શ્લોક ૧૬-૧૭

नात्यश्नतस्तु योगोऽस्ति न चैकान्तमनश्नतः | न चातिस्वप्नशीलस्य जाग्रतो नैव चार्जुन ||६-१६||

युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु | युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखहा ||६-१७||

શ્લોકાર્થ

આ યોગ બહુ ખાનારને સિદ્ધ થતો નથી, તેમજ મુદ્લ નહિ ખાનારને પણ નથી થતો. હે અર્જુન ! અતિ ઊંઘવાના સ્વભાવવાળાને પણ નહિ, તેમ સર્વથા જાગનારને પણ નહિ જ.
પણ આહાર-વિહાર યોગ્ય-પ્રમાણસર કરનારને, તથા ક્રિયાઓ પણ યોગ્ય પ્રમાણમાં જ કરનારને, તેમજ ઊંઘવું અને જાગવું તે પણ જેનું યોગ્ય નિયમસર જ છે, તેવા નિયમિત સંયમી પુરૂષને જ આ દુઃખને હણનારો યોગ સિદ્ધ થાય છે. ।।૧૬-૧૭।।


ભાવાર્થ

હવે-આહારનો નિયમ કે જે યોગમાં પરમ ઉપકારક છે. તેને કહી બતાવે છે - અતિશય ખાનારને, તેમજ તદ્દન આહાર નહિ કરનારને પણ, તથા અતિ ઊંઘનારને પણ, તેમજ સર્વથા નિંદ્રા નહિ કરનાર જાગરૂકને પણ, યોગ-ચિત્તની એકાગ્રતારૂપ યોગ સિદ્ધ થતોજ નથી. ।।૧૬।।

ત્યારે યોગની સિદ્ધિ કોને થાય છે ? તેનો ખુલાસો કરે છે - યોગશાસ્ત્રમાં કહેવા પ્રમાણે આહાર-વિહાર જેના પરિમિત - અતિશય નિયમિત છે અને હરકોઇ કામ-કાજ કરવામાં યુક્ત - નિયમિત ચેષ્ટા-પ્રવૃત્તિ જેની છે. અને ઊંઘવું અને જાગવું તે પણ જેનું નિયમિતજ છે. આવા નિયમોથી નિયમિત વર્તનાર પુરૂષને જ જન્મ-મરણાદિક સઘળાં દુઃખને સમૂળ નાશ કરનારો યોગ સિદ્ધ થાય છે.

હવે-યુક્ત આહાર કરવામાં પ્રમાણભૂત-''ઉદરના બે ભાગ અન્નથી પૂરવા અને એક ભાગ જળથી પૂરવો અને એક ભાગ બાકી-ખાલી વાયુસંચાર માટે રાખવો. આ પ્રમાણે યોગ સાધનારો મિતાહાર કરનારો થાય-વર્તે." આવા આવા યોગશાસ્ત્રમાં કહેલા આહાર-વિહારમાં નિયમો જોવા - જાણવા. ।।૧૭।।