શ્લોક ૩

आरुरुक्षोर्मुनेर्योगं कर्म कारणमुच्यते | योगारूढस्य तस्यैव शमः कारणमुच्यते ||६-३||

શ્લોકાર્થ

યોગમાર્ગમાં વધવાને માટે ઇચ્છતા મુનિને કર્મયોગ એજ કારણ છે, અને યોગારૂઢ -યોગસિદ્ધિ થયેલા તે જ યોગીને તેમાં શમ એ કારણ છે. ।।૩।।


ભાવાર્થ

જ્યારે ગૃહસ્થાશ્રમને તુલ્યપણે પ્રાપ્ત થતો કર્મયોગ એજ મોક્ષનું સાધન હોય, તો જ્ઞાનયોગની મુખ્ય સાધનતા માનીને શમદમાદિક પ્રવ્રજ્યાધર્મનો શાસ્ત્રમાં ઉપદેશ કરવામાં શું પ્રયોજન છે ? એ આશંકાના સમાધાનમાં કહે છે - યોગ એટલે-બ્રહ્મસમાધિ પ્રાપ્ત કરવાને ઇચ્છતા મુનિને, તેની પ્રાપ્તિમાં કારણભૂત મુખ્ય સાધન પ્રથમ કર્મ એટલે અસંગપણે કર્માનુષ્ઠાન કરવું એ જ કહેવામાં આવે છે. અને અસંગપણે કર્માનુષ્ઠાનથી, તેમજ એકાન્તિક સંતોનો સમાગમ કરવાથી, ચિત્ત શુદ્ધ થયા પછી બ્રહ્મસાક્ષાત્કાર એજ ફળ જેનું છે, એવા જ્ઞાનયોગને આશરેલા મુનિને, શમ એટલે-બ્રહ્મસમાધિમાં વિક્ષેપ કરનારાં કર્મનો ત્યાગ, એજ બ્રહ્માસમાધિમાં અધિક-સર્વથા પ્રવૃત્તિ થવામાં કારણ-મુખ્ય હેતુ કહેવામાં આવે છે. આ બાબતમાં પ્રમાણભૂત આ વાક્ય છે-''શમ અને અહિંસા એ ભિક્ષુનો ધર્મ છે, તપ અને ઇક્ષા એ વનમાં રહેનારા વાનપ્રસ્થનો ધર્મ છે, ભૂતરક્ષા અને યજ્ઞા કરવા એ ગૃહસ્થાશ્રમીનો ધર્મ છે. અને આચાર્યસેવન એ દ્વિજાતિનો ધર્મ છે."

ભાવાર્થ એ છે કે - અનાદિ વાસનાએ યુક્ત મુમુક્ષુ જનને પ્રથમ કર્મયોગ કરવો જોઇએ. અને તેનાથી ચિત્તશુદ્ધિ થયા પછી જ કર્મનિવૃત્તિ રૂપ જ્ઞાનયોગ સિદ્ધ થાય છે. અને તેનાથી બ્રહ્મસમાધિ સિદ્ધ થાય છે. ।।૩।।