અધ્યાય - ૨૮ - ભગવાન શ્રીહરિએ નારાયણજી સુથાર પાસે પૂજાની પ્રતિમાઓનું નિર્માણ કરાવ્યું.

ભગવાન શ્રીહરિએ નારાયણજી સુથાર પાસે પૂજાની પ્રતિમાઓનું નિર્માણ કરાવ્યું. શ્રીહરિએ કહેલું તીર્થયાત્રાનું માહાત્મ્ય. અયોધ્યાવાસીઓને દ્વારિકાની યાત્રા કરવાની શ્રીહરિની પ્રેરણા. ભોમીયા તરીકે જવા સચ્ચિદાનંદ સ્વામીને પ્રેરણા.

सुव्रत उवाच -

अथ तत्र वसन् पुर्यां नारायणमुनिर्नृप ! । सर्वत्र कृष्णसेवायाः प्रवृत्तिं कर्तुमैहत ।। १ ।।

लेख्यार्चाश्चेत्तदा तु स्यात्कृष्णस्य प्रतिमानवम् । ईक्षार्चादिप्रवृत्तिर्वै कारयेय ततोऽत्र ताः ।। २

इत्थं विचार्य भक्तं स्वं नारायणजिदाह्वयम् । जीर्णदुर्गात्समानाय्य त्वष्टारं तमुवाच सः ।। ३

मूर्तिचित्रेऽतिदक्षोऽसि मयात्राऽकारितोऽस्यतः । कृष्णस्य प्रतिमामुद्रां कुरु त्वं मम चानघ ! ।। ४

इत्युक्तः स तथेत्याह निपुणो मूर्तिकर्मणि । चकार मुद्राद्वितयं दर्शनीयं मनोहरम् ।। ५

एका मुद्रा कृता तेन वृन्दावनविहारिणः । कृष्णस्य राधया जुष्टा तेन चोपाश्रितोत्तमा ।। ६

नारायणमुनेस्तस्य भक्तिधर्मान्विताऽपरा । मुद्रां तेन कृता ते द्वे दृा तुष्टोऽभवद्धरिः ।। ७

नरनारायणस्याथ मुद्रां हरिरचीकरत् । मासद्वयेन तेनैतत्कृतं मुद्रात्रयं नृप ! ।। ८

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! દુર્ગપુરમાં નિવાસ કરી રહેલા ભગવાન શ્રીનારાયણમુનિએ દરેક વ્યક્તિએ સર્વત્ર શ્રીકૃષ્ણ ભગવાનની પૂજા-પ્રવૃત્તિ થાય તેવી મનમાં ઇચ્છા કરી.૧ 

જો શ્રીકૃષ્ણ ભગવાનની ચિત્રપ્રતિમા હોય તો જ દરેક ભક્તો તેની દર્શન પૂજનાદિકની પ્રવૃત્તિ કરી શકે. તેથી પ્રથમ હું ચિત્રપ્રતિમાઓ તૈયાર કરાવું.૨ 

હે રાજન્ ! આ પ્રમાણે મનમાં વિચારીને ભક્ત નારણજી સુથારને જુનાગઢથી દૂત મોકલીને બોલાવ્યા ને તેમને કહ્યું કે, હે નિષ્પાપ ભક્ત ! તમે ભગવાનની ચિત્રપ્રતિમાઓ આલેખવામાં બહુ જ ચતુર છો. અને તેથી જ તમને અહીં ગઢપુર બોલાવેલા છે. તમે રાધિકાએ સહિત શ્રીકૃષ્ણ ભગવાનની અને મારી પ્રતિમાની છાપ તૈયાર કરો.૩-૪ 

આ પ્રમાણે શ્રીહરિએ કહ્યું તેથી ચિત્ર તૈયાર કરવામાં નિપુણ તે નારાયણજી સુથારે ભલે ! એ પ્રમાણે કહીને અતિશયે દર્શનીય અને મનોહર એવી બે છાપમુદ્રાઓ તૈયાર કરાવી. તે બે મુદ્રાઓમાં એક ભગવાન શ્રીનારાયણમુનિની સાથે રાસેશ્વરી રાધાએ સેવાયેલા વૃંદાવનવિહારી શ્રીકૃષ્ણ ભગવાનની ઉત્તમ પ્રતિમા તૈયાર કરી અને બીજી ધર્મભક્તિએ સહિત શ્રીનારાયણમુનિની છાપ કરી. પછી બન્ને પ્રતિમાની મુદ્રાઓ શ્રીહરિને દેખાડી, તેને જોઇ ભગવાન શ્રીહરિ અતિશય પ્રસન્ન થયા.૬-૭ 

