શ્લોક ૩૧

सर्वभूतस्थितं यो मां भजत्येकत्वमास्थितः | सर्वथा वर्तमानोऽपि स योगी मयि वर्तते ||६-३१||

શ્લોકાર્થ

અને આવું એકત્વ-સમદર્શન પામેલો જે જ્ઞાની ભક્ત સર્વ ભૂતમાં વાસ કરી રહેલા મને સર્વ પ્રકારે ભજે છે, તો તે યોગી આ લોકમાં વર્તતો હોવા છતાં સદાય મારામાં જ વર્તે છે. ।।૩૧।।


ભાવાર્થ

હવે-તેથી પણ પક્વ દશાને પામેલા ભગવદ્ભક્તનું વર્ણન કરી બતાવે છે- લક્ષણોથી ઓળખાવે છે - જે મેં પ્રત્યક્ષપણે પામેલા છે એજ એક પોતાના સર્વ અવતારોના કારણ છે, એવું એકત્વ ૧ આશરેલો જે ઉપાસક યોગી, સર્વ ભૂતમાં વાસ કરી રહેલા સર્વાન્તર્યામી મને વસુદેવનંદનેજ સર્વ પ્રકારથી, એટલે કે-પુત્ર ભાવથી, મિત્ર ભાવથી, પતિ ભાવથી, ઇષ્ટ ભાવથી, અભીષ્ટ ભાવથી, માતૃ ભાવથી અને પિતૃ ભાવથી, એ આદિક હર કોઇ ભાવથી, ભજે છે-સેવે છે. તે યોગી હર્ષ-શોકાદિક અનેક વિકારોથી આકુળ - વ્યાકુળ વર્તતા આ લોકમાં વર્તે છે રહેલો છે, તો પણ તે માયાથી પર અક્ષર ધામમાં અખંડ વિરાજમાન એવા મારામાં જ વર્તે છે. ।।૩૧।।