શ્લોક ૩૬

असंयतात्मना योगो दुष्प्राप इति मे मतिः | वश्यात्मना तु यतता शक्योऽवाप्तुमुपायतः ||६-३६||

શ્લોકાર્થ

જેનું મન વશમાં નથી એવા પુરૂષે તો એ પરમાત્મયોગ દુષ્પ્રાપ છે, એમ મારો મત-નિશ્ચય છે. પણ વશ્ય મનવાળાએ તો અભ્યાસ અને વૈરાગ્યરૂપ ઉપાયથી પ્રયત્ન કરતાં પામવાને શક્યજ છે. ।।૩૬।।


ભાવાર્થ

તે વાતને જ સ્પષ્ટપણે કહી બતાવે છે - પૂર્વે કહેલો અભ્યાસ અને વૈરાગ્ય એ બન્ને સાધનોથી જેણે પોતાનું મન સ્વ-વશમાં નથી કર્યું તેવા જનોએ યોગ ઘણા કષ્ટથી પણ નથી પામી શકાતો. એવા પ્રકારનો મારો દૃઢ નિશ્ચય છે. એ અભ્યાસ અને વૈરાગ્યરૂપ સાધનોથી પ્રયત્ન કરનારા અને એમ કરવાથી પોતાના મનને જીતનારા યોગીજનોએ તો એ યોગ્ય પ્રાપ્ત કરવાને શક્ય થાય છે. ।।૩૬।।