અધ્યાય - ૨૭ - વડતાલમાં મંદિર કરવાની ભક્તજનોની પ્રાર્થના.

વડતાલમાં મંદિર કરવાની ભક્તજનોની પ્રાર્થના. * ભાષ્યે સહિત ઉપનિષદોની કથાનું શ્રીહરિએ શ્રવણ કર્યું. * શ્રીહરિના મુખે ભાઈબીજનું મહત્ત્વ. દેવપ્રતિષ્ઠા માટે શ્રીહરિનું વડતાલપુરમાં આગમન. શ્રીલક્ષ્મીનારાયણ આદિક મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા. મૂર્તિઓનો મહિમા. શાસ્ત્રાર્થની ચર્ચા માટે વડોદરા સંત મોકલવા નાથભક્તની પ્રાર્થના. શાસ્ત્રાર્થની ચર્ચા કરવા સ. મુક્તાનંદ સ્વામીને આજ્ઞા.

सुव्रत उवाच -

एकादश्यां निर्जलायां वृत्तलयपुरौकसः । कुबेरप्रमुखा भक्तास्तत्राऽयंस्तद्दिदृक्षवः ।। १

विधाय दर्शनं तस्य लेभिरे ते परं सुखम् । सम्भावयामास च तानुत्तमश्च यथोचितम् ।। २

एकादश्युत्त्सवे वृत्ते द्वादश्यां कृतपारणम् । सुखासीनं हरिं नत्वा ते प्राञ्जल्य ऊचिरे ।। ३

अस्मद्विज्ञापनां स्वामिन् ! शृणु त्वं भक्तवत्सलः । यन्निवेदयितुं सर्वे वयमत्र समागताः ।। ४

मन्दिरं कारयास्माकं पुरे कृष्णस्य सुन्दरम् । सर्वेषामपि पौराणां भवत्येष मनोरथः ।। ५

यावत्यपेक्षिता भूमिस्तदर्थे तव तावती । प्रदत्ताऽस्माभिरद्यैवेत्यवगच्छ न संशयः ।। ६

धनादिना च शुश्रूषां करिष्यामो वयं हरे ! । अस्मन्मनोरथं ह्येतं पूर्णं कर्तुं त्वमर्हसि ।। ७

इति तैः प्रार्थितो भक्तैः प्रसन्नौ हरिराह तान् । एवमेव करिष्यामि भक्ता ! यूयं मम स्थ यत् ।। ८

इत्युक्त्वा तांस्ततः प्राहाक्षरानन्दमुनिं हरिः । वृत्तालपुरं गच्छ सहैतैः सस्वमण्डलः ।। ९

स देशोऽस्ति मम प्रेष्ठो वृन्दावनमिवानघ ! । अतस्त्वं कारयेस्तत्र कृष्णमन्दिरमुत्तमम् ।। १०

जाते हि मन्दिरे तस्मिन्नहमेत्य शुभे क्षणे । रुकिमण्या सहितं कृष्णं स्थापयिष्यामि निश्चितम् ।। ११

હે રાજન્ ! વડતાલવાસી કુબેર પટેલ આદિ ભક્તજનો ભગવાન શ્રીહરિનાં દર્શન કરવાની ઇચ્છાથી ગઢપુરમાં જેઠસુદ નિર્જલા એકાદશીને દિવસે આવ્યા ને શ્રીહરિનાં દર્શન કરી તેઓ પરમ સુખને પામ્યા. તે સમયે ઉત્તમરાજાએ તેઓનું યથાયોગ્ય સન્માન કર્યું.૧-૨ 

એકાદશીનું વ્રત પૂર્ણ થયા પછી બારસનાં પારણાં કરી સુખપૂર્વક બેઠેલા ભગવાન શ્રીહરિને પ્રણામ કરીને કુબેર પટેલ વગેરે ભક્તજનો બે હાથ જોડીને કહેવા લાગ્યા કે, હે સ્વામિન્ ! તમે ભક્તવત્સલ છો. તમો અમારી વિનંતી સાંભળો. જેનું નિવેદન કરવા અમે સર્વે વડતાલવાસી ભક્તજનો તમારી પાસે આવ્યા છીએ.૩-૪ 

અમારા પુરમાં શ્રીકૃષ્ણનું સુંદર મંદિર કરાવો, એવો સર્વે પુરવાસી ભક્તજનોનો મનોરથ છે.૫ 

હે ભગવાન ! મંદિર નિર્માણ માટે જેટલા પ્રમાણમાં ભૂમિ જોશે તેટલા પ્રમાણમાં અત્યારે જ યાવત્ચંદ્રદિવાકર પર્યંત અર્પણ કરીએ છીએ, એમ તમે નક્કી જાણો. તેમાં કોઇ સંશય નથી.૬ 

હે શ્રીહરિ ! ધનાદિકથી પણ મંદિરની સેવા કરીશું, માટે મંદિર કરવાનો અમારો સંકલ્પ પૂર્ણ કરો.૭ 

હે રાજન્ ! આ પ્રમાણે તે ભક્તજનોએ પ્રાર્થના કરી તે સાંભળી શ્રીહરિ અતિશય પ્રસન્ન થયા અને તેમને કહેવા લાગ્યા કે, હે ભક્તજનો ! તમે મારા અનન્ય સેવક છો તેથી તમારો સંકલ્પ જરૂર પૂર્ણ કરીશ.૮ 

આ પ્રમાણે વડતાલવાસી ભક્તજનોને કહીને શ્રીહરિએ અક્ષરાનંદ સ્વામીને કહ્યું કે, હે મુનિ ! તમારાં મંડળના સંતોની સાથે તમે કુબેરપટેલ આદિ ભક્તજનો ભેળા વડતાલ જાઓ.૯ 

