શ્લોક ૨૭

प्रशान्तमनसं ह्येनं योगिनं सुखमुत्तमम् | उपैति शान्तरजसं ब्रह्मभूतमकल्मषम् ||६-२७||

શ્લોકાર્થ

આવા પ્રશાંત મનવાળા, મલીન ભાવથી રહિત થયેલા, કામાદિક વિકારરૂપ કલ્મષથી રહિત અને બ્રહ્મરૂપ થયેલા એ યોગીને સર્વોત્તમ સુખ પ્રાપ્ત થાય છે. ।।૨૭।।


ભાવાર્થ

આ પ્રમાણે અભ્યાસ કરતાં કરતાં એ યોગી ઉત્તમ યોગ સુખને પામે છે એમ કહી બતાવે છે - આ પ્રમાણે અભ્યાસ કરવાથી નિવૃત્તિ પામ્યો છે રજોગુણ જેનો અને તેથી જ ધ્યેયસ્વરૂપ પરમાત્મામાં જેનું મન અતિ સ્થિર થયેલું છે. દગ્ધ-નષ્ટપ્રાય થઇ ગયાં છે સમગ્ર કલ્મષ-પાપ જેનાં અને આત્મસ્વરૂપનો ધ્યાનાભ્યાસ કરવાથી અક્ષર બ્રહ્મના સાધર્મ્યને પામેલો. એવા એ યોગીને યોગસાધના કરવાથી પ્રાપ્ત થતું બ્રહ્માનુભવરૂપ સર્વોત્કૃષ્ટ સુખ પ્રાપ્ત થાય છે. અભિપ્રાય એ છે કે - ઉપર કહેલાં લક્ષણોએ સમ્પન્ન યોગી પુરૂષ સર્વોત્કૃષ્ટ સુખરૂપ બ્રહ્મસ્વરૂપના અનુભવ-આનંદને પામે છે. ।।૨૭।।