અધ્યાય - ૪૨ - મહારાજા સયાજીરાવે ભગવાન શ્રીહરિનું કરેલું બહુ સન્માન અને શ્રીહરિએ કરેલો તેમને સદુપદેશ.

મહારાજા સયાજીરાવે ભગવાન શ્રીહરિનું કરેલું બહુ સન્માન અને શ્રીહરિએ કરેલો તેમને સદુપદેશ. સયાજીરાવ મહારાજને શ્રીહરિનો સદુપદેશ.

सुव्रत उवाच -

प्रणम्य तं करं तस्य गृहीत्वा पाणिना ततः । प्राविशत्स निजं सौधं दर्शनीयं महीभुजाम् ।। १ ।।

सिंहासने मनोज्ञो तमुपावेश्य तदग्रतः । तिष्ठन्स दासवत्प्राह प्राञ्जलिर्धरणीपतिः ।। २

स्वामिन्मनोरथो मेऽद्य फलितोऽत्र तवागमात् । कृपया पावितोऽद्याहं त्वया लोकहितैषिणा ।। ३

त्वदङ्घ्रिपद्मसंस्पर्शात्पूतेयं च धरा मम । अद्यप्रभृति ते स्वामिन्नाज्ञावर्ती भवाम्यहम् ।। ४

इत्युक्त्वा सह तेनाथ सानुगेन महीपतिः । ससैन्यो वाहनारूढ उपायान्मस्तुवाटिकाम् ।। ५

तदागमात्पूर्वमेव कारितेषु च तत्र सः । पटमण्डपवर्येषु सानुगं तमवासयत् ।। ६

स स्वानुरूपतश्चक्रे तस्यातिथ्यं नराधिपः । नाथजिद्रामचन्द्राद्या भक्ताः पर्यचरंश्च तम् ।। ७

द्वितीयोऽह्नि ततः पौरा भक्ताः सर्वे तमार्चयन् । नानाविधैः सुवसनैर्गन्धपुष्पधनादिभिः ।। ८

तृतीयेऽहनि राजापि कृतभुक्तिं हरिं निजम् । आनिनाय पुनः सौधं गजारूढं यथा पुरा ।। ९

महासन उपावेश्य तं तदग्र उपाविशत् । उपावीविशदन्यांश्च तदीयान्स यथोचितम् ।। १०

ततस्तं विनयानम्रं बद्धाञ्जलिपुटं नृपम् । उवाच प्रीणयन्वाचं सर्वदुःखहरो हरिः ।। ११

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! સયાજીરાવ રાજાએ ભગવાન શ્રીહરિને પ્રણામ કર્યા ને તેમનો હાથ પોતાના હાથથી ગ્રહણ કરી રાજા-મહારાજાઓને આશ્ચર્ય ઉપજાવે તેવા પોતાના રાજમહેલમાં પ્રવેશ કરાવ્યો.૧ 

ચિત્રવિચિત્ર મણિઓથી સુશોભિત મનોહર સિંહાસન ઉપર ભગવાન શ્રીહરિને રાજાએ બેસાડયા ને તેમની આગળ દાસની પેઠે બે હાથ જોડી ઊભા રહ્યા.૨ 

અને કહેવા લાગ્યા કે, હે સ્વામિન્ ! આજ આપના અહીં આગમનથી આપના દર્શનનો મારો મનોરથ સફળ થયો. સર્વે જનોનું સદાય હિત કરનારા તમે કૃપા કરીને મને પાવન કર્યો.૩ 

હે સ્વામિન્ ! તમારા ચરણકમળના સ્પર્શથી આ ધરા પણ આજે પાવન થઇ. હું આજ દિવસથી આરંભીને તમારી આજ્ઞામાં વર્તનારો શિષ્ય થાઉં છું.૪ 

આ પ્રમાણે કહી સયાજીરાવ મહારાજા સૈન્યની સાથે વાહન ઉપર બેઠા અને સંતો-ભક્તોની સાથે ભગવાન શ્રીહરિને ઉતારા અપાવવા મસ્તુ બાગમાં પધાર્યા.૫ 

તેમણે શ્રીહરિના આગમનથી પહેલાંજ મસ્તુબાગમાં તંબુઓ બંધાવી તૈયાર કરાવેલા હતા, તેમાં અનુયાયીઓ સહિત શ્રીહરિને ઉતારો કરાવ્યો.૬ 