ત્યારપછી શ્રીહરિએ શ્રીનરનારાયણ ભગવાનની છાપમુદ્રા તૈયાર કરાવી. આ પ્રમાણે નારાયણજી સુથારે આ ત્રણે પ્રતિમાઓની મુદ્રાઓ બે મહિનામાં તૈયાર કરી આપી.૮ 

तस्मै ददौ ततः स्वामी विपुलं द्रविणं तथा । वासांसि बहुमूल्यानि हैमे च वलये नृप ! ।। ९

धारानन्दमुनिना ततस्ताभिरचित्रयत् । मुद्राभिः काकुदेष्वेव प्रतिमाः स सहस्रशः ।। १०

रामप्रतापेच्छारामौ हरेरथ सहोदरौ । यावज्जीवं स्थातुकामावास्तां तस्यैव सन्निधौ ।। ११

नन्दरामं च गोपालं ज्येष्ठावेतौ सुतौ ततः । हर्याज्ञाया पुरं गन्तुं स्वीयमादिशतः स्म तौ ।। १२

तदा तावूचतुः स्वीयौ पितरौ प्रति भूपते ! । गमिष्यामो वयं कृत्वा वसन्तोत्सवदर्शनम् ।। १३

प्राप्ताथ माघमासस्य धवला पञ्चमी तदा । हरिश्चकार कृष्णस्य वसन्तोत्सवदर्सनम् ।। १४

तत्र देशान्तरेभ्योऽस्य शिष्या वासन्तिकोत्सवे । त्यागिनो गृहिणश्चापि समाजग्मुश्च योषितः ।। १५

उपचारैर्बहुविधैः कैसरेरंशुकैर्हरिः । श्रीराधासहितं कृष्णं समानर्च यथाविधि ।। १६

महानिवेदनं कृत्वा महानीराजनं ततः । नानारङ्गैर्गुलालैश्च चिक्रीड स्वाश्रितैः सह ।। १७

तर्पयित्वा ततः सर्वान्मुनीन्विप्रांश्च भूरिशः । प्रचुराज्यसितैर्भोज्यैर्बुभुजेऽथ स्वयं हरिः ।। १८

હે રાજન્ ! તેથી ભગવાન શ્રીહરિ તે નારાયણજી સુથારને પુષ્કળ ધન તથા બહુ મૂલ્યવાળાં અનેક વસ્ત્રો તેમજ સુવર્ણનાં કડાં પણ અર્પણ કર્યાં.૯ 

પછી શ્રીહરિએ આધારાનંદ સ્વામી પાસે તે ત્રણે પ્રતિમાઓની છાપો દ્વારા અનેક પત્રોના ખંડોમાં હજારો પ્રતિમાઓ તૈયાર કરાવીને દરેક ભક્તને પૂજવા માટે આપી.૧૦ 

પછી શ્રીહરિના બન્ને ભાઇ રામપ્રતાપજી તથા ઇચ્છારામજીએ આજીવન ભગવાન શ્રીહરિની સમીપે જ રહેવાની ઇચ્છા કરી અને શ્રીહરિની અનુમતિ મેળવીને બન્ને ભાઇઓએ પોતાના બન્નેના મોટા પુત્રો નંદરામજી તથા ગોપાળજીને પોતાની અયોધ્યાનગરી પ્રત્યે પાછા જવાની આજ્ઞા કરી.૧૧-૧૨ 

હે રાજન્ ! તે સમયે તે બન્ને જણ પોતાના પિતાઓ પ્રત્યે કહેવા લાગ્યા કે, અમે વસંતોત્સવનાં દર્શન કરીને પછી અયોધ્યા પાછા ફરીશું.૧૩ 

