અધ્યાય - ૫૩ - ભગવાન શ્રીહરિએ કહેલો સ્ત્રીઓ માટેનો દીક્ષાવિધિ.

ભગવાન શ્રીહરિએ કહેલો સ્ત્રીઓ માટેનો દીક્ષાવિધિ. કેવી ગુરુપત્ની શિષ્યાઓને દીક્ષા આપી શકે ? ગુરુપત્નીએ શિષ્યાને ઉપદેશ કરવાનાં વાક્યો. મહાદીક્ષાની અધિકારી સ્ત્રીઓનાં લક્ષણો. દીક્ષિતસ્ત્રીએ શ્રીહરિને કરવાની પ્રાર્થના. મંત્રદીક્ષા પછી આપવાનો ઉપદેશ.

श्रीनारायणमुनिरुवाच -

अथ वक्ष्यामि वां पुत्रौ ! नारीणां दीक्षणे विधिम् । तं श्रुत्वैवोपदिशतं स्वस्वां भार्यां पृथक् पृथक् । १

स्त्रीणां बम्भ्रम्यमाणानां कर्मभिः श्वादियोनिषु । श्रीकृष्ण एव शरणं क्लिष्टानां नैकभर्तृभिः ।। २

राधालक्ष्म्यादिवद्गोप्यः कृष्णं वृत्वा ह्यनन्यया । भक्तया विमुक्ताः संसारात्प्रापुः सौख्यं स्ववाञ्छितम् ३

 बुद्धिमत्यस्ततो योषा धर्मवंश्यगुरुस्त्रियम् । श्रित्वा तस्याः प्राप्य दीक्षां भजेयुः कृष्णमादरात् ।। ४ 

पतिव्रताधर्मभङ्गाद्बीता स्याद्या तु सा क्वचित् । पुंसो दीक्षां न गृीयाद्धर्मवंश्यादपि ध्रुवम् ।। ५

શ્રીનારાયણમુનિ કહે છે, હે પુત્રો ! હવે તમને હું સ્ત્રીઓને આપવાની સામાન્ય દીક્ષા અને મહાદીક્ષાનો વિધિ કહું છું. તેનું શ્રવણ કરી તમે તમારી પત્નીઓને તેનો અલગ અલગ ઉપદેશ કરજો.૧ 

પોતે કરેલાં અનેક પ્રકારનાં કર્મોને અનુસારે કૂતરા આદિક યોનિઓને વિષે ભટકતી અને અનેક પતિઓથી ભર્ત્સના કે તાડન આદિક અનેક પ્રકારના કલેશને પામતી સ્ત્રીઓને ભગવાન શ્રીકૃષ્ણ જ એક શરણું સ્વીકારવા યોગ્ય છે.૨ 

કારણ કે રાધા અને લક્ષ્મીજીની જેમ ગોપીઓ પણ અનન્ય ભક્તિથી શ્રીકૃષ્ણ ભગવાનને વરી આ સંસારમાંથી મુક્ત થઇ પોતાને ઇચ્છિત પરમ સુખને પામી છે.૩ 

તેથી બુદ્ધિમાન સર્વે સ્ત્રીઓએ ધર્મવંશી આચાર્યની પત્નીઓનો આશ્રય કરી તોમની પાસેથી ભાગવતીદીક્ષા પ્રાપ્ત કરી આદરપૂર્વક ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિ કરવી.૪ 

જે નારી પોતાના પતિવ્રતાના ધર્મ ભંગથી ભય પામતી હોય તેમણે ક્યારેય પણ ધર્મવંશી પુરુષ પાસેથી દીક્ષા ગ્રહણ કરવી નહિ. તેમની પત્નીઓ પાસેથી જ દીક્ષા ગ્રહણ કરવી.૫ 

दीक्षां गृहीत्वा पुरुषात्कलाविह सहस्रशः । योषितो धर्मतो भ्रष्टा दृश्यन्ते पशुभिः समाः ।। ६

स्त्र्याकृतेर्वीक्षणं पुंसः स्त्रियाश्च न्राकृतीक्षणम् । अवश्यमेव भवति मनसः क्षोभकारणम् ।। ७

अतःपुंसो न गृीयाद्योषा दीक्षां कलाविह । तस्या दीक्षाविधानं तु ब्रुवे गुरुमुखाच्छ्रुतम् ।। ८

या योषा संसृतेर्भीता यमाच्च श्रेय इच्छती । साध्वीधर्मावनेच्छुश्च श्रद्धालुः साध्वसाधुवित् ।। ९

मुमुक्षुः सा तु शरणं गुरुपत्नीं व्रजेद्द्रुतम् । वर्तमानामौद्धवीये पथि धर्मदृढस्थितिम् ।। १०

હે પુત્રો ! આ કલિયુગમાં પુરુષ પાસેથી દીક્ષા ગ્રહણ કરનારી હજારો સ્ત્રીઓ તેના થકી ધર્મભ્રષ્ટ થઇ પશુના સમાન જીવતી દેખાય છે.૬ 

પુરુષોને સ્ત્રીઓની આકૃતિનું દર્શન અને સ્ત્રીઓને પુરુષની આકૃતિનું દર્શન અરસપરસ મનને અવશ્ય ક્ષોભ ઉપજાવે છે.૭ 

તેથી આ કલિયુગમાં સ્ત્રીઓએ પુરુષ પાસેથી દીક્ષા ગ્રહણ ન કરવી, માટે ગુરૂ રામાનંદ સ્વામીના મુખથી જે મેં સ્ત્રીઓનો દીક્ષા વિધિ સાંભળ્યો છે તે હું તમને કહું છું.૮ 

જે સ્ત્રી જન્મ-મરણરૂપ સંસૃતિ અને યમદૂતના ભય થકી ભય પામી આત્માના કલ્યાણને ઇચ્છતી હોય તેમજ પોતાના પતિવ્રતાના ધર્મનું રક્ષણ ઇચ્છતી હોય, પતિવ્રતાના ધર્મ પાળવામાં શ્રદ્ધાવાળી હોય, સાધુ અને અસાધુને સમજવામાં વિવેકી હોય, તથા મુમુક્ષુ હોય તેમણે તત્કાળ ઉદ્ધવસંપ્રદાયમાં રહેલી અને ધર્મમાં દૃઢ સ્થિતિ ધરાવતી ગુરૂપત્નીના શરણે જવું.૯-૧૦ 

वासुदेवानन्यभक्ता गुरुस्त्री तु भवेत्सती । स्वासन्नसम्बन्धिभिन्ननृभाषास्पर्शवर्जिता ।। ११

