પાંચમા અધ્યાયમાં અનાદિ વાસનાએ યુક્ત મુમુક્ષુ પુરૂષને પોતાની પ્રકૃતિ-સહજસિદ્ધ સ્વભાવને અનુકૂળ એવો કર્મયોગ નામે પ્રસિદ્વ જ, મોક્ષના સાધનભૂત ધર્મ કહી બતાવ્યો.
અંદર ગર્ભિત રહેલા જ્ઞાને સહિત કર્મયોગ કરવાથી જેના મનના કામક્રોધાદિક કષાયો નષ્ટપ્રાય થઇ ગયેલા છે, એવા પુરૂષને જ્ઞાનયોગ નામે પ્રસિદ્ધ ધર્મ કહી બતાવ્યો.
વળી-આ બન્નેય ધર્મભૂત માર્ગ શુદ્ધ ક્ષેત્રજ્ઞા સ્વરૂપના અને અક્ષરબ્રહ્મના પ્રાપક છે એમ કહી બતાવ્યું. અને વળી - શુદ્ધ ક્ષેત્રજ્ઞા સ્વરૂપના સાક્ષાત્કારને પામેલા, અને અક્ષર બ્રહ્મના સાધર્મ્યને પામેલા, એવા એ બન્ને પ્રકારના પુરૂષોને પરમેશ્વરના સ્વરૂપના યથાર્થ વાસ્તવિક જ્ઞાનથીજ પરમ શાન્તિ થાય છે. એમ પણ કહી બતાવ્યું.
હવે-છઠ્ઠા અધ્યાયમાં કર્મયોગ અને જ્ઞાનયોગની એકતા, જ્ઞાનયોગના અનુષ્ઠાનથી સિદ્ધ થયેલા યોગીને શુદ્ધ આત્મસ્વરૂપભૂત બ્રહ્મનું ધ્યાન, અને તે પછી પરમાત્મસ્વરૂપના ધ્યાનનું તેથી પણ અતિ શ્રેષ્ઠપણું કહેવામાં આવે છે - હવે-જ્ઞાનયોગ અને કર્મયોગનું ઐક્ય નિરૂપણ કરતા શ્રી ભગવાન કહે છે-
જે કોઇ-ત્યાગી અથવા તો ગૃહસ્થાશ્રમી પુરૂષ, પોત-પોતાના આશ્રમમાં રહીને આચરેલા કર્મથી પામવા યોગ્ય સ્વર્ગ અને સત્યલોકાદિકની પ્રાપ્તિરૂપ ફળને, તે બાબતમાં પ્રમાણભૂત-''વર્ણી અને સન્યાસી સ્વધર્મમાં વર્તતો નિશ્ચેજ બ્રહ્માના લોકને પામે છે. વાનપ્રસ્થ ઋષિઓના લોકને પામે છે અને ગૃહસ્થાશ્રમી સ્વર્ગલોકને પામે છે." આવું સ્કન્દ પુરાણનું વચન છે.
श्रीभगवानुवाच | अनाश्रितः कर्मफलं कार्यं कर्म करोति यः | स संन्यासी च योगी च न निरग्निर्न चाक्रियः ||६-१||
यं संन्यासमिति प्राहुर्योगं तं विद्धि पाण्डव | न ह्यसंन्यस्तसङ्कल्पो योगी भवति कश्चन ||६-२||
શ્લોકાર્થ
શ્રી ભગવાન કહે છે- કર્મફળનો આશ્રય-ઉદેશ નહિ રાખતાં શાસ્ત્રવિહિત કરવા યોગ્ય કર્મને જે કર્યા કરે છે. તે જ ખરો સંન્યાસી અને તેજ ખરો યોગી છે. પણ અગ્નિહોત્રાદિક કર્મ છોડી દેનાર, અગર ક્રિયામાત્ર છોડી દેનાર, સંન્યાસી કે યોગી કહેવાતોજ નથી. ।।૧।।
હે પાંડવ ! જેને સંન્યાસ કહે છે, તેને જ યોગ એમ જાણ ! અને સંકલ્પમાત્રનો સમૂળગો ત્યાગ કર્યા સિવાય કોઇ પણ યોગી એટલે - કર્મયોગી થઇ શકતો નથી. ।।૨।।
ભાવાર્થ
નહિ ઇચ્છતો થકો પોતાના આશ્રમમાં અવશ્ય કર્તવ્ય તરીકે કહેલું કર્મ કર્યા કરે છે, તો એજ સન્યાસી એટલે જ્ઞાનયોગે યુક્ત છે. અને એ જ યોગી એટલે કર્મયોગે યુક્ત પણ એ જ છે. અને જે નિરગ્નિ છે, એટલે કે-અગ્નિના ઉપાસને રહિત છે, અથવા અગ્નિનો ત્યાગ કરનારો, અથવા અગ્નિનો સંગ્રહજ નહિ કરનારો એવો છે. અને જે અક્રિય છે, એટલે કે - વિધિપ્રાપ્ત કર્મનો પણ પરિત્યાગ કરનારો છે. તે વસ્તુતાએ ખરો સંન્યાસી નથી. પણ તે કેવળ આશ્રમથી જ સંન્યાસી છે.
અહીંયા કેટલાક આ પ્રમાણે વ્યાખ્યાન કરે છે-તે પુરૂષ નિરગ્નિ નથી, એટલે કે-તે અગ્નિહોત્રાદિક કર્મથી રહિત પણ નથી, તેમજ-અક્રિય એટલે કેવળ જ્ઞાનનિષ્ઠ પણ નથી. પણ તે તો બન્ને પ્રકારના સાધનથી યુક્ત છે. એ અર્થ છે.
હવે -જ્ઞાનાંશ જેમાં મુખ્યત્વે રહેલો છે એવા કર્મયોગનું જ્ઞાનયોગપણું નિરૂપણ કરતાં કહે છે - જે જ્ઞાનયોગને સંન્યાસ એટલે ત્યાગિધર્મ એમ કહે છે, એટલે કે - કર્મયોગ અને જ્ઞાનયોગના યથાર્થ સ્વરૂપને જાણનારા-સમજનારા કહે છે, તે જ્ઞાનયોગને યોગ એટલે કર્મયોગજ જાણ-સમજ ! અર્થાત્ તે જ્ઞાનયોગ એ કર્મયોગજ છે. એમ તું જાણ ! હવે-તે વાતનેજ નિરૂપણ કરી બતાવે છે- હે પાંણ્ડુપુત્ર-અર્જુન ! નથી સર્વથા ત્યાગ કર્યો સંકલ્પ જેણે, અહીંઆં સંકલ્પ એટલે - આત્માનું દેહની સાથે અને સત્ત્વાદિક ગુણનાં કાર્યભૂત ઇન્દ્રિયો આદિકની સાથે એકીભાવથી પ્રવર્તવું એ જાણવું. એટલે કે-આત્મવિચારથી નથી ત્યાગ કર્યું દેહાભિમાન જેણે, અર્થાત્-દેહાભિમાને યુક્તજ વર્તનારો, એજ એનો ખરો અર્થ છે. તો આવા પ્રકારનો કોઇ પણ યોગી, કર્મયોગી ન જ થાય એ નિશ્ચિત વાત છે. માટે આત્મસ્વરૂપના યથાર્થ જ્ઞાનથી સર્વ પ્રકારે ત્યાગ કર્યા છે સઘળા સંકલ્પ જેણે એવા કર્મયોગીને જ જ્ઞાનયોગી જાણવો. એમ અભિપ્રાય છે. ।।૧-૨।।