ત્યારપછી ૧૮૮૧ ના મહાસુદ પાંચમને દિવસે શ્રીહરિએ વસંતઋતુના પ્રારંભમાં કરવા યોગ્ય શ્રીકૃષ્ણ ભગવાનની પૂજા વિધિપૂર્વક કરી.૧૪ 

તે વસંતોત્સવની પૂજામાં ત્યાગી સંતો તથા ગૃહસ્થ સર્વે નરનારીઓ દેશદેશાંતરથી આવ્યા અને શ્રીહરિએ અનેક પ્રકારને ચંદન, પુષ્પ, ચોખા, આંબાના ફૂલ, અબીલ, ગુલાલ તથા કેસરી રંગના સુંદર વસ્ત્રોથી શ્રીરાધિકાએ સહિત શ્રીકૃષ્ણ ભગવાનનું વિધિપૂર્વક પૂજન કર્યું.૧૫-૧૬ 

પછી મહાનૈવેદ્ય અર્પણ કરી આરતી ઉતારીને પોતાના ભક્તજનો સાથે અનેક પ્રકારના રંગ તથા ગુલાલ ઉડાવી રંગક્રીડા કરી.૧૭ 

સર્વે સંતો, વિપ્રો અને પાર્ષદોને પણ ખૂબજ ઘી-સાકરે યુક્ત અનેક પ્રકારનાં ભોજનો જમાડી તૃપ્ત કર્યા. અને સ્વયં શ્રીહરિએ પણ પોતાના ભાઇને ઘેર ભોજન ગ્રહણ કર્યું.૧૮

अथापरो तत्राभूत्सभा विततमण्डपे । उपाविशन्मुनीन्द्रोऽसौ तत्र स्वामी महासने ।। १९

निषेदुस्तस्य पुरतस्त्यागिनो निर्मलान्तराः । वैदिकाः शास्त्रिणो विप्राः पुराणज्ञाश्च भूरिशः ।। २०

बृहद्व्राता वर्णिनश्च गृहिणश्च सहस्रशः । यथोचितं निषेदुस्ते वीक्षमाणास्तदाननम् ।। २१

अयोध्यावासिनस्तस्य भ्रातृभ्रातृसुतादयः । सम्बन्धिनो निषेदुश्च तदासनसमीपतः ।। २२

तारागणैः परिवृतश्चन्द्रमा इव स स्वकैः । बभौ शिष्यैरभिवृतस्तत्र सत्सदसीश्वरः ।। २३

બપોર પછીના સમયે શ્રીવાસુદેવનારાયણના મંદિરની સમીપે વસંતોત્સવ રમવા તૈયાર કરેલા વિશાળ મંડપમાં સભાની રચના કરી, તે સભાની મધ્યે મહા સિંહાસન ઉપર મુનિપતિ શ્રીસ્વામિનારાયણ ભગવાન વિરાજમાન થયા.૧૯ 

નિર્મળ અંતઃકરણવાળા ત્યાગી સંતો પણ તેમની આગળ બેઠા અને વૈદિકો, શાસ્ત્રીઓ, પુરાણીઓ આદિ અનેક ભૂદેવો પણ તે સભામાં બેઠા.૨૦ 

નૈષ્ઠિક વ્રતનું ગ્રહણ કરનારા બ્રહ્મચારીઓ તેમજ હજારો ગૃહસ્થભક્તજનો પણ તે સભામાં બેઠા. તે સર્વે સભાસદો ભગવાન શ્રીહરિના મુખકમળ ઉપર જ પોતાની દૃષ્ટિ સ્થિર રાખી યથાયોગ્ય સ્થાને બેઠા હતા.૨૧ 

શ્રીહરિના અયોધ્યાવાસી ભાઇઓ અને તેમના પુત્રો વગેરે, તથા સંબંધીજનો શ્રીહરિના સિંહાસનની સમીપે બેઠા.૨૨ આ રીતે તે સભાને મધ્યે તારામંડળની મધ્યે શોભતા ચંદ્રમાની જેમ સંતોની મધ્યે શ્રીહરિ શોભતા હતા.૨૩ 

अथावलोकयन् दृष्टया स कारुण्यसुधार्द्रया । भक्तानानन्दयन्नूचे सर्वशास्त्ररहस्यवित् ।। २४