एकादश्यादिव्रतकृत्कुर्वती चोत्सवान्हरेः । गुर्वी सा तु प्रपन्नायै दद्याद्दीक्षां तु योषिते ।। १२

स्नाता धौताम्बरधरा कृतकृष्णार्चना गुरुः । प्रागेव भोजनाद्दद्याद्दीक्षां चाभुक्तयोषिते ।। १३

भर्तुराज्ञां गृहीत्वैव योषिते गुरुयोषिता । मन्त्रोपदेशः कर्तव्यो न तु स्वातन्त्र्यतः क्वचित् ।। १४

કેવી ગુરુપત્ની શિષ્યાઓને દીક્ષા આપી શકે ? :- હે પુત્રો ! જે ગુરૂપત્ની શ્રીવાસુદેવ ભગવાનની અનન્ય ભક્ત હોય, પતિવ્રતા ધર્મમાં દૃઢ વર્તતી હોય, પોતાના સમીપ સંબંધ વિનાના પુરુષોનો સ્પર્શ અને તેમની સાથે વાર્તાલાપ પણ ન કરતી હોય, એકાદશી આદિક વ્રતોનું અનુષ્ઠાન કરતી હોય, શ્રીહરિના અન્નકૂટાદિ ઉત્સવોની ઉજવણી કરતી હોય, આવા દૃઢ લક્ષણવાળી ગુરુપત્નીએ પોતાને શરણે આવેલી અધિકારી શિષ્યા સ્ત્રીઓને દીક્ષા આપવી.૧૧-૧૨ 

તેમાં પ્રથમ શુદ્ધ જળથી સ્નાન કરી, ધોયેલાં વસ્ત્રો ધારણ કરી શ્રીકૃષ્ણ ભગવાનની પૂજા કરીને ભોજન કર્યા પહેલાં ગુરુપત્નીએ, સ્નાન કરી પવિત્ર થઇ ભોજન કર્યા પહેલાં પોતાને શરણે આવેલી શિષ્યા સ્ત્રીને દીક્ષા આપવી.૧૩ 

પોતાના પતિ આચાર્યશ્રીની આજ્ઞા લઇને જ શરણે આવેલી શિષ્યાને અષ્ટાક્ષરમંત્રનો ઉપદેશ કરવો. પરંતુ પતિની આજ્ઞા લીધા વિના તત્કાળ સ્વતંત્ર રીતે મંત્ર ઉપદેશ ન કરવો.૧૪ 

अस्यां तिथ्यादिनियमो दीक्षायां नैव विद्यते । यदा यस्या मुमुक्षा स्याद्दीक्षणीया तु सा तदा ।। १५

स्नाता धौताम्बरा शिष्या गृहीत्वैव फलं करे । गुर्वीमुपेत्य पुरतः फलं तस्या निधारयेत् ।। १६

ततः प्रणामं कुर्वीत् बद्धाञ्जलिपुटाथ ताम् । ब्रूयात्स्वामिनि ! मां पाहि पाषण्डिगुरुपापतः ।। १७

तामाश्वास्याभयं दातुं गुरुपत्नी वदेत्ततः । मा भैषीर्वासुदेवस्त्वां रक्षिष्यत्येव सर्वतः ।। १८

इत्युक्त्वा तामुपावेश्य दत्त्वाम्भो दक्षिणे करे । सङ्कल्पं कारयेद्गुर्वी मन्त्रमेतं पठन्त्यसौ ।। १९

कालमायापापकर्मयमदूतभयादहम् । श्रीकृष्णदेवं शरणं प्रपन्नाऽस्मि स पातु माम् ।। २०

ततस्तस्यै कण्ठधार्ये सूक्ष्मे तुलसिकास्रजौ । दत्त्वा तस्या भालदेशे कुर्यात्कुंकुमचन्द्रकम् ।। २१

यदि सा विधवा तर्हि कण्ठे चन्दनचन्द्रकम् । कृत्वाऽष्टवर्णं मन्त्रं त्रिर्वामकर्ण उपादिशेत् ।। २२

ततस्तस्यै सर्वकालं जप्तुं सा त्र्यक्षरं मनुम् । उपादिशेत्तु योषायै तं जपेत्सापि सर्वदा ।। २३

त्रैवर्णिकानां नारीणां सच्छूद्राणां च सर्वशः । विधिरेष इह प्रोक्तस्ताभ्योऽन्यासां ब्रुवे विधिम् ।। २४

હે પુત્રો ! આ સામાન્ય દીક્ષામાં શુભ તિથિ, વાર આદિકનો કોઇ નિયમ નથી, જ્યારે પણ જે સ્ત્રીને મુમુક્ષુતા જાગે ને શરણે આવે તેને દીક્ષા આપી દેવી.૧૫ 

જ્યારે મુમુક્ષુનારી દીક્ષા લેવા આવે ત્યારે સ્નાન કરી ધોયેલા વસ્ત્રો ધારણ કરી હાથમાં ફળ ધારણ કરી ગુરુપત્નીના સમીપે આવી તેમની આગળ ફળને પધરાવી નમસ્કાર કરે.૧૬ 

પછી બે હાથ જોડીને કહે કે, હે સ્વામિની ! પાખંડી ગુરુઓ થકી તથા સર્વપ્રકારના પાપથી મારૂં રક્ષણ કરો. હું તમારે શરણે છું.૧૭ 

તે સમયે ગુરૂપત્નીએ શિષ્યાને આશ્વાસન આપી અભયદાન આપવું ને કહેવું કે, હે શિષ્યા ! તું ભય ન પામ. શ્રીવાસુદેવ ભગવાન તમારૂં સર્વપ્રકારે રક્ષણ કરશે.૧૮ 

આ પ્રમાણે કહીને શિષ્યાને સમીપે બેસાડી જમણા હાથમાં જળ આપવું ને પછી ગુરુ પત્નીએ આ મંત્ર બોલીને સંકલ્પ કરવો .૧૯ 

 કે 'કાળ, માયા, પાપકર્મ અને યમદૂતના ભયથી હું ભગવાન શ્રીકૃષ્ણના શરણે આવી છું. એ ભગવાન મારૂં તેના થકી રક્ષણ કરો.' ૨૦ 