હે નિષ્પાપ મુનિ ! ચડોતર દેશ વૃંદાવનની જેમ મને અતિશય પ્રિય છે. એથી તમે ત્યાં ઉત્તમ કૃષ્ણ મંદિરનું નિર્માણ કરો.૧૦ 

તે મંદિર પૂર્ણ તૈયાર થશે ત્યારે હું ત્યાં આવીને શુભ મુહૂર્તમાં રુક્મિણીએ સહિત શ્રીકૃષ્ણ ભગવાનની સ્થાપના કરીશ.૧૧ 

इत्युक्तः स तथेत्याह मुनिस्तत्कार्यनैपुणः । प्रसन्नाश्च बभूवुस्ते भक्ताः पौरास्तदा नृप ! ।। १२

स्ननयात्रावधि स्थित्वा तत्र ते मुनिना सह । ततो जग्मुः स्वनगरमाज्ञाप्ता हरिणाखिलाः ।। १३

पञ्चमेऽहनि ते प्रापुः पुरं तदथ तं मुनिम् । सुस्थाने वासयामासुः पौराः पर्यचरंश्च तम् ।। १४

मन्दिरापेक्षितां भूमिं विशालां ते ततो मुदा । कृष्णार्पणं ददुः सर्वे हरिसम्प्रीणनोत्सुकाः ।। १५

आह्वाय्य शिल्पिनो दक्षान् स मुनिर्वटपत्तनात् । मन्दिरं कारयामास विशालं च मनोहरम् ।। १६

तत्कार्ये निरता आसन् पौरास्तदनुवर्तिनः । वत्सरेण सपादेन निष्पन्नं मन्दिरं त्वभूत् ।। १७

ततो देवप्रतिष्ठार्थमानेतुं दुर्गपत्तनात् । हरिं पौरास्तु जूषाख्यं प्रैषयन्भक्तमुत्तमम् ।। १८

હે રાજન્ ! આ પ્રમાણે ભગવાન શ્રીહરિએ કહ્યું તે સાંભળી તે કાર્ય કરવામાં નિપુણ મુનિએ કહ્યું કે, હે ભગવાન ! જેમ તમે કહ્યું તેમ હું કરીશ. તે સમયે વડતાલવાસી ભક્તજનો અતિશય પ્રસન્ન થયા.૧૨ 

અને જેઠ મહિનામાં સૂર્યોદય વ્યાપી જ્યેષ્ઠા નક્ષત્રમાં ઉજવાતા સ્નાનયાત્રા ઉત્સવ સુધી ગઢપુરમાં નિવાસ કરી શ્રીહરિની આજ્ઞાનુસાર અક્ષરાનંદ સ્વામી પોતાના મંડળને સાથે લઇ વડતાલ જવા તૈયાર થયા.૧૩ 

તે પાંચમે દિવસે વડતાલ પહોંચ્યા. પુરવાસી ભક્તજનોએ અક્ષરાનંદ સ્વામીને સારા સ્થાનમાં નિવાસ કરાવ્યો ને તેમની સેવા કરવા લાગ્યા.૧૪ 

પછી શ્રીહરિને રાજી કરવામાં ઉત્સુક સર્વે ભક્તજનોએ મંદિર તૈયાર કરવા જેટલી જમીન જોઇએ તેટલી વિશાળ ભૂમિ અતિહર્ષ પૂર્વક શ્રીકૃષ્ણાર્પણ કરી.૧૫ 

પછી અક્ષરાનંદ સ્વામીએ વડોદરાથી કુશળ શિલ્પીઓને બોલાવ્યા ને વિશાળ મનોહર મંદિરનું નિર્માણ કરાવ્યું.૧૬ 

વડતાલવાસી ભક્તજનો સર્વે સ્વામીની આજ્ઞામાં વર્તતા મંદિરના કાર્યમાં સદાય તત્પર રહેતા હતા. આમ કરતાં મંદિર તો એક વર્ષ અને ત્રણમાસમાં સંપૂર્ણ તૈયાર થઇ ગયું.૧૭ 

ત્યારે નગરવાસી ભક્તજનોએ દેવપ્રતિષ્ઠા કરવા ભગવાન શ્રીહરિને દુર્ગપુરથી તેડી લાવવા ઉત્તમ ભક્ત જુષા પગીને મોકલ્યા.૧૮ 

हरिश्चाथाक्षरानन्दं प्रेष्य वृत्तालयं नृप ! । सर्वोपनिषदः श्रोतुं सभाष्या उद्यतोऽभवत् ।। १९

आनयित्वा सभाष्यास्ता रथयात्रा दिने स्वयम् । समाप्त उत्सवे श्रोतुं प्रारम्भन्निजाश्रमे ।। २०

आश्विने शुक्लपक्षेऽसौ कोजागरदिने च ताः । समाप्य तोषयामास भूरिद्रव्येण वाचकम् ।। २१

ब्राह्मणान्भोजयामास तद्दिने च सहस्रशः । दक्षिणां च ददौ तेभ्यो नारायणमुनिर्मुदा ।। २२

कार्तिकस्ननमारेभे तस्मिन्नेवाह्नि सानुगः । अन्नकूटोत्सवं चक्रे महान्तं तत्र च प्रभुः ।। २३

परेऽह्नि जूष आगत्य तं प्रणम्य कृताञ्जलिः । प्राह वृत्तालये स्वामिन्मन्दिरं जातमुत्तमम् ।। २४