श्री नारायणमुनिरुवाच - 

औद्धवे सम्प्रदाये ये वैष्णवाः पुरुषा भुवि । भवेयुस्तैस्तु भो भक्ताः ! कर्यं तीर्थनिषेवणम् ।। २५

प्रायशो भगवद्बक्तास्तीर्थेष्वेव मिलन्ति हि । रामकृष्णादिमूर्तीनां दर्शनं चैषु जायते ।। २६

मार्कण्डेयेन धौम्येन लोमशप्रमुखैस्तथा । सेव्यन्ते ब्रह्मऋषिभिस्तीर्थानि परमादरात् ।। २७

राजर्षिभिर्ध्रूर्मनिष्ठैर्युधिष्ठिरमुखैरपि । सेवितान्यत्र भूयांसि तीर्थानि प्रीतये हरेः ।। २८

अतोऽत्र भगवद्बक्तोर्मच्छिष्यैः पुरुषैः सदा । भक्तया तीर्थानि सेव्यानि गङ्गादीनि स्वशक्तितः ।। २९

स्नानं दानं हरेः पूजां विप्रवैष्णवतर्पणम् । तीर्थेषु शक्तया कुर्युर्ये मुच्येरंस्तेऽखिलैनसः ।। ३०

तीर्थानामपि सर्वेषां देशेऽस्मिंस्तीर्थमुत्तमम् । श्री द्वारिकापुरीसंज्ञां वर्तते वाञ्छितार्थदम् ।। ३१

अत्र श्री रुक्मिणीकान्तो नित्यमेव हि वर्तते । त्वष्ट्रा विरचिते रम्ये कनकोत्तममन्दिरे ।। ३२

हृत्वा यदुकुलं यर्हि प्रभासेऽन्तर्दधेऽच्युतः । तदा कृष्णालयं त्यक्त्वा समुद्रोऽप्लावयत्पुरीम् ।। ३३

संहृत्य स्वकुलं तत्र जनादृश्यः स ईश्वरः । तन्निजं मन्दिरं सद्यः प्राप्त आस्ते हिताय नः ।। ३४

अतो मुक्तिपुरीमेतां पुरीं द्वारावतीं विदुः । नैतादृशं परं तीर्थे श्रेयस्कृद्धि कलौ युगे ।। ३५

तद्यात्रातः प्रकर्तव्या गृहिभिस्त्यागिभिस्तथा । तत्रत्यश्च विधिः कार्यः स्वाधिकारानुसारतः ।। ३६

गृहस्थानां विशेषेण पुण्यक्षेत्रेषु सद्व्यः । कर्तव्यो विहितो भक्ताः ! सतां शुश्रूषणं तथा ।। ३७

શ્રીહરિએ કહેલું તીર્થયાત્રાનું માહાત્મ્ય :- હે રાજન્ ! તે સમયે સર્વે શાસ્ત્રોના રહસ્યને જાણતા શ્રીહરિ કરૂણામૃત દૃષ્ટિથી સભાસદોને જોતા આનંદ ઉપજાવતા કહેવા લાગ્યા કે, હે ભક્તજનો ! આપણા આ ઉદ્ધવ સંપ્રદાયને વિષે રહેલા સર્વે વૈષ્ણવ ભક્તજનોએ આ પૃથ્વી પર તીર્થયાત્રા અવશ્ય કરવી.૨૪-૨૫ 

કારણ કે, ભગવાનના એકાંતિક ભક્ત સંતપુરુષોનું મિલન ઘણે ભાગે તીર્થયાત્રામાં જ થાય છે. તેમજ તે તીર્થોમાં શ્રીરામકૃષ્ણાદિક ભગવાનના અર્ચા સ્વરૂપોનાં પણ દર્શન થાય છે.૨૬ 

તે તીર્થોનું સેવન માર્કંડેય, ધૌમ્ય તથા લોમસ આદિ અનેક બ્રહ્મર્ષિઓ પરમ આદરથી કરે છે.૨૭ 

તેમજ ધર્મનિષ્ઠ યુધિષ્ઠિર આદિક રાજર્ષિઓએ પણ ભગવાનને પ્રસન્ન કરવા આ ભૂમિ પર ઘણા તીર્થોનું સેવન કરેલું છે.૨૮ 