આ પ્રમાણે સંકલ્પ કરાવી ગુરૂએ કંઠમાં ધારણ કરવા યોગ્ય સૂક્ષ્મ તેમજ તુલસીની કંઠી અર્પણ કરવી ને શિષ્યાના ભાલમાં કુંકુમનો ચાંદલો કરાવવો. જો તે શિષ્યા વિધવા હોય તો કંઠમાં ચંદનનો ચાંદલો કરાવવો, ને ડાબા કાનમાં ત્રણવાર અષ્ટાક્ષર મંત્રનો ઉપદેશ કરવો.૨૨ 

પછી ગુરુએ શિષ્યાને હમેશાં જપ કરવા માટે ''શ્રીકૃષ્ણ'' એવો ત્રણ અક્ષરનો મંત્ર આપવો. અથવા ''સ્વામિનારાયણ'' આ ષડાક્ષરી મંત્ર આપવો. અને શિષ્યાએ તેમનો સર્વકાળે જપ કરવો.૨૩ 

ત્રણે વર્ણવાળી અને સત્શૂદ્ર સર્વે સ્ત્રીઓ માટે દીક્ષા આપવાનો આ જ વિધિ કહ્યો છે. એ સિવાયની અન્ય સ્ત્રીઓનો વિધિ કહું છું.૨૪ 

स्नाताभ्यस्त्वन्ययोषाभ्यो गुरुपत्नी गुणाक्षरम् । प्रदापयेन्नाममन्त्रमन्ययेति विधिः स्मृतः ।। २५

હે પુત્રો ! ગુરૂસ્ત્રીએ સ્નાન કરીને આવેલી તે અસત્શૂદ્રસ્ત્રીને પોતાની અન્ય શિષ્યા સ્ત્રીદ્વારા ત્રણ અક્ષરનો ''શ્રીકૃષ્ણ'' મંત્ર પ્રદાન કરાવવો. બસ આટલો જ વિધિ છે.૨૫

ततो गृहीतमन्त्रायै शिष्यायै नियमान्वदेत् । एकाग्रमनसा सापि श्रुत्वैतान् हृदि धारयेत् ।। २६

मांसं न भक्षयेस्त्वं च सुरां मद्यं च मा पिबः । परस्य हिंसनं नैव कुर्या घातं च नात्मनः ।। २७

न जातिभ्रंशकृत्कर्म न कुर्याः स्तेयकर्म च । न सङ्गं परपुंसश्च कुर्यास्त्वं कर्हिचिच्छुभे ! ।। २८

कुसङ्गिभ्यो न शृणुयाः कथावार्ता हरेरपि । न च कस्यापि देवस्य वाचाप्युच्छेदमाचरेः ।। २९

न किञ्चिन्मादकं खादेर्न तमालं न चाशुचि । अगालितं पयोऽम्भश्च न पिबेस्त्वं कदाचन ।। ३०

नापशब्दं वदेः क्वापि कञ्चनापवदेर्न च । मानसं पूजनं विष्णोः कुर्या नित्यमतन्द्रिता ।। ३१

ગુરુપત્નીએ શિષ્યાને ઉપદેશ કરવાનાં વાક્યો :- હે પુત્રો ! ત્યારપછી ગુરૂપત્નીએ મંત્રદીક્ષા લીધેલી પૂર્વોક્ત ત્રણેવર્ણવાળી અને સત્શૂદ્રની સ્ત્રીને પણ નિયમોનો ઉપદેશ કરવો. અને તે શિષ્યાઓએ પણ પોતાની ગુરુએ કહેલા નિયમોને એકાગ્ર ચિત્તથી સાંભળી હૃદયમાં ઉતારવાં.૨૬ 

ગુરૂપત્નીએ ઉપદેશ કરવો કે, હે શિષ્યા ! તારે માંસ ભક્ષણ ન કરવું. ત્રણ પ્રકારની સુરા, અગિયાર પ્રકારનું મદ્ય ન પીવું. બીજા પ્રાણીની હિંસા ન કરવી, પોતાના દેહનો પણ ઘાત ન કરવો.૨૭ 

હે શિષ્યા ! તમારે જાતિભ્રષ્ટ કરે તેવું કર્મ ન કરવું, ચોરીનું કર્મ ન કરવું, ક્યારેય પણ પરપુરુષનો સંગ ન કરવો.૨૮ 

ભગવાનની કથાવાર્તા પણ કુસંગી પુરુષો થકી ન સાંભળવી. કોઇ પણ દેવનું અપમાન થાય તેવી વાણી ન ઉચ્ચારવી.૨૯ 

પોતાને કેફ ચડે એવી કોઇ પણ વસ્તુ ખાવી પીવી નહિ. તમાકુ ખાવું નહિ અને નાકે સૂંઘવું પણ નહિ. અપવિત્ર વસ્તુ તેમજ ડુંગળી, લસણ આદિ અભક્ષ્ય વસ્તુનું ભક્ષણ ન કરવું. ગાળ્યા વિનાનું દૂધ કે જળ ક્યારેય પણ પીવું નહિ.૩૦ 

ક્યારેય પણ અપશબ્દો કે ગાળો ન બોલવી, મિથ્યાપવાદનું આરોપણ ન કરવું. હમેશાં આળસ છોડી શ્રીવિષ્ણુ ભગવાનની માનસીપૂજા કરવી.૩૧ 

प्रीत्यैव राधाकृष्णार्चां पूजयेश्च त्वमन्वहम् । शक्त्या तन्मन्त्रजपनं विदध्या नियमेन च ।। ३२

मालामाच्छाद्य वस्त्रेण शुचिर्भूत्वा स्थिरासना । कुर्या मन्त्रजपं नित्यं यतवाग्दृष्टिरत्वरा ।। ३३

कुर्या एकादशीजन्माष्टम्यादीनि व्रतानि च । अधार्मिकाणां नारीणां पुंसां सङ्गं च मा कृथाः ।। ३४

हरेर्नवविधां भक्तिं कुर्यास्वं मा त्यजेः क्वचित् । सङ्गं त्यक्त्वाष्टधा पुंसां विधवापि हरिं भजेत् ।। ३५ 

सद्धर्मानद्य भवती प्राप्ता भागवतानिति । सत्सङ्गिनीति लोकेऽस्मिन्विश्रुता च भविष्यति ।। ३६

जाताद्य निर्भया त्वं हि कृष्णं धर्मस्थिता भज । गोलोकं परमं धाम प्राप्स्यस्यन्ते तथा सती ।। ३७

वासुदेवस्तव पतिर्भूत्वा ते वाञ्छितं सुखम् । दास्यत्येव कृपासिन्धुः संशयो नात्र विद्यते ।। ३८

इत्युक्त्वा प्रतिमां तस्यै राधाकृष्णस्य सा गुरुः । चातुर्वर्ण्यस्त्रियै दद्यादितरांत्वित्थमादिशेत् ।। ३९