तत्रागत्य प्रतिष्ठां त्वं श्रीकृष्णस्य कुरु प्रभो ! । त्वदागमं प्रतीक्षन्ते पौराः सर्वेऽपि मानवाः ।। २५

ભાષ્યે સહિત ઉપનિષદોની કથાનું શ્રીહરિએ શ્રવણ કર્યું :- હે રાજન્ ! અક્ષરાનંદ સ્વામીને વડતાલ મોકલ્યા પછી શ્રીહરિ રામાનુજાચાર્યના ભાષ્યોએ સહિત સર્વે ઉપનિષદોની કથા સાંભળવા તત્પર થયા.૧૯ 

પદ્મનાભાનંદ સ્વામી (સંન્યાસી) પાસે તે ભાષ્યો મંગાવીને સ્વયં શ્રીહરિ સંવત ૧૮૮૦ ના અષાઢ સુદ પડવાને દિવસે પુષ્ય નક્ષત્ર હોવાથી પવિત્ર રથયાત્રાનો ઉત્સવ ઉજવ્યો. પછી પોતાના સ્થાને જ સાંભળવાનો પ્રારંભ કર્યો.૨૦ 

સંવત ૧૮૮૧ ના આસો સુદ કોજાગરી પૂનમના દિવસે તે ભાષ્યે સહિત ઉપનિષદોના કથાશ્રવણની સમાપ્તિ કરી ને વક્તા પ્રાગજી પુરાણીને પૂજન કરી ઘણુ દ્રવ્ય આપી સંતોષ પમાડયા.૨૧ 

ભગવાન શ્રીનારાયણમુનિએ તે પૂનમને દિવસે હજારો બ્રાહ્મણોને જમાડી અતિ હર્ષથી બહુ દક્ષિણાઓ આપી.૨૨ 

પછી શ્રીહરિ પોતાના અનુયાયી સંતો ભક્તોની સાથે તે જ દિવસે કાર્તિકી સ્નાન કરવાનો પણ પ્રારંભ કર્યો. અને આસો મહિનામાં ગઢપુરમાં મોટો અન્નકૂટોત્સવ પણ ઉજવ્યો. કાર્તિક સુદ પડવાને દિવસે ચંદ્રદર્શન થયું હોવાથી અન્નકૂટોત્સવ અમાવાસ્યાને દિવસે કર્યો.૨૩ 

બીજે દિવસે પડવાની તિથિએ વડતાલથી ભક્ત જૂષોપગી આવ્યા ને ભગવાન શ્રીહરિને પ્રણામ કરીને બન્ને હાથ જોડીને કહેવા લાગ્યા કે, હે સ્વામિન્ ! વડતાલમાં ઉત્તમ મંદિર તૈયાર થઇ ગયું છે. હે પ્રભુ ! તમે વડતાલ પધારીને ભગવાન શ્રીકૃષ્ણની પ્રતિષ્ઠા કરો. વડતાલના સર્વે ભક્તજનો તમારા આગમનની પ્રતીક્ષા કરે છે.૨૪-૨૫ 

इति तद्वचनं श्रुत्वा चक्रे जिगमिषां हरिः । ततः कृष्णप्रतिष्ठायाः पप्रच्छ गणकं क्षणम् ।। २६

ऊर्जस्य शुक्लद्वादश्यां दत्तस्तेन च तत्क्षणः । ततः स्वान्श्वोऽस्ति गन्तव्यं सज्जाः स्यातेत्यजिज्ञापत् २७

आहूयाथोत्तमं प्राह सकुटुम्बो भवानपि । वृत्तालयं समायातु निर्गन्तव्यं श्व एव च ।। २८

હે રાજન્ ! આ પ્રમાણે જુષાપગીનું વચન સાંભળી ભગવાન શ્રીહરિએ વડતાલ જવાની મનમાં ઇચ્છા કરી. પછી પ્રતિષ્ઠાનું મુહૂર્ત પોતાની પાસે બેઠેલા મયારામ વિપ્રને પૂછયું.૨૬ 

તેણે ગણિત માંડીને કાર્તિકસુદ બારસનું શુભ મુહૂર્ત આપ્યું. તેથી શ્રીહરિએ પાર્ષદોને કહ્યું કે, આવતી કાલે વડતાલ જવાનું હોવાથી સૌ તૈયાર થજો.૨૭ 

અને ઉત્તમ રાજાને બોલાવી કહેવા લાગ્યા કે, હે રાજન્ ! તમારે પણ કુટુંબે સહિત અમારી સાથે વડતાલ જવા આવતી કાલે જ નીકળવાનું છે.૨૮ 

श्वोस्ति भ्रातृद्वितीयात्र गृहिभिर्भगिनीगृहे । भोक्तव्यं च धनं वासः स्वस्रे देयमिति स्थितिः ।। २९

यमो यमुनयात्र प्राग्भोजितस्तेन सापि च । मानिता धनवस्त्रद्यैः प्रवृत्तैषा ततो भुवि ।। ३०

त्वं च सङ्गव एव श्वो भुक्त्वा पाञ्चालिकागृहे । चतसृभ्योऽपि स्वसृभ्यो दद्या वासोधनं पृथक् ।। ३१

ततस्ताभिः सहैव त्वं सज्जः स्याश्च सभार्यकः । इत्युक्तः स तथेत्युक्त्वा तत्तथैवाकरोन्नृप ! ।। ३२

