यथा दीपो निवातस्थो नेङ्गते सोपमा स्मृता | योगिनो यतचित्तस्य युञ्जतो योगमात्मनः ||६-१९||
શ્લોકાર્થ
વાયુ વિનાના પ્રદેશમાં રહેલો દીપક જેમ નહિં કંપતા સ્થિર રહે છે, તે દીપની ઉપમા, ચિત્તને નિયમમાં કરીને યોગાભ્યાસ કરનાર યોગીના મનને કહેલી છે. ।।૧૯।।
ભાવાર્થ
હવે-યોગારૂઢ થયેલા યોગી પુરૂષના મનની સ્થિરતામાં દૃષ્ટાન્ત-ઉપમા આપીને વર્ણન કરે છે - વાયુએ રહિત સ્થાનમાં રહેલો દીવો જેમ હાલતો-ચાલતો નથી તેમ વશ કર્યું છે ચિત્ત જેણે અને આત્મયોગનો અભ્યાસ કરનારો, એવા યોગીના મનને તે ઉપર કહેલા દીવાની ઉપમા જાણવી. એટલે કે-વાયુ વિનાના સ્થાનમાં રહેલા દીવાની પેઠે તે યોગીનું મન નિશ્ચળ-સુસ્થિર વર્તે છે એ અર્થ છે. અથવા -યોગાભ્યાસ કરનારા યોગીના આત્માને, એટલે કે ક્ષેત્રજ્ઞા જીવાત્માને તે દીવાની ઉપમા કહેલી છે. અર્થાત્ વિવિધ વાસનાઓના વિવિધ ક્ષોભથી રહિત શુદ્ધ ક્ષેત્રજ્ઞા-જીવાત્મા વાયુ સિવાયના સ્થાનમાં રહેલા દીવાની પેઠે અતિશય સુસ્થિર વર્તે છે એમ અર્થ જાણવો. ।।૧૯।।