प्रतिमा वासुदेवस्य स्प्रष्टव्या न त्वया क्वचित् । स्वग्रामे ह्यौद्धवगृहे कुर्या नित्यं तदीक्षणम् ।। ४०

सा न चेत्तर्हि पुष्पादि कृष्णप्रासादिकं त्वया । स्थापयित्वान्तिके तस्य कर्तव्यं नित्यमीक्षणम् । ४१

मानसं पूजनं भक्त्या नित्यं कुर्यास्त्वमादरात् । तेनैव बाह्यपूजायाः फलं सर्वमवाप्स्यसि ।। ४२

ततश्चातुर्वर्ण्ययोषा गुरुपत्नीं समर्चयेत् । कुंकुमाक्षतपुष्पाद्यैः शक्त्या वस्त्रैर्धनैश्च सा ।। ४३

गुरुपत्नीं नमस्कृत्य ततस्तस्या निदेशतः । गच्छेन्निजगृहं तत्र भवेत्तद्वचसि स्थिता ।। ४४

इति सामान्यदीक्षाया विधिः प्रोक्तो मयाधुना । विधिं विशेषदीक्षायाः कथयाम्यप्यशेषतः ।। ४५

હે શિષ્યા ! તારે પ્રતિદિન શ્રીરાધાકૃષ્ણ ભગવાનની પ્રતિમાનું અતિશય સ્નેહથી મંત્ર જપતાં જપતાં પૂજન કરવું, તેમજ નિયમ પૂર્વક મંત્રનો જપ કરવો.૩૨ 

તે મંત્ર જપતી વખતે માળાને વસ્ત્રથી ઢાંકીને પવિત્ર થઇ, સ્થિર આસને બેસી વાણી અને દૃષ્ટિને નિયમમાં રાખી ધીમેથી પ્રતિદિન મંત્રનો જપ કરવો.૩૩ 

એકાદશી અને જન્માષ્ટમી આદિક વ્રતો કરવાં. અધાર્મિક સ્ત્રી-પુરુષનો સંગ ક્યારેય ન કરવો.૩૪ 

શ્રીહરિની નવપ્રકારની ભક્તિનો ક્યારેય પણ ત્યાગ ન કરવો. તેમાં વિધવા સ્ત્રીએ તો અષ્ટપ્રકારે પુરુષનો ત્યાગ રાખી હરિભજન કરવું.૩૫ 

તું અત્યારે ભાગવતધર્મને પામી છો એથી આ લોકમાં તું 'સત્સંગીની' તરીકે પ્રસિદ્ધ થઇશ.૩૬ 

તું આજથી જન્મ-મરણથી નિર્ભય થઇ છો, તેથી ધર્મમાં રહીને ભગવાનનું ભજન કર. આવી રીતે જો વર્તીશ તો દેહના અંતે સર્વોત્તમ ભગવાનના ગોલોકધામને પામીશ.૩૭ 

કૃપાસિંધુ શ્રીવાસુદેવ ભગવાન તારા પતિ થઇને તને ઇચ્છિત સર્વ સુખ આપશે. આ મેં જે કહ્યું તેમાં તારે કંઇ પણ સંશય રાખવો નહિ.૩૮ 

હે પુત્રો ! આ પ્રમાણે કહીને આચાર્યપત્નીએ તે ચારે વર્ણની સ્ત્રીઓને શ્રીરાધાકૃષ્ણની પ્રતિમા પૂજવા માટે આપવી. અને અસત્શૂદ્ર સ્ત્રીને માત્ર આગળ કહેવાશે તેટલો જ ઉપદેશ આપતા કહેવું કે, હે શિષ્યા ! તારે ક્યારેય પણ શ્રીવાસુદેવ ભગવાનની પ્રતિમાનો સ્પર્શ ન કરવો. પોતાના ગામમાં ઉદ્ધવસંપ્રદાયના સત્સંગીના ઘેર પધરાવેલા ભગવાન શ્રીવાસુદેવનારાયણનાં નિત્યે દર્શન કરવા જવું.૩૯-૪૦ 

જો આવી રીતની ગામમાં ક્યાંય પ્રતિમા ન હોય તો તમારે ભગવાન શ્રીકૃષ્ણના પ્રસાદિના પુષ્પ કે વસ્ત્રનો ટુકડો પોતાની સમીપે રાખી તેમનાં દર્શન નિત્યે કરવાં.૪૨ 

તારે માનસીપૂજા ભક્તિભાવ ંપૂર્વક અતિશય આદરથી પ્રતિદિન કરવી. તે માનસીપૂજા કરવા માત્રથી બ્રાહ્યપૂજાનું સર્વ ફળ પ્રાપ્ત થશે.૪૨ 

હે પુત્રો ! પછી શિષ્યા થયેલી ચારે વર્ણની સ્ત્રીઓએ કુંકુમ, ચોખા અને પુષ્પાદિ વડે શક્તિને અનુસાર વસ્ત્રો તેમજ ધનવડે ગુરુપત્નીની પૂજા કરવી ને શિષ્યાએ ગુરૂને નમસ્કાર કરવા, તથા તેમનો આદેશ થતાં પોતાના ઘેર જવું. અને ગુરૂપત્નીએ કહેલા સર્વે વચનોનું પાલન કરવું.૪૪ 

હે પુત્રો ! આ પ્રમાણે સ્ત્રીઓ માટેનો સામાન્યદીક્ષા વિધિ કહ્યો. હવે વિશેષમાં મહાદીક્ષાનો સમગ્ર વિધિ તમને સંભળાવું છું.૪૫ 

योषा त्रैवर्णिकी तत्र ज्ञातव्या ह्यधिकारिणी सच्छूद्रा चाप्तसामान्यदीक्षा तद्धर्मसुस्थिरा ।। ४६

न स्यान्न्यूनातिरिक्ताङ्गा न भाषेतानृतं च या । न हासिनी न बहु भुक् न क्रियासु प्रमादिनी ।। ४७ 

विकृताङ्गी च या न स्यान्महारोगार्दिता न च । न चातिघर्घररवा श्मश्रुला च न या भवेत् ।। ४८

न तुच्छभाषिणी या च भ्रामणी न च या भवेत् । राजादिवार्ताकथनप्रच्छनप्रकृतिर्न च ।। ४९

भोजयित्वा पोष्यवर्गं या भुञ्जीत दिनेदिने । लज्जालुर्नातिचपला दयालुश्च पतिव्रता ।। ५०