શ્રીહરિના મુખે ભાઈબીજનું મહત્ત્વ :- હે ઉત્તમનૃપતિ ! આવતી કાલે ભાઇબીજ છે. એથી ગૃહસ્થજનોએ પોતાની બહેનને ઘેર ભોજન કરવા જવાનું અને બહેનને ધન તથા વસ્ત્રો અર્પણ કરવાનાં હોયછે, આ પ્રમાણે શાસ્ત્ર મર્યાદા છે.૨૯ 

પૂર્વે ભાઇબીજને દિવસે બહેન યમુનાજીને ઘેર પોતાના ભાઇ યમરાજા ભોજન કરવા ગયેલા, ત્યારે તેણે મિષ્ટાન્ન ભોજન ભાઇને કરાવેલું અને બહેનને યમરાજાએ બહુજ ધન, વસ્ત્ર આપી સન્માન પણ કરેલું. તે દિવસથી આરંભીને આ પૃથ્વી પર ભાઇબીજની પ્રવૃત્તિ થઇ છે. એમ ભવિષ્ય પુરાણમાં કહેલું છે.૩૦ 

તમે પણ આવતી કાલે નવેક વાગ્યાના સમયે સંગવકાળે પંચાળી બહેનના ઘેર ભોજન કરી ચારે બહેનોને અલગ અલગ વસ્ત્રો અને ધનનું પ્રદાન કરજો.૩૧ 

ત્યાર પછી પત્નીઓએ સહિત તમે ચારે બહેનોની સાથે વડતાલ આવવા તૈયાર થજો. આ પ્રમાણે શ્રીહરિએ કહ્યું તેથી ભલે, એમ કહીને ઉત્તમરાજાએ ભગવાન શ્રીહરિના વચન પ્રમાણે જ સર્વે કાર્ય પૂર્ણ કર્યું.૩૨ 

पूर्वाह्व एवाथ हरिरामध्याह्नात्क्रिया निजाः । कृत्वा भुक्त्वा द्वितीयायां मध्याह्ने निर्यतौ ततः ।। ३३

भक्तग्रामेषु निवसन् पञ्चम्यां प्रातरेव सः । प्राप वृत्तालयं स्वामी हयारूढः ससोदरः ।। ३४

वादित्रनादैरभ्येत्य नीत उत्कैर्निजैः पुरम् । स्वावासं तु हरिश्चक्रे रथकारस्य वेश्मनि ।। ३५

सोदरौ सान्वयौ स्वस्य सकुटुम्बं तथोत्तमम् । मुनीन् पग्दान् पार्षदांश्च यथार्हमुदतारयत् ।। ३६

पौराः शुश्रूषणं चक्रुः सानुगस्य हरेर्मुदा । तन्मन्दिरमुपागत्य सर्वतोऽसौ व्यलोकयत् ।। ३७

संलग्नं शोभनं तत्र पूर्वास्यं मन्दिरत्रयम् । मण्डपं धर्मशालां च दृा तुष्टोऽभवद्धरिः ।। ३८

शिल्पिमुख्याय तर्ह्येव सोऽनर्घ्ये वाससी ददौ । प्रशशंसाक्षरानन्दं भक्तान्नागरिकांस्तथा ।। ३९

દેવપ્રતિષ્ઠા માટે શ્રીહરિનું વડતાલપુરમાં આગમન :- હે રાજન્ ! પછી ભગવાન શ્રીહરિ ભાઇબીજને દિવસે પ્રાતઃકાળથી લઇ મધ્યાહ્ન સંધ્યા સુધીનો સમગ્ર સ્નાન સંધ્યાદિ વિધિ પૂર્ણ કરીને નાનાભાઇ ઇચ્છારામભાઇને ઘેર ભોજન કરી ગઢપુરથી બપોરના શુભ સમયે જ વડતાલ જવા નીકળ્યા.૩૩ 

સકલ ઐશ્વર્યે સંપન્ન શ્રીહરિ અશ્વારુઢ થઇ પરિવારે સહિત પોતાના બન્ને ભાઇઓની સાથે ચાલ્યા તે માર્ગમાં આવતાં ભક્તજનોનાં ગામમાં નિવાસ કરતા કારતક સુદ પાંચમને દિવસે પ્રાતઃકાળે જ વડતાલપુર પધાર્યા.૩૪ 

તે સમયે અતિશય ઉત્સાહવાળા ભક્તજનો વાજિંત્રોનો નાદ કરતા શ્રીહરિની સન્મુખ આવ્યા ને સ્વાગત કરી પુરમાં પધરાવ્યા, ને વાસણ સુથારને ઘેર શ્રીહરિનો ઉતારો કર્યો.૩૫ 

પોતાના પરિવારે સહિત બન્ને ભાઇઓને તથા કુટુંબીજનો સહિત ઉત્તમરાજાને તથા સર્વે સંતો પાર્ષદોને અન્ય જગ્યાઓમાં યથાયોગ્ય ઉતારા કરાવ્યા.૩૬ 

કુબેર પટેલ આદિ પુરવાસી ભક્તજનો અતિ હર્ષથી પોતાના અનુયાયીજનોની સાથે શ્રીહરિની સેવા કરવા લાગ્યા. શ્રીહરિ પણ અક્ષરાનંદ સ્વામીએ તૈયાર કરેલા મંદિરની સમીપે પધારી ચારે બાજુથી તેનું નિરીક્ષણ કર્યું.૩૭ 

તેમાં પરસ્પર જોડાયેલા અને શોભાયમાન પૂર્વાભિમુખના ત્રણે દરવાજા તથા મંડપ અને ધર્મશાળાનું નિરીક્ષણ કરીને અતિશય પ્રસન્ન થયા.૩૮ 

