સ્નેહગીતા - કડવું ૫

રાગ ગોડ મલાર –
પ્રીતની રીત છે જો ન્યારીરી; પ્રી૦ ।
જેહની બંધાણી તેણેરે જાણી, બિજા ન જાણે લગારીરી ; પ્રી૦ ।।૧।।
ચકોર સ્નેહી ચંદ્ર વદનનો, વણ દિઠે દુઃખ ભારી ।
મીન સ્નેહી જાણોરે જળનો, પ્રાણ તજે વિન વારીરી; પ્રી૦ ।।૨।।
પ્રીત પતંગ પ્રાણ પાવકમાં, દેખત દૃગ દેત 1જારી ।
ચાતક સ્નેહી સદાયે સ્વાંતનો, મરે ૨પિયુપિયુ પોકારીરી; પ્રી૦ ।।૩।।
પ્રીતિની રીત પ્રસિદ્ધ પ્રતીજે, કીજે તો કીજે વિચારી ।
નિષ્કુલાનંદ એવા સ્નેહીની સંગે, સદાય રહે છે મુરારીરી; પ્રી૦ ।।૪।। પદ ।।૧।।

સ્નેહને વશ સદાય છે શ્રીહરિજી, ભાવે આવે ભૂતળ ભૂધર દેહ ધરીજી ।
તેતો પ્રેમિ જનને પ્રેમે કરીજી, ધન્ય ધન્ય પ્રેમે વ્રજજુવતી ભરીજી ।।૧।।
ઢાળ –ભરી પૂરણ પ્રેમમાં અંગે, અને રંગે રાતિ રાજને ।
સ્નેહમાંયે ન સુઝે કાંયે, તેણે ભૂલિ ભવનના કાજને ।।૨।।
ખાન પાનની ખબર ભૂલી, વળી વસ્ત્ર પહેરવાં વિસરી ।
આભૂષણ અંગે ધરે અવળાં, એમ શુદ્ધ ભૂલી નેહે કરી ।।૩।।
પય જમાવે જળપાત્રમાં, અને નીર ભરે ક્ષીર ઠામમાં ।
એમ સર્વે અંગે શુદ્ધ વિસરી, વળી ચિત્ત ન રહે ધન ધામમાં ।।૪।।
સુત વિત્ત ને સગાં સંબંધી, વળી એ ઉપરથી મન ઉતર્યું ।
જેહ જુવે તે એમ જાણે, કહે મન ચિત્ત આનં ફર્યું ।।૫।।
વળી ગોરસ મથતાં ગોપિકા, અને જુવે વા'લાની વાટરે ।
હમણાં આવે મને બોલાવે, એમ તલપે મોહન માટરે ।।૬।।
૩કસણ તૂટે કેશ છૂટે, તેને ૪નેક ન રહે સંભાળવા ।
વત્સ છોડાવે ધેનુને ધાવે, તેને ન જાયે વાળવા ।।૭।।
વળી અગ્નિથકી અતિ ઉછળે, અને આવે ઉફાણે દુધ ।
પણ હરિ હેતમાં ચિત્ત ચોરાણું, તેહની ન લહે કાંયે શુદ્ધ ।।૮।।
લક્ષ લાગ્યો લાડિલાશું, અંતર મળ્યું અલબેલશું ।
રહી હેતે પ્રીતે હળી મળી, જેમ વૃક્ષ વિટયું વેલ્યશું ।।૯।।
રાત્ય દિવસ રહે રાતિ, અને માતિ પ્રેમમાં પ્રમદા ।
નિષ્કુલાનંદ નાવે નવધા, સમતોલ સ્નેહ ને સદા ।।૧૦।। કડવું ।।૫।।