શ્રવણ કરી, ભગવાન શ્રીહરિના સમગ્ર અભિપ્રાયને જાણી, બન્ને આચાર્યો અયોધ્યાપ્રસાદજી તથા રઘુવીરજી બહુજ પ્રસન્ન થયા, ને તે પ્રમાણે જ તેનું અનુસરણ કરવા લાગ્યા. તથા તેજ પ્રમાણે પોતાના શિષ્યોને ઉપદેશ કરવા લાગ્યા.૪૯
इति श्रीसत्सङ्गिजीवने नारायणचरित्रे धर्मशास्त्रे चतुर्थप्रकरणे वार्षिकव्रतोत्सवविधौ ज्येष्ठाषाढश्रावणोत्सवविधि निरूपणनामैकषष्टितमोऽध्यायः ।। ६१
આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં વાર્ષિક વ્રતો તથા ઉત્સવોનું નિરૂપણ કરતાં ભગવાન શ્રીહરિએ જેઠ, અષાઢ અને શ્રાવણ માસના ઉત્સવોનું નિરૂપણ કર્યું, એ નામે એકસઠમો અધ્યાય પૂર્ણ થયો. --૬૧--