અને મુખ્ય શિલ્પી એવા પુરુષોત્તમ ટાંકને અમૂલ્ય વસ્ત્રો અર્પણ કર્યાં તેમજ અક્ષરાનંદ મુનિ તથા વડતાલવાસી ભક્તજનોની પણ ખૂબજ પ્રશંસા કરી.૩૯ 

उदुम्बरपुराद्विप्रान् वैदिकान्वैष्णवांश्च सः । हरिशर्ममुखान् सद्यो दूतैराजूहवन्नृप ! ।। ४०

देशान्तरेभ्यस्तत्राऽयन्नरा नार्यश्च यूथशः । मण्डलानि मुनीनां च तदुत्सवदिदृक्षवः ।। ४१

हरिर्विधिज्ञाविप्रोक्तानुपहारानसाधयत् । सर्वान्विष्णुप्रतिष्ठार्हांस्तथा सर्पिसितादिकान् ।। ४२

प्रतिष्ठाविधिवेत्तारो विप्राः कुण्डं च मण्डपम् । पीठानि देवतानां च यथाशास्त्रमकारयन् ।। ४३

विधिं कृष्णप्रतिष्ठायाः स्वस्तिवाचनपूर्वकम् । अकारयन् हरिं विप्रा वासरद्वितयेन ते ।। ४४

द्वादश्यां स्थापयामास मध्यमे मन्दिरे हरिः । रुक्मिण्या सहितं कृष्णं चक्रे तस्यार्चनं महत् ।। ४५

तत उत्तरतस्तस्मान्मन्दिरे मूर्तिमात्मनः । उपेतां भक्तिधर्माभ्यां भक्तप्रीत्या अतिष्ठिपत् ।। ४६

समर्चनं विधायास्यास्ततो दक्षिणमन्दिरे । राधया सहितं कृष्णं स्थापयित्वा समार्चयत् ।। ४७

तदन्तिकेऽपि स स्वस्य मूर्तिमस्थापयच्छुमाम् । निजप्रीत्यै ततस्तां च पूजयामास सत्पतिः ।। ४८

गीतिकानां च वाद्यानां घोषस्तत्र महानभूत् । वेदघोषेण विप्राणां मिश्रोऽसौ व्यानशे दिशः ।। ४९

महानीराजनं कृत्वा मूर्तीस्ताः स पृथक् पृथक् । निर्निमेषस्थिराक्षिभ्यां पश्यंस्तस्थौ घटीद्वयम् ।। ५०

શ્રીલક્ષ્મીનારાયણ આદિક મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા :- પછી ભગવાન શ્રીહરિએ ઉમરેઠપુરથી ઉદ્ધવસંપ્રદાયના વૈદિક વિપ્રો એવા હરિશર્મા, પુરુષોત્તમ તથા કૃપાશંકર આદિ અનેક વિપ્રોને તત્કાળ દૂત મોકલીને બોલાવ્યા.૪૦ 

પ્રતિષ્ઠાનાં દર્શન કરવાની ઇચ્છાવાળા નરનારીઓના સંઘો મળીને દેશાંતરોમાંથી વડતાલપુરમાં આવવા લાગ્યા. અને દેશાંતરમાંથી સંતોનાં મંડળો પણ આવવા લાગ્યાં.૪૧ 

અહીં પ્રતિષ્ઠા વિધિને જાણનારા હરિશર્મા આદિ વિપ્રોના કહેવા પ્રમાણે પ્રતિષ્ઠાને યોગ્ય સર્વે સામગ્રી તથા ઘી, સાકર, ઘઉનો લોટ વગેરે પદાર્થો ભગવાન શ્રીહરિએ ભેળા કરાવ્યાં.૪૨ 

હે રાજન્ ! પ્રતિષ્ઠાનો વિધિ જાણતા વિપ્રોએ યજ્ઞાકુંડ, મંડપ અને દેવતાઓની પીઠિકા શાસ્ત્ર પ્રમાણે તૈયાર કરાવી.૪૩ 

પછી વિપ્રોએ શ્રીહરિ પાસે બે દિવસ સુધી સ્વસ્તિવાચન-પૂર્વક પ્રતિષ્ઠાનો વિધિ કરાવ્યો.૪૪ 

આ રીતે સંવત ૧૮૮૧ ના કારતક સુદ બારસને દિવસે શ્રીહરિએ મધ્યના મંદિરમાં રૂક્મિણીરૂપ લક્ષ્મીજીએ સહિત નારાયણ ભગવાનની સ્થાપના કરી ને તેની મહાપૂજા કરી.૪૫ 

પછી મધ્ય મંદિરની ઉત્તર દિશાના પડખે રહેલા મંદિરમાં ભક્તજનોની પ્રસન્નતાર્થે ધર્મ-ભક્તિએ સહિત પોતાની વાસુદેવ નામની મૂર્તિની સ્થાપના કરી.૪૬ 

ભક્તિધર્મ, વાસુદેવની મહાપૂજા કરીને શ્રીહરિ મધ્ય મંદિરથી દક્ષિણમાં રહેલા મંદિરમાં રાધાએ સહિત શ્રીકૃષ્ણ ભગવાનની સ્થાપના અને મહાપૂજા કરી.૪૭ 

પછી સંતોના સ્વામી ભગવાન શ્રીહરિ મૂર્તિની સમીપે જઇ અતિશય શોભતી પોતાની શ્રીહરિકૃષ્ણ મૂર્તિની ભક્તોની પ્રસન્નતાર્થે સ્થાપના કરી. તેમનું પણ મહાપૂજન કર્યું.૪૮ 

