योगी युञ्जीत सततमात्मानं रहसि स्थितः | एकाकी यतचित्तात्मा निराशीरपरिग्रहः ||६-१०||
શ્લોકાર્થ
યોગ સાધનાર યોગીજન એકાંત સ્થાનમાં એકલા રહીને, ચિત્ત અને આત્મા-અંતઃકરણને નિયમમાં રાખીને, સઘળી ઇચ્છાઓ છોડી દઇને અપરિગ્રહ રહીને આત્માને પરમાત્મસ્વરૂપમાં અખંડ જોડે-સંલગ્ન કરે. ।।૧૦।।
ભાવાર્થ
આ પ્રમાણે યોગમાં યોગ્ય અને યોગમાં આરૂઢ-પૂરો પ્રવર્તેલો, એવા બન્ને પ્રકારના યોગીનું લક્ષણ કહીને, હવે-યોગમાર્ગમાં પ્રવર્તવાને ઇચ્છતા યોગીનો ધ્યાનપ્રકાર કહી બતાવે છે - યોગ સાધવાને ઇચ્છતો યોગી ધ્યાનમાં વિક્ષેપ ન થાય એવા નિરૂપાધિક સ્થાનમાં રહીને નિરંતર પોતાના મનને ધ્યેય વસ્તુમાં સર્વથા એકાગ્ર કરે. કેવો થકો કરે ? તે કહે છે-ધ્યાનમાં વિક્ષેપ કરે એવા જનસમૂહથી અલગ રહ્યો થકો નિયમમાં છે ચિત્ત અને શરીર જેનું અને ધ્યેય વસ્તુ સિવાયનાં સઘળાં પદાર્થોમાં આકાંક્ષાએ રહિત અને તે ધ્યેય વસ્તુ સિવાય બીજામાં મમતાએ રહિત. આવાં ધ્યાન કરનારા ધ્યાનીના લક્ષણોએ યુક્ત થઇને મનને આત્મસ્વરૂપમાં જોડી દે. એમ અર્થનો અન્વય-સંબંધ જાણવો. ।।૧૦।।