પોતાની યોગ્યતા અનુસાર રાજાએ શ્રીહરિનો અતિથિ સત્કાર કર્યો. નાથજી ભક્ત, રામચંદ્ર વૈદ્ય, નારુપંતનાના, શોભારામ શાસ્ત્રી, હરિશ્ચંદ્ર, સદાશિવભાઇ, લક્ષ્મીરામભાઇ, રઘુનાથ, ચિમનરાવ, રણછોડ, પ્રેમાનંદ, પ્રભુદાસ અને દયારામ વગેરે ભક્તજનો શ્રીહરિની સેવા કરવા લાગ્યા.૭ 

બીજા દિવસે નાથજી આદિ સર્વે પુરવાસી ભક્તજનોએ અનેક પ્રકારના સુગંધીમાન ચંદન, પુષ્પાદિક ઉપચારોથી અને ધન અર્પણ કરી ભગવાન શ્રીહરિની પૂજા કરી.૮

ત્રીજા દિવસે રાજાએ પણ ભોજન કરીને પરવારેલા ભગવાન શ્રીહરિને પૂર્વની માફક જ નવગજા હાથી ઉપર બેસાડીને ફરી પોતાના મહેલમાં પધરામણી કરાવવા માટે લઇ આવ્યા.૯ 

ભગવાન શ્રીહરિને મોટા સિંહાસન ઉપર બેસાડીને સ્વયં શ્રીહરિની આગળ જ બેઠા અને મુક્તાનંદ સ્વામી આદિક સંતોને પણ ત્યાં યથા યોગ્ય બેસાડયા.૧૦ 

વિનયથી નમ્ર થઇ બે હાથ જોડી બેઠેલા રાજાને સર્વ દુઃખનું હરણ કરનારા શ્રીહરિ કહેવા લાગ્યા.૧૧ 

श्रीनारायणमुनिरुवाच -

शृणु राजन्मनो दत्त्वा हितं तव वदाम्यहम् । धारणीयं स्वहृदये वचनं मम सर्वथा ।। १२

नृदेहो दुर्लभो नूनं देवानामपि भूपते ! । तत्प्राप्तेस्तु फलं ज्ञोयमपुनर्भवसाधनम् ।। १३

सांसारिकं सुखं यत्तत्सर्वयोनिषु वर्तते । यदर्थे यतते लोको दुर्लभं तन्न देहिनाम् ।। १४

सुखं च दुःखसम्मिश्रं निर्दुःखं तन्न दृश्यते । यस्य यावत्सुखं तस्य तावद्दुःखं हि देहिनः ।। १५

राजानं सुखिनं सर्वे जानन्ति नृपते ! जनाः । अति दुःखिनमेवात्राहं तु जानामि सर्वथा ।। १६

चौरशत्रुखदायादप्रतिक्षणविशङ्किनः । भूरिलोभाभिभूतस्य सुखं तस्य कुतो भवेत् ।। १७

સયાજીરાવ રાજાને શ્રીહરિનો સદુપદેશ :- ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે રાજન્ ! મન દઇ મારૂં વચન સાંભળો. હું તમારા હિતના વચનો કહું છું. તેને સર્વ પ્રકારે તમારા અંતરમાં ધારણ કરજો.૧૨ 

હે ભૂપતિ ! મનુષ્યદેહ દેવતાઓને પણ દુર્લભ છે. મનુષ્યના દેહની પ્રાપ્તિનું ફળ ફરીને જન્મ ન લેવો પડે તેવા પોતાના મોક્ષરૂપ પુરુષાર્થને સિદ્ધ કરી લેવા માટે જ છે, એમ જાણવું.૧૩ 

અને જે સંસારસંબંધી સુખ છે તે સર્વે યોનિમાં રહેલું છે. તે સ્ત્રી આદિક સાંસારિક સુખની પ્રાપ્તિને માટે લોકો બહુ મોટો પ્રયત્ન કરે છે. પરંતુ દેહધારીઓને એ સાંસારિક સુખ એવું દુર્લભ નથી. કોઇ પ્રયત્ન વિના સર્વે યોનિમાં તે પ્રાપ્ત થાય છે.૧૪ 

