सङ्कल्पप्रभवान्कामांस्त्यक्त्वा सर्वानशेषतः | मनसैवेन्द्रियग्रामं विनियम्य समन्ततः ||६-२४||
शनैः शनैरुपरमेद् बुद्ध्या धृतिगृहीतया | आत्मसंस्थं मनः कृत्वा न किञ्चिदपि चिन्तयेत् ||६-२५||
यतो यतो निश्चरति मनश्चञ्चलमस्थिरम् | ततस्ततो नियम्यैतदात्मन्येव वशं नयेत् ||६-२६||
શ્લોકાર્થ
સંકલ્પથી ઉપજતા સર્વકામ-વાસનાઓનો સર્વ પ્રકારે ત્યાગ કરીને અને ઇન્દ્રિયોના સમૂહને મનથી ચોતરફથી વિશેષપણે નિયમમાં કરીને
અને ધૈર્યથી સ્થિર કરેલી બુદ્ધિથી ધીરે ધીરે વિષયોથી ઉપરામ પામે અને મનને આત્મસ્વરૂપમાં સ્મયક્ પ્રકારે સ્થિર કરીને તે સિવાય બીજું કાંઇ પણ ન સંભારે.
આમ કરવા છતાં પણ અસ્થિર અને અતિ ચંચળ મન જે જે ઇન્દ્રિયદ્વારા બહાર પ્રસરે, ત્યાંથી ત્યાંથી તેને નિયમમાં કરીને આત્મસ્વરૂપમાં અથવા પરમાત્મસ્વરૂપમાં વશ-સ્થિર કરે. ।।૨૪-૨૬।।
ભાવાર્થ
યોગાભ્યાસમાં વિક્ષેપ કરનારી વાસનાઓનો ત્યાગ કરવાપૂર્વક ફરીથી પણ યોગાભ્યાસ કરવાનો પ્રકાર ઉપદેશ કરી સમજાવે છે.
સંકલ્પથીજ જેનો ઉદય છે એવા સઘળા કામ-ઇચ્છાઓનો વૈરાગ્ય ભાવથી સમૂળગો જેમ હોય તેમ ત્યાગ કરી દઇને, વિવેકવાળા મનથી અહીં-તહીં સ્વેચ્છાછી દોડા-દોડ કરતા ઇન્દ્રિયસમૂહને તે તે વિષયો પાછો વાળીને સર્વથા નિયમમાં કરીને યોગાભ્યાસ કરવો. એમ પૂર્વશ્લોકની સાથે અર્થનો સંબંધ જાણવો. ।।૨૪।।
હવે-આમ અભ્યાસ કરતાં જ્યારે પ્રાચીન સંસ્કારને લીધે તે યોગાભ્યાસથી ચિત્ત ચળાયમાન થાય ત્યારે ફરીથી વારંવાર ધૈર્યથી સુસંસ્કારવાળા બુદ્ધિબળથી તે ચિત્તને વશ કરે એમ તેનો ઉપાય કહી બતાવે છે - ધૈર્યથી વશ કરેલી બુદ્ધિને ધીરે ધીરે ધ્યેય વસ્તુ સિવાયની બીજી સર્વ વસ્તુઓના ચિંતવનથી ઉપરામ પમાડે. અને પોતાના મનને આત્મસ્વરૂપમાં જ સ્થિર કરીને તે ધ્યેય-આત્મતત્ત્વ સિવાયની બીજી કોઇ પણ વસ્તુને ન સંભારે. ।।૨૫।।
એમ કરતાંય મન સ્થિર ન થાય તો તે મનની ચંચળતા નિવારણ કરવાનો ઉપાય કહી બતાવે છે - ચંચળ સ્વભાવને લીધે અતિ અસ્થિરતાવાળું મન ધ્યેયસ્વરૂપ આત્મતત્ત્વનો પરિત્યાગ કરીને જ્યાં જ્યાં ધ્યેય વસ્તુ સિવાયની બીજી વસ્તુઓમાં દોડયા કરે છે, તે વસ્તુઓ થકી તેમાં દોષદૃષ્ટિ કરાવીને, એ મનને નિયમમાં કરી પાછું વાળીને, પોતાના ક્ષેત્રજ્ઞા-આત્મસ્વરૂપમાં જ, અથવા પરમાત્મસ્વરૂપમાં જ સ્થિર કરીને વર્તાવે. ।।૨૬।।