अर्जुन उवाच | अयतिः श्रद्धयोपेतो योगाच्चलितमानसः | अप्राप्य योगसंसिद्धिं कां गतिं कृष्ण गच्छति ||६-३७||
कच्चिन्नोभयविभ्रष्टश्छिन्नाभ्रमिव नश्यति | अप्रतिष्ठो महाबाहो विमूढो ब्रह्मणः पथि ||६-३८||
एतन्मे संशयं कृष्ण छेत्तुमर्हस्यशेषतः | त्वदन्यः संशयस्यास्य छेत्ता न ह्युपपद्यते ||६-३९||
શ્લોકાર્થ
અર્જુન પૂછે છે- હે કૃષ્ણ ! શ્રદ્ધાએ યુક્ત યોગમાં પ્રવર્તે, પણ પ્રયત્ન નહિ કરતાં અધવચ યોગથી મન ચળી જાય, તો તે યોગની પૂર્ણ સિદ્ધિને નહિ પામતાં શી ગતિને પામે છે. ?
હે મહાબાહો !- શ્રી કૃષ્ણ ! યોગમાં પ્રતિષ્ઠા નહિ પામેલો અને બ્રહ્મપ્રાપ્તિના માર્ગમાં વિમુઢ બનીને પડેલો એમ બન્ને તરફથી ભ્રષ્ટ થયેલો તે શાધક શું છૂટા પડેલા વાદળના ટુકડાની પેઠે નાશ પામી જાય છે?
હે કૃષ્ણ ! આ મારો સંશય તમે સમગ્રપણે છેદવાને યોગ્ય છો. કારણકે તમારા સિવાય બીજો કોઇ આ મારા સંશયનો છેદનાર મને જણાતો નથી. ।।૩૭-૩૯।।
ભાવાર્થ
''યોગ સાધવાથીજ મારો મોક્ષ થશે.'' એવા વિશ્વાસથી પ્રથમ તો યોગમાર્ગમાં જોડાયેલો, એટલેકે - યોગમાર્ગમાં પ્રવર્તેલો. પણ યોગનાં સાધનો-યમનિયમાદિક સાધવામાં શિથિલ પ્રયત્નવાળો અને અભ્યાસની શિથિલતાને લીધે, તેમજ પ્રાકૃત વિષયોમાં આસક્તિને લીધે યોગાભ્યાસ કરવામાંથી જેનું મન ચળાયમાન થઇને ભ્રષ્ટ થયેલું છે. તો એવો પુરૂષ યોગ સિદ્ધિને નહિ પામતાં હે કૃષ્ણ ! તે શી-કેવા પ્રકારની દશાને પામે છે ? ।।૩૭।।
એ પ્રશ્નને જ ફરીથી વિસ્તારથી પૂછે છે - સાધનની વિપરીતતાને લીધે સ્વર્ગ અને મોક્ષ એ બન્નેથી ચળાયમાન થઇને ભ્રષ્ટ થયેલો. એટલે કે-ફળાનુસંધાન વિનાનાં શુભ કર્મ સ્વર્ગપુત્રાદિક ફળ પમાડનારાં થતાં નથી માટે, અને મોક્ષના સાધનોમાં અભ્યાસની શિથિલતાને લીધે સ્વર્ગથી અને મોક્ષથી પણ ભ્રષ્ટ થયેલો એ પુરૂષ છિન્ન ભિન્ન થયેલા વાદળની પેઠે નાશ પામી જાય છે શું ? અર્થાત્-માહમેઘમાંથી વાયુએ જુદો પાડી દીધેલો વાદળનો કટકો પછી મોટા મેઘસમૂહને નહિ પામીને જ જેમ એમ શું નાશ પામી જાય છે ? કે નથી નાશ પામતો ? હવે તે ઉભય ભ્રષ્ટતાને કહી બતાવે છે-હે મહાબાહો ! સ્વર્ગાદિક પ્રાકૃત ફળોમાં પ્રતિષ્ઠા સ્થિતિ નહિ પામેલો. અને ભગવતપ્રાપ્તિના સાધનભૂત મોક્ષમાર્ગમાં પણ મૂઢ-વિચિત્ત બની ગયેલો અભિપ્રાય છે. ।।૩૮।।
હવે-પોતાના સંશયના છેદનનો ઉપાય પૂછે છે - હે કૃષ્ણ ! મારો આ સંશય સમગ્રપણે છેદન કરવા માટે આપજ યોગ્ય છો. સર્વજ્ઞા આપ સિવાય બીજો કોઇ આ સંશયનો છેદનાર-નિવૃત્તિ કરનારો નથી જ મળતો. એ નિશ્ચિત છે. ।।૩૯।।