તે સાંસારિક સુખ સ્વભાવસિદ્ધ દુઃખમિશ્રિત દેખાય છે. દુઃખ વગરનું એ સુખ ક્યાંય દેખાતું નથી. કારણ કે જેને જેટલું સાંસારિક સુખ, સામે તેટલું જ તેને દુઃખ હોય છે, તે દેખાય છે.૧૫ 

અધિક વૈભવોના કારણે લોકો રાજાને સુખી જાણે છે. પરંતુ હું તો સર્વથા રાજાને જ અતિશય દુઃખી જાણું છું.૧૬ 

ચોર, શત્રુઓ, પોતાના પુત્ર, ભાઇ, ભાઇના પુત્રો, તેમજ પોતાના ધનમાંથી ભાગ માંગનારા સર્વે થકી પ્રતિક્ષણે શંકાશીલ જીવન જીવતા, તેમજ લોભથી અતિશય પરાભવ પામેલા રાજાને સુખ ક્યાંથી હોય ?.૧૭ 

निर्दुःखं तु सुखं राजन्भगवत्येव वर्तते । सच्चिदानन्दरूपोऽसौ स्वतन्त्रोऽस्ति यतः सदा ।। १८

तदुपासनया भक्ताः सुखिनस्तस्य सन्ति च । न तत्सुखस्यास्ति लेशस्त्रैलोक्याधिपतेरपि ।। १९

ज्वलत्सु भुवि लोकेषु कामलोभादिवह्निना । तप्यन्ते वैष्णवा नैव गङ्गाम्बुस्था गजा इव ।। २०

बुद्धिमानसि भूपाल ! त्वमतः स्वहिताय हि । कुरु कृष्णाश्रयं तेन भुक्तिं मुक्तिं च लप्स्यसे ।। २१

स्थित्वैव निजधर्मेषु यावद्देहस्मृतिर्नृप ! । भजनीयः सदा कृष्णः प्रीत्यैवेत्यस्ति मे मतम् ।। २२

હે રાજન્ ! દુઃખરહિતનું સુખ તો એક ભગવાનને વિષે જ રહેલું છે, કારણ કે તે સચ્ચિદાનંદ સ્વરૂપ અને સર્વદા સ્વતંત્ર છે.૧૮ 

આવા અલૌકિક મહિમાવાળા ભગવાનની આરાધના કરવાથી તેમના એકાંતિક ભક્તજનો સુખી થાય છે. તેના સિવાયના ત્રિલોકીના અધિપતિઓમાં પણ તેવા સુખનો લેશ ભાગ પણ જોવામાં આવતો નથી. અરે દેવતાઓના ઇન્દ્રની જો આ વાત છે, તો પછી મનુષ્યોની શું વાર્તા કરવી ?૧૯ 

પૃથ્વી પર કામ અને ક્રોધના અગ્નિમાં મનુષ્યો જ્યારે બળી રહ્યા છે, ત્યારે ગંગાના જળમાં બેઠેલા ગજરાજની જેમ ભગવાનના એકાંતિક ભક્તો તેમનાથી જરાય સંતાપ પામતા નથી.૨૦ 

હે ભૂપાલ ! તમે તો બુદ્ધિશાળી રાજા છો. એથી પોતાના હિતને માટે શ્રીકૃષ્ણ ભગવાનનો આશ્રય કરો. તેમ કરવાથી તમે ભુક્તિ અને મુક્તિને પામશો.૨૧ 

હે રાજન્ ! જ્યાં સુધી પોતાને દેહની સ્મૃતિ હોય ત્યાં સુધી પોતપોતાના ધર્મમાં રહીને સૌએ પ્રેમથી સદાય ભગવાન શ્રીકૃષ્ણનું ભજન કરવું જોઇએ, એવો મારો મત છે.૨૨ 

सुव्रत उवाच -

इत्युक्तो हरिणा राजा तं प्रणम्य जगाद सः । भगवंस्त्वामहं जाने कृष्णमेव न संशयः ।। २३

त्वामहं शरणं यातस्त्वदीयोऽस्मि कृपां मयि । कुर्यास्त्वं सर्वदा स्वामिन्कञ्चित्कालं वसात्र च ।। २४