પ્રતિષ્ઠા સંબંધી મહાપૂજા કરતી વખતે શ્રીમદ્ ભગવદ્ગીતાના શ્લોકોનો અને વાજિંત્રોનો અતિશય ઘોષ થયો. તે ઘોષ વૈદિક વિપ્રોના વેદમંત્રોના ઘોષની સાથે મળીને દશેદિશામાં વ્યાપી ગયો.૪૯ 

શ્રીહરિ સર્વે મૂર્તિઓની મહાઆરતી કરી સ્થિર દૃષ્ટિથી નિરીક્ષણ કરતા બે ઘડી સુધી ત્યાં ને ત્યાં જ ઊભા રહ્યા.૫૦ 

तदानीं ता बभुर्भूप ! मूर्तयो भूरितेजसः । ता दृा विस्मयं प्रापुर्जनाः सर्वे तदीक्षकाः ।। ५१

पूर्णाहुतिं ततो हुत्वा ऋत्विग्भ्यो दक्षिणां ददौ । अन्येभ्यश्चापि विप्रेभ्यो भूयसीं धर्मविद्धरिः ।। ५२

उच्चासनस्थितोऽथाऽह जनानूर्ध्वैकदोः स च । शृण्वन्तु सर्वेऽपि जनाः ! सादरं वचनं मम ।। ५३

मध्यमे मन्दिरे ह्येष लक्ष्मीनारायणो मया । स्थापितोऽस्तीति जानीत द्वारिकाधीश्वरः स्वयम् ।। ५४

दक्षिणे मन्दिरे त्वत्र श्रीकृष्णो राधया सह । वृन्दावनविहार्येष मया सुस्थापितोऽस्ति हि ।। ५५

तदन्तिके तु मे मूर्तिरस्ति स्वीयप्रसत्तये । धर्मभक्तियुता चास्ति मन्दिरे तूत्तरे मम ।। ५६

लक्ष्मीनारायणादीनां स्वरूपाणां तु दर्शनम् । प्रत्यहं ये करिष्यन्ति ये मोक्ष्यन्त्येव संसृतेः ।। ५७

पौर्णमास्यां पौर्णमास्यां ये च ग्रामान्तरादपि । एत्यैषां दर्शनं भक्तया करिष्यन्त्यत्र मानवाः ।। ५८

सर्वे मनोरथास्तेषां सिद्धिमेष्यन्ति निश्चितम् । भुक्तिं तथेप्सितां मुक्तिं प्राप्स्यन्त्येषां प्रसादतः ।। ५९

श्रीकृष्णस्यास्य पुरतो जपं होमं च ये जनाः । पुरश्चर्यां करिष्यन्ति ते प्राप्स्यन्तीप्सितं फलम् ।। ६०

यस्तु श्रीद्वारिकाधीशो लक्ष्मीनारायणः स हि । भेदोऽत्र नैव विज्ञोयः सत्यं हि वचनं मम ।। ६१

संशयोऽत्रापि यच्चिते सम्भवेत्तमपि स्वयम् । कालेनाल्पेन भगवानेष एवापनेष्यति ।। ६२

મૂર્તિઓનો મહિમા :- આ પ્રમાણે નિરીક્ષણ કરવાથી સર્વે મૂર્તિઓમાં અતિશય તેજ ભરાયું તેથી તે વિશેષ શોભવા લાગી. આવી તેજોમય મૂર્તિઓનાં દર્શન કરી સર્વેજનો અતિશય વિસ્મય પામ્યા.૫૧ 

પછી ધર્મજ્ઞા ભગવાન શ્રીહરિએ પ્રતિષ્ઠાની પૂર્ણાહૂતિ કરી ઋત્વિજ બ્રાહ્મણોને ખૂબજ દક્ષિણા આપી. અને કેવળ દક્ષિણા લેવા માટે જ આવેલા અન્ય વિપ્રોને પણ બહુ પ્રકારની દક્ષિણા આપી ખૂબ રાજી કર્યા.૫૨ 

પછી ઊંચા સિંહાસન ઉપર વિરાજમાન થયેલા શ્રીહરિ એક હાથ ઊંચો કરી મનુષ્યોને કહેવા લાગ્યા કે, હે ભક્તજનો ! તમે સર્વે મારૂં આ વચન આદરપૂર્વક સાંભળો.૫૩ 

હે ભક્તજનો ! મધ્ય મંદિરમાં મેં આ લક્ષ્મીનારાયણની સ્થાપના કરેલી છે. તે સ્વયં દ્વારિકાધીશ છે એમ તમે જાણો.૫૪ 

આ દક્ષિણ ભાગના મંદિરમાં મેં રાધાએ સહિત વૃંદાવન વિહારી એવા શ્રીકૃષ્ણ ભગવાનની સ્થાપના કરી તેની સમીપે ભક્તજનોની પ્રસન્નતાર્થે મારી મૂર્તિની સ્થાપના કરેલી છે. અને ઉત્તર ભાગના મંદિરમાં ધર્મ-ભક્તિની સાથે પણ મારી વાસુદેવ નામની મૂર્તિની સ્થાપના કરી છે.૫૫-૫૬ 

માટે જે મનુષ્યો લક્ષ્મીનારાયણાદિ દેવોનાં પ્રતિદિન દર્શન કરશે તે સર્વે જનો આ સંસૃતિના બંધનથી મૂકાઇ જશે.૫૭ 

અને જે મનુષ્યો દર પૂનમે અહીં વડતાલ આવી શ્રીલક્ષ્મીનારાયણ ભગવાનના સ્વરૂપોનાં ભક્તિભાવથી દર્શન કરશે તેમના સર્વે મનોરથો પૂર્ણ થશે. અને આલોકમાં ભુક્તિ અને મુક્તિ પણ તેમની પ્રસન્નતાથી જ પ્રાપ્ત થશે. આમાં કોઇએ સંશય કરવો નહિ.૫૮-૫૯ 