क्रयविक्रयहेतोर्या न स्याद्विपणिगामिनी । अधार्मिकाणां नारीणां सङ्गे यस्या रुचिर्न च ।। ५१

सद्धर्मपालनोत्साहा भर्त्राज्ञाप्ता सुवासिनी । पितृपुत्राद्यनुज्ञाता विधवाप्यधिकारिणी ।। ५२

મહાદીક્ષાની અધિકારી સ્ત્રીઓનાં લક્ષણો :- આ મહાદીક્ષામાં ત્રણેવર્ણની સામાન્યદીક્ષા પામેલી તેમજ પોતાના ધર્મમાં દૃઢ વર્તતી સ્ત્રીઓ અધિકારી કહેલી છે. સત્શૂદ્ર સ્ત્રીઓ પણ મહાદીક્ષાની અધિકારી કહેલી છે.૪૬ 

જે સ્ત્રી ઓછાં કે અધિકાં અંગવાળી ન હોય, જે ખોટું બોલવાના સ્વભાવવાળી ન હોય, બહુ ખાવાની ટેવવાળી ન હોય, કામ કરવામાં આળસુ ને પ્રમાદી ન હોય, જે વિકૃત કે વાંકાં અંગવાળી ન હોય, મોટા રોગથી ધેરાયેલી, સ્વભાવસિદ્ધ ઘોઘરા આવાજવાળી ન હોય, જેના દાઢી કે મૂછ ભાગે વાળ ન હોય, તુચ્છભાષા બોલવાના સ્વભાવવાળી ન હોય, જ્યાં ત્યાં ભટકવાના સ્વભાવવાળી કે રાજકારણની વાતો અન્ય પાસે સાંભળી અન્યને કહેવાના સ્વભાવવાળી ન હોય, જે પ્રતિદિન પોષ્યવર્ગને ભોજન કરાવીને પછીથી ભોજન કરનારી હોય, લજ્જાશીલ સ્વભાવવાળી હોય, ચંચળ પ્રકૃતિ ન હોય, દયાળુ હોય, પતિવ્રતાના ધર્મમાં નિષ્ઠાવાળી હોય, ખરીદવા કે વેચવાના બહાને બજારમાં રખડતી ન હોય, અધાર્મિક સ્ત્રીઓનો સંગ ન કરતી હોય, ધર્મપાલન કરવામાં ઉત્સાહવાળી હોય, આવા અનંત ગુણોથી યુક્ત સધવા નારીએ પોતાના જેવા ગુણશાળી પતિની આજ્ઞા લઇ મહાદીક્ષાની અધિકારી થઇ શકે છે. જે રીતે ઉપરોક્ત કહ્યા એવા ગુણવાળી વિધવા સ્ત્રી હોય તે પણ પિતા કે પુત્રની આજ્ઞા લઇ મહાદીક્ષાની અધિકારી થઇ શકે છે, તથા કુંવારી કન્યા હોય તે પણ મહાદીક્ષાની અધિકારી થઇ શકે છે.૪૭-૫૨ 

गुरुः शिष्यां परीक्ष्यैवं महादीक्षां ददीत सा । एकादश्यां वा द्वादश्यां पूर्वेद्युस्त्यक्तभोजनाम् ।। ५३

पूर्वेद्युः कारयेदेव कदलीस्तम्भमण्डितम् । शोभितं चित्रवस्त्राद्यैर्मण्डपं चारुतोरणम् ।। ५४ 

तन्मध्ये सर्वतोभद्रं रङ्गैर्वा चित्रतण्डुलैः । कारयेद्रापयेत्स्त्रीभिः कृष्णगीतानि भूरिशः ।। ५५

प्रातर्दीक्षादिने स्नाता गुर्वी धौताम्बरा शुचिः । पूजोपहारानानाय्य निषीदेन्मण्डलाग्रतः ।। ५६

मण्डलस्यान्तरे पीठं संस्थाप्य सितवाससा । आच्छाद्याष्टदलं कुर्यात्तस्मिन्पद्मं सुशोभनम् ।। ५७ 

विचित्ररङ्गैस्तत्कृत्वा तण्डुलैर्वा सकर्णिकम् । राधालक्ष्मीयुतां मूर्तिं वासुदेवस्य तत्र च ।। ५८

स्थापयेद्वापयेञ्चासौ योषाभिः कृष्णगीतिकाः । वादित्राणि विचित्राणि वादयेत्पूजनोत्सवे ।। ५९

હે પુત્રો ! આવા પ્રકારના લક્ષણોથી ગુરુસ્ત્રીએ શરણે આવેલી શિષ્યાઓની પરીક્ષા કરી આગલા દિવસે જેને નિરાહાર ઉપવાસ કર્યો છે એવી એ શિષ્યાને એકાદશીના દિવસે કે દ્વાદશીના દિવસે મહાદીક્ષાનું પ્રદાન કરવું.૫૩ 

તે દીક્ષાપ્રદાનમાં પ્રથમ કેળના સ્તંભનો મંડપ રચાવી ચિત્રવિચિત્ર વસ્ત્રોથી તેને સુશોભિત કરવો, તેમાં સુંદર તોરણ લટકાવવાં.૫૪ 

તે મંડપના મધ્યભાગમાં રંગ, ગુલાલ આદિકથી અથવા અનેક પ્રકારના રંગોથી રંગેલા અક્ષતવડે સર્વતોભદ્ર મંડલની રચના કરાવીને અનેક સ્ત્રીઓ પાસે ભગવાનનાં ગીતો ગવડાવવાં.૫૫ 

દીક્ષા આપવાના દિવસે પ્રાતઃ સ્નાન કરી ધોયેલાં વસ્ત્રો ધારણ કરી બહાર અંદર પવિત્રપણે રહી ગુરૂસ્ત્રીએ ચંદન પુષ્પાદિક સર્વે પૂજાના ઉપચારો મંગાવીને તૈયાર રખાવવાં ને તેમની સમીપે બેસવું.૫૬ 

તે મંડળની મધ્યે બાજોઠને પધરાવી તેના ઉપર શ્વેત વસ્ત્રનું આચ્છાદન કરી તે બાજોઠ ઉપર અષ્ટપાંખડીવાળા કમળની રચના કરવી.૫૭ 

તે રચના અનેક પ્રકારના રંગોથી કે ચોખાથી કર્ણિકાએ સહિત કરવી,પછી તેમાં રાધા અને લક્ષ્મીએ સહિત શ્રીવાસુદેવ ભગવાનની મૂર્તિની સ્થાપના કરવી.૫૮ 

