સ્નેહગીતા - કડવું ૬<br />

વળી વ્રજવનિતા પ્રેમે પરવશ થઈજી, રસિયાજી વિના રંચ નવ શકે રહીજી ।
કૃષ્ણ ક્યાં કૃષ્ણ ક્યાં જેને તેને પુછે જઇજી, એમ સ્નેહની સાંકળી શુદ્ધ ભૂલી ગઈજી ।।૧।।
ઢાળ –શુદ્ધ ભૂલી ગઈ શરીરની, વળી ગોવિંદને ગોતે ઘણું ।
આવો રસિયા આવો ડા, નિરખું હું મુખ તુજતણું ।।૨।।
વાટે ઘાટે પુછે વનિતા, વળી કોઇ બતાવો કૃષ્ણને ।
નાથ વિના નથી રે'વાતું, ઘણું દિલ દાઝેછે દૃષ્ણને ।।૩।।
ખોળતાં તે ખરી ખબર પામી, જાણ્યું વાલો સધાવ્યા વનમાં ।
કાંઇક મષ લઇ જાયે કેડે, એમ વિચાર્યું વળી મનમાં ।।૪।।
ગોરસ રસની ભરી ગોળી, વળી જાય મથુરાં મારગે |
એહ મષે ચાલિ વાંસે, દયાળુને દેખવા દૃગે ।।૫।।
નાથજીને નિરખ્યા વિના, ઘણું દિવસ જાયે દોયલો ।
ભૂધરજીને ભેટે જ્યારે, ત્યારેજ સુખ દિન સોયલો ।।૬।।
હરિમુખ જોયે સુખ ઉપજે, વળી શાન્તિ વળે શરીરને ।
અસ્થિર મન તે સ્થિર થાયે, જ્યારે જુવે હલધર વીરને ।।૭।।
એમ પ્રીત પાવકે પંડય પ્રજળ્યું, વળી વિરહમાં વિલખ્યા કરે ।
પ્રેમદોરિયે બાંધી પ્રમદા, વાલમને વાંસે ફરે ।।૮।।
શ્યામ વિના કાંઇ કામ ન સુઝે, વળી કળ ન પડે કોઇ ।
પિયુ વિના પળ પ્રેમીને, વળી વીતે તે વસમી સોઈ ।।૯।।
સ્નેહી જનને સુખ ક્યાંથી, જેના પ્રાણ પરને સાથ છે ।
નિષ્કુલાનંદ પ્રેમી જનનું, જીવિતવ્ય હરિને હાથ છે ।।૧૦।। કડવું ।।૬।।