તેથી હે ભક્તજનો ! મારા શિષ્યો એવા તમારે પણ આ પૃથ્વી પર રહેલાં ગંગા આદિક તીર્થોનું ભક્તિભાવપૂર્વક સદાય પોતાની શક્તિને અનુસાર સેવન કરવું.૨૯ 

જે મનુષ્યો તીર્થમાં સ્નાન, દાન અને ભગવાનની પૂજા તથા વૈષ્ણવ વિપ્રો અને સત્પુરુષોને અનેક પ્રકારનાં ભોજન જમાડી તૃપ્ત કરે છે, તે મનુષ્યો સર્વપ્રકારના પાપ થકી તત્કાળ મુક્ત થાય છે.૩૦ 

આ દેશમાં અન્ય સર્વે તીર્થોની મધ્યે ઉત્તમ અને ઇચ્છિત ફળને આપનારૂં દ્વારિકા નામનું તીર્થ આવેલું છે.૩૧ 

આ તીર્થમાં સ્વયં વિશ્વકર્માએ રચેલા અતિશય સુંદર સુવર્ણમય મંદિરમાં શ્રીરૂક્મિણીના પતિ શ્રીકૃષ્ણ ભગવાન નિત્ય બિરાજે છે.૩૨ 

અચ્યુત ભગવાન જ્યારે એકસો ને એક યાદવોના કુળનો સંહાર કરાવી પ્રભાસતીર્થમાં અંતર્ધાન થઇ ગયા ત્યારે સમુદ્રે વિશ્વકર્માએ રચેલા તે શ્રીકૃષ્ણ ભગવાનના મંદિર સિવાય આખી દ્વારિકાપુરીને ડૂબાડી દીધી છે.૩૩ 

સકલ ઐશ્વર્ય સંપન્ન શ્રીકૃષ્ણ ભગવાન પ્રભાસતીર્થમાં પોતાના યદુકુળનો સંહાર કરાવી લોકો જોઇ ન શકે તે રીતે અદૃશ્યપણે આપણા સૌ જનોના હિતને માટે તત્કાળ સમુદ્રે નહીં ડુબાડેલા પોતાના એ મંદિરમાં આવી સદાય રહેવા લાગ્યા.૩૪ 

માટે આ દ્વારિકાપુરીને મુક્તિપુરી પણ કહેલી છે. એમ તમે જાણો. કલિયુગમાં આના જેવું કલ્યાણકારી બીજું કોઇ તીર્થ નથી.૩૫ 

માટે હે ભક્તજનો ! ગૃહસ્થ તથા ત્યાગીએ પણ આ દ્વારિકાની યાત્રા અવશ્ય કરવી. તેમજ પોતાના અધિકાર પ્રમાણે તે તીર્થનો સમગ્ર વિધિ પણ કરવો.૩૬ 

કારણ કે, હે ભક્તજનો ! આવા પુણ્યક્ષેત્રોમાં ગૃહસ્થજનોએ ન્યાયનીતિથી કમાયેલા ધનનો વિશેષપણે વ્યય કરવાનું કહેલું છે. તેમજ ત્યાગી સંતોને પણ આવાં તીર્થનું વિશેષપણે સેવન કરવાનું કહેલું છે.૩૭ 

इत्युक्त्वा सकलान्भक्तान्सद्गुरुः स ततो निजान् । सम्बन्धिनश्चालुलोके कोसलान् गन्तुमुद्यतान् ।। ३८

ज्येष्ठौ द्वौ भ्रातृपुत्रौ च मातुलेयमुवाच सः । कृत्वैव द्वारिकायात्रां यूयं यात स्वकं पुरम् ।। ३९

अवश्यमेव कर्तव्या यात्रैषा तूद्धवाश्रितैः । कर्तव्यं दर्शनं तत्र श्रीमतो द्वारिकापतेः ।। ४०

स्रातव्यं गोमतीतोये दानं देयं स्वशक्तितः । कृष्णायुधैः कारणीयं निजबाहुद्वयाङ्कनम् ।। ४१

तत्रत्या ब्राह्मणाः सन्तो भोजनीयाश्च शक्तितः । आज्ञावाक्यामिति श्रुत्वा हरेस्तेऽथ तमब्रुवन् ।। ४२