તે સમયે ગુરુસ્ત્રીએ પૂજાના ઉત્સવમાં સ્ત્રીઓની પાસે શ્રીકૃષ્ણ ભગવાનના ચરિત્ર પદોનું ગાન કરાવી અનેક પ્રકારનાં વાજિંત્રો વગડાવવાં.૫૯ 

स्नात्वाथ शिष्या कौशेये वाससी परिधाय सा । धौते वा सूत्रवसने निषीदेदन्तिके गुरोः ।। ६०

पूजामनुस्तु श्रीराधाकृष्णाय नम इत्यसौ । तेनैव कारयेत्पूजां प्राङ्मुखां तां हरेर्गुरुः ।। ६१

प्राङ्मुखा गुरुपत्नी तामुपवेश्योत्तराननाम् । दद्यात्सूक्ष्मं कण्ठधार्यं तुलसीमालिकाद्वयम् ।। ६२

काश्मीरचन्द्रकं भाले सधवां कारयेत्स्त्रियम् । प्रासादिकेन गन्धेन विधवायास्तु सा गले ।। ६३

यद्वा गोपीचन्दनेन कारयेत्कण्ठचन्द्रकम् । उत्तिष्ठन्ती ततः शिष्या स्तुयात् कृष्णं कृताञ्जलिः ।। ६४

હે પુત્રો ! ત્યારપછી શિષ્યાસ્ત્રીએ સ્નાન કરી કસુંબલ વસ્ત્ર કે ધોયેલાં સુતરાઉ વસ્ત્રને ધારણ કરી ગુરુપત્નીને સમીપે બેસવું.૬૦ 

''શ્રીરાધાકૃષ્ણાય નમઃ'' આ મંત્ર સર્વ પ્રકારના ઉપચારો વખતે બોલવાનું જાણવું. તે જ મંત્રથી ગુરુસ્ત્રીએ પૂર્વ સન્મુખ બેઠેલી શિષ્યા પાસે ભગવાન શ્રીહરિની પૂજા કરાવવી.૬૧ 

પછી પૂર્વમુખે બેઠેલી ગુરૂસ્ત્રીએ શિષ્યાને ઉત્તર મુખે બેસાડીને કંઠમાં સૂક્ષ્મ તુલસીની કંઠી ધારણ કરાવવી.૬૨ 

ને સધવા સ્ત્રીના ભાલમાં કુંકુમનો ચાંદલો કરાવવો. જો દીક્ષાર્થી વિધવા હોય તો ગળામાંભગવાનની પ્રસાદીના ચંદનનો અથવા ગોપીચંદનનો ચાંદલો કરાવવો. પછી શિષ્યાએ બે હાથ જોડી ભગવાનની સ્તુતિ કરવી.૬૩-૬૪ 

श्रीकृष्ण ! नारायण ! वेणुपाणे ! श्रीराधिकानेत्रचकोरचन्द्र ! । वृन्दावनानन्दितगोपगोपे ! श्रीगोकुलाधीश ! हरे ! प्रसीद ।। ६५

श्रीदेवकीनन्दन ! देवदेव ! श्री द्वारिकाधीश्वर ! पार्थसूत ! । लक्ष्मीमनोरञ्जनचारुहास ! प्रभो ! नमस्ते परमेश्वराय ।। ६६

दीक्षांन त्वदीयां महतीं दधामि रक्षा तदीया भवतैव कार्या । क्रोधाश्च लोभाञ्च रसाञ्च कामादधार्मिकेभ्यश्च विभो ! नरेभ्यः ।। ६७

यथा त्वदीये तु पदारविन्दे रतिर्मदीया गिरिनिश्चला स्यात् । हरे ! तथानुग्रहमर्हसि त्वं कर्तुं त्वदीयाऽस्मि यतोऽहमीश ! ।। ६८

धर्मो यथैवात्र पतिव्रताया भग्नो भवेन्नाणुरपि प्रभो ! मे ! । तथैव कार्या भवता दयालो ! दास्यां कृपा मय्यपि वासुदेव ! ।। ६९

દીક્ષિતસ્ત્રીએ શ્રીહરિને કરવાની પ્રાર્થના :- હે શ્રીકૃષ્ણ ! હે નારાયણ ! હે વેણુપાણિ ! હે રાધિકાના નેત્રરૂપી ચકોરના ચંદ્ર ! હે વૃંદાવનમાં ગોપ ગોપીઓને આનંદ ઉપજાવનારા ! હે ગોલોકાધીશ ! હે શ્રીહરિ ! તમે મારા ઉપર પ્રસન્ન થાઓ.૬૫ 

હે શ્રી દેવકીનંદન ! હે દેવદેવ ! હે શ્રીદ્વારિકાધીશ્વર ! હે અર્જુનના સારથી ! હે લક્ષ્મીના મનોરંજન માટે મધુર હાસ્ય કરનારા ! હે પ્રભુ ! હે પરમેશ્વર ! તમને હું નમસ્કાર કરૂં છું.૬૬ 

હે વિભુ ! હું તમારી મહાદીક્ષાને ધારણ કરૂં છું એથી ક્રોધ, લોભ, રસાસ્વાદ, કામ અને અધાર્મિક પુરુષો થકી તમારે જ આ મારી મહાદીક્ષાની રક્ષા કરવાની છે.૬૭ 

હે શ્રીહરિ ! હે ઇશ ! જે પ્રકારે તમારા ચરણારવિંદમાં મારી પ્રીતિ પર્વત જેવી અચળ થાય તેવો તમો મારા ઉપર અનુગ્રહ કરજો. કારણ કે હું હવે એક તમારે જ શરણે છું.૬૮ 

હે પ્રભુ ! હે દયાળુ ! હે વાસુદેવ ! આલોકમાં મારો પતિવ્રતાનો ધર્મ જે રીતે એક અણુમાત્ર પણ ભંગ ન થાય તેમ તમારી દાસી એવી મારા ઉપર કૃપા કરજો.૬૯ 

गुर्व्याज्ञाया प्रणम्याथ वासुदेवं च तां गुरुम् । निषीदेत्प्राङ्मुखा गुर्वी शिष्या तूदङ्मुखा भवेत् ।। ७०

वासुदेवं स्वामिनं स्वं ततो ध्यात्वा निजे हृदि । कृष्णमन्त्रं वामकर्णे तस्याः सोपदिशेच्छनैः ।। ७१

त्रिर्मन्त्रमुपदिश्याथ धर्मोस्तस्या उपादिशेत् । शृणु भद्रे ! मदीया त्वं पुत्री जातासि साम्प्रतम् ।। ७२

