શ્લોક ૯

सुहृन्मित्रार्युदासीनमध्यस्थद्वेष्यबन्धुषु | साधुष्वपि च पापेषु समबुद्धिर्विशिष्यते ||६-९||

શ્લોકાર્થ

સુહૃદ્, મિત્ર, શત્રુ, ઉદાસીન, મધ્યસ્થ, દ્વેષ કરવા યોગ્ય જનોમાં, બંધુ જનોમાં અને સાધુ જનોમાં, તેમજ પાપીજનોમાં પણ સમાન બુદ્ધિ રાખનારોજ વિશેષ - શ્રેષ્ઠ મનાય છે. ।।૯।।


ભાવાર્થ

સુહૃદ્-સ્વભાવથીજ સદાય હિત કરવાના સ્વભાવવાળો, મિત્ર-સમાન અવસ્થાનો હોઇને નિરંતર હિત ઇચ્છનારો, અરિ-કંઇક પણ નિમિત્ત-બહાનું અવલંબીને અનર્થ કરવા ઇચ્છનારો, ઉદાસીન-ઉપેક્ષાવાળો, મધ્યસ્થ-ન્યાય-અન્યાયના પ્રસંગે તુલના કરીને ખરી વાત કહી દેનારો, દ્વેષ્ય-જન્મથી જ અનિષ્ટ-અહિત કરવા ઇચ્છનારો અને બંધુ-જન્મથી જ હિત કરવા ઇચ્છનારો. આ કહ્યા એવા તે સુહૃદાદિકોમાં, તેમજ - ધર્મપરાયણ વર્તનારા સાધુજનોમાં પણ અને પાપ કરવાના સ્વભાવવાળા પાપી જનોમાં પણ. જે સમબુદ્ધિ છે, એટલે કે પોતાને બ્રહ્મરૂપ આત્મસ્વરૂપનું ધ્યાન કરવું એજ એક પ્રયોજન હોવાથી તેઓની સાથે પ્રયોજન કે વૈર એમાનું એકેય નહિ હોવાથી સર્વત્ર સમાન બુદ્ધિવાળો છે, તે પુરૂષ ધ્યાન કરનારાઓમાં સર્વથી શ્રેષ્ઠ થાય છે. એ અર્થ જાણવો. ।।૯।।