શ્લોક ૮

ज्ञानविज्ञानतृप्तात्मा कूटस्थो विजितेन्द्रियः | युक्त इत्युच्यते योगी समलोष्टाश्मकाञ्चनः ||६-८||

શ્લોકાર્થ

જ્ઞાન-વિજ્ઞાનથી સદાય તૃપ્ત-સંતુષ્ટ આત્મા જેનો છે. અને તેથીજ કૂટસ્થ નિર્વિકાર. અને સર્વથા જીત્યાં છે ઇન્દ્રિયો જેણે અને તેથીજ કચરો, પાષાણ અને કનકમાં પણ જેને સમભાવ વર્તે છે, તેજ ખરો યોગ્યતાવાળો યોગી કહેવાય છે. ।।૮।।


ભાવાર્થ

ફરીથી યોગારૂઢનું જ વર્ણન કરે છે - શાસ્ત્રજન્ય જ્ઞાન અને વસ્તુના યથાર્થ સ્વરૂપને જણાવનારૂં એવું પરોક્ષજ્ઞાન, તથા અપેક્ષાનુભવાત્મક જે વિજ્ઞાન, તે બન્નેથી તૃપ્ત એટલે વિનાશી વસ્તુઓમાં નિરપેક્ષ આત્મા-મન જેનું છે. અને તેથી જ કૂટસ્થ-એટલે સર્વ વિકારશૂન્ય. અને વિકારશૂન્ય હોવાથીજ સમ્યક્-રીતે વશમાં કર્યાં છે. ઇન્દ્રિયો જેણે એવો અને એમ થવાથીજ લોષ્ટ-કચરો, પાષાણ અને કાંચનમાં પણ જેને સમાન બુદ્ધિ વર્તે છે. એટલે કે-પ્રકૃતવિલિક્ષણ બ્રહ્મરૂપ આત્મસ્વરૂપમાં દૃઢ સ્થિતિ થવાથી પ્રકૃતિજન્ય નાનાવિધ અનેક વિચિત્ર મોહક વસ્તુઓમાં ભોગ્ય બુદ્ધિજ નિવૃત્તિ પામવાથી લોષ્ટ, પાષાણ અને કનક વિગેરેમાં સમ બુદ્ધિવાળો. એ અર્થ છે. આવા પ્રકારનો જે યોગી તે યુક્ત એટલે યોગારૂઢ-યોગમાં પૂરેપૂરો પ્રવર્તેલો એમ કહેવાય છે. ।।૮।।