पत्या सत्येन कृष्णेन योजितासि मया किल । तस्मात्तं प्रयता नित्य मनन्यमनसा भज ।। ७३

अनेकपतिसम्बन्धात्संसृतिभ्रमणादपि । रक्षित्वा त्वां स भगवान् पातिव्रत्यमविष्यति ।। ७४

सेवा भगवतो नित्यं कर्तव्यानुसवं त्वया । प्रासादिकं हरेरन्नं भोज्यमह्नि तथा निशि ।। ७५

दिवसे द्विर्न भुञ्जीथा न रात्रौ द्विर्विनापदम् । सकृदेव हि भुञ्चीत विधवा त्वह्नि वा निशि ।। ७६

रोगे सूतौ प्रवासादौ ज्ञात्यावश्यकभोजने । सधवाया न ते दोषस्त्रिर्भुक्तेरपि विद्यते ।। ७७ 

મંત્રદીક્ષા પછી આપવાનો ઉપદેશ :- હે પુત્રો ! આ પ્રમાણે પ્રાર્થના કર્યા પછી શિષ્યાએ પોતાના ગુરુસ્ત્રીની આજ્ઞાથી શ્રીવાસુદેવ ભગવાનને પ્રણામ કરવા, પછી ગુરુસ્ત્રીને પ્રણામ કરી ઉત્તર સન્મુખ બેસવું, ને ગુરુસ્ત્રીએ પૂર્વસન્મુખ બેસવું.૭૦ 

પછી ગુરુએ પોતાના હૃદયમાં શ્રીવાસુદેવ નારાયણ અને પોતાના પતિ આચાર્યશ્રીનું ધ્યાન કરી તે શિષ્યાના ડાબા કાનમાં શ્રીકૃષ્ણ ભગવાનનો અષ્ટાક્ષરમંત્રનો ધીમેથી ત્રણ વાર ઉપદેશ કરવો.૭૧ 

ગુરુસ્ત્રીએ શિષ્યાને ઉપદેશ આપવો કે, હે કલ્યાણી ! તું અત્યારે મારી પુત્રી થઇ છે.૭૨ 

મેં સત્યસ્વરૂપ એવા શ્રીકૃષ્ણ ભગવાનરૂપી પતિની સાથે તારો સંબંધ કરાવ્યો છે. તેથી મનને નિયમમાં રાખી તું અનન્યભાવથી તેમનું નિત્યે ભજન કરજે.૭૩ 

તે અનેક પતિઓના સંબંધથી અને જન્મ-મરણ રૂપ સંસૃતિના ભ્રમણથી તારૂં રક્ષણ કરશે. ને તારા પતિવ્રતાના ધર્મનું પણ રક્ષણ કરશે.૭૪ 

તારે પ્રતિદિન સમયે સમયે શ્રીકૃષ્ણ ભગવાનની સેવા કરવી. તેની પ્રસાદીનું અન્ન દિવસમાં એકવાર અને રાત્રીમાં એકવાર જમવું.૭૫ 

આપત્કાળ પડયા વિના દિવસમાં બે વાર ન જમવું. તથા રાત્રીમાં પણ બેવાર ન જમવું, તેમાં મહાદીક્ષા પ્રાપ્ત કરનાર વિધવા નારીએ તો દિવસે અથવા રાત્રે એક જ વાર જમવું.૭૬ 

જો સધવા નારીએ તાવ આદિ રોગની પીડા હોય કે પછી જ્ઞાતિજનોના ઘેર અવશ્ય ભોજનનો સમય હોય અથવા પ્રવાસનો સમય હોય ત્યારે ત્રણ વખત જમવામાં દોષ નથી.૭૭ 

नैवेद्यं तु तदा कार्यं मनसैव त्वया हरेः । अन्नाद्यैर्मानसैरेव भोज्यः कृष्णो हृदि स्थितः ।। ७८

ब्राह्मे मुहूर्ते सन्त्यज्य निद्रां कृष्णं स्मरेः सदा । आद्यं यामं निशोऽतीत्य कुर्या शयनमन्वहम् ।। ७९

दशमीषु च सर्वासु तथा त्वं द्वादशीष्वपि । व्रतोपवासदिवसे दिवा स्वापं च नाचरेः ।। ८०

विधवा तु दिवा क्वापि न शयीत यथा यतिः । आपत्काले दिवा स्वापः पुनर्भुक्तिर्न दोषकृत् ।। ८१

सर्वाभिर्नवधा भक्तिः स्त्रीभिः कार्या रमापतेः । मानेर्ष्यारुट्विवादाश्च न कार्या भक्तया सह ।। ८२

कृष्णस्तोत्रं प्रतिदिनं पठेयुर्दीक्षिताः स्त्रियः । यावद्देहस्मृतिस्तावत्पाल्या धर्मा इति स्थितिः ।। ८३

कृष्णमेवाश्रिताऽस्यद्य त्वं हि सर्वात्मना प्रभुम् । अतो भविष्यसि ख्याता भूमावात्मनिवेदिनी ।। ८४

स्वधर्मसंस्थिता नित्यं देहान्ते त्वं तु सन्मते ! । राधिकेव सुखं स्वेष्टं गोलोके प्राप्स्यसि ध्रुवम् ।। ८५

भर्तापि तव पुण्येन पार्षदो भविता हरेः । मातृपितृकुले तेऽपि प्राप्स्येते सग्दतिं पराम् ।। ८६

હે શિષ્યા ! તેવી જ રીતે રોગાદિ આપત્કાળમાં ભગવાન શ્રીહરિનું નૈવેદ્ય તો મનથી કલ્પીને જ કરવું. હૃદયમાં રહેલા શ્રીકૃષ્ણ ભગવાનને મનથી કલ્પેલ અન્નાદિક ભોજન વડે જમાડવા. તે સમયે બાહ્યપૂજા ન થઇ શકે તે માટે એમ કરવું યોગ્ય છે.૭૮ 

હમેશાં બ્રાહ્મમુહૂર્તમાં નિદ્રાનો ત્યાગ કરી શ્રીકૃષ્ણ ભગવાનનું સ્મરણ કરવું, અને રાત્રીએ પ્રતિદિન પહેલો પહોર વ્યતીત થયા પછી શયન કરવું.૭૯ 

તારે સર્વે દશમી, એકાદશી અને દ્વાદશીના વ્રતોપવાસના દિવસે દિવસની નિદ્રાનો ત્યાગ કરવો.૮૦ 