गमिष्यामो वयं सत्यं स्वामिन् ! द्वारावतीं पुरीम् । तैर्थिकं च विधिं तत्र करिष्यामः स्वशक्तितः ।। ४३

किन्तु विद्मो वयं नैव दूरदेशागता हरे ! । तद्वर्त्म च निवासार्हान् पथि ग्रामान् पुराणि वा ।। ४४

यदि तद्विद्बवेत्तर्हि साकं तेन तवाज्ञाया । यात्रां वयं कुशस्थल्याः कर्तुमद्य व्रजेम वै ।। ४५

इति तद्वाक्यमाकर्ण्य स स्वामी सर्ववित्तदा । सदःस्थितेषु भक्तेषु तादृशं मुनिमौहत ।। ४६

અયોધ્યાવાસીઓને દ્વારિકાની યાત્રા કરવાની શ્રીહરિની પ્રેરણા :- આ પ્રમાણે સર્વે ભક્તજનોને તીર્થનો મહિમા કહીને સદ્ગુરુના સ્વરૂપમાં વિરાજતા ભગવાન શ્રીહરિએ કોશલદેશ જવા તત્પર થયેલા પોતાના સંબંધીની સામે જોવા લાગ્યા.૩૮ 

મોટાભાઇના પુત્ર નંદરામજી તથા નાનાભાઇના પુત્ર ગોપાળજીને તેમજ મામાના પુત્ર મનછારામને શ્રીહરિ કહેવા લાગ્યા કે, તમો ત્રણે જણ દ્વારિકાની યાત્રા કરીને પછી પોતાના નગર અયોધ્યો જાઓ.૩૯ 

ઉદ્ધવ સંપ્રદાયના દરેક આશ્રિતોએ દ્વારિકાની યાત્રા અવશ્ય કરવી જોઇએ. ત્યાં રૂક્મિણીએ સહિત દ્વારિકાનાથનાં દર્શન કરવાં, ગોમતીમાં સ્નાન કરવું. પોતાની શક્તિ પ્રમાણે દાન અને શ્રીકૃષ્ણ ભગવાનના આયુધ સુદર્શનાદિકની તપ્તમુદ્રાઓનો બન્ને બાહુમાં સ્વીકાર અવશ્ય કરવો જોઇએ.૪૦-૪૧ 

તે તીર્થમાં રહેલા વિપ્રો તથા સંતોને શક્તિ પ્રમાણે જમાડવા. હે રાજન ! આ પ્રમાણેનું ભગવાન શ્રીહરિનું વચન સાંભળી નંદરામ, ગોપાળજી અને મનછારામ તેમને કહેવા લાગ્યા કે, હે સ્વામિન્ ! અમે દ્વારિકાપુર નક્કી જશું, અને ત્યાંનો તીર્થવિધિ પણ અમારી શક્તિ પ્રમાણે આચરશું.૪૨-૪૩ 

હે શ્રીહરિ ! પરંતુ અમે દૂર દેશમાંથી આવીએ છીએ એથી દ્વારિકા જવાના માર્ગથી અજાણ્યા છીએ, તેમજ માર્ગમાં નિવાસ કરવા યોગ્ય ગામ કે નગરથી પણ અજાણ્યા છીએ.૪૪ 

તો જો કોઇ માર્ગનો ભોમીયો અમારી સાથે હોય તો તેમની સાથે અમે આજે જ તમારી આજ્ઞાને અનુસરીએ અને દ્વારાકાની યાત્રાએ જઈએ.૪૫ 

હે રાજન્ ! આ પ્રમાણે નંદરામાદિકનાં વચન સાંભળી સર્વના સ્વામી શ્રીહરિએ એ સમયે ભવિષ્યમાં ઘટનારી ઘટનાને ધ્યાનમાં રાખી સભામાં બેઠેલા સંતો-ભક્તોની મધ્યે દ્વારિકાના માર્ગના જાણકાર સંતની સામે દૃષ્ટિ કરી.૪૬ 

सच्चिदानन्दनामानमथ तं वीक्ष्य सोऽब्रवीत् । समाधिनिष्ठं निर्भीकमार्षभं भरतं यथा ।। ४७