श्रीहरिरुवाच -

पुराणश्रवणे चित्तं साम्प्रतं लुब्धमस्ति मे । स्थातुमत्र न शक्नोमि दिनमेकमपि ध्रुवम् ।। २५

भावं मयि विशुद्धं ते ज्ञात्वात्राहमुपागतः । नो चेन्न साम्प्रतं यायां सम्राङ्गेहं हि निःस्पृहः ।। २६

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે ભગવાન શ્રીહરિએ જ્યારે રાજાને ઉપદેશ કર્યો ત્યારે તેમનાં વચન સાંભળી રાજાએ શ્રીહરિને પ્રણામ કર્યા ને કહેવા લાગ્યા કે હે ભગવાન્ ! હું તમને જ સાક્ષાત્ શ્રીકૃષ્ણ જાણું છું, તેમાં કોઇ સંશય નથી.૨૩ 

હે સ્વામિન્ ! હું તમારે શરણે આવ્યો છું, ને તમારો દાસ છું. એથી તમે મારા ઉપર સદાય કૃપા વરસાવજો, તથા કેટલોક કાળ મારા પુરમાં નિવાસ કરીને રહો એવી મારી ઇચ્છા છે.૨૪ 

ત્યારે ભગવાન શ્રીહરિ કહેવા લાગ્યા કે, હે રાજન્ ! તમારા શુદ્ધ ભાવને ખૂબજ અભિનંદન, પરંતુ અત્યારે મારા મનમાં પુરાણગ્રંથો સાંભળવાની ખૂબજ ઇચ્છા વર્તે છે. તેથી અહીં એક દિવસ પણ રહી શકું તેમ નથી.૨૫ 

બાકી મારે વિષે જે તમારો વિશુદ્ધ ભાવ છે તેને જાણીને હું અહિં આવ્યો છું. જો આવો નિર્મળ ભાવ ન હોય તો સર્વ જગ્યાએથી નિઃસ્પૃહી હું મોટા મોટા ચક્રવર્તી રાજાઓના ભવનમાં પણ ન પધારૂં. જગપ્રસિદ્ધિમાં મને કોઇ રુચી નથી, મુમુક્ષુનું કલ્યાણ કરવામાં જ માત્ર રસ છે.૨૬ 

इत्युक्त्वा भगवद्बक्ते रीतिं तस्मा उपादिशत् । तदुक्तिं सकलां सोऽपि हृदयेऽधारयन्नृपः ।। २७

ततस्तस्याकरोत्पूजां महतीं परया मुदा । अनर्घ्यैर्नूतनैर्वस्त्रैः सरत्नैर्हेमभूषणैः ।। २८

चन्द्रनाक्षतपुष्पादैरुपहारैर्यथाविधि । पूजयित्वा तमीशानं प्रणनाम स दण्डवत् ।। २९

ततस्तदीयान् पुत्रादीन् मुनींश्चापि यथोचितम् । वासोधनसुगन्धाद्यैरानर्च बहुभावतः ।। ३०

धर्मे स्थातुं तमाज्ञाप्य सद्य उत्तस्थिवान् हरिः । गन्तुकामं तमाज्ञाय राजा सैन्यमसज्जयत् ।। ३१

ततो व्रजन्तं हरिमन्वगच्छत् पद्बयां नृपस्तं स निवर्तयित्वा । गजेन्द्रमध्यारुहदाप्तहर्षैः पौरैर्जनैर्भूभिप ! नम्यमानः ।। ३२

ये वैरिणस्तस्य पुरेऽभवंस्ते दृा प्रतापातिशयं तदीयम् । कर्तुं न शेकुः किमपि प्रभुं तं तथैव तस्थुर्ज्वलदन्तरङ्गाः ।। ३३

यथा प्रविष्टः स पुरं तथैव राजश्रिया तन्निरगाद्वहिश्च । निवर्तयामास ततोऽनुयातः पौरांश्च भक्तान्नृपतेश्च सैन्यम् ।। ३४

आरुह्य वाहं जविनं स्वकीयं निजानुयातैरखिलैः स भक्तैः । सहाययौ भूरियशोवदातो वृत्तालयं पोषितधर्मवर्त्मा ।। ३५

