શ્લોક ૨૮

युञ्जन्नेवं सदात्मानं योगी विगतकल्मषः | सुखेन ब्रह्मसंस्पर्शमत्यन्तं सुखमश्नुते ||६-२८||

શ્લોકાર્થ

આ પ્રમાણે સદાય પરમાત્મસ્વરૂપમાં જોડાનાર યોગી સઘળાં કલ્મષથી રહિત શુદ્ધ બનીને પરમાત્મસાક્ષાત્કારથી પ્રાપ્ત થતા આત્યંતિક-નિરવધિક સુખનો અનુભવ સુખેથી-અનાયાસે કરે છે. ।।૨૮।।


ભાવાર્થ

ફરીથી-બીજે પ્રકારે એ જ વાત કહી બતાવે છે - ઉપર કહી બતાવ્યું એ પ્રકારે પોતાના મનને ધ્યેય સ્વરૂપમાં સ્થિર કરતો અને તેમ કરવાથીજ નાશ પામી ગયા છે પ્રાક્તન અને આધુનિક સમગ્ર દોષમાત્ર જેના, એવો યોગી પરબ્રહ્મના સાક્ષાત્કારરૂપ નિરવધિક સુખ-આનંદને, સુખેથી અનાયાસેજ સદાય પામે છે-અનુભવ્યા કરે છે. ।।૨૮।।