साधो ! त्वं कृष्णभक्तोऽसि पूज्योऽसीह सतामपि । एतन्मार्गाद्यभिज्ञोऽसि तदेतान् द्वारिकां नय ।। ४८

अन्येऽपि सन्ति सन्तोऽत्र नैके यात्रां चिकीर्षवः । शीतकाले व्यतीते ते तत्रायास्यन्ति निश्चितम् ।। ४९

अयोध्यावासिभिः साकं गन्तुमद्य त्वमर्हसि । वत्सरेऽस्मिन् यत इमे प्रेष्याः सन्ति निजान् गृहान् । ५०

कृत्वा श्रीद्वारिकायात्रां कारयित्वा च सत्वरम् । इहायाहि महाबुद्धे ! त्वमेतान् सुखयन् पथि ।। ५१

यदेच्छा वासुदेवस्य भविष्यति तदा मुने ! । अहमप्यागमिष्यामि साकमेतैर्हि साधुभिः ।। ५२

ભોમીયા તરીકે જવા સચ્ચિદાનંદ સ્વામીને પ્રેરણા :- હે રાજન્ ! તે સમયે શ્રીહરિએ સમાધિનિષ્ઠ, નિર્ભય તેમજ ઋષભદેવના પુત્ર જડભરતના જેવી સ્થિતિવાળા સચ્ચિદાનંદ સ્વામીને જોયા ને કહ્યું કે, હે સંતવર્ય ! તમે શ્રીકૃષ્ણ ભગવાનના એકાંતિક સંત છો. એથી આપણા સર્વે સંતોમાં તમે પૂજ્ય છો. તેમજ દ્વારિકાપુરીના માર્ગના તમે જાણકાર પણ છો. એથી નંદરામાદિકને દ્વારિકાની યાત્રા કરાવો.૪૭-૪૮ 

અહીં દ્વારિકાની યાત્રા કરવા જવાની ઇચ્છાવાળા અન્ય ઘણા બધા સંતો રહેલા છે. તે સંતો શિયાળો પૂરો થશે ત્યારે નક્કી દ્વારિકાની યાત્રાએ આવશે.૪૯ 

પરંતુ તમે તો અત્યારે જ આ અયોધ્યાવાસીઓની સાથે દ્વારિકા સિધાવો. કારણ કે આ વેર્ષે જ તેઓને પોતાના અયોધ્યાપુર પાછા મોકલવાના છે.૫૦

હે મહાબુદ્ધિશાળી સ્વામી ! તમે આ નંદરામાદિકને માર્ગમાં જેમ સુખ થાય તેમ કરજો, ને તેમને દ્વારિકાની યાત્રા કરાવજો. તેમજ તમે પણ દ્વારિકાની યાત્રા કરજો. યાત્રા કરી તત્કાળ મારી પાસે પાછા આવો.૫૧ 

હે મુનિ ! જ્યારે શ્રીવાસુદેવ ભગવાનની ઇચ્છા થાશે ત્યારે હું પણ આ સંતોને સાથે લઇ યાત્રા કરવા આવીશ.૫૨ 

इत्युक्तः स महायोगी हरिणा तन्निदेशकृत् । बद्धाञ्जलिपुटो नत्वा विनयेन तमूचिवान् ।। ५३

आज्ञां ते पालयिष्यामि यथोक्तां प्रीतये तव । पाथेयादि गृहीत्वैव यान्तु सज्जा भवन्त्विमे ।। ५४

इत्युक्तस्तेन स स्वामी मयरामाभिधं द्विजम् । यात्रामुहूर्तमेतेषां पश्येत्याहाग्रतः स्थितम् ।। ५५

ततः स ब्राह्मणो वृद्धो दीर्घं पञ्चाङ्गपत्रकम् । सद्यो निष्कासयामास शिरःस्थस्थूलवेष्टनात् ।। ५६

यात्रार्हं तत्र लग्नं स दृा चंद्रबलं तथा । मुहूर्तोऽस्ति शुभः स्वामिन्नवम्यामित्युवाच तम् ।। ५७

ततः श्री हरिणादिष्टाः स्वस्वस्थानं ययुर्जनाः । शिरसादाय तद्वाक्यं स्वयं स्वावासमागमत् ।। ५८

