श्रीभगवानुवाच | असंशयं महाबाहो मनो दुर्निग्रहं चलम् | अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते ||६-३५||
શ્લોકાર્થ
શ્રી ભગવાન કહે છે-હે મહાબાહો ! અર્જુન ! મનનો નિગ્રહ કરવો તે અતિ દુષ્કર છે. અને તે અતિ ચંચળ છે. એ વાત નિઃસંશય એમજ છે. તો પણ હે કૌન્તેય ! અભ્યાસ અને વૈરાગ્યથી તે વશ કરી શકાય છે. ।।૩૫।।
ભાવાર્થ
આવા અજેય મનના નિગ્રહનો ઉપાય વર્ણન કરતાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે - હે મહાબાહો ! મન ચંચળ જ છે અને ચંચળ સ્વભાવનું હોવાથીજ ઘણા કષ્ટથી પણ વશ કરવાને માટે અશક્ય જ છે, એમ જે તેં કહ્યું તે ખરેખર નિઃસંશય એમજ છે. તો પણ હે કુન્તીપુત્ર અર્જુન ! અભ્યાસથી એટલે કે - પૂર્વે કહેલી યોગાભ્યાસ કરવાની રીતિ, સત્પુરૂષોનો સમાગમ, સદ્ધર્મનું આચરણ અને ઉપાસ્ય ઇષ્ટદેવ ભગવત્સ્વરૂપના માહાત્મયનું સમ્પૂર્ણ જ્ઞાન, એ આદિક ગુણોનું વારંવર અનુશીલન સતત સદભ્યાસ કરવાથી અને પ્રાકૃત ગુણમય વસ્તુઓમાં નાશવંતપણા વિગેરેની દોષદૃષ્ટિરૂપ વૈરાગ્ય ભાવનાની દૃઢતાએ કરીને, યોગીજનોએ આવી રીતનું મન વશ કરાય છે.
અભિપ્રાય એ છે કે- અભ્યાસ અને વૈરાગ્યને લીધે લય અને વિક્ષેપથી રહિત પણું હોવાથી મન ધ્યેયાકાર ભગવત્સ્વરૂપમાં સ્થિર થઇને રહે છે. તે પ્રમાણે કહેનારૂં પ્રમાણ-''ચિત્ત શૂન્યભાવને પામે ત્યારે તેને જાગૃત કરે અને વિક્ષેપ પામે ત્યારે વળી શાંતિ કરે અને અંદર રહેલા કષાય-વિકારોએ સહિત અને મનને યથાર્થ જાણે. અને સમાન સ્થિતિને પામે ધ્યેયાકાર તત્ત્વ થકી એને ચલાયમાન ન કરે.'' એમ યોગ શાસ્ત્રનું વચન છે. ।।૩૫।।