શ્લોક ૩૨

आत्मौपम्येन सर्वत्र समं पश्यति योऽर्जुन | सुखं वा यदि वा दुःखं स योगी परमो मतः ||६-३२||

શ્લોકાર્થ

માટે હે અર્જુન ! સર્વ પ્રાણીમાત્રમાં જે પોતાની ઉપમાથી જ સુખ અથવા તો દુઃખને સમાનપણે જુએ છે-માને છે. તો તેજ પરમ-સર્વોત્કૃષ્ટ યોગી માનેલો છે. ।।૩૨।।


ભાવાર્થ

ઉપર કહેલા બન્ને પ્રકારના ભક્તો મધ્યે જે ભક્ત સર્વ ભૂત પ્રાણીમાત્ર ઉપર અનુકમ્પા-કૃપાપૂર્ણ સ્નેહ રાખનારો છે, તે શ્રેષ્ઠ છે એમ કહી સમજાવે છે-
જે મારો ભક્ત પોતાની ઉપમાથીજ પોતાની તુલ્યતાએ જ સુખ અથવા તો દુઃખ સર્વ જંતુમાત્રમાં સમપણે જુએ છે, અર્થાત્-જેમ મને સુખ સારૂં લાગે છે. અને દુઃખ અપ્રિય માગે છે. તેજ પ્રમાણે બીજાઓને પણ થાય છે એમ જાણી-સમજીને સર્વ પ્રાણીમાત્રને જેમ સુખ થાય તે પ્રમાણે જ વર્તે છે, પણ કોઇ પણ પ્રાણીને દુઃખ ઉત્પન્ન કરનારો થતો નથી એ અભિપ્રાય છે. તે દયાળુ યોગી સર્વી શ્રેષ્ઠ મેં માનેલો છે-મને બહુજ પ્રિય અભિમત છે. ।।૩૨।।