प्राप्य पुण्यकृतां लोकानुषित्वा शाश्वतीः समाः | शुचीनां श्रीमतां गेहे योगभ्रष्टोऽभिजायते ||६-४१||
अथवा योगिनामेव कुले भवति धीमताम् | एतद्धि दुर्लभतरं लोके जन्म यदीदृशम् ||६-४२||
શ્લોકાર્થ
પણ તે તો પુણ્યશાળીના લોકોને પામીને ત્યાં ઘણા કાળ વસીને અને પછી એ યોગભ્રષ્ટ પુરૂષ શ્રીમંતને ઘરે અવતરે છે.
અથવા તો મહાબુદ્ધિમન્ત યોગીજનોના કુળમાંજ પ્રગય થાય છે. અને આવું જે જન્મ મળવું તે આ લોકમાં અતિ દુર્લભમાં દુર્લભ મનાય છે. ।।૪૧-૪૨।।
ભાવાર્થ
નનુ-શંકા, ત્યારે તે ક્યાં-ક્યાં લોકમાં જાય છે? એ શંકાના સમાધાનમાં કહે છે - સોમયાગાદિક શુભ કર્મ કરનારા જનોએ પામવા યોગ્ય લોકને પામીને ત્યાં ઘણાં વરસો-બહુ કાળ વાસ કરીને, જેવા ભોગની ઇચ્છાથી યોગથી પડી ગયેલો હોય તેવા પ્રકારના ભોગ ભોગવીને એમ સમજવું શુદ્ધ આચાર વિચારવાળા અને યોગાનુષ્ઠાન કરવાને યોગ્ય એવા વૈભવશાળી સંપત્તિમાન પુરૂષોને ઘેર યોગભ્રષ્ટ પુરૂષ ઉત્પન્ન થાય છે. ।।૪૧।।
આ પ્રમાણે સ્વલ્પ કાળ અભ્યાસ કરેલા યોગાનુષ્ઠાનથી ભ્રષ્ટ યોગીની ગતિ કહીને, હવે-બહુ કાળ અભ્યાસ કરેલા યોગથી ભ્રષ્ટ થયેલા યોગીની બીજી ઉત્તમ ગતિ કહી બતાવે છે - અથવા યોગાભ્યાસની પકવ દશાને પામીને મનુષ્ય જો પડી ગયેલો હોય, તો - યોગસાધના કરનારા અને યોગાનુષ્ઠાન શીખવાડનારા બુદ્ધિમાન પુરૂષોના જનોના કુળમાં, તેમજ-યોગમાં પૂરેપૂરા પ્રવર્તી ગયેલા યોગીજનોનાં કુળમાંજ જન્મ પામે છે. યોગાભ્યાસમાં યોગ્ય એવા શુદ્ધ જનોના, તેમજ-યોગારૂઢ યોગી પુરૂષોના કુળમાં આવું બન્ને પ્રકારનું જે જન્મ તે આ મૃત્યુલોકમાં અતિશય દુર્લભજ છે, એમ જાણવું. ।।૪૨।।