સ્નેહગીતા - કડવું ૭<br />

વ્રજ વનિતાના પ્રેમને જોવા વળીજી, વાલ્યમે વગાડિ વનમાંયે વાંસળીજી ।
સુણી સર્વ સુંદરી મોહનને જઇ મળીજી, એક રહી આવરી નવ શકી નિકળીજી ।।૧।।
ઢાળ –
નિકળી નવ શકી સુંદરી, ગોપી ઘેરીને ઘાલી ઘરમાં ।
દેહ ગેહમાં ગ્રહિ ઘાલ્યું, પણ પ્રાણ કાંઇ છે તેના કરમાં ।।૨।।
તેહને વિરહ ઉપન્યો અંગમાં, વળી વિયોગ રોગ વાધ્યો ઘણું ।
આ સમે હું તો રહી અમથી, અહો અભાગ્ય એવું મુજતણું ।।૩।।
એમ સ્નેહમાં શોચે ઘણું, વનિતા કહે રહી વાંસળ્યે |
 પછી મેલ્યું દેહ મંદિરમાંયે, પ્રાણ પો'તા પિયુને પાસળ્યે ।।૪।।
એહ રીતે પો'તી અબળા, મોહનજી સંગે જૈ મળી ।
ભૌતિક દેહનું ભાન ભૂલી, ૧અતિવાક્ય દેહ પામી વળી ।।૫।।
પ્રેમી જનનું એહ પારખું, પ્રિતમ વિના પળમાં મરે ।
પિયુ વિયોગે પ્રાણ રહે, તે સ્નેહ શઠ સાને કરે ।।૬।।
પ્રીતની તો રીત એહવી, જેના પ્રીતમ સાથે પ્રાણ છે ।
જીવન વિના જર જેને, પંડય પાડવું પ્રમાણ છે ।।૭।।
ધન્ય એ નારી પ્રેમ પ્યારી, જેણે વા'લા વિયોગે તન ત્યાગિયું ।
અલ્પ સુખની આશા મેલી, મન મોહનજીશું લાગિયું ।।૮।।
એવા જનથી અર્ધ ઘડી, વાલમ ન રહે વેગળા ।
હેતે હળ્યા રહે મળ્યા, જો અંગે હોય કોયે અબળા ।।૯।।
શું થાયે કૈયે હેત જો હૈયે, અને પ્રેમ વિના તો સુકું સરે ।
નિષ્કુલાનંદ સર્વે સાધન, સ્નેહી સમતા કોણ કરે ।।૧૦।। કડવું ।।૭।।