હે ભક્તજનો ! આ શ્રીકૃષ્ણ ભગવાનની આગળ બેસી જપ, તપ, હોમ અને પુરશ્ચરણ વિધિ નિયમપૂર્વક કરશે, તે મનુષ્યો પોતે ઇચ્છિત ફલ પ્રાપ્ત કરશે.૬૦ 

જે દ્વારિકાની અંદર દ્વારિકાધીશ રૂક્મિણી સાથે રમણ કરે છે, તેજ ભગવાન અહીં લક્ષ્મીનારાયણ સ્વરૂપે વિરાજમાન છે. તે બન્ને સ્વરૂપમાં કોઇ ભેદ નથી. આ મારૂં વચન સત્ય માનજો.૬૧ 

આવાં પરમ સત્યસ્વરૂપ એવાં મારાં વચનોમાં જેને મનમાં સંશય ઉત્પન્ન થશે, તો તે સંશયને પણ આ શ્રીલક્ષ્મીનારાયણ ભગવાન તરત દૂર કરશે.૬૨ 

सुव्रत उवाच - 

इत्युक्त्वा स जनान् धार्मिस्तूष्णमासीन्नराधिप ! । तेऽपि सर्वे वचस्तस्य जगृहुः शिरसा मुदा ।। ६३

अभोजयद्धरिर्विप्रांस्तद्दिनात्पूर्णिमावधि । तेभ्यश्च दक्षिणां प्रादाद्विद्वद्बयस्तु विशेषतः ।। ६४

साधूंश्च तर्पयामास भोज्यैर्नानाविधैरपि । प्रत्यहं स्वयमेवासौ मुहुः संपरिवेषयन् ।। ६५

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે ધર્મનંદન ભગવાન શ્રીહરિ મહિમાનો ઉપદેશ આપી મૌન રહ્યા. ત્યારે સર્વેજનોએ પણ ભગવાન શ્રીહરિનાં વચનો મસ્તક નમાવી ગ્રહણ કર્યાં.૬૩ 

પછી શ્રીહરિ તે બારસના દિવસથી પૂર્ણિમા સુધી ઉત્સવમાં આવેલા સમગ્ર બ્રાહ્મણોને ભોજન કરાવ્યાં અને ખૂબજ દક્ષિણાઓ પણ આપી. અને તેમાં જે વિદ્વાન બ્રાહ્મણો હતા તેમને વિશેષ દક્ષિણાઓ આપી.૬૪ 

અને સ્વયં શ્રીહરિ વારંવાર પીરસીને અનેક પ્રકારનાં ભોજનોથી સંતોને પણ ખૂબજ તૃપ્ત કર્યા.૬૫ 

कृष्णसेवोत्सवादीनां व्यवस्थां स यथोचितम् । विधाय प्रतिपद्येव चक्रे जिगमिषां ततः ।। ६६

नाथजित्प्रमुखा भक्तास्तावद्वटपुरौकसः । तमेत्य प्रार्थयामासुर्नत्वा प्राञ्जलयः प्रभुम् ।। ६७

भगवन्नगरेऽस्माकं बहवो मतवादिनः । विवदन्ते शास्त्रवादैरस्माभिर्नृपसंसदि ।। ६८

प्रत्यक्षभगवत्प्राप्त्या श्रेय आत्यन्तिकं भवेत् । इत्यस्माकं मतं त्वार्षैर्वचनैर्दूषयन्ति ते ।। ६९

अत आर्षैर्वचोभिस्तत्पक्षखण्डनपाटवम् । काञ्चिन्मुनिं पुरेऽस्माकं त्वं प्रेषयितुमर्हसि ।। ७०

नास्माकं संशयः कोऽपि तद्वाक्यैर्हृदि जायते । किन्तु तद्दर्पशमनं स्यादितीप्सितमस्ति नः ।। ७१

શાસ્ત્રાર્થની ચર્ચા માટે વડોદરા સંત મોકલવા નાથભક્તની પ્રાર્થના :- શ્રીહરિએ લક્ષ્મીનારાયણાદિ દેવોની નિત્યપૂજા તથા ઉત્સવોમાં મહાપૂજાની પોતાના ઉદ્ધવ સંપ્રદાયની રીત પ્રમાણે સ્થાપના કરીને કાર્તિકવદ પડવાને દિવસે વડતાલપુરથી ગઢપુર જવાની ઇચ્છા કરી.૬૬ 

તેટલામાં વડોદરાથી નાથજી આદિ ભક્તજનો શ્રીહરિની સમીપે આવ્યા ને નમસ્કાર કરી બન્ને હાથ જોડી પ્રાર્થના કરવા લાગ્યા કે, હે ભગવાન ! અમારા નગરમાં ઘણા બધા મતવાદીઓ રાજસભામાં અમારી સાથે શાસ્ત્રાર્થ કરી વિવાદ કરે છે.૬૭-૬૮ 

'પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિથી જ આત્યંતિક કલ્યાણ થાય છે.' આવા આપણા સંપ્રદાયના સિદ્ધાંતને તે મતવાદીઓ ઋષિમુનિઓનાં વચનોનાં પ્રમાણને પોતાની માન્યતા પ્રમાણે તોડી મરોડીને રજૂ કરી દૂષિત કરે છે.૬૯ 