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે કહીને ભગવાન શ્રીહરિએ સયાજીરાવ રાજાને ભગવાનના ભક્તની રીત કેવી હોય ? તેનો ઉપદેશ આપ્યો, સયાજીરાવ રાજાએ પણ શ્રીહરિના સમગ્ર વચનો હિતકારી માની અંતરમાં ધારણ કર્યાં.૨૭ 

પછી સયાજીરાવ રાજાએ મહામૂલાં નવીન વસ્ત્રો, રત્નજડેલાં સુવર્ણના આભૂષણો અર્પણ કરી બહુ હર્ષપૂર્વક શ્રીહરિની મોટી પૂજા કરી.૨૮ 

રાજાએ પૂજામાં ચંદન, પુષ્પ અને ચોખા આદિ ઉપચારોથી પરમેશ્વર શ્રીહરિનું વિધિપૂર્વક અર્ચન કરી દંડવત્ પ્રણામ કર્યા.૨૯ 

ને પછી વસ્ત્ર, ધન અને ચંદન વિગેરે ઉપચારોથી શ્રીહરિના બન્ને પુત્રો અયોધ્યાપ્રસાદજી અને રઘુવીરજી તેમજ મુક્તાનંદ સ્વામી આદિ સંતોની પણ યથાયોગ્ય અતિશય ભાવપૂર્વક પૂજા કરી.૩૦ 

હે રાજન્ ! ભગવાન શ્રીહરિએ સયાજીરાવ રાજાને ધર્મમાં રહેવાની આજ્ઞા આપી તત્કાળ ઊભા થયા. શ્રીહરિને જવાની ઇચ્છા છે એમ જાણી રાજાએ પોતાની ચતુરંગીણી સેના સજ્જ કરાવી.૩૧ 

હે રાજન્ ! ત્યારપછી પોતાના મહેલમાંથી વિદાય લઇ રહેલા ભગવાન શ્રીહરિની પાછળ પાછળ રાજા પગે ચાલવા લાગ્યા. શ્રીહરિએ તેમને સમજાવીને પાછા વાળ્યા ને નરવાસીઓને ખૂબ આનંદ આપવા લાગ્યા. તેઓ પણ અતિશય આદરપૂર્વક શ્રીહરિને વારંવાર પ્રણામ કરવા લાગ્યા. શ્રીહરિ ગજેન્દ્ર ઉપર આરુઢ થયા.૩૨ 

વડોદરા નગરમાં શ્રીહરિના જે વેરી હતા તેઓએ તેમનો અતિશય પ્રતાપ નિહાળીને શ્રીહરિને કાંઇ પણ કરી શક્યા નહિ. હૃદયમાં બળતા બળતા મનની મનમાં રહી ગઇ હોવાથી મૌન બેસી રહ્યા.૩૩ 

ભગવાન શ્રીહરિ તો રાજલક્ષ્મીના ઠાઠમાઠથી જેવા પુરમાં પ્રવેશ્યા હતા તેવી જ શોભાને ધારણ કરી ફરી પુરથી બહાર નીકળ્યા. પછી પોતાની પાછળ વળાવવા આવી રહેલા નગરવાસી જનોને તથા રાજાના સૈન્યને પાછા વાળ્યા.૩૪ 

હે રાજન્ ! આવા અતિશય ઉજ્જવળ યશવાળા શ્રીહરિ એકાંતિક ધર્મનું પોષણ કરી પોતાના વેગવાન ઘોડા ઉપર અસ્વાર થયા ને અનુયાયી સંતો-ભક્તોની સાથે ફરી વડતાલપુર પધાર્યા.૩૫ 

इति श्रीसत्सङ्गिजीवने नारायणचरित्रे धर्मशास्त्रे चतुर्थप्रकरणे सिंहजिन्नृपकृतश्रीहरिसन्माननिरूपणनामा द्विचत्वारिंशोऽध्यायः ।। ४२ ।।

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં વડોદરામાં સયાજીરાવ મહારાજાએ શ્રીહરિનું રાજવૈભવથી સન્માન કર્યું, ને મહેલમાં પધરાવ્યા અને શ્રીહરિએ તેમને સદુપદેશ કર્યો એે નામે બેતાલીસમો અધ્યાય પૂર્ણ થયો. --૪૨--