હે રાજન્ ! શ્રીહરિએ આ પ્રમાણે આજ્ઞા કરી, એટલે તેમની આજ્ઞાનું હરહમેશ પાલન કરતા મહાયોગી સચ્ચિદાનંદ સ્વામી બે હાથ જોડીને નમસ્કાર કરી વિનયપૂર્વક કહેવા લાગ્યા, હે પ્રભુ ! તમે જે પ્રમાણે મને આદેશ કર્યો છે, તે આદેશનું પાલન કરી એક તમારી પ્રસન્નતાર્થે જ હું એકલો હોવા છતાં પણ યાત્રા કરવા જઇશ. આ નંદરામાદિ સર્વે માર્ગમાં ઉપયોગી ભાતું કરાવી જવા માટે તૈયાર થાય.૫૩-૫૪ 

હે રાજન્ ! સચ્ચિદાનંદ સ્વામીએ આ પ્રમાણે કહ્યું, તેથી શ્રીહરિએ પોતાની સમીપે બેઠેલા મયારામ વિપ્રને કહ્યું, આ લોકોને યાત્રાએ જવાનું મુહૂર્ત જોઇ આપો.૫૫

ત્યારે વૃદ્ધ મયારામ વિપ્ર તત્કાળ પોતાની પાઘડીમાંથી લાંબુ પંચાગ બહાર કાઢયું. તેમાં યાત્રાને યોગ્ય લગ્ન શુદ્ધિ અને લગ્નનું બળ જોઇને શ્રીહરિ પ્રત્યે કહેવા લાગ્યા કે, હે સ્વામિન્ ! સંવત ૧૮૮૧ ના મહાસુદી નવમીની તિથિએ શુભ મુહૂર્ત છે.૫૬-૫૭ 

પછી શ્રીહરિ સભામાં બેઠેલા સર્વે જનોને પોતપોતાના સ્થાને જવાની આજ્ઞા કરી, અને દ્વારિકાની યાત્રા કરવાનું શ્રીહરિનું વચન માથે ચડાવી સૌ પોતાના સ્થાને ગયા. સ્વયં શ્રીહરિ પણ પોતાના સ્થાને આવ્યા.૫૮ 

ततो भगवताज्ञाप्तास्ते शुक्लनवमीदिने । सज्जा बभूवुस्तं नत्वा स्मरन्तो द्वारिकापतिम् ।। ५९

दत्त्वा स तेभ्योऽपि धनं च वाहाननांसि पङ्गांश्च सहेतिपाणीन् । प्रस्थापयामास शुभे मुहूर्ते तान् द्वारिकां भूमिपते ! मुनीशः ।। ६० ।।

હે રાજન્ ત્યારપછી શ્રીહરિની આજ્ઞા થતાં નંદરામાદિ સર્વે શ્રીહરિને નમસ્કાર કરી દ્વારિકાપતિ શ્રીકૃષ્ણ ભગવાનનું હૃદયમાં સ્મરણ કરતા કરતા મહાસુદ નવમી તિથિને દિવસે દ્વારિકા જવા તૈયાર થયા.૫૯ 

તેને શ્રીહરિએ ધન, વાહન, તેમજ ભાર ઉપાડવા ગાડાં અને રક્ષણ માટે સશસ્ત્ર પાર્ષદોની વ્યવસ્થા કરી આપીને નંદરામાદિકને શુભ મુહૂર્તમાં દ્વારિકા જવા વળાવ્યા.૬૦ 

इति श्रीसत्सङ्गिजीवने नारायणचरित्रे धर्मशास्त्रे चतुर्थप्रकरणे वृत्तालयमाहात्म्ये चित्रप्रतिमाविधापनेन्दरामादिद्वारिकाप्रेषणनिरूपणनामा अष्टाविंशोऽध्यायः ।। २८ ।। 

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં પૂજાની ચિત્ર પ્રતિમાઓ તૈયાર કરાવી નંદરામાદિકને દ્વારિકાની યાત્રાએ મોકલ્યાનું નિરૂપણ કર્યું એ નામે અઠ્ઠાવીસમો અધ્યાય પૂર્ણ થયો. --૨૮--