તેથી મુનિઓનાં વચનોથી તેમની માન્યતાઓનું ખંડન કરી શકે એવા કુશળ કોઇ સંતને અમારા નગરમાં મોકલો.૭૦ 

હે શ્રીહરિ ! તેઓનાં વચનો સાંભળી અમારા અંતરમાં આપણા સિદ્ધાંત પ્રત્યે કોઇ સંશય ઉત્પન્ન થયો નથી. પરંતુ તેઓના ગર્વનું ખંડન થાય એટલી ઇચ્છા અમને જરૂર રહે છે. તેથી કૃપા કરીને કોઇ એવા સંતને તમે વડોદરા મોકલો.૭૧ 

इति तैः प्रार्थितः स्वामी तत्कार्यैकोद्यमः सदा । मुक्तानन्दमुनिं प्रोचे विद्वांसं स्वाग्रतः स्थितम् ।। ७२

एतैर्वटपुरं गच्छ सह त्वं मुनिसत्तम ! । तत्रास्ति धार्मिको राजा सिंहजिन्नीतिशास्त्रवित् ।। ७३

न्याय्यमेव स पक्षं हि ग्रहीष्यति न चेतरम् । तस्मान्न्याय्यैः शास्त्रवाक्यैर्दद्या वादिभ्य उत्तरम् ।। ७४

धर्मो जयति नाधर्म इत्यस्ति निश्चयः सताम् । अतस्त्वं धर्मविग्दच्छ धर्मं स्थापय तत्र च ।। ७५

इत्युक्तः सोऽतिहृष्टस्तं प्रणम्याऽह प्रभोऽद्य हि । तत्र गत्वा स्थापयामि सद्धर्मे त्वत्प्रसादतः ।। ७६

इत्युक्त्वां तं प्रणम्यासौ जगाम वटपत्तनम् । पौरैः सह द्वितीयेऽह्नि प्राप्य तत्रावसत्सुखम् ।। ७७

हरिरथ निजदर्शनागतान्स्वान्निजनिजदेशगमाय नृन्विसृज्य । प्रतिपदि सहितो निजानुयातैर्नृपवर ! दुर्गपुरं ततो जगाम ।। ७८ ।।

શાસ્ત્રાર્થની ચર્ચા કરવા સ. મુક્તાનંદ સ્વામીને આજ્ઞા :- હે રાજન્ ! આ પ્રમાણે જ્યારે નાથ ભક્ત આદિ વડોદરા વાસી ભક્તજનોએ પ્રાર્થના કરી ત્યારે સર્વદા અસત્ મતનો નિષેધ કરવા તત્પર રહેતા શ્રીસ્વામિનારાયણ ભગવાન પોતાની આગળ જ બેઠેલા મહાવિદ્વાન મુક્તાનંદ સ્વામીને કહેવા લાગ્યા કે, હે મુનિ શ્રેષ્ઠ ! તમે આ વડોદરાના ભક્તજનોની સાથે ત્યાં જાઓ ને ત્યાં નીતિશાસ્ત્રના જાણનારા ધાર્મિક સિંહજીત નામના રાજા રાજ કરે છે.૭૨-૭૩ 

તે રાજા ન્યાયયુક્ત પક્ષ હોય તેનું જ ગ્રહણ કરે છે. પરંતુ અન્યાયના પક્ષનો કદાપિ સ્વીકાર કરતા નથી. તેથી તમે ત્યાં જાઓ અને ન્યાયયુક્ત શાસ્ત્રનાં વચનોથી વાદીઓને ઉત્તર આપજો.૭૪ 

હે મુનિ ! સર્વત્ર ધર્મનો જ જય થાય છે, અધર્મનો નહિ. આવો સત્પુરુષોનો પાકો નિશ્ચય હોય છે. તેથી ધર્મના રહસ્યને જાણતા તમે વડોદરા જાઓ અને ધર્મનું સ્થાપન કરો.૭૫ 

હે રાજન્ ! આ પ્રમાણે ભગવાન શ્રીહરિએ કહ્યું તેથી મુક્તાનંદ સ્વામી અતિશય પ્રસન્ન થયા ને ભગવાન શ્રીહરિને પ્રણામ કરી કહેવા લાગ્યા કે, હે પ્રભુ ! અત્યારે જ ત્યાં જઇ તમારી કૃપાથી ધર્મનું સ્થાપન કરીશ.૭૬ 

આમ કહી વડોદરાના નાથભક્ત આદિકની સાથે વડોદરા જવા નીકળ્યા. બીજે દિવસે વડોદરા આવી ત્યાં સુખપૂર્વક નિવાસ કર્યો.૭૭ 

હે નૃપશ્રેષ્ઠ ! પછી વડતાલમાં ભગવાન શ્રીહરિ પોતાને દર્શને આવેલા સર્વે ભક્તજનોને પોતપોતાના દેશમાં જવાની આજ્ઞા આપી, સ્વયં પડવાને દિવસે પોતાના અનુયાયી સંતો-પાર્ષદોની સાથે વડતાલથી ગઢપુર જવા નીકળ્યા.૭૮ 

इति श्रीसत्सङ्गिजीवने नारायणचरित्रे धर्मशास्त्रे चतुर्थप्रकरणे वृत्तालयमाहात्म्ये श्री लक्ष्मीनारायणाप्रतिष्ठानिरूपणनामासप्तविंशोऽध्यायः ।। २७ ।।

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં શ્રીહરિએ વડતાલપુરમાં શ્રીલક્ષ્મીનારાયણાદિ દેવોની સ્થાપના કરી, એ નામે સત્તાવીસમો અધ્યાય પૂર્ણ થયો. --૨૭--