यत्रोपरमते चित्तं निरुद्धं योगसेवया | यत्र चैवात्मनात्मानं पश्यन्नात्मनि तुष्यति ||६-२०||
सुखमात्यन्तिकं यत्तद् बुद्धिग्राह्यमतीन्द्रियम् | वेत्ति यत्र न चैवायं स्थितश्चलति तत्त्वतः ||६-२१||
यं लब्ध्वा चापरं लाभं मन्यते नाधिकं ततः | यस्मिन्स्थितो न दुःखेन गुरुणापि विचाल्यते ||६-२२||
तं विद्याद् दुःखसंयोगवियोगं योगसंज्ञितम् | स निश्चयेन योक्तव्यो योगोऽनिर्विण्णचेतसा ||६-२३||
શ્લોકાર્થ
યોગાભ્યાસથી રોકાયેલું ચિત્ત જે યોગાભ્યાસમાં રમમાણ રહે છે અને વળી જે યોગમાં વશ કરેલા શુદ્ધ મનથી આત્મસ્વરૂપમાંજ પરમાત્મસ્વરૂપને જોતાં સન્તુષ્ટ વર્તે છે. અને જ્યાં કેવળ બુદ્ધિગ્રાહ્ય અને ઇન્દ્રિયોથી અગોચર એવું જે આત્યન્તિક સુખ તેને જાણે છે - અનુભવે છે. અને જેમાં સ્થિર થયેલો યોગી તત્ત્વ-પરમાત્મસ્વરૂપથી ચળાયમાન થતો નથી. અને જે પરમાત્મલાભને પામીને તે સિવાયના બીજા લાભને તેથી અધિક નથી માનતો, અને જેમાં સ્થિત થઇને ગમે તેવા મોટા દુઃખથી પણ તેને ચળાયમાન કરી શકાતો નથી. તેને સાંસારિક કલેશમાત્રના સંયોગને દૂર કરનાર યોગ નામે જાણે અને તે યોગને કંટાળા સિવાયના સતત ઉચ્છાહી ચિત્તથી અભ્યાસ કરવો જોઇએ. ।।૨૦-૨૩।।
ભાવાર્થ
હવે-ચાર શ્લોકથી યોગનું લક્ષણ કહી સમજાવે છે-ચિત્તવૃત્તિના નિરોધરૂપ યોગના સતત અભ્યાસ રૂપ સેવન કરવાથી, ''યોગ એટલે ચિત્તવૃત્તિનો નિરોધ'' એમ પતંજલિ મુનિએ કહેલું છે. જે યોગી સ્વવશમાં કરેલું ચિત્ત જે યોગમાં ઉપરામ પામે છે. અર્થાત્-આજ પરમ આત્યંતિક-છેલ્લી કોટિનું સુખ છે, એમ માનીને તેમાંજ નિમગ્ન રહે છે. વળી-જે યોગમાં એટલે સમાધિમાં યોગાભ્યાસ કરવાથી શુદ્ધ થયેલા મનથી શુદ્ધ ક્ષેત્રજ્ઞારૂપ સ્વસ્વરૂપમાં અખંડ વિરાજમાન રહેલા અંતર્યામી પરમાત્માનેજ જોતો સતો સર્વથા સન્તુષ્ટ-પ્રસન્ન રહે છે. પણ નહિ કે તે સિવાયનાં બીજાં દેવતા આદિકનાં સુખોમાં. તે વાર્તા શ્રુતિ પોતેજ ''જે એક પરમાત્મા અનેકનાં કર્મફળને રચી આપે છે. તેમજ સર્વનિયંતા પરમાત્માને જે ધીર જ્ઞાનીજનો પોતાના આત્મામાં અખંડ વિરાજમાન રહેલા છે એમ નિરંતર દેખે છે-સાક્ષાત્કાર કરે છે, તો તેવા ઉપાસકોને જ અખંડ-સદાને માટે શાંતિ મળે છે. પણ આવી શુદ્ધ ઉપાસના સિવાયના બીજાઓને નથી મળતી.'' આ પ્રમાણે કહે છે. ।।૨૦।।
વળી જે ઇન્દ્રિયોથી પણ અગોચર-પરોક્ષ દૂર છે. અને તે હેતુથીજ જે કેવળ બુદ્ધિગ્રાહ્ય-બુદ્ધિથી જ ગ્રહણ કરી શકાય-જાણી શકાય એવું છે. આવું જે આત્યંતિક - નિરવધિક અતિશયવાળું સુખ-આત્મસ્વરૂપનો આનન્દ અને પરમાત્મસ્વરૂપનો આનંદ છે, તે સુખને જે યોગમાં વર્તતો આ યોગી જાણે છે-પ્રત્યક્ષ અનુભવે છે. અને વળી - જે યોગમાં વર્તતો આ યોગી પુરૂષ તત્ત્વથી ચળાયમાન થતો નથી. એટલે કે- નિરવધિકાતિશય સુખમય પરમાત્મસ્વરૂપને મૂકીને બીજે ક્યાંઇ ઠરતો જ નથી એ અભિપ્રાય છે. અહીંયા તત્ત્વ એટલે પરમાત્મસ્વરૂપજ જાણવું. આ સ્થિતિને જ યોગ શબ્દથી કહેવાય છે એમ જાણવું. ।।૨૧।।
જે યોગને પામીને યોગી પુરૂષ તેથી બીજો કોઇ અધિક લાભ માનતો નથી અને વળી જે યોગમાં રહેલો-યોગી પુરૂષ ટાઢ-તડકો અને ભૂખ-તરસ વિગેરે મહા દુઃખથી પણ ચળાયમાન થતો નથી. અર્થાત્-યોગનિષ્ઠ પુરૂષને મહાદુઃખને આપનારાં પદાર્થો પણ યોગથી ચળાયમાન કરી શકતાં નથી જ. ।।૨૨।।
નાના પ્રકારનાં સાંસારિક કલેશોનો સંયોગ જે અનિવાર્ય સમ્બન્ધ, તેનો વિયોગ કરનારો, તેવા પ્રકારનો તે પૂર્વે કહેલાં લક્ષણવાળો યોગ યોગ-શબ્દથી કહેવાય એમ જાણવું. આવો તે પ્રથમ કહેલાં લક્ષણવાળો યોગ આરંભકાળમાં યોગોપદેશ કરનારા ગુરૂએ ઉપદેશ કરવાથી પ્રાપ્ત થયેલા નિશ્ચયથી-નિશ્ચયપૂર્વક અભ્યાસ કરવો. એમ કરતાં જો એ યોગ ઝડપથી સિદ્ધ ન થાય તો પણ કંટાળા સિવાયના સતત ઉચ્છાહી ચિત્તથી અભ્યાસ કરવો જ. તેમાં ''બહુજ કલેશ પડશે એવી બુદ્ધિથી મનની શિથિલતા'' એ જ નિર્વેદ જાણવો. એવો નિર્વેદ ન રાખવો એ અર્થ જાણવો. ।।૨૩।।