વિધવા નારીઓએ તો સંન્યાસીઓની જેમ જ ક્યારેય પણ દિવસે નિદ્રા ન કરવી. આપત્કાળમાં દિવસે નિદ્રા થાય કે બીજી વખત ભોજન થાય તેનો દોષ નથી.૮૧ 

હે શિષ્યા ! મહાદીક્ષા પ્રાપ્ત કરેલી સર્વપ્રકારની સ્ત્રીઓએ રમાપતિની નવધા ભક્તિ કરવી ને ભગવાનની ભક્ત સ્ત્રીઓ સાથે માન, ઇર્ષ્યા, ક્રોધ કે વિવાદ ન કરવો.૮૨ 

દીક્ષિત નારીઓએ પ્રતિદિન શ્રીકૃષ્ણ ભગવાનના સ્તોત્રનો પાઠ કરવો ને જ્યાં સુધી દેહની સ્મૃતિ રહે ત્યાં સુધી મેં કહેલા આ સર્વે સદાચાર તારે પાડવાના છે. આ આપણા ઉદ્ધવસંપ્રદાયની મર્યાદા છે.૮૩ 

કારણ કે, અત્યારથી તું કાયા, મન, વાણીથી શ્રીકૃષ્ણ ભગવાની આશ્રિત થઇ છો એથી આ પૃથ્વી પર તું આત્મનિવેદિની ભક્ત તરીકે પ્રખ્યાત થઇશ.૮૪ 

હે સદ્બુદ્ધિવાળી શિષ્યા ! નિત્યે સ્વધર્મમાં રહીને આ રીતે જીવન પસાર કરીશ તો દેહના અંતે ગોલોકમાં રાધિકાજીની જેમ તું પ્રિય સુખને પામીશ, એ નક્કી વાત છે.૮૫ 

હે શિષ્યા ! તારા પુણ્યના પ્રતાપે તારો પતિ પણ ભગવાન શ્રીહરિનો પાર્ષદ થશે, તારાં માતૃકુળ અને પિતૃકુળ પણ પરમ સદ્ગતિને પામશે.૮૬ 

इत्युक्त्वा गुरुपत्न्या सा शिरसादाय तद्वचः । प्रणमेत्तां ततः सापि तस्यै दद्याच्छुभाशिषः ।। ८७

पतिव्रताधर्मनिष्ठा भव त्वं सर्वदा शुभे ! । वासुदेवस्य दास्यं च कमलाया इवास्तु ते ।। ८८

ततः शिष्या गुरोः पूजां शक्तया कृत्वैव पूर्ववत् । तां चान्याश्च नमस्कृत्य भक्ताः स्यात् तद्वचः स्थितिः ।। ८९ 

सामान्यां महतीं वापि गृीयादौद्धवीं तु या । दीक्षामेतां स्वशक्तया सा हरेर्भक्तान्सुभोजयेत् ।। ९०

હે પુત્રો ! આ પ્રમાણે ગુરૂપત્ની કહે, તેમના વચનને શિષ્યાએ આદરથી મસ્તક પર ધારવાં ને ગુરૂપત્નીને નમસ્કાર કરવા, ત્યારે ગુરૂએ શિષ્યાને શુભાશીર્વાદ આપવા ને કહેવું કે, હે શુભે ! તું સદાય પરિવ્રતાના ધર્મમાં નિષ્ઠાવાળી થા તથા લક્ષ્મીજીની જેમ તને પણ ભગવાનનું દાસત્વ પ્રાપ્ત થાય.૮૭-૮૮ 

હે પુત્રો ! પછી શિષ્યાએ પૂર્વની જેમ પોતાની શક્તિ પ્રમાણે ગુરુસ્ત્રીની પૂજા કરીને તેમને નમસ્કાર કરવા, તેમજ અન્ય ભગવદ્ભક્ત સ્ત્રીઓને પણ નમસ્કાર કરવા ને ગુરુના વચનમાં દૃઢપણે વર્તવું.૮૯ 

જે સ્ત્રી ઉદ્ધવસંપ્રદાયની સામાન્ય દીક્ષા કે મહાદીક્ષા ગ્રહણ કરે તે સમયે તે સ્ત્રીએ પોતાની શક્તિ પ્રમાણે શ્રીહરિના ભક્તો, સાધુ, બ્રાહ્મણોને ભોજન કરાવવું.૯૦ 

दीक्षाविधिरिति प्रोक्तः स्त्रीणां द्वेधा मया सुतौ ! । कृष्णभक्तिं चिकीर्षूणां स्थित्वैवोद्धववर्त्मनि ।। ९१

एतं युवां च भार्यायै स्वस्य स्वस्य पृथक् पृथक् । ब्रूयातं ते ततस्तद्वदुभे अपि करिष्यतः ।। ९२

तावेवमुक्तौ हरिणा प्रसन्नौ सुतावभूतां नृपते ! प्रणम्य । तमीश्वरं चार्थं हृदि चिन्तयन्तौ ।। ९३

હે પુત્રો ! આ પ્રમાણે ઉદ્ધવસંપ્રદાયમાં રહી શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ કરવા ઇચ્છતી સ્ત્રીઓ માટે બે પ્રકારનો દીક્ષાવિધિ મેં કહ્યો.૯૧ 

તેને તમે બન્નેએ તમારી પત્નીઓને જઇને અલગ અલગ કહેજો. તે પણ તમારા કહેવા પ્રમાણે વર્તન કરે.૯૨ 

હે રાજન્ ! આ પ્રમાણે ભગવાન શ્રીહરિએ કહ્યું ત્યારે બન્ને પુત્રો અયોધ્યાપ્રસાદજી અને રઘુવીરજી બહુ જ પ્રસન્ન થયા. પરમેશ્વર ભગવાન શ્રીહરિને પ્રણામ કરી તેમણે કહેલા અર્થનું મનમાં ચિંતવન કરતા કરતા પોતાના નિવાસ સ્થાને પધાર્યા.૯૩ 

इति श्रीसत्सङ्गिजीवने नारायणचरित्रे धर्मशास्त्रे चतुर्थप्रकरणे दीक्षाविधौ स्त्रीणां द्विविधदीक्षाविधिनिरूपणनामा त्रिपञ्चाशत्तमोऽध्यायः ।। ५३

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં શ્રીહરિએ સ્ત્રીઓને માટે બે પ્રકારના દીક્ષાવિધિનું નિરૂપણ કર્યું એ નામે ત્રેપનમો અધ્યાય પૂર્ણ થયો. --૫૩--